Monday, September 24, 2018

ધારાસભ્યોના પગાર વધારાનો વિરોધ કેટલો યોગ્ય?

ધારાસભ્યોના પગાર વધારાનો વિરોધ કેટલો યોગ્ય?

--- ક્યારેક એવું લાગે છે કે ભારતીયો અત્યંત લાગણીશીલ છે તો ક્યારેક એવું લાગે છે કે ભારતીયો સાવ બુડથલ છે. જે પ્રજા મંદિરોની દાનપેટી છલકાવી દે છે એ જ પ્રજા રાજકારણીઓને વેતન આપવા તૈયાર નથી!    


-- અલકેશ પટેલ

ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે હજુ થોડા દિવસ પહેલાં પોતાના વેતનવધારા માટેની રેલી કાઢતા હતા અને થોડા મહિનામાં ફરી પોતાના વેતનમાં વધારો કરવાની માગણી કરશે.
ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જેમણે  હજુ ગયા જુલાઈમાં જ પોતાનો ટેક્સ બચાવવા માટે હિસાબના ચોપડામાં કાવાદાવા કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ધરાઈને ફી આપી હતી.
ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે લોકો દેશવિરોધી ફાલતુ એક્ટરોની વાહિયાત ફિલ્મો જોવા ચિક્કાર રૂપિયા ખર્ચીને ભારતમાં રહેતા એ પાકિસ્તાની હકલાઓના બેંક બેલેન્સમાં દિવસ-રાત ચોવીસે કલાક વધારો કરતા રહે છે.
--- કહેવાનું તાત્પર્ય એ છે કે કાંતો લાગણીવેડાને કારણે અથવા અબૂધપણાને કારણે આ દેશના નાગરિકો દરેક બાબતોમાં એવા એવા પ્રત્યાઘાત આપી રહ્યા છે જેમાં મૅચ્યોરિટીનો સદંતર અભાવ દેખાઈ આવે છે. ઉપર તો માત્ર ત્રણ જ મુદ્દા આપ્યા છે, પરંતુ એ સિવાય એવા સેંકડો ઉદાહરણ આપી શકાય એમ છે જે એક પ્રજા તરીકે આપણને મુર્ખ અને અબૂધ સાબિત કરે છે.
ના જરાય નહીં...ધારાસભ્યો કે પછી રાજકારણીઓનો બચાવ કરવાનો અહીં કોઈ ઇરાદો નથી જ. પણ મને લાગે છે કે પ્રજા તરીકે આપણે મૅચ્યોર થવું જોઈએ – પરિપક્વ થવું જોઈએ. કોંગ્રેસીઓ અને ડાબેરીઓએ સાવ ખોટી રીતે ભારતીયોના મનમાં ઘૂસાડી દીધેલી રાજકારણીઓ વિશેની માન્યતાને આપણે હવે બદલવી પડશે.
ધરાઈને વેતન લેતા રાજકારણીઓ તેમની ફરજ પ્રત્યે સભાન રહે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. મત આપીને રાજકારણીઓને ચૂંટનાર દરેકની ફરજ એ હોવી જોઈએ કે એ રાજકારણીને કામ કરવા મજબૂર કરો. વિધાનસભ્યો અને સંસદસભ્યોને પોતપોતાના વિસ્તારની કામગીરી માટે ગ્રાન્ટ મળે છે. એ ઉપરાંત પણ વિવિધ યોજનાઓ માટે સરકારી બજેટ ફાળવવામાં આવેલું હોય છે.
આ સંજોગોમાં જાગૃત નાગરિકો, જાગૃત સંસ્થાઓ અને મીડિયાની ફરજ તો એ છે કે દર અઠવાડિયે અને દર મહિને રાજકારણીઓ પાસે સીધો જ હિસાબ માગવો જોઈએ. જો આવું કરીશું તો ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદોને કામ કરવાની ફરજ પડશે. એટલું જ નહીં પરંતુ જે લોકો રાજકારણમાં આવવા માગતા હોય તેમને પણ પહેલેથી જ સમજાઈ જશે કે હવે માત્ર જલસા કરવા રાજકારણમાં નહીં જવાય, કામ પણ કરવું પડશે.

--- શિક્ષક અને રાજકારણી – એ બે ના વેતન સૌથી વધુ હોવા જોઈએઃ

મુર્ખ ભારતીયોની મુશ્કેલી એ છે કે જે કોઈ સ્થિતિ હોય ત્યાંથી હવે આગળ શું કરી શકાય..?” એ વિશે વિચારતા જ નથી. બસ માત્ર જે તે ઘટના કે પ્રસંગને પકડી લઈને તેના ઉપર દે-ઠોક દલીલો કર્યા કરે છે. મુર્ખ ભારતીય નોકરિયાતો પોતપોતાના વેતન વધારવા માટે હંમેશાં તત્પર હોય છે, પરંતુ બીજા નોકરિયાતનું વેતન વધે તો એકની બળતરાનું કોઈ માપ નથી રહેતું. મુર્ખ ભારતીય વેપારીઓ કોઇપણ ભોગે પોતાનો નફો વધારવા તમામ પ્રકારનાં ગતકડાં અજમાવે છે, પણ કોઈ બીજો વેપારી એવું કશું કરે તો પહેલો બળીને ખાખ થઈ જાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ઇર્ષા એ ભારતીયોના ડીએનએ-માં છે. બધા સાથે મળીને ઉપર ઊઠવા આપણે તૈયાર નથી, પણ એક-બીજાને નીચે પાડી દઈને આપણે ઉપર રહેવા માગીએ છીએ.
સાચી વાત એ છે કે ભારતે જો પહેલેથી શિક્ષકો અને રાજકારણીઓને પૂરતું વેતન અને પૂરતું સન્માન આપ્યું હોત તો અમેરિકા કે ચીન જેવા દેશો પણ આપણી આગળ પાણી ભરતા હોત. એ કેવી રીતે..? શિક્ષકને પૂરતું વેતન અને માન મળ્યું હોત તો આપણી અગાઉની પેઢીઓને શિક્ષિત કરવામાં કોઈ કચાશ રાખી ન હોત અને આજે શિક્ષણના સ્તર વિશે જે ચર્ચા કરવી પડે છે તે ન કરવી પડત. એનો અર્થ એવો નથી કે શિક્ષકોએ તેમની ફરજ નથી બજાવી. ફરજ તો બજાવી જ છે, પણ તેમને વધુ માન-સન્માન અને વધુ વેતન આપી શકાત. એ જ રીતે રાજકારણીઓને પણ યોગ્ય માન-સન્માન અને પૂરતું વેતન આપ્યું હોત તો તેમને તેમની કામગીરી માટે વધારે ઉત્સાહ રહેત અને ભ્રષ્ટાચારની સંભાવના ઘટાડી શકાત.
માત્ર સોશિયલ મીડિયા ઉપર હાકલા-પડકારા કરતા, ટેક્સની ચોરી કરવા માટેના રસ્તા શોધ્યા કરતા, જે સાધુઓ કથિત રીતે સંસાર છોડી ચૂક્યા છે એમના પગમાં કરોડો રૂપિયાનું દાન કરી આવતા, દેશ વિરોધી એક્ટરોની ફિલ્મો પાછળ લાખો રૂપિયા વેડફી નાખતા, લાયકાત કરતાં વધારે પગાર લઈને પણ પૂરો સમય કામ નહીં કરતા અને નોકરીમાં ગુટલી મારતા આ દેશના નાગરિકો પોતે તો દેશ પ્રત્યે જવાબદાર નથી જ, પણ જેમને જવાબદાર બનાવી શકાય એવા રાજકારણીઓને પણ ખરાબ ચીતરીને હજુ પણ દેશના ભવિષ્યને ભારે નુકસાન કરી રહ્યા છે.


Friday, September 21, 2018

શું ભારતીય રૂપિયાની ‘ચાલ-ચલગત’ ખરેખર બગડી છે?



--- એક સમયે રૂપિયાના મૂલ્યમાં થતી વધ-ઘટ માત્ર સરકાર-રિઝર્વ બેંક અને વેપારજગતનો મુદ્દો હતો એ આજે સાર્વજનિક મુદ્દો બની ગયો છે. રાજકીય મંચથી માંડીને સોશિયલ મીડિયા સુધી બધે જ લોકો રૂપિયાના ઘસારા અંગે પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તો હકીકત શું છે?

--- અલકેશ પટેલ
       
અમેરિકી ડૉલરની સામે ભારતીય રૂપિયો ગગડી ગયો. ડૉલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ. ડૉલર સામે ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ. – આવી બધી હેડલાઇન આજકાલ સામાન્ય થઈ ગઈ છે. અમેરિકન ડૉલર સામે જ નહીં પરંતુ દુનિયાના વિવિધ ચલણની સરખામણીમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધ-ઘટ થવાની પ્રક્રિયા કંઈ આજકાલની નથી અને ભવિષ્યમાં બંધ પણ થવાની નથી. પરંતુ હવે ભારતમાં તેના વિશે મોટાભાગના લોકોને ખબર પડવા લાગી છે, અને જેમને ખબર પડવા લાગી છે એ બધા ચિંતિત પણ છે. ડૉલર અને રૂપિયાના વિનિમય દરમાં જે કંઈ ઊથલપાથલ થઈ રહી છે તેને મુદ્દો બનાવીને એક વર્ગ એવું વિકરાળ ચિત્ર તૈયાર કરવામાં વ્યસ્ત છે કે સામાન્ય માણસ તો ડરી જ જાય અને તેને એવું જ લાગવા માંડે કે દેશમાં હવે બધું રસાતાળ જશે. આ સિવાય બીજો વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે – એક ભાગ આશાવાદી છે. તેને એમ લાગે છે કે રૂપિયાનું થોડું અવમૂલ્યન થાય તેમાં વાંધો નથી, ભારતને ફાયદો જ છે. તો બીજો ભાગ ચેતવણી આપીને સાવધાન રહેવા સલાહ આપે છે.
સરકારે અને વહીવટીતંત્રે આ બીજા વર્ગના બીજા ભાગની વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. બલ્કે એમની જ વાત કાન ધરીને સાંભળવી જોઈએ અને આંખો ખોલી નાખવી જોઈએ. એવું થઈ પણ રહ્યું છે. સરકાર અને તેના આર્થિક સલાહકારો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને એટલે જ તો ભારતીય રૂપિયાનું વધુ પતન અટકાવવા માટે 15 સપ્ટેમ્બરને શનિવારે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. (1) બિનજરૂરી આયાતની ચીજવસ્તુઓ હોય તેમાં ઘટાડો કરવામાં આવશે અને નિકાસ વધારવા માટે પગલાં લેવામાં આવશે. (2) ઉત્પાદન કંપનીઓ હવે એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ (ઇસીબી) રૂટ મારફત 50 મિલિયન ડૉલર સુધીની રકમ ત્રણ વર્ષના બદલે એક વર્ષની રેસિડ્યુઅલ મૅચ્યોરિટી સાથે મેળવી શકશે. (3) એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ રૂટ મારફત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટેની ફરજિયાત હેજિંગ શરતોની સમીક્ષા કરવામાં આવશે. (4) મસાલા બૉન્ડ પરનો ટૅક્સ સ્થગિત કરવામાંથી મુક્તિ તથા ભારતીય બેંકોને મસાલા બૉન્ડમાં માર્કેટ મેકર બનવાની પરવાનગી આપવામાં આવશે. (5) કોઈ એક કૉર્પોરેટ ગ્રુપના ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવા ઉપર 20 ટકા એક્સપોઝરની મર્યાદા હટાવી લેવામાં આવશે જેથી વિદેશી રોકાણકારો કૉર્પોરેટ બૉન્ડમાં વધુ રોકાણ કરી શકશે.
આ પગલાં જાહેર થયા પછી અર્થતંત્રના નિષ્ણાતોએ ભારતીય રૂપિયાના વધુ પતનને કાબુમાં લેવા સરકારે લીધેલાં પગલાંને આવકાર્યા છે, સાથે સાવધાની રાખવાની સલાહ પણ આપી છે.
તેમછતાં આ બધા વચ્ચે સામાન્ય માણસને તો તેના મનમાં ઉદ્દભવતા એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે રૂપિયો આટલો બધો ગગડે છે શા માટે? સામાન્ય માણસ હજુ એ વાત સમજી નથી શકતો કે લોકોના કહેવા પ્રમાણે સરકાર સાચી દિશામાં હોય તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવ માત્ર ટૉપ ગિયરમાં કેમ આગળ વધી રહ્યા છે? પેટ્રોલ-ડીઝલના ભાવનો રિવર્સ ગિયર ક્યાં ગાયબ થઈ ગયો છે?
આ આખી વાત સમજવા ઘણી લાંબી ચર્ચા કરવી પડે. અને એ ચર્ચા માત્ર ભારતીય રૂપિયો અને અમેરિકન ડૉલર પૂરતી સીમિત ન રહેતાં દુનિયાના તમામ મુખ્ય ચલણની ચાલ-ચલગત જોવી પડે. આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ શું છે તેની પણ વાત કરવી પડે. ચીન અને તુર્કી પોતપોતાનું અર્થતંત્ર બચાવવા કેવાં પગલાં લઈ રહ્યા છે અને તેની આપણા ઉપર શી અસર પડી રહી છે એ પણ જાણવું પડે. ટૂંકમાં પાયાની વાત એ છે કે ભારતીય રૂપિયામાં જોવા મળતી કોઇપણ વધ-ઘટ અનેક પરિબળો ઉપર આધારિત છે. હા, છતાં એ પણ એટલું જ સાચું છે કે ભારત સરકારનું કામ તેની નીતિ અને પગલાં દ્વારા આ વધ-ઘટની માઠી અસરોમાંથી દેશના સામાન્ય નાગરિકોને બચાવવાનું હોય છે.
સરકારનો પક્ષ લેનારા લોકોની દલીલ એવી છે કે, ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, પણ ભારતીય રૂપિયો સૌથી કમજોર નથી થઈ ગયો. જો 5 વર્ષનો ડેટા તપાસવામાં આવે તો જાણી શકાય છે કે રૂપિયો બીજાં ચલણો સામે મજબૂત થયો છે. જો કે બીજા ચલણ કરતા ડૉલરનો પ્રભાવ વધુ છે. કેમકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ડૉલરથી જ થાય છે. આ કારણે પણ ડૉલર વધુ મજબૂત થયો છે. અમેરિકાના ઘરેલુ કારણોને કારણે બીજા ચલણ કરતા ડૉલરમાં મજબુતાઈ આવી છે. કરન્સીની સપ્લાયમાં અછત અને વધતી ડિમાન્ડના કારણે ડૉલર મજબૂત થયો છે. અમેરિકી કેન્દ્રીય બેન્કે વ્યાજદરોમાં વૃદ્ધિ કરી અને યુરોપિયન કેન્દ્રીય બેન્કે ઘટાડો કર્યો છે. મતલબ કે ડૉલર ડિપોઝિટ પર યૂરોની સામે વધારે રિટર્ન મળશે. આ જ કારણે ડૉલરની ડિમાન્ડ વધી છે. અમેરિકી ડૉલર દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ચલણમાંનુ એક છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટા ભાગના દેશો પોતાનો વિદેશી મુદ્રા ભંડારમાં ડૉલર રાખે છે, આ જ કારણે ડૉલરનો વિનિમય દર વધે છે. 2013થી 2018ના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારતીય રૂપિયો ઓસ્ટ્રેલિયન ડૉલર, કેનેડિયન ડૉલર, મલેશિયાના રિગ્ગિત, બ્રિટિશ પાઉંડ-સ્ટર્લિંગ તેમજ યૂરો, ચીનના યુઆન કરતાં વધુ મજબૂત છે. પરંતુ અમેરિકી ડૉલર ઉપરાંત સિંગાપોર ડૉલર અને સ્વિસ ફ્રેન્કની સામે રૂપિયો સામાન્ય ઘટ્યો છે. અમેરિકી ડૉલર દુનિયાના બીજા ચલણ કરતા મજબૂત થયો છે.
આમછતાં વાસ્તવિકતા તો એ જ છે કે ડૉલર સામે રૂપિયામાં ફ્રી ફૉલની સ્થિતિ છે. રોજ ભારતીય કરન્સી નવી નીચી સપાટીએ સ્પર્શવા દોડી રહી છે. આ દોડમાં છેલ્લા 10 વર્ષનું બીજું સૌથી મોટું ધોવાણ 14 ટકાનું વર્ષના પ્રાંરભથી અત્યાર સુધી (કેલેન્ડર વર્ષ 2018)માં થઈ ચૂક્યું છે. અગાઉ 2011માં ડૉલર સામે રૂપિયો એક જે કેલેન્ડર વર્ષમાં 15.4 ટકા ઘટ્યો હતો. છેલ્લા દસ વર્ષમાં સામાન્ય રીતે ડૉલર સામે રૂપિયો 3-4 ટકાની વધઘટમાં જોવાયો હતો પણ આ વર્ષે ક્રૂડના વધતા ભાવ, ટ્રેડ વૉરની સાથે સાથે કરન્સી વૉરની સ્થિતિ અને ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) છેલ્લા ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી 2.5 ટકાના સ્તરે પહોંચવાના અંદાજે રૂપિયો ધરાશાયી થઈ ગયો છે. 2017માં ડૉલર સામે રૂપિયામાં એક વર્ષમાં 6.8 ટકાની જોવાયેલી રિકવરીથી બમણો 2018માં ક્રેશ થયો છે.
 સોમવારે રૂપિયો એક તબક્કે અમેરિકન ડૉલર સામે 72.68ની સૌથી નીચલા સ્તરે ગબડ્યો ત્યારે કેલેન્ડર વર્ષમાં 14 ટકાનો ઘટાડો સૂચવતો હતો. રૂપિયો આગામી દિવસમાં જો 73.50ના સ્તર સુધી ગબડશે તો 2011માં એક જ વર્ષમાં જોવાયેલા 15.4 ટકાના ધોવાણનો રેકોર્ડ તૂટી શકે છે. બીજી તરફ અમેરિકાએ ચીન પર વધુ 200 અબજ ડૉલરની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનો જવાબમાં ચીને પણ વળતા પગલાં લેવાની ચિમકી આપતાં કરન્સી પણ દબાણ વધ્યું છે જેની અસર ભારતીય રૂપિયા પર આવી છે.
સાચી વાત એ છે કે, આર્જેન્ટીના, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા ઇમર્જિંગ માર્કેટની કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં તેની અવળી અસર થઈ છે. ડૉલરના સપ્લાય ચેઇનમાં પુરવઠો ખૂટી જેવા સ્થિતિ જોવા મળે છે. ડૉલર સામે રૂપિયો 69ની નીચે ગબડ્યો ત્યારે નિકાસકારોએ તેમની પોઝિશન હેજ કરી હતી અને આયાતકારો એમ કરવાથી દૂર હતા. હવે આયાતકારો તરફથી ડિમાન્ડ નીકળી છે અને નિકાસકારો હેજિંગ પોઝિશન સુલટાવતા હોવાની સ્થિતિ છે. આમ ડૉલરની માગમાં થયેલી વૃધ્ધિ રૂપિયાના ઘટાડા પાછળનું કારણ રહ્યું છે. વિશ્વના માર્કેટમાં કરન્સી મૂલ્યમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. ફ્રી ફ્લોટિંગ કરન્સી પૉલિસી અપનાવ્યા પછી પણ તેમના આવતાં ફેરફારની નેગેટિવ અસર જોવાઈ રહી છે. નવા ઘટાડામાં કઝાકિસ્તાનના ટેંજમાં 20 ટકાથી વધુનું ગાબડું પડયું છે.
એ જ રીતે વિયતનામે તેની કરન્સીનું અવમૂલ્યન કર્યું હતું. રશિયાના રૂબલની કિંમત 2013 પછીના સમયગાળાના પ્રમાણમાં અડધી થઈ ગઈ છે. એવું લાગે છે કે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની હોડમાં દરેક દેશ તેની કરન્સીનું ડીવેલ્યુએશન કરી રહ્યા છે. કરન્સીના ડીવેલ્યુ કરવાની શરૂઆત ચીને કરી હતી.
આ સંજોગોમાં સવાલ એ થાય કે એક તરફ સરકાર મજબૂત લાગતી હોવા છતાં ભારતીય ચલણનું આ રીતે પતન યોગ્ય ગણાય ખરું? આ સ્થિતિના નિયમન અને નિયંત્રણ માટે તો ભારતીય રિઝર્વ બેંક છે. ભારતીય રૂપિયાના મૂલ્યનું નિર્ધારણ સરકારની નીતિ ઉપર આધારિત છે. એ માટે આયાતની સામે નિકાસમાં વધારો કરવો પડે અને જો એ ન થાય તો આયાત અને નિકાસ વચ્ચેનો જે ગૅપ રહી જાય તે પુરવા માટે કૅપિટલ ઇનફ્લો માટે નક્કર પગલાં લેવા પડે. હકીકત એ છે કે છેક 1970ના દાયકાથી ચીને તેની નીતિમાં પરિવર્તન કરીને નિકાસને પ્રચંડ પ્રોત્સાહન આપ્યું પરંતુ તેની સામે તે સમયની ભારત સરકારોએ એ દિશામાં ખાસ ધ્યાન આપ્યું નહીં. આ સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય ઉત્પાદકો પણ નબળા જ રહ્યા કે તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ટકી શકે તેવાં ગુણવત્તાસભર ઉત્પાદન બનાવ્યા જ નહીં, જેને પરિણામે પણ આપણે નિકાસની ખોટ સહન કરવાનો વારો આવ્યો અને એ સ્થિતિમાંથી આપણે હજુ પણ બહાર નીકળી શક્યા નથી.
અહીં એક રસપ્રદ વાત જાણી લઈએ. હજુ થોડા સમય પહેલાં જ એક અખબારે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું હોવાને કારણે એક સરવે કર્યો હતો. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓને આવરી લેતા આ સર્વેક્ષણમાં આશ્ચર્યજનક રીતે રૂપિયો ચાલુ વર્ષે 70 રૂપિયાની સાયકોલોજિકલ બેરિયર તોડીને 72 સુધી ગબડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ તો જો કે આખા વર્ષ માટે ચલણની સરેરાશ 69.72 રહેવાનો અંદાજ છે, જે ઓગસ્ટ 2013ની સૌથી નીચી સપાટી 68.85 કરતાં નીચે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ફોરેક્સ હેડ એમ.એસ. ગોપીક્રિષ્ણે આ બાબતે એવુ્ં કહ્યું હતું કે ચાલુ વર્ષની શરૂઆતથી જ ક્રૂડ અને કોમોડિટીના નીચા ભાવને કારણે ઓછું જોખમ લેવાનું વલણ જોવા મળ્યું હતું, તેના પરિણામે આ અસર થઈ શકે છે. એ સર્વેક્ષણમાં તેમણે કહ્યું હતું કે સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાવલી શરૂ કરાવાને પગલે ઊભરતાં બજારોના ઇક્વિટી અને ડેટ ફંડ્સમાંથી ભંડોળ પાછું ખેંચવામાં આવી રહ્યું છે. આ સરવેમાં ભાગ લેનારા 15માંથી 50 ટકા કરતાં વધુએ રૂપિયો 70 કે એથી વધુ ખરાબ સ્થિતિએ પહોંચવાની આગાહી કરી હતી જે હાલ સાચી પડી રહી છે. ગયા વર્ષે ચીન દ્વારા તેના ચલણ યુઆનના અચાનક અવમૂલ્યનને કારણે ઊભરતાં બજારોના ચલણ તૂટ્યા તે સમયે રૂપિયો સૌથી મજબૂત રહ્યો હતો. હાલના સમયે પણ ઊભરતાં બજારોમાં ભારત વિદેશી રોકાણકારોનું પસંદગીનું સ્થળ છે પરંતુ સીએલએસએ અને મોર્ગન સ્ટેન્લી જેવા બ્રોકિંગ હાઉસને અમેરિકા ફરી મંદીની પકડમાં આવે તેવી આશંકા છે તેથી તેમના દ્વારા વિદેશી રોકાણ પાછું ખેંચવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. વિદેશી ફંડ્સ દ્વારા 2016ના વર્ષે 17મી ફેબ્રુઆરી સુધી ભારતીય શેરબજારમાં 1.96 અબજ ડૉલરની ચોખ્ખી વેચાવલી કરી છે, ગયા વર્ષે મતલબ કે 2015માં આ ગાળામાં તેમના દ્વારા 7.21 અબજ ડૉલરની ખરીદી કરવામાં આવી હતી. ગોપીક્રિષ્ણને કહ્યું હતું કે ચાલુ વર્ષે વેપાર-ખાધ ઓછી રહેવાનો અંદાજ હોવા છતાં વિદેશી રોકાણપ્રવાહ નેગેટિવ રહે તેવી ધારણા છે અને આ બાબત સીધી રીતે રૂપિયાને પ્રતિકૂળ અસર કરશે.
હાલની જે સ્થિતિ છે તેમાં સરકાર સામે અન્ય એક ઉકેલ કે ઉપાત આયાતો ઘટાડવાનો છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ ઉપાય આવકારદાયક નથી – સલાહભર્યો પણ નથી. આવો ઉપાય વિચારવાનો અર્થ એ થાય કે નબળા અને તંદુરસ્ત બાળક વચ્ચેનો તફાવત ઓછો કરવા તંદુરસ્ત બાળકને નબળો બનાવવા મથામણ કરવી! તેથી આવો કોઈ ઉપાય શક્ય પણ નથી અને વ્યવહારુ પણ નથી. કદાચ એટલે જ ગત શનિવારે જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે આગળ જતાં ભારતીય રૂપિયાને થોડોઘણો સ્થિર કરી શકશે.
કદાચ આ જ વાતનો પડઘો પાડતાં આર્થિક નિષ્ણાત પ્રો. ચરણસિંહે 17 સપ્ટેમ્બરને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે તેમાં સંતુલન માટે રૂપિયાનું આવા ડેપ્રિશિયેશનથી ફાયદો થશે. જોકે તેમણે એવો ભય વ્યક્ત કર્યો કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે તે ઇન્વેસ્ટમૅન્ટ વૉરમાં બદલાઈ જાય તો ઘણું મોટું નુકસાન થઈ શકે. આપણી આયાતોમાં સૌથી મોટો હિસ્સો કાચા તેલનો હોવાથી હાલની સ્થિતિમાં કોઈ નાટ્યાત્મક સુધારાની સંભાવના નથી તેમ જણાવી તેમણે આશા વ્યક્ત કરી હતી કે જાહેર પરિવહનનો વ્યાપ વધે તો ઑઇલની આયાત ઓછી થાય અને એ દ્વારા આપણું આયાત બિલ ઘટી શકે. પ્રોફેસર ચરણસિંહની વાત તો સાચી છે અને સરકાર તેમજ આર્થિક નિષ્ણાતો પણ આ વાત જાણે છે પરંતુ આ ઘણો લાંબાગાળાનો ઉપાય છે એ પણ વાસ્તવિકતા છે.
આ સાથે પ્રારંભમાં કહ્યું તેમ બિનજરૂરી હોય એવી ચીજો જેમ કે, સોનું, ડ્રાયફ્રુટ, વિદેશી શરાબ સહિત કેટલીક ચીજો જે હાલ મોટા પ્રમાણમાં આયાત થાય છે તેમાં ઘટાડો કરીને પણ આપણા આયાત બિલને નીચું લાવી શકાય અને તો જ છેવટે એક પ્રકારનું સંતુલન ઊભું થાય અને રૂપિયો ગબડતો બચે. પણ જો હકીકતને ધ્યાનમાં લઈએ તો આપણે કે પછી કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્થિતિ ઉપર નિયંત્રણ કરી શકતા નથી. જે કોઈ ઉપાય હોય તે જે તે દેશે પોતાના હિતમાં લેવો પડે. જેમ કે FIIO ના ડીજી અજય સહાય કહે છે તેમ સરકાર જો એનઆરઆઈ ડિપોઝિટ ઉપર ધ્યાન આપે તો રોકાણો વધે અને એ રીતે દેશમાં ડૉલર આવે. આ તમામ નિષ્ણાતોનો અંદાજ છે કે આ પગલાં લેવાથી ઓછામાં ઓછા 10 થી 15 અબજ ડૉલર દેશમાં આવે તો રૂપિયા ઉપરનું દબાણ હળવું થાય અને પતન ઉપર બ્રેક લાગે. બૉલ સરકારની કોર્ટમાં છે. બૉલ આરબીઆઈની કોર્ટમાં છે. સરકાર આયાત-નિકાસમાં સંતુલનનાં પગલાં લઈને અને આરબીઆઈ વ્યાજદરમાં ફેરફાર કરીને રૂપિયાના પતનનો રિવર્સ ગિયર પાછો લાવશે તેવી આશા.

Monday, September 17, 2018

ગુજરાત સરકારે “મિશન વિદ્યા” કેમ શરૂ કરવું પડ્યું?

ગુજરાત સરકારે મિશન વિદ્યા કેમ શરૂ કરવું પડ્યું?


--- સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હાજરી નથી આપી શકતા કેમકે... શિક્ષણ વિભાગના પ્રયાસ ટૂંકા પડતા હતા... શિક્ષકોના હાથ હેઠા પડતા હતા… પણ શા માટે?    

-- અલકેશ પટેલ

10 સપ્ટેમ્બરને સોમવારે આપણે ગુજરાતમાં ચાલી રહેલા એક એવા શિક્ષણ યજ્ઞના વાત કરી જેમાં શિક્ષણ અને શિક્ષકો કંઇક અલગ ભૂમિકામાં છે. ગયા સોમવારે જે શિક્ષકોની વાત કરી હતી તે હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની પુરવણી સમાન છે. નિયમિત શિક્ષણકાર્ય દરમિયાન વિવિધ કારણસર અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લેનાર આ શિક્ષકો સાક્ષરતાના સેવાયજ્ઞના સહાયકો છે. એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતાની કરુણ સ્થિતિનું દુઃખ છે, તો બીજી તરફ એ સ્થિતિને સુધારવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. ગયા અઠવાડિયે આપણે જોયું કે જીતાબેન ત્રિવેદી અને તેમના જીવનસાથી હરેશભાઈ ત્રિવેદીએ શ્રી પરમહંસ યોગેન્દ્ર ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, અદાણી ફાઉન્ડેશન તથા લોક્ઝિમ કંપની મારફત ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે અભ્યાસ દરમિયાન થોડા પાછળ રહી જાય છે તેમને સહાય કરીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં મૂકવાની એક ઉમદા કામગીરી ઉપાડી છે.
હવે સવાલ એ આવે કે ગુજરાત સરકારે આ મિશન વિદ્યા શરૂ શા માટે કરવું પડ્યું? મિશન વિદ્યા શરૂ કરવાનો આશય ધોરણ પાંચથી ધોરણ આઠની વચ્ચે અભ્યાસ કરીને આગળ ધકેલાયા કરતાં બાળકો પૈકી અમુક ટકા બાળકો વાંચવા-લખવામાં સાવ નબળા રહી જતાં હોય છે તેનું કારણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. આ નીતિનું પરિણામ એ આવે છે કે બધા વિદ્યાર્થીઓ વાંચવા-લખવા સહિત બધી રીતે યોગ્ય છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. અને આવે તો પણ તેમને આગલા ધોરણમાં મોકલ્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. અને તેથી એ નબળા બાળકોને અન્ય વિદ્યાર્થીઓને સમકક્ષ કરવા મિશન વિદ્યા ચાલે છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે આ બધું શા માટે કરવું પડ્યું? શું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નબળા રહે છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ નબળા રહે છે? નબળા શા માટે રહે છે? કોના વાંકે નબળા રહે છે? સવાલ એ છે કે તમામ વિદ્યાર્થીઓને એક સરખી સુવિધાઓ વચ્ચે, એક સરખા શિક્ષકો દ્વારા એક જ સરખું શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી અમુક વિદ્યાર્થીઓ નબળા રહી કેવી રીતે જાય? તો એનો જવાબ છે આ વિદ્યાર્થીઓની હાજરી, અર્થાત અભ્યાસમાં ગેરહાજરી.
રોજિંદી ગરીબીનો સામનો કરતાં શ્રમિકવર્ગનાં માતા-પિતા તેમનાં બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શકતાં નથી. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે તેમની જરૂરિયાતો પૂરી કરવા ઘણીવાર બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે. હા, એ પણ ખરું કે માત્ર આ જ કારણ નથી. ગરીબી ઉપરાંત અસંખ્ય પરિવારોમાં સામાજિક કારણો પણ હોય છે. આપણી સમાજવ્યવસ્થા એવી છે કે સમયાંતરે કોઈને કોઈ તહેવાર કે પ્રસંગો હોય અને એવા સમયે માતા-પિતા ખાસ આગ્રહ કરીને બાળકોને લઈ જતાં હોય છે.
સરકારી અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો વગેરે તમામના પ્રયાસો છતાં અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓ પૂરેપૂરી હાજરી આપી શકતા નથી અને તે કારણે પણ તેમનું શિક્ષણ બગડે છે.
આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ મિશન વિદ્યા હેઠળ અભ્યાસમાં નબળા રહી જતા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની મદદથી અલગ તારવવામાં આવે છે અને તેમનું શૂન્ય (0) થી પાંચ (5) એમ વિવિધ લેવલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાતીથી શરૂ કરીને પછી ગણિત જેવા વિષય શીખવાડવા માટેનું અભિયાન શરૂ થાય છે. અલગ તારવવામાં આવેલા આ વિદ્યાર્થીઓને તેઓ નબળા છે એવી લાગણી ન થાય તે માટે પ્રિય બાળકોનો વર્ગ એવું નામ આપવામાં આવ્યું છે જ્યાં વિશિષ્ઠ તાલીમ પામેલા શિક્ષકો અલગ અલગ રમતો, પ્રયોગો દ્વારા પહેલાં ગુજરાતી અને પછી ગણિતનું શિક્ષણ આપે છે. આ શિક્ષકોની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેઓ બી.એડ. કરેલા શિક્ષક હોય એ જરૂરી નથી, પરંતુ નબળા બાળકો સાથે તાદાત્મ્ય સાધીને તેમને કંઈક અલગ રીતે શીખવવા માટેની તેમની તૈયારી હોવી જોઈએ. સરકારી શાળાઓમાં પાંચથી આઠ ધોરણની વચ્ચે નબળા રહેતા આ બાળકોને શૂન્યથી શરૂ કરીને પાંચમા લેવલ સુધી પહોંચાડવા માટે ફાઉન્ડેશનના શિક્ષકો દરરોજ દોઢ કલાક વિશિષ્ઠ રીતે ભણાવે ત્યારે થોડા મહિનામાં જ એ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરવા લાગે છે. વળી સ્તર સુધર્યું કે નહીં અથવા કેટલું સુધર્યું તેની ચકાસણી પણ ત્રણ તબક્કે કરવામાં આવે છે. આ સમગ્ર અભ્યાસ પ્રક્રિયા તેમજ ચકાસણીની પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કોઈ બાળકોને એવું લાગવા દેવામાં નથી આવતું કે તેઓ નબળા છે તેથી આ બધા પ્રયાસ કરવામાં આવે છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે અર્થાત પરીક્ષા લેવામાં આવે તેની પદ્ધતિ પણ સંપૂર્ણ અલગ અને વિશિષ્ઠ છે.