Sunday, July 10, 2022

મા કાલીનું અપમાન અર્બન નક્સલીઓની છેલ્લી ભૂલ બની રહેવી જોઇએ

 

ફિલ્મ ક્ષેત્રમાં, ટીવી ઈન્ડસ્ટ્રીમાં, શિક્ષણ જગતમાં, ન્યાયતંત્રમાં અને રાજકારણમાં ઘૂસી ગયેલા અર્બન નક્સલી તત્વોને હવે સંપૂર્ણ કાનૂની રીતે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કેનેડામાં વસતી લીના મનીમેકલાઈ નામની એક કહેવાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શિકાએ મા કાલી નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી અને તેની રિલીઝ પહેલાં એક પોસ્ટર જારી કર્યું, જેમાં માતાને સિગારેટ પીતાં અને એક હાથમાં એલજીબીટી પ્રજાતિનો બહુરંગી ધ્વજ પકડતાં બતાવાયાં છે. લીનાનું આ કૃત્ય એક પ્રકારે ગંભીર અપરાધથી જરાય ઓછું નથી. કરોડો ભારતીયો જે દેવીમાતામાં આસ્થા ધરાવે છે તેમને આવા સ્વરૂપમાં રજૂ કરીને લીનાએ જે અપરાધ કર્યો છે એ બદલ એ જેલમાં જ હોવી જોઇએ.

લીના કેનેડામાં રહે છે એટલે કદાચ એને ક્યારેય તેના આ ગંભીર અપરાધની સજા મળશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ જો ભારતમાં રહેતી હોત તો અત્યાર સુધીમાં તે ચોક્કસ જેલમાં હોત.

લીના જેવા સમાજવિરોધી તત્વોને હવે ખરેખર સંપૂર્ણ કાનૂની રીતે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ભારતીય સમાજમાં જો હવે જરા જેટલી પણ ખુમારી બચી હોય તો લીના, આમીર, નસીરુદ્દીન, મહુઆ મિત્રા, પ્રકાશ રાજ જેવાં તત્વો સામે રોજેરોજ કેસ દાખલ કરીને, તેમને કાનૂની રીતે ઘૂંટણીએ પાડવા જ જોઇએ. જો આવું શરૂ કરીશું તો જ ભારતીય સમાજ પોતાનું આત્મસન્માન બચાવી શકશે, અન્યથા ઉપર કહ્યા એવા અપરાધીઓ ઉપરાંત મીડિયામાં બેઠેલા એમના જોડીદારો, ન્યાયતંત્રમાં બેઠેલા એમના સમર્થકો ભારતીય સનાતન સંસ્કૃતિને ખતમ કરી નાખશે.

હું જાણું છું કે આ લેખ વાંચતી વખતે કેટલાક લબાડ તત્વો એવું પણ વિચારતા હશે કે હિન્દુત્વ નબળો નથી કે ઉપર કહ્યા એવા લોકોથી તેના ઉપર કોઈ જોખમ આવે, પરંતુ એવા મુર્ખ હિન્દુઓ ત્યારે જ સમજશે જ્યારે તેમના પોતાના ઘરમાં રેલો આવશે. પણ બાકીના હિન્દુઓએ, હિન્દુ સંગઠનોએ અર્બન નક્સલીઓને કાનૂની રીતે સીધા દોર કરી દેવાનું મિશન ઉપાડી લેવાનો સમય આવી ગયો છે.

લીના જેવાં તત્વોની હિન્દુત્વનું અપમાન કરવાની આ છેલ્લી ભૂલ બની રહેવી જોઇએ એ હદે આપણે સૌએ સક્રિય થવું જ પડશે. જો એમ નહીં કરીએ તો ભાગલાવાદી તત્વોની હિંમત વધતી જશે અને જે રીતે જેએનયુમાં આઝાદીના સૂત્રોચ્ચાર થયા હતા એવું એક દિવસ વાસ્તવમાં બનીને ઊભું રહેશે.

ભાગલાવાદી, હિન્દુ-વિરોધી તથા હિન્દુત્વ-વિરોધી વિચારધારાને પરાસ્ત કરવાના રસ્તા મેં આ અગાઉ અનેક વખત આ જ કૉલમમાં સૂચવ્યા છે. આજે વધુ એક વખત એ વિશે વાત કરવાનો સમય આવ્યો છે. એ ઉપાય છે- આર્થિક, સામાજિક બહિષ્કાર ઉપરાંત કાયદાનો દંડો.

ગાંધી-નહેરુની તુષ્ટિકરણની નીતિએ સાત દાયકા સુધી આ દેશનું નખ્ખોદ વાળી નાખ્યું છે. આ સાત દાયકા સુધી સત્તા પર રહેલા કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ લઘુમતીઓના તળિયા ચાટવામાં અને હિન્દુઓની ઘોર ઉપેક્ષા કરવામાં કશું બાકી રાખ્યું નથી. આનું પરિણામ એ આવ્યું કે, સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં અર્બન નક્સલીઓ કેન્સરના કીડાની જેમ ઘૂસી ગયા અને હિન્દુ સમાજ વ્યવસ્થાને ખોખલી કરી નાખી. એ સ્થિતિ સુધારવા માટે કાનૂની ધોરણે આકરાં પગલાં સિવાય કોઈ જ વિકલ્પ હિન્દુઓ પાસે બચ્યો નથી.

કેન્સરના કીડા સમાન આ અર્બન નક્સલીઓની હિંમત એ દિવસે વધી ગઈ હતી જ્યારે આમીર ખાન નામના એક બદમાશે પીકે ફિલ્મ બનાવી અને તેને મુર્ખ હિન્દુઓ બાયલાની જેમ તાળીઓના તાબોટા પાડીને વધાવતા હતા. એ ફિલ્મ હજુ પણ ઘણી વખત ટીવી ઉપર રજૂ થાય છે અને તે જોનારો વર્ગ એ તાબોટા-છાપ હિન્દુ જ છે.

અલબત્ત, સાચા-સામર્થ્યવાન હિન્દુઓની સંખ્યા જરાય ઓછી નથી. પણ તેમાં ખાટલે મોટી ખોડ એ છે કે, આવા હિન્દુઓ સંગઠિત નથી. પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. મારે શું અને આપણે શું ની માનસિકતામાં રાચ્યા કરતા હિન્દુઓએ અર્બન નક્સલીઓનાં કાવતરાંને ઓળખવા પડશે, તેમની પીઠ પાછળ સંતાઈને આવી રહેલા વિનાશકારી તત્વોને ઓળખવા પડશે, આ બધાને સંપૂર્ણ કાનૂની રાહે તેમની અસલિયતનું ભાન કરાવવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ વિકલ્પ નથી—જો બચવું હોય તો. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment