ભવિષ્યમાં ભારતીય
રાજકારણના ઈતિહાસને બે ભાગમાં વહેંચીને ચર્ચા કરવી પડશે. મે, 2014 પહેલાંનું રાજકારણ અને મે, 2014 પછીનું ભારત
n અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આઠ વર્ષની થઈ. પ્રજા વતી
ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અર્થાત સરકાર દેશનું સંચાલન કરતી હોય છે. સરકાર કામ ન કરે,
પ્રજાની સલામતી, સુખાકારીનું ધ્યાન ન રાખે અને તેમાં નિષ્ફળ જાય તો ચૂંટણીમાં
પ્રજા એ સરકારને બદલી નાખે. પણ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારને દેશની પ્રજાએ
2014માં જે બહુમતીથી ચૂંટી હતી તેના કરતાં વધારે બહુમતી 2019ની ચૂંટણીમાં આપી.
તેનું શું કારણ?
કારણ બહુ સીધું અને સ્વાભાવિક છે. મોદી સરકારે કામગીરી કરી
છે. મારી દૃષ્ટિએ હકીકતે તો આ સરકારે પ્રચંડ કામગીરી કરી છે. તેને સાચા અર્થમાં
ભગીરથ કાર્ય કહી શકાય એમ છે. દેશને અગાઉની આર્થિક બેહાલીની સ્થિતિમાંથી ઉગાર્યો છે
એટલું જ નહીં પરંતુ દેશને એક નોંધપાત્ર મહાસત્તા તરફ વિશ્વાસપૂર્વક આ સરકાર આગળ
વધારી રહી છે. મારા મતે આ સરકારની સૌથી મોટી સફળતા
સ્થિરતાની છે. ઘણા દાયકા સુધી ગઠબંધન સરકારોને કારણે સ્થિરતાનો અભાવ હતો. એ
સંજોગોમાં દેશ ચાલ્યા તો કરે, વેપાર-રોજગાર પણ યથાવત્ ચાલ્યા કરે પરંતુ તેમાં પ્રગતિ ન
થાય. મોટાપાયે મૂડીરોકાણની સંભાવના સાવ ઓછી રહે. પરિણામે રોજગારીનો પ્રશ્ન વિકરાળ
બને. રોજગારીની પાછળ બાકીના તમામ પેરામીટર સતત નીચા જ રહે. આ સ્થિતિ હવે રિવર્સ થઈ
છે એટલે જ વડાપ્રધાન પાંચ ટ્રિલિયન ઈકોનોમીની વાત કરે છે.
વર્તમાન સરકારના સૌથી મહત્ત્વનાં પગલાં મારી
દૃષ્ટિએ ડીમોનેટાઇઝેશન અને કલમ 370ની નાબૂદી છે. ડીમોનેટાઇઝેશનને કારણે 2016 સુધી
જે સમાંતર અર્થતંત્ર ચાલતું હતું તેના ઉપર બ્રેક વાગી છે તેનો કોઈ ઇનકાર થઈ શકે એમ
જ નથી. ત્યારબાદ જે રીતે ડિજિટલ ઇકોનોમીને, ઑનલાઇન નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું
તેનાથી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે એ જોઈ – અનુભવી શકાય છે.
આઠ વર્ષમાં અનેક સેવાઓ ડિજિટલ થવાથી
નાગરિકોનું જીવન સરળ બન્યું છે એ દરેકનો અનુભવ છે. આજે નાના-મોટા અનેક કામો માટે
સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી અને એ વાત સામાન્ય નાગરિક જાણે છે, અનુભવે
છે. વડાપ્રધાન પોતે એક રાષ્ટ્રનેતા હોવાની સાથે અનેક લોકો માટે મોટિવેટર છે, પ્રેરણાદાયી છે. “મન કી બાત” દ્વારા દર મહિને તેઓ દેશ અને દુનિયાની
પૉઝિટિવ વાતો કરે છે અને એ દ્વારા સકારાત્મક કામ કરનારાઓને પ્રોત્સાહન તો આપે જ છે, પરંતુ સાથે દેશના નાગરિકોને એવી સકારાત્મકતા માટે દિશાસૂચન
પણ કરે છે.
આ સંદર્ભમાં આપણા “પદ્મ પુરસ્કારો” વિશે પણ વાત કરવી જોઇએ. આ ઘણું મોટું પરિવર્તન છે. “પદ્મ સન્માન” સમાજ જીવનમાં પાયાનું કામ કરનાર માટે જ
હતા, પરંતુ 2014 સુધી એ
પુરસ્કારો કોને મળતા હતા એ આપણે જાણીએ છીએ, અને છેલ્લા આઠ વર્ષમાં સાચા હકદારોને
પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય માનવીના જીવનમાં
પરિવર્તન લાવવા પ્રયત્નશીલ રહેતા લોકો, જે સામાન્ય રીતે ગુમનામ હોય છે, મીડિયા જેમની નોંધ લેતું નથી તેમને શોધી શોધીને પદ્મ
પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે.
એ જ રીતે રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી
રહ્યું છે જેનું પરિણામ ઓલિમ્પિક તેમજ રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ)ની રમતો સહિત અનેક
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હવે ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં ગોલ્ડ મેડલ જીતવા
લાગ્યા છે એમાં દેખાય છે. વાચકોને યાદ હશે કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાન
હતા ત્યારથી તેમણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો
હતો.
ભારતને હાલ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર
ગૌરવપૂર્વકનું સ્થાન મળ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અમેરિકા અને યુરોપના
દેશોના દબાણ છતાં ભારત ઝુક્યું નહીં અને રશિયા વિરૂદ્ધ યુએનમાં મતદાન કર્યું નહીં.
એ જ રીતે થોડા સમય પહેલાં અમેરિકી વિદેશપ્રધાને ભારતમાં માનવ અધિકારના કહેવાતા ઉલ્લંઘન
વિશે ટિપ્પણી કરી ત્યારે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સભ્ય ભાષામાં જવાબ આપતા
કહી દીધું હતું કે, ભારતને પણ અમેરિકામાં થતા માનવ અધિકારોના વ્યાપક ઉલ્લંઘનની
ચિંતા છે. 2014 પહેલાં ભારત સરકાર અમેરિકા જેવી મહાસત્તા સામે જાહેરમાં આવું
બોલવાની હિંમત કરતી નહોતી.
મોદી
સરકારની આઠ વર્ષની કામગીરી જ છે જેને કારણે તેની લોકપ્રિયતા ક્યારેય ઓછી થતી નથી.
કોરોનાકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા હાલ
તેના સર્વોચ્ચ સ્તરે છે. સાવ જૂજ પેરામીટરમાં લોકોની નારાજગી વચ્ચે પણ દેશના 67
ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સમાચાર
વેબસાઇટ બ્લુમબર્ગમાં પ્રકાશિત અહેવાલમાં લોકલસર્કલ્સ (LocalCircles) દ્વારા કરવામાં આવેલું સર્વેક્ષણ દર્શાવે છે કે, વર્ષ 2020માં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા 62 ટકા હતી, અને ગયા વર્ષે આ આંકડો 51 ટકા હતો જેમાં જંગી વધારો થઇને
હાલ (2022માં) 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારને થમ્સ-અપ આપ્યું છે. દેશમાં 64,000 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતને આધારે સ્પષ્ટ થાય છે કે, ભાવ વધારો તથા બેરોજગારી જેવા જૂજ મુદ્દાને બાદ કરતાં
બાકીની તમામ બાબતોમાં મોદી સરકારે દેશનો વિશ્વાસ મેળવ્યો છે.
જોકે, 2021માં 27 ટકા લોકો એમ માનતા હતા કે સરકારે રોજગારીના
મુદ્દે સારી કામગીરી કરી છે જ્યારે આ વર્ષે તેમાં દસ ટકા વધારો થયો છે અને હવે 37
ટકા ભારતીયો સ્વીકારે છે કે રોજગારીની બાબતમાં સરકારની કામગીરી સંતોષજનક છે. મોંઘવારીના
મુદ્દે ચિંતા વ્યક્ત કરતા લોકો સાથે સાથે એ વાતનો પણ સ્વીકાર કરે છે કે, લૉકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જે આંતરરાષ્ટ્રીય
સ્થિતિ પેદા થઈ છે તેની આ અસર હોઈ શકે. સર્વેક્ષણમાં 73 ટકા લોકોએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમની મુખ્ય ચિંતાનો વિષય
મોંઘવારી રહ્યો છે. દેશમાં કોમી સંવાદિતાના વાતાવરણ અંગે 60 ટકા કરતાં વધુ લોકોએ
જણાવ્યું કે, આ દિશામાં સરકારે
લીધેલા પગલાંથી તેમને પૂરો સંતોષ છે. તમે મોદી સરકારને 100માંથી કેટલા માર્ક આપશો? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!