Monday, December 31, 2018

ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!


ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!

--- પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જ જોઇએ. સરકાર અને વહીવટીતંત્રે એ સમજવું જ પડશે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તાણ-મુક્ત રાખવા એ આપણા સૌની સહિયારી ફરજ છે – અને એ માટે વિદ્યાર્થી જ્યાં ભણતા હોય ત્યાં જ પરીક્ષા લેવાય એ આવશ્યક છે


-- અલકેશ પટેલ



એવું નથી કે આ વિષય ઉપર હું આજે પહેલી વખત વાત કરતો હોઉં. છેક 2013થી એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષથી વિવિધ સ્તર ઉપર, વિવિધ મંચ ઉપર કહેતો આવ્યો છું કે – પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જોઇએ. આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હશે તેની ચર્ચાનો અર્થ નથી, પરંતુ ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગે માર્ચ 2019થી જ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ, ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત કોઇપણ પ્રકારની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલ, તેમનો વિસ્તાર, તેમનું ગામ કે તેમનું શહેર છોડીને બીજે ન જવું પડે એ માટેનાં પગલાં લેવા જોઇએ.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે અન્ય સ્કૂલમાં, અન્ય શહેરમાં જવું પડે એ પ્રથા કેટલી હદે અમાનવીય છે એ બાબતનો વિચાર આજ સુધી શા માટે સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગને નહીં આવ્યો હોય એ સમજાતું નથી. આ પ્રથા અમાનવીય એટલા માટે છે કે, સૌથી પહેલાં તો, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ વિશે સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરવામાં જ આવી નથી.

સાવ સાહજિક માનવતાનો મુદ્દો એ છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પોતે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યાં જ પરીક્ષા આપે તો તેમને જરા પણ તાણ ન અનુભવ ન થાય. વિદ્યાર્થી પોતાની સ્કૂલના મકાન, સ્કૂલના વાતાવરણથી પરિચિત હોય તેથી તે પરીક્ષામાં વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે પરીક્ષા દરમિયાન સ્કૂલ બદલવાથી વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવા માટે સમય કરતાં ઘણું વહેલું નીકળવું પડે છે. તેમના માટે રસ્તા અજાણ્યા નહીં પણ નવા તો હોય છે. જે સ્કૂલમાં જાય ત્યાંના મકાનની રચના અને આસપાસનું વાતાવરણ નવું અને અપરિચિત હોય છે. શું સરકારો અને શિક્ષણ વિભાગને એ વાતનો ખ્યાલ નહીં આવતો હોય કે એક પરીક્ષાર્થી માટે અપરિચિત વાતાવરણ કરતાં પરિચિત વાતાવરણ વધારે ઉપયોગી સાબિત થાય?

આ સમગ્ર મુદ્દાનું બીજું એક ચિંતાજનક પાસું એ છે કે, વિદ્યાર્થીઓએ જ્યારે અન્યત્ર પરીક્ષા આપવા જવું પડે ત્યારે સ્વાભાવિક રીતે જ પરિવારના ઓછામાં ઓછા એક સભ્યે તેની સાથે જવું પડતું હોય છે. તેને બદલે જો વિદ્યાર્થીઓ ભણતા હોય એ જ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવે તો વાલીઓને સાથે જવાની ચિંતા ન રહે, કેમ કે સ્કૂલ અને રસ્તો પરિચિત હોય તો વાલીઓને પણ રાહત રહે. પરંતુ પરીક્ષા આપવા માટેની સ્કૂલ અન્યત્ર હોય તો કેમ સે કમ એક વાલીએ સાથે જવું પડે એટલે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે હજારો વાલીઓએ પણ પરીક્ષાઓ દરમિયાન ઉચાટમાં રહેવું પડે, પરીક્ષા કેન્દ્રોની બહાર રસ્તા ઉપર કે પછી ગમેત્યાં બેસી રહેવું પડે. આ સંજોગોમાં મોટેભાગે માતા કે બહેન વિદ્યાર્થી સાથે જતી હોય છે ત્યારે તો એ સ્થિતિ કેટલી ઘૃણાસ્પદ કહેવાય કે માતા-બહેનોએ 3 – 4 કલાક સ્કૂલની બહાર ગમેત્યાં આડાઅવળા બેસી રહેવું પડે?

શું આ બધી બાબતોનો વિચાર કોઇને કદી આવ્યો જ નહીં હોય? માની લઇએ કે પરીક્ષામાં ચોરી કે કૉપી કેસની ચિંતા હોય, પરંતુ કદી એવો વિચાર શા માટે કરવામાં ન આવ્યો કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીને સ્થળાંતર કરવાની ફરજ પાડવાને બદલે સ્કૂલના શિક્ષકોને જ અન્ય સ્કૂલોમાં સુપરવિઝન માટે મોકલવામાં આવે? સ્કૂલ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકના એક હોય તો આવી ચિંતા રહે એ સ્વાભાવિક છે, પણ તો એ સંજોગોમાં શિક્ષકોને સુપરવિઝન માટે અન્ય સ્કૂલોમાં મોકલી શકાયને?

સુપરવિઝન માટે શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મોકલવાના એક સાથે અનેક લાભ થઈ શકે તેમ છે. સૌથી પહેલાં તો, પરીક્ષાર્થી સ્કૂલ બદલવાની તાણમાંથી મુક્ત થઈ શકે. બીજું, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓને પરીક્ષા દરમિયાન દોડાદોડ કરવી પડે તેના બદલે ઘણી ઓછી સંખ્યામાં શિક્ષકોએ સુપરવિઝન માટે સ્થળાંતર કરવું પડે. શિક્ષકોની સાથે કોઇએ જવાની જરૂર ન પડે એ લાભ તો છે જ!

આશા રાખીએ કે આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ના લગભગ 18થી 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા અન્ય વિસ્તાર કે અન્ય સ્કૂલ કે અન્ય ગામ કે અન્ય શહેરમાં જવું નહીં પડે અને તેઓ તદન તાણ વિના પોતાની સ્કૂલમાં જ પરીક્ષા આપવા જઈ શકશે. હા, એ વખતે તેમના સુપરવાઈઝર તેમની જ સ્કૂલના નહીં પરંતુ અન્ય સ્કૂલના શિક્ષકો હોય એવું બને. સરકાર અને તંત્ર માટે આવી વ્યવસ્થા કરવાનું જરાય અઘરું કે અશક્ય નથી. મને લાગે છે કે લાખો વિદ્યાર્થીઓ માટે અન્ય શાળામાં વ્યવસ્થા કરવાની જે કવાયત થાય છે તેના કરતાં થોડા હજાર શિક્ષકોને સુપરવિઝન માટે અન્યત્ર મોકલવાની વ્યવસ્થા કરવાનું અનેક અનેક ગણું સહેલું પડશે. અને હા, શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાય અન્ય સરકારી કામોમાં નહીં જોતરવાનો મુદ્દો પણ એટલો જ જલદ અને જટિલ છે, જેના વિશે હવે પછી વાત કરીશું.

Monday, December 24, 2018

કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?


કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?

--- અખબાર શરૂ કરવા કોંગ્રેસની સરકારે કોંગ્રેસ પક્ષને આખા દેશમાં જમીનો આપી. અખબારને બદલે મુખપત્ર શરૂ થયું, પણ એ ન ચાલ્યું એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવીને કમાણીનો બિઝનેસ શરૂ કર્યો. અબ આયા ઊંટ પહાડ કે નીચે



-- અલકેશ પટેલ

21 ડિસેમ્બરને શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો. અદાલતે કોંગ્રેસને પાંચ માળનું વિશાળ હેરાલ્ડ હાઉસ બે અઠવાડિયામાં ખાલી કરી દેવા આદેશ આપ્યો છે. એક અઠવાડિયાના ગાળામાં કોંગ્રેસ માટે આ બીજો મોટા અદાલતી ઝટકો હતો. ગયા અઠવાડિયે રાફેલ યુદ્ધ વિમાનના સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લપડાક મારી હતી અને ગત શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના ભ્રષ્ટાચારને આગળ વધતાં અટકાવી દીધો. અહીં ચિંતાનું કારણ એ છે કે જે મીડિયા રાફેલ સોદામાં કોઈ ગરબડ નહોતી તેમ છતાં તેને દિવસ-રાત ચગાવ્યા કરતું હતું એ જ મીડિયા નેશનલ હેરાલ્ડ કેસમાં ગેરરીતિ સાબિત થવા છતાં શા માટે તેને દબાવી દે છે?
નેશનલ હેરાલ્ડની ગેરરીતિને ટૂંકમાં સમજી લઇએ. આમ તો મામલો છેક 1963નો છે. તે વખતની કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપિત એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) નામની મીડિયા કંપનીને અખબાર શરૂ કરવા માટે દેશના તમામ મુખ્ય શહેરોમાં સાવ પાણીના ભાવે જમીનો ફાળવી હતી. અને જાન્યુઆરી 1967માં એક લીઝ કરાર કરવામાં આવ્યો, જેમાં અખબારના પ્રકાશન હેતુની શરત સ્પષ્ટ હતી. અખબારો તેમજ અન્ય મીડિયા હાઉસને તમામ સરકારો આ રીતે જમીન ફાળવતી હોય છે. પરંતુ અહીં તફાવત એ છે કે બીજા બધા મીડિયા હાઉસ વાસ્તવમાં અખબાર કે ચૅનલ શરૂ કરે છે, પણ એજેએલે જે નેશનલ હેરાલ્ડ નામનું અખબાર શરૂ કર્યું હતું તે દેખીતી રીતે કોંગ્રેસ પક્ષનું મુખપત્ર જ હતું, તેમાં બીજા કોઈ તટસ્થ સમાચારને સ્થાન મળતું નહોતું. આનું પરિણામ એ આવ્યું કે અખબાર જરાય ચાલતું નહોતું. તેને કારણે તેનું પ્રકાશન બંધ કરવાનો એજેએલ અર્થાત કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો.
હવે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં જો પ્રામાણિકતા હોત તો અખબાર માટે લીધેલી જમીન અખબાર બંધ થવાથી સરકારને પરત કરી દેવી જોઇતી હતી. લીઝની શરત મુજબ તો કોંગ્રેસે આવી પ્રામાણિકતા દાખવવી જોઇતી હતી. એવું કરવાને બદલે કોંગ્રેસ પક્ષે 2013માં લીઝની શરતોનો સંપૂર્ણ ભંગ કરીને એજેએલ કંપનીના માળખામાં ફેરફાર કરી નાખ્યો અને દિલ્હીમાં આવેલા પાંચ માળના વિશાળ હેરાલ્ડ હાઉસમાં અન્ય કંપનીઓને ઑફિસો ભાડે આપી દીધી અને કરોડો રૂપિયાની ભાડાની કમાણી શરૂ થઈ ગઈ. બીજી તરફ એજેએલ-ના સ્વરૂપમાં ફેરફાર કરીને નવી કંપની બનાવી તેના 38-38 ટકા એમ કુલ 76 ટકા શૅર સોનિયા અને રાહુલ ગાંધીના નામે કર્યા અને બાકીના 24 ટકા શૅર કોંગ્રેસના જ પદાધિકારીઓ – મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સામ પિત્રોડા તથા સુમન દુબેને ફાળવવામાં આવ્યા. આ ગેરકાયદે માલિકી હક લીધા પછી કોંગ્રેસ પક્ષે એજેએલ-ને થયેલી રૂ. 90 કરોડની ખોટ ભરપાઈ કરવા લોન આપી. કંપની લોન કેવી રીતે ભરપાઈ કરશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી કેમ કે આ બધો ખેલ કાગળ ઉપર જ થવાનો હતો. ઘરના ભૂવા અને ઘરના જ ડાકલાં હતાં!
આટલું થયા પછી જે ગંભીર ભ્રષ્ટાચારની સંભાવના વધી તે એ કે, એજેએલ-ને મળેલી સાવ સસ્તા ભાવની જમીનો આપોઆપ સોનિયા-રાહુલ ગાંધીને નામે થઈ જાય અને એ દ્વારા ગાંધી પરિવાર ઓછામાં ઓછી 5000 કરોડની જમીનના માલિક બની જાય. ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ કૌભાંડ પકડી પાડ્યું અને તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. કેસ દરમિયાન જમીન વિકાસ મંત્રાલય તરફથી એજેએલ-ને નોટિસ આપવામાં આવી અને જમીનના હેતુફેર વિશે પૂછવામાં આવ્યું. એજેએલે આવી વારંવારની નોટિસના કોઈ જવાબ ન આપ્યા ત્યારે છેવટે સરકારે આ જગ્યા ખાલી કરાવવા કોર્ટ પાસે દાદ માગી અને કોર્ટે પણ પુરાવા અને હકીકતોની ચકાસણી કરીને કોંગ્રેસને અર્થાત એજેએલ-ને બે અઠવાડિયામાં જગ્યા ખાલી કરવી આદેશ આપ્યો.
કોંગ્રેસનું આ ઘણું મોટું કૌભાંડ છે તેમ છતાં મીડિયાના તેમના મળતિયાઓ, કહેવાતી સિવિલ સોસાયટીના નાગરિકો, કહેવાતા ડાબેરીઓ, કહેવાતા આમ આદમી પાર્ટી વાળા ક્યાં મોં સંતાડીને બેસી ગયા છે એ સમજાતું જ નથી. આ એ જ લોકો છે જે રાફેલના કાલ્પનિક ભ્રષ્ટાચાર સામે રસ્તા ઉપર દેખાવો કરતા હતા અને ટીવી ચૅનલોમાં બૂમબરાડા પાડતા હતા.
અને હા, એ વાત ખાસ યાદ રહે કે નેશનલ હેરાલ્ડના જ કેસમાં ગાંધી માતા-પુત્ર સામે ગેરરીતિનો કેસ હજુ ચાલુ છે અને આ જ કેસમાં બંને જામીન ઉપર છૂટેલા છે.

Wednesday, December 19, 2018

ભાજપની અને મોદીની ટીકા તો કરવી જ પડેને..!

ભાજપની અને મોદીની ટીકા તો કરવી જ પડેને..!


--- અલકેશ પટેલ

       ભાજપની ટીકાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્રણ રાજ્યમાં સરકાર ગુમાવી દીધી એટલે ટીકા તો કરવી જ પડેને ભઈ! ભારતની પ્રજા અતિશય લાગણીશીલ છે - ઇમોશનલ છે. મહેન્દ્રસિંહ ધોની જીત ઉપર જીત મેળવતો હોય ત્યાં સુધી તેના વખાણના પુલ બાંધવામાં અને તેના ઉપર ઓવારી જવામાં આ દેશનો નાગરિક કશું બાકી ન રાખે. વિરાટ કોહલી જીત મેળવતો હોય ત્યાં સુધી ક્રિકેટ ચાહકો તેને આંખની પાંપણ ઉપર બેસાડી રાખે... પણ જેવા ધોની કે કોહલી એકાદ-બે મેચ હારે એટલે ભારતીયોનો અંતરાત્મા ખળભળી ઊઠે. બધા એક સાથે સુનિલ ગાવસ્કર, સચીન તેંડુલકર અને ડોન બ્રેડમેન બની જાય અને ધોની-વિરાટની કૅપ્ટનશિપની સમીક્ષા કરવા લાગે.

      આ આપણો સ્વભાવ છે. આપણને સલાહ આપવાનું, ટીકા કરવાનું બહુ ગમે છે. કોઈ ક્ષેત્રમાં આપણી ચાંચ ન ડૂબતી હોય તો પણ એ ક્ષેત્રનો કોઈ દિગ્ગજ કે નિષ્ણાત કોઈ ભૂલ કરી બેસે એટલે એણે કરોડો લોકોની સલાહ અને ટીકા સાંભળવા તૈયાર રહેવું પડે! 

      નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પણ આમાંથી બાકાત ન રહી શકે. કેવી રીતે રહી શકે? અમે મત આપીએ છીએ, ભઈ! અને મત ના આપતા હોઇએ તો પણ સલાહ આપતાં આપણને કોણ રોકી શકે?

      હવે સીધા મુદ્દા પર આવી જઇએ. આ બ્લૉગ લખવાની શરૂઆત કરી એ જ વખતે ફેસબુક ઉપર Renee Lynn ને ઉપર મુજબનું ક્વોટ મૂક્યું. (રીની લીન વિદેશી નાગરિક છે, પરંતુ ભારતીય સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે અને તેમાં પણ ભાજપ તેમજ નરેન્દ્ર મોદીનાં પ્રખર સમર્થક છે. ફેસબુક પર તેમનું વૉઇસ ફૉર ઈન્ડિયા (Voice for India) નામે પેજ છે) આ ક્વોટમાં દુશ્મનોની વાત કરવામાં આવી છે, મિત્રો-ચાહકો કે સમર્થકોની નહીં. 

       તો સવાલ એ ઉપસ્થિત થાય કે મિત્રો, ચાહકો, સમર્થકોએ કદી ભાજપ કે નરેન્દ્ર મોદીની ટીકા કરવાની જ નહીં..?  જરૂર ટીકા કરવાની. આકરામાં આકરી ટીકા કરવાની. સલાહ પણ આપવાની. લોકશાહી છે... અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે. પણ - પણ - પણ...

ટીકા કરતાં પહેલાં અને સલાહ આપતાં પહેલાં થોડું આત્મમંથન કરી લેવાનું...
--- કે,  આપણે જે આશા-અપેક્ષા સાથે 2014માં મત આપ્યા હતા તેમાંથી શું કશું થયું જ નથી..?
--- કે, એક રાષ્ટ્રીય સરકાર માટે અને એક વ્યક્તિ માટે શું ચાર-પાંચ વર્ષમાં તમામ મિત્રો, ચાહકો અને સમર્થકોની આશા-અપેક્ષાઓ સંતોષવાનું શક્ય છે..?
--- કે, 125 કરોડ કરતાં વધુ વસ્તી ધરાવતા વિશાળ દેશનું સંચાલન કરવાનું આપણે ધારીએ છીએ એટલું સહેલું છે ખરું..?
--- કે, આ દેશમાં 22 ભાષા અને 720 બોલી બોલતાં લોકો વસે છે. ચાર-પાંચ વર્ષમાં બધાની અપેક્ષા સંતોષી શકાય..?
--- કે, આ દુનિયામાં 190 કરતાં વધુ નાના-મોટા દેશ છે તેમની સાથે રાજદ્વારી સંબંધો રાખીને દેશહિત માટે કામ કરવાનું એક વ્યક્તિ, એક સરકાર માટે ચાર-પાંચ વર્ષમાં શક્ય છે..?
--- કે, સાત-સાત દાયકાથી ખુશામતખોરી, મફતની લ્હાણી, માફી, સબસિડી... એ બધાથી ટેવાયેલી પ્રજાને માત્ર ચાર-પાંચ વર્ષમાં એ બધામાંથી બહાર કાઢીને તમામની આકાંક્ષા અનુસાર કામગીરી કરવાનું શક્ય છે ખરું..?

---- આટલા સવાલના જવાબ જેમની પાસે હોય તેમણે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરવી જોઈએ, આકરી ટીકા કરવી જોઈએ. પરંતુ આ સવાલના જો તમારી પાસે કોઈ જવાબ ન હોય છતાં ટીકા કરવાનું મન થતું હોય તો એ પહેલાં વિચારણા માટે થોડા મુદ્દા આપવા માગું છું.
(1) આ દેશમાં એક વહીવટીતંત્ર છે. અંગ્રેજોના સમયથી એ વહીવટીતંત્રનું માળખું યથાવત્ છે. 22-25 વર્ષની વયે વહીવટીતંત્રમાં જોડાનાર વ્યક્તિ 58-60 વર્ષની ઉંમર સુધી એમાં જ રહે છે. આ વહીવટીતંત્રમાં કામ કરતા કર્મચારી-અધિકારીઓના પોતાનાં હિત હોય છે. તેમની પોતાની વિચારસરણી હોય છે. તેમનો પોતાનો રાજકીય લગાવ હોય છે. 1947થી લઇને 2014 સુધી જે ઘરેડમાં, જે નીતિ-ધોરણો હેઠળ કામ કર્યું હોય એ કર્મચારીઓ-અધિકારીઓને રાતોરાત બદલી શકાય ખરા..? 
-- જો ન બદલી શકાય તો પછી નવી સરકાર ચાર-પાંચ વર્ષમાં નીતિ-નિયમોમાં કેવી રીતે ધરમૂળથી ફેરફાર કરી શકે..?

(2) આ દેશમાં એક ન્યાયતંત્ર છે. એનું વ્યવસ્થાતંત્ર પણ આમ તો અંગ્રેજોના વખતમાં ગોઠવાયું હતું એવું જ રહ્યું છે. કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ ઇસ્લામ-પરસ્તોએ સાત દાયકાથી ત્યાંનું સંચાલન સંભાળેલું છે. વકીલના પરિવારમાં પિતા-પત્ની-પુત્ર-પુત્રવધૂ એમ બધાં વકીલ હોય એવા દાખલા હજારોની સંખ્યામાં છે. એ જ લોકો આગળ જતાં જજ બને એવા કિસ્સા પણ હજારોની સંખ્યામાં છે. સમાજના બાકીના તમામ ક્ષેત્રમાં પરિવારવાદનો વિરોધ જોવા મળે છે, પરંતુ ન્યાયતંત્રમાં ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢી સુધી વકીલ અને જજનો દબદબો ચાલ્યા કરે છે. - તો આ સંજોગોમાં શું એ વિદ્વાન વકીલો અને એ વિદ્વાન ન્યાયાધિશોની વિચારધારા ચાર-પાંચ વર્ષમાં બદલી શકાય ખરી..?
-- જો એ ન બદલી શકાય તો પછી એક વ્યક્તિ કે એક સરકાર ચાર-પાંચ વર્ષમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી રીતે બદલી શકે..? કેવી રીતે એક વ્યક્તિ કે એક સરકાર ન્યાયતંત્રમાં પાંચ-દસ-પંદર-વીસ વર્ષ સુધી મુદતો પાડવાની પ્રથા ઉપર રાતોરાત સુધારો કરી શકે..?

(3) આ દેશમાં મીડિયાનું પણ એક અલગ તંત્ર છે. આ તંત્ર ઉપર ડાબેરીઓની નાગચૂડ હજુ પણ મજબૂત છે. ડાબેરીઓ હંમેશાં રાષ્ટ્રવાદના વિરોધી હોય છે. દુનિયાભરના ડાબેરીઓ હંમેશાં હિન્દુત્વના વિરોધી રહ્યા છે, બીજા કોઈ ધર્મ સામે એ લોકોને વાંધો નથી. મીડિયામાં બેઠેલા આ તત્વો 65-70 વર્ષથી સંઘ, જનસંઘ અને ભાજપને હિન્દુ કોમવાદી તરીકે ચિતરતાં રહ્યાં છે. ડાબેરીઓની સાથે એક ઇસ્લામિક ધારા પણ મીડિયામાં સમાંતર ચાલે છે, જે કમનસીબે એવું પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે કે હિન્દુત્વની વાત કરવી એ મોટો ગુનો છે. પરિણામે નવી પેઢીના પત્રકારો પણ પોતાને સંતુલિત બતાવવા માટે માત્ર ભાજપ-સંઘની જ ટીકા કરવામાં ગૌરવ અનુભવે છે. હકીકતે આવા લોકોની નોકરી ડાબેરી તંત્રીઓની દયા ઉપર ટકેલી હોય છે અને એટલે પણ પોતાનો સાચો મત વ્યક્ત કરવાની હિંમત કરતા નથી. મીડિયાના તંત્ર ઉપરની આ ડાબેરી નાગચૂડ છોડાવવામાં અમેરિકા, બ્રિટન જેવા દેશો પણ હજુ સફળ થયા નથી...તો ભારતમાં કેવી રીતે શક્ય બને..?

         માત્ર આટલાં જ ઉદાહરણ આપીને અટકું છું, પરંતુ તમે પોતે બે ઘડી વિચાર કરશો તો આવા બીજાં અનેક ઉદાહરણ મળી શકશે જ્યાં કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ ટૂંકા ગાળામાં એવા કોઈ ફેરફાર કે સુધારા ન કરી શકે જેને કારણે તમામ વર્ગ, તમામ સમુદાય, તમામ ધર્મ, તમામ ક્ષેત્રના લોકોને સંતોષ થાય.

         નરેન્દ્ર મોદીએ આ અશક્ય તો નહીં પરંતુ અત્યંત મુશ્કેલ કહી શકાય એવો પડકાર ઉપાડેલો છે. અને એ જ કારણે વિરોધપક્ષો અતિશય ક્રૂરતાપૂર્વક તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધીઓને તેમનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે. આ વિરોધીઓને તેમની 70 વર્ષની ભ્રષ્ટ ગોઠવણો ખુલ્લી પડી જવાનો ડર છે. 

--- આ વિરોધીઓ જાણે છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીની તાકાત રાષ્ટ્રવાદમાં માનતી પ્રજા છે. 

        અને એટલે જ આ વિરોધીઓ કોઇપણ ભોગે ભાજપ અને મોદીની જે મૂળભૂત તાકાત છે તેના ઉપર ઘા કરી રહ્યા છે. ભાજપ અને મોદીના વિરોધીઓને ભારતીય નાગરિકોની માનસિકતાની નબળાઈ ખબર છે. --- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા મફતના ટુકડા સામે તરત જ શરણે થઈ જશે.
--- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા સબસિડીની ખેરાત સામે ઘૂંટણીએ પડી જશે.
--- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા અધીરી છે, તેને ગેરમાર્ગે દોરવાનું સરળ છે. 

--- મરણિયા થયેલા વિરોધીઓએ ઉપર કહેલી તમામ ટેકનિક ત્રણ રાજ્યની ચૂંટણીમાં કામે લગાડી દીધી અને તેમની ચાલમાં મતદારો ફસાઈ પણ ગયા. અને જે પરિણામ આવ્યું તેને કારણે કેટકેટલા સમર્થકો, ચાહકો અને ટેકેદારો મોદી-ભાજપની ટીકા કરવા, તેમને સલાહ આપવા મેદાનમાં આવી ગયા! 

      મુશ્કેલી એ વાતની છે કે, વિરોધીઓના કાવાદાવા અને પડકારોનો સામનો કરવા સરકારે કાશ્મીર, એસસી-એસટી, રામમંદિર, કલમ 370 જેવા જૂજ મુદ્દે બાંધછોડ કરવી પડે એ સ્વીકારવા કે સમજવા સમર્થકો, ચાહકો અને ટેકેદારો તૈયાર નથી. ... અને તમે એ સ્વીકારવા તૈયાર નથી એ જ તો વિરોધીઓ ઇચ્છે છે. તમે વિરોધીઓની જાળમાં સપડાઈને એક એવી સરકાર, એક એવા નેતાની ટીકા કરવા મેદાને પડ્યા છો જે વાસ્તવમાં લાંબાગાળે આ દેશને ઘણી ઊંચાઈએ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદીની આ તાકાત વિરોધીઓ સારી રીતે જાણે છે અને એટલે જ તો તેમને પછાડી દેવા રાત-દિવસ પાકિસ્તાન અને પાકિસ્તાનવાદી તત્વોની મદદ લઇને તેમને બદનામ કરે છે. આ એક કાવતરું છે અને કમનસીબે રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા લોકો પણ તેમાં સપડાઈને કોઇપણ ભોગે મોદીને નુકસાન કરવા મથે છે.

--- યાદ રાખજો મિત્રો, મહાભારત અને રામાયણ કાળથી ઇતિહાસ સાક્ષી છે કે, દુશ્મનો કદી કોઈ સર્વશક્તિમાન વ્યક્તિને હરાવી શક્યા નથી...પણ આવી વ્યક્તિને હરાવનારા હંમેશાં તેમના પોતાના જ કહેવાય એવા લોકો હતા...શું તમારે આવા જ ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે..? ચતુર કરો વિચાર.

Sunday, December 16, 2018

રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં


રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં

--- નહેરુના સમયના જીપ કૌભાંડથી માંડીને મનમોહનસિંહના સમયના કોલસા-હેલિકૉપ્ટર-કૉમનવેલ્થ-ટેલિકોમના સાબિત થઈ ચૂકેલા કૌભાંડોથી ખરડાયેલી કોંગ્રેસે પીએમ મોદી ઉપર કાદવ ઉછાળ્યો, પણ એ કાદવ છેવટે કોંગ્રેસના મોં ઉપર જ આવીને પડ્યો  

-- અલકેશ પટેલ



લેખનું હેડિંગ તમે સાચું જ વાંચ્યું છે, કોઈ ભૂલ નથી. રાફેલ મુદ્દે મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં. ભાજપના કહેવાતા શુભેચ્છકો અને કહેવાતા રાજકીય સમીક્ષકો તમને ગયા મંગળવાર સાંજથી એવું જ કહેતા હશે કે રાહુલબાબાએ રાફેલ મુદ્દે પ્રચાર કર્યો એટલે ત્રણ રાજ્યમાં ભાજપની હાર થઈ!! આવું માનનારા અને કહેનારા માટે એક સરસ કહેવત છે – કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના..!!!

ખેર, આખી વાતનો સાર એ છે કે, વાસ્તવમાં અદાલત અને પ્રજાને જેમ આવા મુદ્દે ઉલ્લુ ન બનાવી શકાય તેવી જ રીતે મીડિયા પણ કંઈ હકીકતમાં ઉલ્લુ નથી, પણ બદમાશ છે. શું આ બદમાશ અને ભ્રષ્ટ મીડિયાને ખબર નથી કે ગુજરાતમાં 14 વર્ષ સુધી અને કેન્દ્રમાં છેલ્લા સાડાચાર વર્ષથી – એમ કુલ 18 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરનાર નરેન્દ્ર મોદીનો પગ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કુંડાળામાં પડ્યો નથી? અને પડી શકે એમ પણ નથી? સાચી વાત એ છે કે, કેટલાય દાયકાઓથી કોંગ્રેસ અને મીડિયાને એકબીજાને સાચવી લેવાનું ફાવી ગયું હતું, પરંતુ 2002થી ગુજરાતમાં અને 2014થી દિલ્હીમાં આ સાચવી લેવાનો વહેવાર વેરવિખેર થઈ ગયો અને મોદી વેરી થઈ ગયા છે.

રાફેલ સોદામાં વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી કે (1) આ કરાર બે સરકાર વચ્ચે થયો છે, (2) આ કરારમાં કોઈ મધ્યસ્થી કે દલાલ નથી, (3) આ કરાર ભારત સરકારે કોઈ કંપનીને સીધેસીધો આપ્યો નથી, (4) આ કરાર હેઠળ ફ્રાન્સની સરકારે દસોલ્ત કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે, (5) કરારની શરતો મુજબ દસોલ્ત કંપની જે કંઈ નફો કરે તેના અમુક ટકા રકમનું ભારતમાં પુનઃ રોકાણ કરવું પડે, (6) આ પુનઃ રોકાણ માટે ભારતની કઈ કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવા એ નક્કી કરવા દસોલ્ત સ્વતંત્ર છે, (7) દસોલ્તે આ માટે ભારતની લગભગ 100 કંપની સાથે કોન્ટ્રેક્ટ કર્યા છે અને તેમાંની એક અનિલ અંબાણીની રિલાયન્સ છે, (8) દસોલ્ત જે કુલ 30,000 કરોડનું મૂડી રોકાણ ભારતમાં કરશે તેમાંથી રિલાયન્સનો હિસ્સો માત્ર ત્રણ (3) ટકા જ છે, (9) કોંગ્રેસ-યુપીએના સમયમાં રાફેલ માટે વર્ષો સુધી માત્ર વાતચીત ચાલ્યા કરી હતી, સોદો થયો નહોતો... આટલા બધા મુદ્દે પહેલા દિવસથી સ્પષ્ટતાઓ હતી છતાં રાહુલબાબા ચોરે ને ચૌટે એ વિશે બોલતા રહ્યા અને સાવ જૂજ મીડિયાએ બાબાને હકીકતનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાકીના મોટાભાગના મીડિયા બદમાશી કરતા રહ્યા, કદાચ હજુ પણ બદમાશી ચાલુ રાખશે..!?

વિવાદ પાછળનો ખતરનાક ખેલઃ બાબા દ્વારા હજુ આજે પણ આ વિવાદ ચગાવવામાં આવી રહ્યો છે અને બાબાનાં બાળોતિયાં ધોવામાં અલૌકિક આનંદની અનુભૂતિ કરનાર મીડિયા પણ હજુ તેને ચગાવે છે...તો તેની પાછળ કંઇક તો કારણ હશે ને! હા, છે જ. કારણ છે (1) નેશનલ હેરલ્ડ કેસ. અંદાજે 5000 કરોડના આ કૌભાંડમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે કેસ ચાલે છે અને બંને જમાનત ઉપર છે. (યાદ રહે, સુબ્રમણ્યમ સ્વામીએ નક્કર પુરાવા સાથે આ કેસ કરેલો છે અને એટલે જ હજુ પણ કેસ ચાલુ છે. જો કેસમાં દમ ન હોત તો ક્યારનો રાફેલની જેમ કોર્ટે ફગાવી દીધો હોત) (2) કોંગ્રેસના નેતાઓ સામે બીજો ગંભીર કેસ અગુસ્તા-વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડનો પણ ચાલે છે. (યાદ રહે, આ કેસમાં લાંચ ચૂકવાઈ હોવાનું સાબિત થતાં ઇટાલીના શસ્ત્ર દલાલોને ઇટાલીની કોર્ટે જેલની સજા ફટકારી દીધેલી છે. ઉપરાંત એ સોદાનો મુખ્ય દલાલ જેણે કોંગ્રેસી નેતાઓ તેમજ ભારતીય હવાઈદળના કેટલાક અધિકારીઓને લાંચ આપી હોવાની વાત છે એ ક્રિશ્ચન મિશેલ હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે.) (3) વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી વગેરે દેશ છોડી ભાગી ગયા એ બદલ રાહુલબાબા ભલે નરેન્દ્ર મોદી સરકારને સવાલ કરતા હોય, પરંતુ અનેક કોંગ્રેસી નેતાઓ ઉપરાંત બદમાશ મીડિયા ટોળકી જાણે જ છે કે આ બધાને બેંકની લોન કંઈ મોદી સરકારના વખતમાં આપવામાં નહોતી આવી, એ બધી જ લોન કોંગ્રેસ-યુપીએના વખતમાં આપવામાં આવેલી હતી અને મોદી સરકારે એ પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી એટલે એ બધા દેશ છોડીને ભાગી ગયા છે. (4) કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકી એક ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ અને તેમનો આખો પરિવાર ઘણા મોટા આર્થિક ગોટાળામાં સંડોવાયેલો છે. મળતિયાઓને ટીવી ચેનલોના લાઇસન્સ અપાવવામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે જે ભૂમિકા ભજવી તે બદલ તેને જે કટકી મળી તેની ગોઠવણ કરવા તેણે દુનિયાના કેટલાય દેશોમાં બેંકખાતાં ખોલ્યા હતા અને એ નાણાં ગેરકાયદે રીતે ભારતમાં લાવવા માગતો હતો. આ કૌભાંડનો કેસ સજ્જડ રીતે ચાલી રહ્યો છે.

સ્વાભાવિક છે રાહુલબાબાને આ બધા કેસોની ચિંતા હોય અને તો પછી એ સંજોગોમાં શું કરવું? એટલે એમને રાફેલનું પૂછડૂં હાથમાં આવી ગયું. દેશના સમજદાર નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે, લગભગ બે દાયકાથી જાહેરજીવનમાં હોવા છતાં જે મોદીનો પગ ભ્રષ્ટાચારના કુંડાળામાં પડ્યો નથી, દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં ત્યાં ભ્રષ્ટાચારના કોઈ દેખીતા કેસ સામે આવ્યા નથી... અને છતાં જ્યારે આ બાબા આટલી બધી બૂમો પાડે છે અને તેમાં બાબાના ઝભ્ભાના ખિસ્સામાં ભરાયેલા મીડિયાવાળા પણ સાથ આપે છે તેનો અર્થ તો એવો થાય કે કોંગ્રેસ અને તેના આશ્રિત મીડિયાની દાળમાં જ કંઈક કાળુ છે..!?