Tuesday, November 27, 2018

ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...


ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...

--- છતાં સાવધ રહેવું આવશ્યક નહીં, અનિવાર્ય છે. છેલ્લાં 30 વર્ષમાં નવસારી અને સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા રાજ્યના અન્ય ભાગોમાંથી 50 જેટલા માઓવાદી પકડાયા છે, તેનો અર્થ જ એ છે કે આ હિંસાખોરો ગુજરાતમાં પગપેસારો કરવા સતત સક્રિય છે


-- કેશવ



પશ્ચિમ ભારતના આ ભાગમાં ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થયું છે. તેમાં દેશના ટોચનાં ચાર શહેર મુંબઈ, અમદાવાદ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં વડોદરા અને નાશિક શહેરો પણ આ ક્ષેત્રમાં છે. અહીં એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, ઑટોમોબાઇલ, ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ સહિત લગભગ તમામ ક્ષેત્રનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. દેશમાં સૌથી વધુ મૂડી રોકાણ આ શહેરો તેમજ આસપાસના જિલ્લાઓમાં થાય છે. અહીંનો કામદાર વર્ગ સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ છે કેમ કે દેશના લગભગ તમામ ભાગમાંથી અહીં કામદારો રોજગારી માટે આવે છે...  - આ વાંચીને એવું માનવાની ભૂલ ન કરતા કે આવું તારણ કોઈ ઔદ્યોગિક ગૃહ કે પછી કોઈ સરકાર કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ કાઢ્યું હશે. આ તારણ ખૂંખાર ત્રાસવાદી સંગઠન સીપીઆઈ-એમ (સીપીઆઈ-માઓવાદી) નું છે.

પિંડમાં જ હિંસક માનસિકતા ધરાવતા ડાબેરીઓ માઓવાદી અથવા નક્સલી તરીકે ઓળખાય છે અને આ હિંસાખોરો સમાનતા જેવા રૂપકડા નામે લોકશાહી સરકારોને ઊથલાવીને પોતાનું દમનકારી શાસન સ્થાપવા માગતા હોય છે. અને એ માટે તેઓ કારખાનાં-ઉદ્યોગગૃહોના કામદારો, સરકારી કચેરીઓના સૌથી નીચલા વર્ગના કર્મચારીઓ, ખેતમજૂરો, શહેરી તેમજ ગ્રામીણ ગરીબોનું બ્રેઇનવૉશ કરીને તેમને હિંસાના માર્ગે લઈ જતા હોય છે જેથી લોકશાહી દેશો અસ્થિર બને. આ માઓવાદીઓ – નક્સલવાદીઓ તેમના આરાધ્ય દેવ તરીકે કાર્લ માર્ક્સ, લેનિન, સ્ટાલિન તેમજ માઓને પૂજતા હોય છે.

આજે અહીં આ વાત કરવાનું કારણ એ જ છે કે, ગયા અઠવાડિયે બિહારનો મોસ્ટ વૉન્ટેડ માઓવાદી રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી દક્ષિણ ગુજરાતમાં વાપીથી ઝડપાયો તેને પગલે ફરી એક વખત ગુજરાતમાં માઓવાદીઓની ગુપ્ત પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં વધારે ચોંકાવનારી બાબત એ છે કે દોઢ વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 2017માં બિહારમાં થયેલી એક ખૂંખાર અથડામણમાં જે માઓવાદીઓ માર્યા ગયા હતા તેમાં રાજેશ પણ માર્યો ગયો હોવાનું બિહાર પોલીસે ધારી લીધું હતું. પરંતુ એ રાજેશ ત્યાંથી ભાગીને ગુજરાતમાં છૂપાયો હતો અને હવે તેને ગુજરાતની ત્રાસવાદ વિરોધી ટીમે તેને ઝડપી લીધો છે.

આ સમાચાર આપણા સૌ માટે ચિંતાજનક હોવા જોઇએ કેમ કે દેશમાં અન્યત્ર હિંસામાં નિર્દોષ લોકોની હત્યા કરીને, પોલીસ, સીઆરપીએફ સહિત સલામતી દળોને શહીદ કરીને ગુજરાત ભાગી આવતા આવતા અને આપણી આસપાસ જ વેશ બદલીને રહેતા લોકો ભવિષ્યમાં ઘણું મોટું જોખમ ઊભું કરી શકે.

રાજ્ય ઉપર 1990ના દાયકાથી નક્સલી ડોળો

ગુજરાતમાં આમ કોઈ નક્સલવાદી હુમલા થયા નથી અને સલામતી દળો સાથેની અથડામણો પણ થઈ નથી, પરંતુ રાજ્યમાં 1990ના દાયકાથી માઓવાદીઓ-નક્સલવાદીઓ આવીને છૂપાતા રહ્યા છે અને 1998થી ગુજરાત પોલીસના ધ્યાનમાં આ વાત આવી જતાં તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. એ ઘટનાક્રમમાં 1998થી 2008ની વચ્ચે રાજ્યની પોલીસે નવસારી, સુરત તેમજ ડાંગ ઉપરાંત અમદાવાદ, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, વડોદરામાંથી 26 માઓવાદીઓને ઝડપી લીધા હતા જે અન્ય રાજ્યોમાંથી અહીં આવીને ગુજરાતમાં અસ્થિરતા સર્જવાના કાવતરાં કરી રહ્યા હતા. છેલ્લે ઓગસ્ટ 2008માં ગુજરાત પોલીસે તુષાર કાંતિ ભટ્ટાચાર્ય નામના માઓવાદીને દક્ષિણ ગુજરાતમાંથી પકડી પાડ્યો હતો. 2010માં પણ ગુજરાત પોલીસે બીજા 17 નક્સલી-માઓવાદીઓને રાજ્યના જુદા જુદા ભાગમાંથી પકડી પાડ્યા હતા.

હવે જ્યારે રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી નામનો માઓવાદી નક્સલી વાપીથી ઝડપાયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતની ગુપ્તચર અને સલામતી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજેશ પકડાયો ત્યારે હજુ પણ તે બિહારસ્થિત સીપીઆઈ-મ ના હિંસક માઓવાદીઓના સતત સંપર્કમાં હોવાનું સાબિત થયું છે. આ ધરપકડ બાદ એટલું નિશ્ચિત છે કે માઓવાદીનો ડોળો હજુ પણ ગુજરાત ઉપર છે અને કોઈ પ્રકારની રાજકીય અસ્થિરતા અથવા અન્ય કોઈ કારણસર આ માનવતા વિરોધી તત્વો રાજ્યમાં પગ જમાવશે તો દાયકાઓથી શાંત ગુજરાતમાં ગમેત્યારે હિંસા થઈ શકે.

માઓવાદ-નક્સલવાદ એ મૂળભૂત રીતે હિંસાખોર માનસિકતા છે, પરંતુ આ દેશની કમનસીબી એ છે કે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની આક્રમકતામાં નક્સલીઓનો બચાવ કરતા જોવા મળે છે. તેનું ઉદાહરણ આપણે ગયા મહિને જ જોયું હતું. કોંગ્રેસના રાજ બબ્બરે શહેરી માઓવાદીઓની ધરપકડના સંદર્ભમાં નિવેદન કર્યું હતું કે આ લોકો તો વાસ્તવમાં ક્રાંતિકારીઓ છે!” પણ બબ્બર જેવા લોકો એ ભૂલી જતા હોય છે કે આ શહેરી નક્સલીઓ, માઓવાદીઓ સામે અગાઉની કોંગ્રેસી સરકારોએ પણ પગલાં લીધા હતાં અને કોંગ્રેસની સરકારોએ પણ આવા હિંસક માનસિકતા ધરાવતા લોકોની ધરપકડ કરી હતી.

Saturday, November 17, 2018

તર્ક અને ઇતિહાસ, બધું ‘કર્ણાવતી’ની તરફેણમાં છે


તર્ક અને ઇતિહાસ, બધું કર્ણાવતીની તરફેણમાં છે

--- ભારતમાં એકાએક શહેર કે સ્થળનાં નામ બદલવાની મોસમ શરૂ થઈ ગઈ છે. આમ તો આ પ્રક્રિયા છેક મોગલકાળથી શરૂ થઈને સપ્ટેમ્બર 2018 સુધી ચાલુ હતી, પણ કોઇને વાંધો નહોતો અને હવે અનેકને વાંધો છે...પણ કેમ?

--- અલકેશ પટેલ
       
સત્તાધારી ભાજપ અને વિવાદોની કુંડળી એક જ હોય એવું લાગે છે. ભાજપનું કોઈ પગલું વિવાદ વિના નથી હોતું, અથવા કહો કે વિવાદ હોય ત્યાં ભાજપની હાજરી હોય છે..! આ માટેનું સીધું કારણ એ છે કે ભાજપને એક ચોક્કસ ધાર્મિક સમુદાયના પક્ષ તરીકે જોવામાં આવે છે, અને સામે બાકીના તમામ પક્ષોને સર્વધર્મ સમભાવના પ્રતીક ગણવામાં આવે છે. અલબત્ત, આ ધારણાની વાસ્તવિકતા સાપેક્ષ છે-રિલેટિવ છે. અને કદાચ એટલે જ શહેરો કે સ્થળનાં નામ બદલવાની હાલની પ્રક્રિયા વિવાદે ચઢી છે – એ બધે ઠેકાણે હાલ ભાજપ હાજર છે..!

મુદ્દો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું કે નહીં તેનો છે. આ મુદ્દે હાલ ગુજરાતની અને ખાસ અમદાવાદની પ્રજા તેમજ રાજકારણીઓ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ભાગ નામ તાત્કાલિક બદલીને કર્ણાવતી કરી દેવાની તરફેણમાં છે, તો બીજો ભાગ તેની વિરુદ્ધમાં છે. અને ત્રીજા ભાગને કશો ફેર પડતો નથી. આ ત્રીજો ભાગ ઘણી મોટી સંખ્યામાં છે. તેઓ એમ માને છે કે શહેરનું નામ અમદાવાદ હોય કે કર્ણાવતી – શું ફેર પડે છે? તેમનું વલણ આવું નિસ્પૃહ હોય એ સ્વાભાવિક છે, કેમ કે તેમના રોજિંદા જીવનના પ્રશ્નો આ નામાયણ થી ઉકેલાવાના નથી.

નામાયણ માટેના રાજકારણને અલગ રાખીને કર્ણાવતી-અમદાવાદ-કર્ણાવતીના ઇતિહાસ અને ભૂગોળની ચર્ચા કરીશું તો અસમંજસમાં હોય એ લોકોને થોડી વધારે સ્પષ્ટતા મળી શકશે. નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે આ શહેર 600 વર્ષનું છે. લોકવાયકા પ્રમાણે જબ કુત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’. તો સવાલ પહેલો, બાદશાહ સસલાની હિંમતથી પ્રભાવિત થયો હતો અને તેને આધારે અહીંના માણસોની હિંમતની કલ્પના કરી હતી. આમ તાર્કિક રીતે અહીં ગામ હતું. અને એ ગામનું કોઈ નામ પણ હશેને! શું હતું એ નામ? આશાપલ્લી? આશાવલ? કે પછી કર્ણાવતી? શું એવું શક્ય નથી કે આશાપલ્લી અને કર્ણાવતી નજીક-નજીકનાં અથવા સાબરમતી નદીની બંને તરફ આવેલાં બે અલગ ગામ હોય? આશા ભીલ અને કરણદેવ કોણ હતા?

સવાલ બીજો, બાદશાહે શહેર વસાવ્યું હતું કે પછી આક્રમણ કરીને કબજો કર્યો હતો? અહમદશાહે જો શહેર વસાવ્યું હતું તો સાવ સ્વાભાવિક છે કે તેણે સૌથી પહેલું કોઈ ઇસ્લામિક સ્થાપત્ય જ સ્થાપ્યું હોય... તો એ ક્યાં છે? સૌથી મુખ્ય સવાલ – અહમદશાહે શહેર વસાવ્યા બાદ શું માત્ર હિન્દુઓને અહીં લાવીને વસાવ્યા હતા? કે પછી પહેલેથી જ સુખી-સમૃદ્ધ હિન્દુઓ જ્યાં મોટી સંખ્યામાં હતા એવાં ગામો ઉપર આક્રમણથી કબજો કરીને પછી નામ બદલ્યું હશે?

આ અને આવા તમામ સવાલોના જવાબ બધાને ખબર જ છે. ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો દ્વારા ભલે બધા એવું ભણ્યા હોય કે આક્રમણ કરીને લૂંટફાટ કરવા આવેલા મોગલો મહાન અને સેક્યુલર હતા, પરંતુ સાથે જ બધા અંતઃપુર્વક પોતાનાં વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતથી પણ પરિચિત છે. પેઢી દર-પેઢી આપણી સાથે જ વહેતા રહેલા આ સાંસ્કૃતિક વારસાને કારણે આપણે જાણીએ છીએ કે એ કાળમાં હજુ ઇસ્લામનું નામોનિશાન નહોતું. પરિણામે જે નામ હતાં એ આપણાં પોતાના હતાં. છતાં કોઇક કાળે, કોઇક રીતે એ નામો બદલાઈને કાંતો અહમદાબાદ અને મહેમદાબાદ થયાં હશે.

હવે એ નામો ફરીથી બદલીને મૂળ નામો કરવાથી શું થશે? આક્રમણ અને દમન અને હિંસા પહેલાંનો ઇતિહાસ આપણને પાછો મળશે? દેખીતું છે આશા ભીલ અને કરણદેવ તો આપણને પાછા નહીં મળે. પણ હા, એક વર્ગને સંતોષની લાગણી જરૂર થશે. તો અન્ય વર્ગને અસંતોષ થશે. પણ તો પછી જે વર્ગને અસંતોષ થશે એ વર્ગે છ સદી પહેલાં આશાવલ કે કર્ણાવતીનું અહમદાબાદ થયું ત્યારે જે વર્ગને દુઃખ થયું હશે તેની લાગણીનો વિચાર કર્યો હશે ખરો? કોની લાગણી વધારે અગત્યની – મૂળ નિવાસીઓની કે આક્રમણ કરનાર બાદશાહોની? આક્રમણ, હિંસા, લૂંટફાટ, મંદિરોનો વિધ્વંસ, બળજબરી પૂર્વકનાં ધર્માંતર, નામોની બદલી – એવા કોઇપણ મુદ્દે જેમને પણ આશંકા હોય તેઓ પોતે મિરાત-એ-સિકંદરી પુસ્તક વાંચવું જોઈએ. આ પુસ્તક 1914માં પ્રકાશિત થયું હતું. તેમાં લેખક સિકંદરે (1553) પૂરી નિષ્ઠા અને હિંમતપૂર્વક મુસ્લિમ બાદશાહોના આક્રમણ, હિંસા અને લૂંટફાટનાં વર્ણન કર્યાં છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વિનંતીથી મૂળ ફારસીમાંથી મિરાત-એ-સિકંદરી (સિંકદરનો અરીસો)નો ગુજરાતી અનુવાદ ભરુચના આત્મારામ મોતીરામ દીવાનજીએ કર્યો છે.

આમ છતાં, જે લોકોને હજુ પણ આશાવલ કે કર્ણાવતી વિશે આશંકા હોય તેમણે પ્રસિદ્ધ ગરબો એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ... કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મીજાજી…” વારંવાર સાંભળવો જોઈએ, તેના એક એક શબ્દનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કમનસીબે આજ સુધી મોટાભાગના લોકો આ ગરબાને અન્ય ગરબાની જેમ ગાતા-સાંભળતા રહ્યા છે, પણ હવે સાંભળો ત્યારે તેની એક એક પંક્તિનું અર્થઘટન કરશો તો આશાવલ કે કર્ણાવતીની લાગણી આપોઆપ તમારા અંતરમાંથી બહાર ઉછળવા લાગશે.

હાલ જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે અથવા સામાજિક વાતાવરણ બગડશે એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે તેની પાછળ દેખીતી રીતે રાજકારણ જવાબદાર છે. અઢી દાયકા પહેલાં અમદાવાદનું નામ બદલવાની દરખાસ્ત કરનાર અને ઠરાવ કરનાર ભાજપ ત્યારપછી એકાએક કુંભકર્ણ નિંદ્રામાં સરી પડ્યો હતો જે હવે એકાએક જાગીને કર્ણાવતી – કર્ણાવતીકરવા લાગ્યો છે. દેખીતી રીતે તેને તેની હિન્દુ વોટબેંક ની ચિંતા થવા લાગી છે, અને એટલે ભાજપ નામ બદલવાનાં ડાકલાં ધૂણાવે એ સ્વાભાવિક છે. તો સામે કોંગ્રેસને પણ તેની 70 વર્ષ જૂની મુસ્લિમ વોટબેંક ને નારાજ કરવાનું પોષાય નહીં, અને એટલે કોંગ્રેસ નામ બદલવાની દરખાસ્તને ટેકો ન આપે એ સ્વાભાવિક છે. આ બધાની વચ્ચે વળી પોતાને સેક્યુલર – તટસ્થ ગણાવતા બુદ્ધિજીવીઓ હેરિટેજ શહેરનો મુદ્દો લઈ આવ્યા છે. અમદાવાદ અને કર્ણાવતી બંને (1) તરફેણ કરનારા, (2) વિરોધ કરનારા અને (3) હેરિટેજ લૉબીના ત્રિભેટે ઊભા છે. હવે શું થશે?નામાયણ આપણને ક્યાં લઈ જશે?
http://abhiyaanmagazine.com/2018/11/18/favor-of-karnavati-alkesh-patel-abhiyaan/ 

Tuesday, November 13, 2018

ગીરીમથક માથેરાન જ્યારે મારા માટે તિર્થધામ બની ગયું!


ગીરીમથક માથેરાન જ્યારે મારા માટે તિર્થધામ બની ગયું!

--- નવેમ્બર 2018ના બીજા અઠવાડિયામાં દિવાળીની રજાઓ માથેરાનમાં ગાળવાની હતી. આમ તો આ સ્થળ પ્રવાસ અને ટ્રેકિંગ અને આરામના શોખીનો માટેનું છે...પણ...


--- અલકેશ પટેલ

કરસનદાસ મૂળજી (25 જુલાઈ, 1832 થી 28 ઑગસ્ટ, 1875) નું નામ પડતાંની સાથે જાણભેદુ પત્રકારો, લેખકો તેમજ અન્ય વિદ્વાનોને સીધો જ મહારાજ લાએબલ કેસ યાદ આવી જાય. થોડા વધુ જાણકાર હોય તેમને કરસનદાસ મૂળજીના બાહોશ અને સુધારાવાદી પત્રકારત્વનો ફ્લૅશબૅક યાદ આવી જાય. જે લોકો વધારે અભ્યાસુ હોય એ લોકોને કરસનદાસના વ્યક્તિગત, પારિવારિક તેમજ સામાજિક જીવનની ઘટનાઓ પણ યાદ આવે.

Photo by Alkesh Patel

Wikipedia photo

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

પણ મારા સહિત મોટાભાગનાને કરસનદાસ મૂળજીના માથેરાન કનેક્શન વિશે જાણકારી નહીં હોય એવું હું માની લઉં છું.
ખેર, અહીં મુદ્દો એટલો જ છે કે મહારાષ્ટ્રના લોકપ્રિય ગીરીમથક માથેરાનમાં આ વખતે મને અચાનક કરસનદાસ મૂળજી મળી ગયા. સદેહે નહીં, પણ તેમના નામે લાઇબ્રેરીના સ્વરૂપમાં.
માથેરાનના મુખ્ય બજારમાં ટૉય ટ્રેનના સ્ટેશનની બહાર આવીને ડાબી તરફ ચાલવા લાગો એટલે લગભગ અડધા કિલોમીટર પછી જમણી બાજુ જો તમારી નજર પડે અને ત્યાં લખેલું બોર્ડ વાંચો તો રોમાંચિત થઈ જવાય. એ પાટિયા ઉપર લખ્યું છે કરસનદાસ મુલજી નગરપરિષદ ગ્રંથાલય.
હું પણ આ વાંચીને રોમાંચિત થઈ ગયો હતો, એટલે તરત જ અંદર પહોંચી ગયો અને લાઇબ્રેરી વિશે માહિતી મેળવવાના પ્રયાસ કર્યો. પરંતુ અફસોસ, ત્યાં હાજર કર્મચારી બહેનને એ વિશે કશી જ માહિતી નહોતી અને અન્ય સંચાલકો વિશે પણ કોઈ માહિતી તેઓ આપી શક્યા નહોતાં.
બસ મારો રોમાંચ 19મી સદીના આ બાહોશ, પ્રગતિશીલ, સુધારાવાદી પત્રકારના નામે બનેલી લાઇબ્રેરીના ફોટા સુધી સીમિત રહ્યો.
લાઇબ્રેરીમાં કરસનદાસ મૂળજીનો ફોટો કેમ નથી એવું મેં પૂછ્યું ત્યારે એ બહેને કહ્યું કે, ઉપર જે કાપડની છત બનાવી છે તેની પાછળ ફોટો છે. મેં ઘણી વિનંતી કરી એ કાપડ હટાવીને ફોટો લેવા દેવા માટેની, પણ પરવાનગી ન મળી. લાઇબ્રેરીની સ્થાપના 1897માં થઈ હતી એવું બોર્ડ મુખ્ય દરવાજા પાસે લગાવવામાં આવેલું છે.
આ લાઇબ્રેરીનો ઉલ્લેખ નેશનલ મિશન ઑન લાઇબ્રેરીઝની વેબસાઇટ (http://www.nmlindia.nic.in/libraryregistrations/details/2993 ) માં મળે છે.
સિનિયર પત્રકાર અને પત્રકારત્વની કૉલેજ NIMCJ ના ડિરેક્ટર ડૉ. શિરીષ કાશીકરે છેક 2006માં તેમના ડૉક્ટરેટ થિસીસમાં નર્મદ તેમજ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાથે કરસનદાસ મૂળજી વિશે પણ વિસ્તૃત લખ્યું છે.
કરસનદાસનો જન્મ મુંબઈમાં અને અવસાન ગુજરાતમાં થયું છે. માથેરાનમાં તેમના નામે આ સ્મારક મને જોવા મળ્યું પરંતુ ગુજરાતમાં સુરત સિવાય તેમનું કોઈ સ્મારક હોય તો તેની મને જાણ નથી. જાણકાર વડીલો મિત્રો અહીં એ વિશે માહિતી મુકશે તો સૌને લાભ થશે.