Sunday, December 26, 2021

પંજાબમાં ઘરના ભેદી અને ઘાતકી પાડોશી

 

 


--- કેન્દ્ર સરકારે નકલી ખેડૂત આંદોલનની હવા કાઢી નાખી એ દિવસથી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ બેચેન છે. તેમની એ બેચેની હતાશામાં પલટાઈ રહી છે અને એટલે જ સાવ સામાન્ય બાબતમાં હત્યા અને બોંબ વિસ્ફોટ થઈ રહ્યા છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબમાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે અતિશય ચિંતાજનક છે. આ ચિંતા કામચલાઉ નથી પણ લાંબાગાળાની છે. લોકો 30 વર્ષ પહેલાંના પંજાબની હાલતને યાદ કરીને વિચારમંથન કરવા અને ઉકેલ શોધવા લાગી ગયા છે. ત્રણ દાયકા પહેલાં એવા કયાં કારણો અને પરિબળો હતાં જેને કારણે સામાન્ય નાગરિકોએ સતત ભયમાં જીવવું પડતું હતું? એવા કયા રાજકારણીઓ હતા જે સ્થિતિ કથળાવવા માટે જવાબદાર હતા? શું એવા જ રાજકારણીઓ અને એવી જ રાજકીય વિચારધારા ફરી આકાર લઈ રહી છે? ધીમે ધીમે ફરી ચિંતાજનક સ્થિતિ માથું ઊંચકી રહી છે ત્યારે જૂની ઘટનાઓ અને જૂની વાતોને યાદ કરીને પંજાબના અને એ થકી દેશનું ભવિષ્ય ફરી અંધકાર તરફ ન ધકેલાય એ માટે ભૂતકાળ અને વર્તમાનની સાંકળો જોડવી જરૂરી છે.

ઘરના ભેદી તરફથી કિલ્લાની દીવાલમાં અથવા દરવાજામાં તિરાડ પાડવામાં ન આવે ત્યાં સુધી બહારની દુશ્મન તાકતો એ કિલ્લાને નુકસાન પહોંચાડી શકતી નથી. બીજા શબ્દોમાં ઘરના ભેદીની મદદ વિના દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી. પંજાબની ભૌગોલિક સ્થિતિ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. એક તો પાકિસ્તાન જેવો ઘાતકી પાડોશી, બીજું દેશમાં બેઠેલા પાકિસ્તાનવાદી દુશ્મનો, ત્રીજું ખાલિસ્તાનવાદીઓ, ચોથું આ બધાનો સામૂહિક દૂરુપયોગ કરવા માગતી ધર્મની રાજનીતિ અને પાંચ, માઓવાદીઓથી ખદબદતું મીડિયા.

પાકિસ્તાન જેવા ઘાતકી પાડોશીનો ગેરલાભ ગુજરાત (512 કિ.મી), રાજસ્થાન (1035 કિ.મી.), પંજાબ (547 કિ.મી.) અને જમ્મુ-કાશ્મીર (1216 કિ.મી.)ને મળે છે. આ ચારેય રાજ્યો મળીને કુલ 3,300 કિલોમીટર કરતાં વધુ ભૌગોલિક વિસ્તાર ના-પાક. સાથે જોડાયેલો છે. પરંતુ સાત દાયકા કરતાં વધારે સમયથી સતત અશાંતિ અને હિંસાનો ભોગ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો બન્યા છે – કેમ કે એ બંને રાજ્યોમાં ઘરના ભેદી ઉપરાંત પાકિસ્તાન-પ્રેમીઓ વધારે છે!

આ જ કારણોસર 1980 અને 1990ના દાયકાઓમાં આ બંને રાજ્ય આતંકવાદનો ભોગ બન્યા. હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ જીવ ખોયા, અર્થતંત્ર નબળું પડી ગયું અને એના કરતાં વધારે ખતરનાક સ્થિતિ એ થઈ કે વિવિધ સમુદાયો વચ્ચે અવિશ્વાસની કાયમી ખાઈ રચાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત છ-સાત જિલ્લામાં તો જેહાદી માહોલ હતો એટલે આખી સ્થિતિ જૂદી હતી, પરંતુ પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ અનેક લોકો માની શકતા નહોતા. જે સંપ્રદાય અને જે સમુદાય દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સૌથી અગ્રેસર હતો અને આજે પણ છે - એ જ સમુદાયમાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં અને એ ત્રાસવાદી ઘટનાઓ સુધી વિસ્તરી ગયાં હતાં એ બાબત શેષ ભારત માટે અકલ્પનીય હતી.

સંપૂર્ણ તટસ્થ નિરીક્ષણ અને સમીક્ષા કરીએ તો વાત ફરી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઉપર જ આવીને અટકે છે. આ બંને ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સરકારને મળેલો વિજય- ઘાતકી પાડોશી દેશોને અને એ સાથે ભારતની અંદર બેઠેલા તેમના સ્લીપર સેલ જેવા લોકોને હજુ પચતો નથી. રાષ્ટ્રવાદી સરકાર દ્વારા દેશના હિત માટે, તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે, કાયદા ઘડવામાં આવી રહ્યા છે એ વાત ઘાતકી પાડોશી દેશો અને ભારતમાં તેમના સ્લીપર સેલ તરીકે કામગીરી કરતા લોકોને પચતી નથી. આવા સ્લીપર સેલમાં માત્ર એકલદોકલ વ્યક્તિ જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓનો પણ સમાવેશ થાય છે. લઘુમતીઓની બગલ ખંજળવામાં જન્નતનું સુખ માનતા આ કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષો કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકારના એકપણ પગલાંને સમર્થન નથી આપતા...ત્યાં સુધી તો વાત સમજી શકાય, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા આ સેક્યુલર પક્ષો તો રાષ્ટ્રહિતના કાયદા કે પગલાંની વિરુદ્ધ રીતસર શહેરો અને દેશને બાનમાં લઈ લે છે.

એક વર્ષથી ચાલતું નકલી ખેડૂત આંદોલન આ જેહાદી સેક્યુલરોના અપપ્રચારનું જ પરિણામ હતું જેને આધાર બનાવીને ખાલિસ્તાનવાદી લાગણી ફરી ભડકાવવામાં આવી. સામાન્ય પંજાબીઓ જે શાંતિથી જીવતા હતા એ ફરી ઉગ્ર બનવા લાગ્યા છે. નાની સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને હત્યાઓ થઈ રહી છે અને ગુરુવારે અદાલતના મકાનમાં બોંબ વિસ્ફોટ થયો.

દેશ માટે જરાસરખી પણ લાગણી ધરાવનાર કોઇપણ વ્યક્તિ એટલું તો વિશ્વાસપૂર્વક કહી જ શકે કે, કેન્દ્રની વર્તમાન સરકારના દરેકે દરેક પગલાં દેશહિતમાં છે...પરંતુ કથિત સેક્યુલર પક્ષો તેમના ટૂંકા સ્વાર્થમાં તોડફોડ કરાવવા માટે ઉશ્કેરણી કરતા રહે છે અને એ દ્વારા ઘાતકી પાડોશીઓના ઈશારે નાચતા રહે છે. આ સ્થળે હું તમને વારંવાર એક બાબતની ચેતવણી આપતો રહીશ કે, જો તમે સાવધાન નહીં રહો તો લઘુમતીઓની ખુશામતમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો આ દેશમાં ગમેત્યારે પંજાબ-કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે અથવા દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ ધકેલી દેશે. તમારી રાજકીય વિચારધારા ગમે તે હોઈ શકે, તમે ગમે તે પક્ષના સમર્થક હોવ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ રાજકીય પક્ષની નીતિ, કાર્યક્રમો અને પગલાં રાષ્ટ્રહિતના છે કે નહીં એ વિચારો ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ કોરિડોર કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ ધર્મપથથવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ કદાચ ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 5, 2021

વિપક્ષો પણ હવે “કોંગ્રેસ-મુક્ત” થવા માગે છે?

 


--- લોકસભા ચૂંટણી આડે પૂરા સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ જાતિવાદી અને લઘુમતી ખુશામતના રાજકારણમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગી ગયા છે, અને એમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે- અન્ય વિપક્ષો કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની પ્રગતિની ચિંતા કરવાને બદલે, પોતપોતાના રાજ્યના વિકાસ અંગે વિચારવાને બદલે, લોકકલ્યાણનાં કામો ઉપર ધ્યાન આપવાને બદલે વિરોધ પક્ષો ગઠજોડ - તડજોડ અને ગઠબંધન માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં માનવકલાકો, નાણા તેમજ અન્ય સ્ત્રોતોનો ગુનાઇત બગાડ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી તેમજ કેન્દ્રમાંથી ભાજપ તથા નરેન્દ્ર મોદીને દૂર કરવાના શેખચલ્લી વિચારોમાં રચ્યા-પચ્યા રહેતા આ વિરોધ પક્ષોએ લોકસભા ચૂંટણીને આડે હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે ત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે... પરંતુ આ મથામણમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને તરછોડી રહ્યા છે. આ વિપક્ષોને કોંગ્રેસ મંજૂર નથી કે પછી ગાંધી ખાન-દાન મંજૂર નથી?

રાજકીય પક્ષો રાજકારણ રમે એમાં કશું ખોટું નથી. એક-બીજા ઉપર આક્ષેપબાજી કરે એ પણ સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓ પર સમાન વિચાર ધરાવતા પક્ષો ચૂંટણીલક્ષી જોડાણ કરે એ સમયની માંગ છે...પણ આ બધું જ જો પ્રજા-હિતના ભોગે, દેશ-હિતના ભોગે થતું હોય તો નાગરિકોએ – મતદારોએ સમજવું જોઇએ કે તેમનું હિત ક્યાં છે?

યાદ રહે, મોટાભાગના આ રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ અલગ થયેલા છે. અને આશ્ચર્યજનક રીતે સમાનતા એ છે કે કોંગ્રેસમાંથી છૂટા પડીને અલગ પક્ષ રચનારા પ્રાદેશિક નેતાઓને ગાંધી ખાન-દાન સામે જ વાંધો હતો. મમતા બેનરજી સાથે આ અઠવાડિયે મુલાકાત કરનાર શરદ પવાર તો સોનિયા ગાંધીના વિદેશીકૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. આમ છતાં આ જ બધા પક્ષો આટલાં વર્ષ સુધી કોંગ્રેસના જ ખોળામાં બેસીને કેન્દ્રમાં પરોક્ષ સત્તા ભોગવતા રહ્યા. પરંતુ 2014 પછી અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પછી આ બધા રાજ્ય સ્તરના નાના નાના વિપક્ષોને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી અને કોંગ્રેસનું વર્તમાન પારિવારિક નેતૃત્વ અર્થાત ગાંધી ખાન-દાન કોંગ્રેસને પુનઃજીવિત કરવા સક્ષમ નથી.

હકીકતે આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. માત્ર સ્થાનિક સ્તરના નાના નાના પ્રાદેશિક પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં ટોચના નેતાઓ સમજી ચૂક્યા છે કે ગાંધી ખાન-દાન હવે કોંગ્રેસને પુનઃજીવિત કરી શકે તેમ નથી. જોકે કોંગ્રેસના એ કહેવાતા વરિષ્ઠ નેતાઓમાં પક્ષમાંથી બહાર નીકળીને અલગ પક્ષ રચવાની હિંમત કે ક્ષમતા નથી. એ નેતાઓ અત્યાર સુધી માત્ર ગાંધી ખાન-દાનના ખીલે બંધાઈને કૂદતા રહ્યા છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને જ ટીએમસી અને આપ પાર્ટી જેવા કટ્ટરવાદી પક્ષો બીજા રાજ્યોમાં ચૂંટણી લડીને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવવાની ફિરાકમાં છે. એ વાત જૂદી છે કે એ પક્ષોના નેતાઓ તેમના દેખીતા લઘુમતી તરફી વલણ અને નીતિઓને કારણે બીજા રાજ્યોમાં સફળ થઈ શકે તેમ નથી. અને એ જ કારણે બેનરજી અને કેજરીવાલ જેવા લોકો ભોળા હિન્દુઓને વધારે મુર્ખ બનાવવા રામનામ જપવા લાગ્યા છે, બેનરજી તો હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરવા લાગ્યા છે. આ એ જ બેનરજી છે જેમણે પશ્ચિમ બંગાળમાં ટાટા નેનોના પ્લાન્ટ ન સ્થપાય એ માટે ખેડૂતોને ઉશ્કેરીને હિંસક આંદોલન કરાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીમાં મુલ્લા-મૌલવીઓને જંગી વેતન આપનાર કેજરીવાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની વાતો કરે છે.

દરમાં છૂપાયેલા ઝેરી સાપ કરતાં વધારે જોખમી લોકોને ઓળખવા જોઇએ, તેમનાથી સાવધાન રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ચૂંટણી જીતનાર બેનરજીને તો હવે એવું લાગે છે કે, પોતે વિપક્ષોને એકત્ર કરીને 2024ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બની શકે તેમ છે! પરંતુ કોંગ્રેસી કૂળ અને મૂળ ધરાવતા આ બધા રાજકારણીઓ કદી લઘુમતી તુષ્ટિકરણ છોડી શકવાના નથી એ હકીકત છે, એટલે વ્યૂહાત્મક રીતે અથવા બીજા કોઈપણ કારણસર આ ટુણિયાટ વિપક્ષો કોંગ્રેસથી છેડો ફાડે તો પણ રાષ્ટ્રીય સ્તરે કશું ઉકાળી શકે તેમ નથી. બીજો એક અગત્યનો મુદ્દો તમે સૌ વાચકો જાણો છો એમ આ બધા વામન પ્રાદેશિક પક્ષો ભેગા ભલે થાય પરંતુ વડાપ્રધાનપદની વાત આવશે ત્યારે બધા એકબીજાના પગ ખેંચવાના છે. એક નેતા માટે આ બધા સંમત થવાના જ નથી, પરંતુ ત્યાં સુધી સમજદાર નાગરિકોએ આ ટુણિયાટ વિપક્ષોના અપ-પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. અને જેઓ સમજદાર નથી એમણે અહીં ઉપર જણાવી એ સ્થિતિનો થોડો વિચાર કરવાની જરૂર છે. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!