Sunday, January 8, 2023

58 અરજી પણ નોટબંધીને અયોગ્ય ઠેરવી ન શકી

સ્વતંત્ર ભારતના ઇતિહાસનું સૌથી ક્રાંતિકારી પગલું નોટબંધી હતું. આ એક પગલાંએ એકસાથે કેટલા ઉદ્દેશ પાર પાડ્યા છે એ સમજવા માટે પણ તમારા હૃદયના ખૂણામાં રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જરૂરી છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 બીજી જાન્યુઆરી, 2023ને સોમવારે સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપીને નરેન્દ્ર મોદીના આઠમી નવેમ્બર, 2016ના એક ઐતિહાસિક નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. તે સાથે કહેવાતા અર્થશાસ્ત્રીઓથી લઇને વિરોધ પક્ષો સહિત અનેકનાં મોઢાં કાળાં થઈ ગયાં. એ સાચું એ આ બધા બદમાશો એ વાતનો સ્વીકાર નહીં કરે કે તેમનાં મોઢાં કાળાં થઈ ગયાં છે. પરંતુ વાસ્તવિકતા તો એ જ છે, કેમ કે આ બધાએ ભેગા મળીને બે-પાંચ-દસ નહીં પરંતુ પૂરી 58 પિટિશન નોટબંધીની વિરુદ્ધમાં કરી હતી, અને એમાંથી એકેય જણ મોદી સરકારના આ પગલાંને અયોગ્ય ઠેરવી શક્યા નહીં. એમ તો આ એ જ ટોળકીઓ હતી જેમણે CAA વિરૂદ્ધ, રાફેલ યુદ્ધ વિમાનના સોદા વિરૂદ્ધ, ત્રિપલ તલાકના કાયદા વિરૂદ્ધ, રામ જન્મસ્થળના હિન્દુઓના અધિકાર વિરૂદ્ધ અને એથી આગળ વધીને કલમ 370ની નાબૂદી વિરૂદ્ધ અરજીઓ કરી હતી...પરંતુ દરેક વખતે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવાં તત્વોના હાથ હેઠા પડ્યા.

સાચી વાત તો એ છે કે, નોટબંધી એ સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી ક્રાંતિકારી નિર્ણય છે. આ એક પગલાંથી મોદી સરકારે એક સાથે અનેક ઉદ્દેશ પાર પાડ્યા છે.

નોટબંધી કરવાનો સૌથી પહેલો ઉદ્દેશ કાળા નાણા સ્વરૂપે ચાલી રહેલા સમાંતર અર્થતંત્ર ઉપર ઘા કરવાનો હતો. આ ઉદ્દેશ મહદઅંશે પાર પડ્યો જ છે એમાં કોઈ શંકા નથી. એ સમજવા માટેના બે-ત્રણ મુખ્ય પાસાં જોઇએ. સૌથી પહેલાં તો નોટબંધી વિરુદ્ધ સૌથી વધુ કાગારોળ કોણે મચાવી હતી? રાજકારણીઓએ, ખરું ને? એમણે કાગારોળ મચાવી હતી કેમ કે તેમની પાસે બેહિસાબી રોકડ રકમના ઢગલા પડ્યા હતા. એ ઢગલા રાતોરાત ધૂળનાં ઢેફાં સાબિત થઈ ગયા. એ રકમનો ક્યાંય કોઈ હિસાબ નહીં રાખ્યો હોવાથી ભ્રષ્ટ રાજકારણીઓ તેને વટાવવા પણ જઈ શકે તેમ નહોતા. અને તેથી જ રાજકારણીઓ નોટબંધી વિરૂદ્ધ જે વિલાપ કરતા હતા તે માત્ર તેમના અંગત સ્વાર્થ માટે હતો, પ્રજાને તેની સાથે કોઈ લેવાદેવા નહોતી.

નોટબંધીને કારણે બીજો ઉદ્દેશ એ સધાયો કે આતંકવાદીઓને પહોંચતા આર્થિક સ્રોતો રાતોરાત સૂકાઈ ગયા. કાશ્મીરમાં સક્રિય જેહાદી આતંકીઓને દેશમાંથી તેમજ વિદેશમાંથી અને ખાસ કરીને પાકિસ્તાનમાંથી જે નાણાકીય પ્રવાહ મળતો હતો તેના ઉપર નોટબંધીએ પ્રચંડ આઘાત કર્યો છે એ વાત દરેકે વહેલા કે મોડા સ્વીકારવી જ પડશે.

ત્રીજું, નોટબંધી થવાથી પાકિસ્તાન એકદમ ખરાબ રીતે પાયમાલ થઈ ગયું. ભારત સહિત આખી દુનિયા જાણે છે કે, નોટબંધી પહેલાં રોજેરોજ વિપુલ માત્રામાં નકલી ભારતીય ચલણ શહેરોમાં અને સરહદો ઉપર પકડાતું હતું. ભારતીય ચલણની નકલી નોટોની માત્રા એટલી મોટી હતી કે દેશની અંદર કોઈ એકલ-દોકલ અપરાધીઓ માટે તેનું ઉત્પાદન કરવાનું શક્ય નહોતું. સ્વાભાવિક રીતે ચલણી નોટ માટેના કાગળ તેમજ પ્રિન્ટિંગની સુવિધા મોટાપાયે ઉપલબ્ધ ન હોય તો નકલી ચલણી નોટો વિપુલ માત્રામાં છાપી શકાય નહીં. અને આ સુવિધાઓ પાકિસ્તાનમાં હતી એ જગજાહેર છે. પાકિસ્તાન હાલ આર્થિક રીતે બેહાલ છે તેનાં વિવિધ કારણોમાં આ પણ એક કારણ છે કે નકલી ભારતીય નોટો છાપવાનો તેનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે.

નોટબંધી બાદ ડિજિટલ ઇકોનોમીનું ચલણ વધવાથી ભારતીય અર્થતંત્રના ખરા કદની હવે ખબર પડી રહી છે. તે ઉપરાંત ડિજિટલ વ્યવહારોને કારણે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘટ્યું છે એમાં કોઇએ શંકા રાખવાની જરૂર નથી. હા, ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ નથી થયો એ માટે માત્ર સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં, પ્રજા પણ એટલી જ જવાબદાર ગણાય.

ખેર, નોટબંધીની તરફેણમાં આ સિવાય પણ બીજા અનેક મુદ્દા છે અને જેમને હકારાત્મક બાબતો જાણવામાં રસ હોય તે અહીં લેખમાં જે પુસ્તકનો ફોટો છે તે મગાવીને અથવા ક્યાંકથી મેળવીને વાંચી શકે છે. (નોટબંધીનું A to Z, લેખકઃ સૌરભ શાહ, પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન, રાજકોટ)

સાથે બીજી એક વાત ખાસ નોંધવી જોઇએ કે જે રાજકારણીઓ અને જે મીડિયાવાળા અને જે રાજકીય વિશ્લેષકો હજુ આજ દિન સુધી એમ કહ્યા કરે છે કે નોટબંધીથી સામાન્ય પ્રજાને હેરાનગતિ થઈ ગઈ હતી અને સામાન્ય નાગરિકો પાયમાલ થઈ ગયા હતા વગેરે વગેરે...તો એવા નકારાત્મક લોકોએ 2017, 2018માં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી, 2020, 2021 અને 2022માં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને ધ્યાનમાં લેવાં જોઇએ, બધું સમજાઈ જશે. રાષ્ટ્રને ચાહનાર મોટાભાગના નાગરિકોએ પોતાને થોડો સમય તકલીફ પડી હોવા છતાં નોટબંધીના ઐતિહાસિક ક્રાંતિકારી પગલાંને 2016 પછીની દરેક ચૂંટણીમાં થમ્સ-અપ કર્યું છે, ખરું ને! મને ખબર છે કે તમારા બધાની પણ હા જ છે, તો...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 1, 2023

આત્મનિર્ભર ભારતની અભૂતપૂર્વ સ્વદેશી સિદ્ધિ


સ્વદેશી રમકડાં અપનાવવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલનું ક્રાંતિકારી પરિણામઃ સાત વર્ષમાં ભારતીય રમકડાંની નિકાસમાં 240 ટકાનો વધારો અને આયાતમાં 67 ટકાનો ઘટાડો

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કોરોનાની વૈશ્વિક મહામારી તેમજ વિવિધ દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર ડામાડોળ છે. અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમના જે દેશોએ અનેક દાયકા સુધી જે મોંઘવારી જોઈ નહોતી તેનો હાલ તેમને સૌથી ખરાબ અનુભવ થઈ રહ્યો છે. શાંતિના સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર દરેક દેશ માટે લાભદાયક રહે છે, પરંતુ અશાંતિ અને મહામારી જેવાં કારણો માંગ અને પુરવઠાની સ્થિતિ ખોરવી નાખે છે અને પરિણામે અછતની સ્થિતિ ઊભી થાય છે જે છેવટે મોંઘવારી તરફ દોરી જાય છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી સંભવિત સ્થિતિને ઘણી વહેલી ઓળખી ગયા હતા અને તેથી 2014માં સત્તા પર આવ્યા પછી ટૂંક સમયમાં જ તેમણે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપીને દેશવાસીઓને અમુક ચીજોનું ઉત્પાદન ઘરઆંગણે જ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. નરેન્દ્ર મોદી એ સ્થિતિ જોઈ શકતા હતા જ્યાં ચીન જેવા વિસ્તારવાદી માનસિકતા ધરાવતા દેશો, અમેરિકા જેવા યુદ્ધખોર માનસિકતા ધરાવતા દેશો અને સાથે પાકિસ્તાન જેવા ઘૂસણખોર-આતંકવાદી માનસિકતા ધરાવતા દેશો તેમના ટૂંકા સ્વાર્થ માટે દુનિયાને યુદ્ધની સ્થિતિ તરફ દોરી જશે એવું તે જાણતા હતા.

આ જ કારણે તેમણે ઑઈલ, શસ્ત્ર-સરંજામ જેવાં ક્ષેત્રોમાં આત્મનિર્ભર થવાની કામગીરી સૌથી પહેલાં શરૂ કરી દીધી હતી. ક્રુડઑઇલના સ્થાને સૂર્યઊર્જા તેમજ વીજળી સંચાલિત વાહનો ઉપર ભાર મૂક્યો. એ જ રીતે શસ્ત્ર-સરંજામનું ઉત્પાદન પણ દેશમાં જ થાય એ માટે પહેલ કરી. આનું પરિણામ એ આવ્યું કે, ક્રુડ ઑઇલની આયાતમાં તબક્કાવાર ઘટાડો થઈ રહ્યો છે. એ જ રીતે શસ્ત્ર-સરંજામ પાછળ 2014 પહેલાં અબજો રૂપિયાનો ખર્ચ થતો હતો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બંને પગલાંને કારણે દેશના મોંઘા વિદેશી હુંડિયામણની બચત થઈ રહી છે.

આ જ અનુસંધાને વડાપ્રધાને રમકડાં ક્ષેત્રે પણ દેશને આત્મનિર્ભર થવાની હાકલ કરી. 2014 પહેલાં દેશમાં મોટાભાગનાં રમકડાં ચીનથી આયાત થતાં હતાં. પરંતુ ચીન એવો શેતાન દેશ છે જે આપણા જ નાણાથી આપણી વિરુદ્ધ કાવતરાં કરે છે. વડાપ્રધાને ચીની મોબાઇલ એપ્લિકેશન્સ અને સોફ્ટવેર ઉપર તો સીધો પ્રતિબંધ મૂક્યો, પરંતુ રમકડાંની બાબતમાં સીધો પ્રતિબંધ મૂકવાને બદલે ભારતીય ઉત્પાદકોને દેશમાં જ રમકડાંનું ઉત્પાદન કરવા હાકલ કરી. પરિણામ એ આવ્યું કે, છેક ગ્રામ્ય સ્તરે અનેક લોકોને નવેસરથી રોજગારી મળવાની શરૂ થઈ અને છેલ્લા સાત-આઠ વર્ષમાં રમકડાંની આયાતમાં જંગી 67 ટકાનો ઘટાડો થયો. તેની સામે આ જ ગાળામાં ભારતીય રમકડાંની નિકાસ 240 ટકા વધી. દુનિયાના અનેક દેશો ચીની રમકડાંથી ત્રસ્ત હતા પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો તેથી ચીની રમકડાંની આયાત ચાલુ રાખી હતી, પરંતુ ભારતનાં રમકડાંનો વિકલ્પ ઊભો થતાં જ અન્ય દેશોએ પણ ચીની રમકડાંને બદલે ભારતીય રમકડાં ઉપર પસંદગી ઉતારી અને પરિણામે તેની નિકાસમાં અભૂતપૂર્વ વધારો થયો. 2014-15માં રૂપિયા 797 કરોડના ભારતીય રમકડાંની નિકાસ થતી હતી તે 2021-22માં વધીને રૂપિયા 2706 કરોડે પહોંચી. એ જ રીતે 2014-15માં ભારત રૂપિયા 2756 કરોડનાં રમકડાંની આયાત કરતું હતું તે 2021-22માં ઘટીને રૂપિયા 909 કરોડની થઈ ગઈ.

ભારત સરકારે સ્વદેશી રમકડાંને આટલા મોટાપાયે પ્રોત્સાહન આપ્યું તેનું પરિણામ એ પણ આવ્યું છે કે, ઑનલાઇન વેચાણ કરતી અમુક કંપનીઓએ છેલ્લાં બે વર્ષથી ભારતીય રમકડાંના વેચાણ માટે વિશેષ સ્ટોર અને વિભાગ ઊભો કરવો પડ્યો છે. સરકારે જે રીતે ખાદીને પ્રચંડ પ્રોત્સાહન આપીને વણકરોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે એવી જ રીતે સ્વદેશી રમકડાંને પણ અસાધારણ પ્રોત્સાહન આપીને નાનાં નગરો અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વસતા રમકડાંના કારીગરોના જીવનમાં પણ ક્રાંતિ લાવી દીધી છે.

ભારતીય મીડિયાની આ ગુનાઈત બદમાશી જ છે કે દેશની આવી અસાધારણ સિદ્ધિઓની યોગ્ય નોંધ લેવામાં આવતી નથી. માત્ર રાજકીય તથા ક્રાઇમના સમાચારોને જ મહત્ત્વ આપ્યા કરતું મીડિયા વિવિધ ક્ષેત્રમાં દેશની અસાધારણ પ્રગતિના સમાચારોની ઉપેક્ષા કરીને દેશની પ્રજાનો જ ઘણો મોટો અપરાધ કરી રહ્યા છે. મને લાગે છે કે મીડિયાને હકારાત્મક તેમજ પ્રગતિ અને વિકાસના સમાચારો આપવા હવે વાચકોએ – દર્શકોએ જ ફરજ પાડવી પડશે. તમે શું કહો છો એ વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!