Tuesday, October 30, 2018

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?


--- અલકેશ પટેલ

- એવા સરદાર પટેલ શું કામના, જેમણે દેશને સંગઠિત કર્યો હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે કાશ્મીરને સળગતું રાખ્યું.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે ખેડૂત આંદોલન કરીને બ્રિટિશ કાળમાં ખેડૂતોને હક અપાવ્યા હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે સ્વતંત્રતા પછી પણ દાયકાઓ સુધી ખેડૂતોને બીચારા રાખ્યા હોય.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે પોતાના પરિવારના સભ્યોને રાજકારણમાં "ગોઠવ્યા" નહોતા?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે શાસન કરવાના આજીવન પરવાના જાતે મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમને દાયકાઓ સુધી ભારતરત્ન પણ નહોતો મળ્યો?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે જાતે જ પોતાના માટે ભારતરત્ન મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે સોમનાથ મંદિર બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જે આજે પણ રામ મંદિર બનાવવામાં અવરોધ ઊભા કરે છે.

- એવા સુભાષચંદ્ર બોઝ શું કામના જેમણે પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા સાથે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઈએ જેમણે સુભાષ બોઝને ઇતિહાસમાંથી દૂર કરી દેવાના પ્રયાસ કર્યા હતા.

- એવા સુભાષ બોઝ શું કામના જેમણે "જયહિંદ" અને "વંદેમાતરમ્" - ને લોકોના દિલમાં સ્થાન આપવા મથામણ કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમને "જયહિંદ" અને "વંદેમાતરમ્" સામે સખત સૂગ હતી.

(31 ઑક્ટોબર, 2018ની પૂર્વ સંધ્યાએ લાગણીનો થોડો ઊભરો)

Monday, October 29, 2018

સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?


સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?

--- તપાસ એજન્સી સીબીઆઈની જ તપાસની નોબત આવી છે કેમ કે 70 વર્ષનો સડો સપાટી ઉપર આવી રહ્યો છે; તો બીજી બાજુ કેરળની ડાબેરી સરકાર ધાર્મિક પરંપરા બચાવવા માગતા હજારો શ્રદ્ધાળુઓની ધરપકડ કરી રહી છે 


-- અલકેશ પટેલ

ભારતના સરેરાશ નાગરિકમાં બેચેની વધી રહી છે. સબરીમાલા મંદિર અંગે જે કંઈ ચુકાદો આવ્યો તેના આઘાતમાંથી દેશનો હિન્દુ બહાર આવે તે પહેલાં જ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા અંગે જાત-જાતના પ્રતિબંધ આવી ગયા. હજુ એ વિશે કોઈ ચર્ચા કરે અને સમજે તે પહેલાં દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ બે ટોચના અધિકારીઓ એકબીજા સામે બાખડી પડ્યા છે, અને એ મામલો પણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
ઉપરોક્ત ત્રણમાંથી બે વિષય ગંભીર ચિંતાજનક છે. એ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતની ધાર્મિક અને તહેવારની પરંપરાઓ કાયમ માટે બદલાઈ જવાનું જોખમ છે. કોર્ટે તો તેની સમક્ષ આવેલા કેસનું બંધારણ અને કાયદા અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે એટલે પરંપરા પ્રમાણે અદાલતી પ્રક્રિયા વિશે કશું બોલવા-લખવાનો પ્રશ્ન જ નથી. પરંતુ ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે સબરીમાલાની 800 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડી નાખવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે ઓછામાં ઓછા 250--300 વર્ષથી ચાલી આવતી દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પરંપરા વિરુદ્ધ કેસ કર્યો હતો.
અર્બન નક્સલીઓ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સનાતન પરંપરાને ચૂર ચૂર કરીને વેરવિખેર કરી દેવા અને એ રીતે સમગ્ર ભારતને ટુકડામાં વહેંચી દેવા તમામ પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. મુદ્દો એ છે કે એવા અર્બન નક્સલીઓના જ કોઈ પ્રતિનિધિઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનો તદ્દન ખોટો મુદ્દો ઉપાડીને કેસ દાખલ કરી દીધો હતો. એ જ રીતે એવા જ કોઈ અર્બન નક્સલી પ્રતિનિધિએ પ્રદૂષણનું નામ આગળ ધરીને દિવાળીના માત્ર એક દિવસ માટે ફોડવામાં આવતા ફટકડા ઉપર પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરી હતી. જોકે, ન્યાયતંત્રે દયાભાવ રાખીને દિવાળીના દિવસે રાત્રે આઠથી દસ એમ બે કલાક પ્રદૂષણ અને અવાજ ન કરે તેવા ફટાકડા ફોડવાની છૂટ આપી છે.
સરેરાશ નાગરિક ચિંતિત એટલા માટે છે કે હિન્દુ સંસ્કૃતિ વિરોધી લોકો ખોટા હોવા છતાં અદાલતી કેસમાં જીતી કેવી રીતે જાય છે? અને સામે સનાતન પરંપરાની તરફેણમાં મજબૂત અને સચોટ દલીલ કરવા માટે કોઈ વિદ્વાન વકીલો શા માટે નથી મળતા? હિન્દુ સંસ્કૃતિને તોડી નાખવા માટે અદાલતોમાં દલીલ કરતા વકીલોની લાખો-કરોડોની ફી કોણ અને કેવી રીતે ચૂકવે છે એ તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ સંસ્કૃતિને બચાવવા માટે દલીલો કરવા કોઈ વકીલ નથી એ તો શની-સિંગણાપુર કેસ, સબરીમાલા કેસ, ફટાકડા કેસ, દહીં-હાંડી ઊંચાઈ કેસ, નવરાત્રિમાં માઇકના ઉપયોગનો કેસ, જલીકુટ્ટી કેસ (જે હવે પલટાયો છે) વગેરે અસંખ્ય કેસ એક પછી એક ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. કોઈ કહેવાતા હિન્દુ સંગઠનો પણ આવા કોઈ કેસમાં હિંમતપૂર્વક જાહેરમાં કશું બોલવા તૈયાર નથી.
સબરીમાલા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેરળમાં હાલ સ્થિતિ એવી છે કે, જે હિન્દુ નાગરિકો સ્વયંભૂ આગળ આવીને ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે અને પરંપરાને બચાવવા લડી રહ્યા છે તેમને પોલીસ ટાર્ગેટ બનાવીને પકડી રહી છે. અહેવાલો પ્રમાણે કેરળની ડાબેરી સરકારની પોલીસ મંદિરની પરંપરા બચાવવા રસ્તા પર આવેલા લોકોને ઓળખી ઓળખીને તેમને ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ અહેવાલ તો એવા ચિંતાજનક છે કે હિન્દુ શ્રદ્ધાળુઓને ચોર-લૂંટારાઓની જેમ હાથકડી બાંધીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
ભારતને તોડવાના આ આંતરરાષ્ટ્રીય કાવતરા સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આગામી 50 વર્ષ પછીની પેઢીએ કાંતો લઘુમતી બનીને સતત ડરમાં જીવવું પડશે અથવા ધર્માંતર કરી લેવા પડશે. સ્થિતિ એ હદે ગંભીરતા તરફ જઈ રહી છે કે તેનાથી ભારતીય હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટેના એકલ-દોકલ પ્રયાસોનું કશું ઉપજશે નહીં.

સીબીઆઈના આંતરિક સંઘર્ષની વાસ્તવિકતાઃ

હાલના તબક્કામાં ત્રીજો સૌથી અગત્યનો અને ચિંતાજનક મુદ્દો સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક લડાઈનો છે. મોટાભાગના લોકો પાસે માત્ર એવા જ સમાચાર પહોંચે છે કે સીબીઆઈના વડા આલોક વર્માએ સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેથી વાત વણસી. કેટલાકને એવું લાગે છે કે અસ્થાનાએ વર્મા ઉપર આક્ષેપ કર્યા તેથી વાત વણસી. પરંતુ વાચકમિત્રો, સાચી વાત એ છે કે આ સમગ્ર સંઘર્ષ કે લડાઈની પાછળનો ખરો વિલન મોઇન કુરેશી નામનો મીટ (માંસ)નો વેપારી છે. મોઇન કુરેશી કહેવાતી રીતે ભલે મીટનો વેપારી હોય પરંતુ વાસ્તવમાં એ આંતરરાષ્ટ્રીય હવાલા રૅકેટનો સભ્ય છે અને છેલ્લા કેટલાય દાયકાથી રાજકારણીઓને તેમજ સીબીઆઈ સહિત પોલીસતંત્રના અધિકારીઓને પોતાની કુટીલ ચાલમાં ફસાવી રાખેલા છે. આ વાતનું નક્કર પ્રમાણ એ છે કે આ અગાઉ સીબીઆઈના ભૂતપૂર્વ વડા રણજીત સિંહા વિરુદ્ધ કેસ દાખલ પણ થઈ ચૂક્યો છે કેમ કે સિંહા સીબીઆઈ વડા હતા ત્યારે આ મોઇન કુરેશીએ અસંખ્ય વખત તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેની નોંધ સિંહાના ઘરે મૂકવામાં આવેલી વિઝિટર્સ ડાયરીમાંથી મળી આવેલી છે. એ જ રીતે અન્ય એક ભૂતપૂર્વ વડા એ.પી. સિંહને પણ કુરેશી સાથે ઘરોબો હતા એવા પુરાવા મળ્યા પછી તેમની સામે પણ કેસ થયેલો છે. ટૂંકમાં, કુરેશી નામનો કુખ્યાત ગુનેગાર તેના ગેરકાદયદે ધંધા અને હવાલા કૌભાંડો અંગે તેની વિરુદ્ધની સીબીઆઈ તપાસ ખોરવી નાખવા કોઇપણ રીતે સીબીઆઈ વડા સુધી પહોંચી જાય છે અને તેમને કૌભાંડમાં ફસાવીને હાંકી કઢાવે છે. છેલ્લા 10 વર્ષથી આ થઈ રહ્યું છે અને જ્યાં સુધી કુરેશી જેવા ગુનેગારો સક્રિય રહેશે ત્યાં સુધી સીબીઆઈ જેવી સંસ્થા પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહીં રહી શકે.

Tuesday, October 23, 2018

પ્રિય વેપારીઓ, પછી એવું ન કહેશો કે, “હુ મૂવ્ડ માય ચીઝ?”


પ્રિય વેપારીઓ, પછી એવું ન કહેશો કે, 
 હુ મૂવ્ડ માય ચીઝ?”

--- આશા રાખું છું કે તમને હુ મૂવ્ડ માય ચીઝ?” વિશે ખબર હશે. ન હોય તો ચિંતા ન કરશો, અહીં ટૂંકમાં એ વાત સમજાવીશ... હા, તમારા વેપારના ફાયદા માટે જ

--- અલકેશ પટેલ

છૂટક અને સ્થાનિક વેપારીઓ ચિંતામાં છે. ઑનલાઇન વેપાર વધી રહ્યો છે તેને કારણે આ ચિંતા ફેલાઈ છે. 20મી સદીમાં અમેરિકામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોટા મોટા સ્ટોર ખૂલવાથી નાના અને સ્થાનિક વેપારીઓ ઉપર અવળી અસર પડી રહી હતી.
અને એ સમયે સ્પેન્સર જ્હોન્સન નામના એક લેખકે એક સાવ નાનકડું પુસ્તક લખ્યું – હુ મૂવ્ડ માય ચીઝ? (Who Moved My Cheese?) આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ મેં પોતે 2010માં કર્યો હતો અને અત્યાર સુધીમાં આઠ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે.
શું છે આ પુસ્તકની વાર્તા? આ પુસ્તકમાં લેખકે ઉંદરના સ્વરૂપમાં બે પાત્રો લીધા છે. તેઓ જ્યાં રહે છે ત્યાંથી દરરોજ થોડે દૂર જઈને ત્યાં પડેલું ચીઝ ખાય છે. પણ એક દિવસ ચીઝ ખાવા જાય છે ત્યારે ત્યાં ચીઝ હોતું નથી. બંને ચિંતામાં પડી જાય છે – અમારું ચીઝ કોણે લઈ લીધું? એ દિવસે તો પાછા તેમના ઘરે જતા રહે છે. બીજા દિવસે ત્યાં પહોંચે છે તો ત્યારે પણ ચીઝ મળતું નથી. હવે તેમની ચિંતા વધી જાય છે. જોકે, તેમાંથી એક ઉંદર સમજદાર છે. તે કહે છે કે આપણે બીજે પ્રયાસ કરવો જોઈએ, એકની એક જગ્યાએ હવે પ્રયાસ કરવાનો અર્થ નથી. એ સમજદાર ઉંદર બીજે ચીઝ શોધવા નીકળી પડે છે અને ઘણી મહેનત પછી તેને ચીઝ મળી જાય છે. પરંતુ એક ઉંદર તેની જીદ છોડવા તૈયાર નથી. તે એમ જ માને છે કે મારું ચીઝ પહેલાં જ્યાં હતું ત્યાં મને કેમ ન મળે? આમ ને આમ તે ઉંદર નબળો અને અશક્ત પડી જાય છે. બીજા સમજદાર ઉંદરે તો દૂર જઈને ચીઝ શોધી લીધું છે.
વાર્તાનો સાર એ છે કે, બદલાતી દુનિયામાં આપણી સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. આપણી આસપાસ જે કંઈ પરિવર્તન થઈ રહ્યું હોય તેની ઉપર ચાંપતી નજર રાખવી જોઈએ અને સમય પ્રમાણે પોતાનામાં પરિવર્તન કરવાની તૈયારી રાખવી જોઈએ. જો પરિવર્તન કરવાની તૈયારી હશે તો જ ટકી શકાશે, અન્યથા હતાશ થઈને હારી જવાશે.
તો આ વાત હું વેપારીઓને સંબોધીને કેમ કહું છું?a હું તેમને એ વાત સમજાવવા માગું છું કે તમે પણ સમય પ્રમાણે પરિવર્તન કરી શકો છો. ટેકનોલોજીના આ જમાનામાં ભલે તમે મોટો સ્ટોર ન કરી શકો, પરંતુ તમે પણ તમારો માલ ઑનલાઇન વેચી શકો છો.
એ કેવી રીતે?L વેપારી મિત્રો, મોબાઇલ એપ્લિકેશન (મોબાઇલ એપ) બનાવવાનું જરાય અઘરું કે મોંઘું નથી. તમે જે વિસ્તારમાં દાયકાઓથી વેપાર કરો છો એ વિસ્તારના હજારો લોકો તમને ઓળખે છે. એમાંથી અમુક લોકો ભલે આજે ઑનલાઇન ખરીદી કરતા થઈ ગયા હોય અને તમારા વેપારને ફટકો પડી રહ્યો હોય. પરંતુ તમે તમારી જ દુકાન માટેની મોબાઇલ એપ બનાવીને તમારા એ તમામ ગ્રાહકોને ઑનલાઇન સુવિધા આપવાનું શા માટે નથી વિચારતા?k
હા, આવું થઈ જ શકે છે. તમે તમારી પોતાની મોબાઇલ એપ બનાવીને તમારા પોતાના ગ્રાહકોને સાચવી જ લઈ શકો છો. આ બાબત મુશ્કેલ પણ નથી અને અઘરી પણ નથી. અશક્ય તો નથી જ.
ગયા મહિને છૂટક દવાના વેપારીઓએ ઑનલાઇન દવાના વેચાણના વિરોધમાં એક દિવસના બંધનું એલાન આપ્યું હતું ત્યારે જ મને આ બાબતનો વિચાર આવ્યો હતો. મને સવાલ થયો હતો કે શા માટે દવાના આ છૂટક વેપારીઓ પોતાની મોબાઇલ એપ બનાવીને પોતાના જેટલા ગ્રાહકો છે તેમને સાચવી લેતા નથી?e
પ્રજાને સુવિધા જોઈએ છે. બદલાતા સમયમાં મળેલી ઑનલાઇન સુવિધા ઘણા લોકોને પસંદ પડે છે, તો પણ એ પડકાર નાના – છૂટક વેપારીઓ પોતે ઊઠાવી લે તો તેમને હતાશા કે નિરાશાનો ભોગ બનવું નહીં પડે. મારો આ વિચાર થોડો અલગ છે એટલે તત્કાળ બધાને ગળે નહીં ઉતરે, પરંતુ આ વિશે જરા શાંતિથી વિચારશો તો મારી વાત સમજાશે.
અને હા, મારો આખો વિચાર સમજવા માટે માત્ર થોડો સમય કાઢીને, કદાચ એક કે બે જ દિવસ કાઢીને હુ મૂવ્ડ માય ચીઝ?” પુસ્તક વાંચી લેશો તો પણ સમગ્ર મુદ્દો સમજાઈ જશે. આ પુસ્તકમાં મારી પ્રસ્તાવના પણ ઘણી અસરકારક છે, કદાચ એ પણ તમને ઉપયોગી થાય, જેનો ફોટો અહીં મૂક્યો છે. તમારી સફળતા માટે પ્રાર્થના સાથે – અલકેશ પટેલ. (ખાસ વાતઃ આ લેખ પુસ્તકના પ્રમોશન માટે નથી, પણ વેપારી મિત્રોને વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે વાત કરવાનો છે.)


Monday, October 22, 2018

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

--- 800 વર્ષથી જે ધાર્મિક પરંપરાનું પાલન થતું હતું તેને તોડી પાડવા વિધર્મીઓએ કાવતરું કર્યું અને અદાલતમાં એ તત્વો જીતી ગયા. વેટિકન-સાઉદી અરેબિયા અને ડાબેરીઓનું ખતરનાક મિશ્રણ સનાતન ધર્મને ખતમ કરવા ગમે તે હદે જશે – સાવધ રહેજો   



-- અલકેશ પટેલ



કેરળના સબરીમાલામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે તંગદિલી છે. ભગવાન ઐયપ્પાના મંદિરમાં 800 વર્ષથી ચાલી આવતી પરંપરા ઉપર અદાલતી હથોડો વાગ્યો છે. અદાલતે તો તેની સમક્ષ આવેલી અરજી અંગે કાયદા અને બંધારણ અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે... પરંતુ એ ચુકાદાથી માત્ર કેરળમાં જ નહીં, સમગ્ર ભારતમાં દરેકે દરેક સાચા સનાતન ધર્મીઓની આંખમાં આંસું છે. શનિ-સિંગણાપુર અંગે આવો જ અદાલતી ચુકાદો આવ્યો ત્યારે હૃદય ઉપર પથ્થર રાખીને તેમજ આંખની પાંપણમાંથી આંસું બહાર નહીં આવવા દેનાર એ તમામ સાચા સનાતનીની સહનશક્તિના બંધ સબરીમાલાના ચુકાદાથી તૂટી ગયા છે.

આ દેશના કરોડો હિન્દુઓને હજુ આજે પણ ખબર નથી કે સબરીમાલામાં 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓને પ્રવેશવા નહીં દેવાની 800 વર્ષની પરંપરા વિરુદ્ધ અરજી કરનારો એક મુસ્લિમ હતો. જે મુસ્લિમ મૂર્તિ પૂજામાં નથી માનતા એ સમુદાયના એક વકીલે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશના બંધારણીય અધિકારના નામે અરજી ઠપકારી દીધી અને આજે આ પરિણામ આવ્યું છે.

અદાલતી સુનાવણી દરમિયાન મંદિર તરફથી વકીલોએ વારંવાર રજૂઆત કરી કે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો નિષેધ નથી, 10 વર્ષથી નાની કન્યા અને 50 વર્ષથી મોટી ઉંમરની મહિલા દર્શન કરી શકે છે. જે નિષેધ છે તે માત્રને માત્ર ચોક્કસ ઉંમરની મહિલાઓના માસિકધર્મને કારણે છે. પરંતુ આંખે પાટા બાંધેલી ન્યાયની દેવીએ ધાર્મિક પરંપરાને બદલે બંધારણને મહત્ત્વ આપ્યું.

અદાલતની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અનેક સાચા સનાતનીઓએ લેખો લખીને, ટીવી ઉપર ચર્ચા કરીને, જાહેરમાં પ્રવચનો કરીને અત્યંત ભારપૂર્વક રજૂઆતો કરી હતી કે હિન્દુ ધર્મ મહિલા વિરોધી નથી, હિન્દુ ધર્મમાં મહિલાઓનું સ્થાન નીચું નથી, હિન્દુ ધર્મ પુરુષવાદી માનસિકતા ધરાવતો નથી... પરંતુ આ કોઈ દલીલો ન્યાયની દેવીને સંભળાઈ નહીં. ન્યાયની દેવી એ તો એ વાત પણ ધ્યાનમાં ન લીધી કે આ દેશ વર્ષમાં બે વખત નવરાત્ર ઊજવીને દૈવીશક્તિની આરાધના કરે છે.

પણ, છેવટે વાંક તો સનાતન ધર્મીઓનો જ કહેવાય. અનેક વિધર્મીઓ આપણી વચ્ચે ભળી જઈને આપણને આપણી જ પરંપરા વિરુદ્ધ ભડકાવતા રહે છે, આપણાં દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલતાં અને લખતાં રહે છે, આપણી ધાર્મિક ભાવનાઓની મજાક ઉડાવતી ફિલ્મો બનાવતા રહે છે અને છતાં આપણે મુર્ખની જેમ એ બધું હસી કાઢીએ છીએ..!

હકીકત એ છે કે છેલ્લી કેટલીય સદીથી હિન્દુ પરંપરાઓને તોડી પાડીને સનાતન સંસ્કૃતિને જ ખતમ કરી દેવા માટેનું કાવતરું અત્યંત આયોજન અને ચતુરાઈપૂર્વક ચાલી રહ્યું છે અને ભોળા હિન્દુઓ એ કાવતરામાં સપડાઈ રહ્યા છે. આ કાવતરાના બે નામ છે અને ત્રણ પક્ષકાર છે. બે નામો છે – (1) બ્રેકિંગ ઈન્ડિયા અને (2) ગજવા-એ-હિન્દ. અને ત્રણ પક્ષકારો છે (1) વેટિકન, (2) સાઉદી અરેબિયા અને (3) ડાબેરીઓ.

બ્રેકિંગ ઈન્ડિયા એ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતી ધર્માંતરની અત્યંત ખતરનાક પ્રવૃત્તિ છે. આ લોકો ભારતમાં ગરીબોની સેવાના નામે ઘૂસી ગયા છે અને આદિવાસીઓ, દલિતો તેમજ અન્ય ગરીબોને નાણાં આપીને તેમજ ચમત્કારો દ્વારા હિન્દુ વિરોધી ઝેર ભરીને તેમને ખ્રિસ્તી બનાવી રહ્યા છે.

તો ગજવા-એ-હિંદ એ સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં રહેલા અત્યંત જિહાદી માનસિકતા ધરાવતા વહાબીઓ દ્વારા ચલાવવામાં આવતું આંદોલન છે. આ લોકો પ્રત્યેક બિન-મુસ્લિમને કાફીર ગણે છે અને તેથી હિન્દુઓનું કાંતો બળપૂર્વક ધર્માંતર કરાવવામાં આવે છે અને કોઈ ધર્માંતર ન કરે તો... આ દેશમાં સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી જેટલાં પણ કોમી તોફાન થયાં છે તેની પાછળ આ જ માનસિકતા છે.

ખ્રિસ્તી મિશનરીઓ અને જિહાદી તત્વોને સાથ આપનાર ત્રીજા પક્ષકારો છે – ડાબેરીઓ. આ ડાબેરીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવીને દરેક નાની-મોટી બાબતે હિન્દુઓ અને હિન્દુત્વની ટીકા કરવાનું નહીં ચૂકે, પરંતુ એ જ વખતે તેમને ખ્રિસ્તીઓ કે પછી જિહાદીઓના ખોળામાં બેસવામાં જરાય સંકોચ થતો નથી. આ ડાબેરીઓ ત્રિપલ તલાકનું મુસ્લિમોની ધાર્મિક માન્યતા છે એમ કહી સમર્થન કરશે, પરંતુ સબરીમાલામાં અમુક ઉંમરની સ્ત્રીઓ મંદિરની અંદર ન પ્રવેશી શકે તેવી હિન્દુઓની પરંપરાની ટીકા કરીને એ મામલાને અદાલતમાં લઈ જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ 31 ડિસેમ્બરે દેશ અને દુનિયામાં ફોડવામાં આવતા ફટાકડા અંગે કશું જ નહીં બોલે, પરંતુ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે એવું કહી અદાલતમાં પહોંચી જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ એટલે બીજા શબ્દોમાં અર્બન નક્સલવાદીઓ – જેઓ વિવિધ સ્વરૂપમાં આપણી આસપાસ જ રહે છે અને સનાતન ધાર્મિક પરંપરાઓ ખોટી છે એવું ભોળા હિન્દુઓના મનમાં ઠસાવી દેવામાં સફળ થાય છે.

ભોળવાઈ જતા આવા હિન્દુઓ કાંતો નાસ્તિક બની જાય છે અથવા ધર્માંતર કરી લે છે. સનાતન પરંપરા આ જ કારણે સંકોચાઈ રહી છે. હિન્દુ ધર્મ આ જ કારણે સંકોચાઈ રહ્યો છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતના 30 રાજ્યોમાંથી હાલ ઓછામાં ઓછા આઠ (8) રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં આવી ગયો છે. 2021ની વસતી ગણતરી વખતે શું સ્થિતિ હશે એ કોઈ જાણતું નથી. સાવધાની સિવાય કોઈ વિકલ્પ નથી.

Sunday, October 21, 2018

સુભાષચંદ્ર બોઝઃ કચડી નાખવામાં આવેલા ઇતિહાસનું એક પાત્ર


સુભાષચંદ્ર બોઝઃ કચડી નાખવામાં આવેલા ઇતિહાસનું એક પાત્ર

--- આજે 21 ઑક્ટોબર. 1943માં આજના દિવસે ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરીને તેના પ્રથમ વડાપ્રધાનપદે શપથ લેનાર સૌથી બાહોશ અને વિદ્વાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને હવે આજથી આ દેશમાં સાચું સન્માન મળશે...   


-- અલકેશ પટેલ



મોહનદાસ કરમચંદ ગાંધીની એવી તો કઈ મજબૂરી હશે કે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. ભીમરાવ આંબેડકર, ભગતસિંહ જેવા વિદ્વાન અને બાહોશ સ્વતંત્રતા સેનાનીઓ સાથે અન્યાય કર્યો હતો – એ તો આજ સુધી જાણી શકાયું નથી. પરંતુ દેશનો એક ઘણો મોટો વર્ગ આ અને આવા બીજા અનેક સાચા નાયકો પ્રત્યે આજે પણ સાચી શ્રદ્ધા ધરાવે છે, અને હવે તો એ નાયકોને તેમનું યોગ્ય સન્માન પણ મળવા લાગ્યું છે.

આજે જ એટલે કે 21 ઑક્ટોબરે દિલ્હીમાં લાલ કિલ્લામાં જે સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના બાહોશ જવાનોને કેદી બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો એ સ્થળને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચી અંજલિ આપશે.

આ દેશની એ કમનસીબી રહી છે કે નહેરુ-ગાંધી પરિવાર પ્રત્યેની ગુલામ માનસિકતાને કારણે માત્ર સ્વતંત્રતા ચળવળ જ નહીં પરંતુ એ સિવાય પણ આ દેશના સેંકડો રાષ્ટ્રવાદી વિદ્વાન નાયકોએ ભારતીય જીવન ઉપર પાડેલા પ્રભાવને ઇતિહાસનાં પાનાઓમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઘોર પાપ કરેલું છે.

આવી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બન્યા. પણ હવે આપણે આ મહામાનવ વિશે ખુલ્લા મને ચર્ચા કરી શકવાની સ્થિતિમાં છીએ. વાસ્તવમાં 2014માં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી નેતાજી બોઝ સહિત દેશના સાચા રાષ્ટ્રીય નાયકોને યોગ્ય સન્માન મળવાનું શરૂ થયું છે.

મને લાગે છે કે દેશની ઘણી મોટી વસતીને આજે એ વાતની ખબર પડશે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે તો 21મી ઑક્ટોબર, 1943ના દિવસે જ, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના ચાર વર્ષ પહેલાં જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ એવા સ્વતંત્ર ભારતના એ પ્રથમ વડાપ્રધાન અને વિદેશપ્રધાન પણ બન્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે 1943ની 21 ઑક્ટોબરે નેતાજી બોઝે તેમની સરકારની રચના કરી તેને વિશ્વના નવ (9) દેશોએ માન્યતા પણ આપી હતી. આ દેશોમાં જાપાન, જર્મની, ફિલિપિન્સ, થાઇલેન્ડ, મંચુરિયા, ક્રોએશિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝની સરકાર 21 ઑક્ટોબર, 1943થી 18 ઑગસ્ટ, 1945 સુધી અસ્તિત્વમાં હતી. 1945ની 18 ઑગસ્ટે તેમના રહસ્યમય નિધન સાથે બધું જ ઇતિહાસનાં પાનાઓમાં માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયું.

નેતાજી બોઝે કરેલા સંઘર્ષ વિશે, તેમના વિશ્વવિખ્યાત થયેલા સૂત્ર તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા વિશે, તેમના રહસ્યમય નિધન અંગે તો બધા જાણે છે. આ બધી વિગતો એવી છે કે તેને જાહેર કરવામાં મોહનદાસ ગાંધીના પ્રભાવ હેઠળના કોંગ્રેસ પક્ષ તેમજ હંમેશાં ભારત વિરોધી રહેલા ડાબેરી ઇતિહાસકારોને કોઈ વાંધો નહોતો. પરંતુ આ બધાએ ભેગા થઈને નેતાજી બોઝના ખરા રાષ્ટ્રવાદી વિચારો, દેશને સ્વતંત્ર કરાવવા માટે તેમણે કરેલો સંઘર્ષ અને વેઠેલી યાતનાઓની સાચી વિગતો દબાવી દીધી હતી.

શાળા જીવનથી જ સુભાષચંદ્ર બોઝમાં રાષ્ટ્રવાદની જ્યોત એટલી તીવ્રપણે પ્રજ્વલિત હતી કે તેઓ કોઇપણ ભોગે અંગ્રેજ દમનકારીઓને સહન કરવા તૈયાર નહોતા. કૉલેજ શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે તે સમયના કોંગ્રેસ પક્ષમાં ક્રાંતિની ચિનગારી ચાંપી હતી. બાહોશ નેતૃત્વનાં લક્ષણોને કારણે જ તેઓ 1938માં કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા, પરંતુ મોહનદાસ ગાંધીની ખોખલી અહિંસાની છેતરપિંડીમાં ફસાયેલા કોંગ્રેસ પક્ષે સુભાષ બોઝને માત્ર એક વર્ષમાં જ પક્ષનું અધ્યક્ષપદ છોડવા ફરજ પાડી હતી.

મુદ્દો એ નથી કે મોહનદાસ ગાંધી અહિંસામાં માનતા હતા અને માત્ર અસહકાર જેવા ખોખલા સાધનો વડે સ્વતંત્રતા મેળવવા માગતા હતા...પરંતુ મુદ્દો એ છે કે તેમની એ નીતિને કારણે આ દેશના સાચા બાહોશ રાષ્ટ્રીય નાયકો હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. 2014 પછી આ સ્થિતિ બદલાઈ રહી છે. અનેક લોકોને પીડા થાય છે પરંતુ તેની સામે આ દેશનો એક સાચો હિંમતવાન અને બાહોશ ઇતિહાસ ઊઘડી રહ્યો છે. ડૉ. ભીમરાવ આંબેડકરનાં સ્મારક અને સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય કક્ષાનાં થઈ રહ્યાં છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને તેની સાથે જ તેમનું સંગ્રહાલય આખી દુનિયા માટે અભ્યાસનો સ્રોત બની રહેશે. એ જ શ્રેણીમાં હવે નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ રાષ્ટ્રીય સ્તરે યોગ્ય માન-સન્માન મળવાની શરૂઆત થશે. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તેમજ વીર સાવરકરના સંઘર્ષ અને ભારતના ઇતિહાસમાં તેમના મૂઠી ઊંચેરા સ્થાન વિશે દેશમાં ભવિષ્યમાં પૉઝિટિવ પરિવર્તન આવશે તેવો વિશ્વાસ હવે રાખી શકાય તેમ છે.