Friday, January 28, 2022

કિશન ભરવાડ, કમલેશ તિવારી...આપણે બસ સંખ્યા ગણ્યા કરીએ

 



 – ધંધૂકાની ઘટના ચાર્લી હેબ્દોનું એક્સટેન્શન છે. કિશન ભરવાડની હત્યા કમલેશ તિવારીની હત્યા જેવું વધુ એક પ્રકરણ છે. હત્યારા ભલે જેહાદીઓ હોય, પણ આરોપીઓ તો કોઈ બીજા જ છે

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

કમલેશ તિવારી હોય કે કિશન ભરવાડ, ભારતીયોએ અને તેમાંય ખાસ કરીને હિન્દુઓએ માત્ર સંખ્યા ગણ્યા કરવાની, સોશિયલ મીડિયા ઉપર ગુસ્સાવાળા ઇમોજી ફેરવ્યા કરવાના, હિન્દુવાદી સરકાર શું કરે છે એવા પ્રશ્નો પૂછ્યા કરવાના અને પછી મસ્તમજાનું ભોજન કરીને નિઃસ્પૃહ ભાવે કામે લાગી જવાનું. હકીકતે આપણે આ જ તો કરતા આવ્યા છીએ—સદીઓથી.

સાચી વાત એ છે કે, આવી બધી ઘટનાઓમાં હત્યારાઓનો કોઈ વાંક નથી હોતો. એ લોકો તો એમને ગળથૂથીમાં જે પીવડાવવામાં આવે, જે શીખવવામાં આવે, જેના માટે ઉશ્કેરવામાં આવે એનું પાલન જ કરતા હોય છે. એનું પાલન કરવામાં પોતે હત્યારા ગણાશે એવી એમને ચિંતા નથી હોતી કેમ કે એમના સમાજ તરફથી એમને હીરો ગણવાની બાંયધરી મળેલી છે. તેમને કે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર નહીં જ થાય એવી બાંયધરી મળેલી છે. તેમને કે તેમના પરિવારના નાણાની તકલીફ નહીં જ પડે એવી બાંયધરી મળેલી છે. એટલે એ હત્યારાઓનો કોઈ વાંક નથી.

વાંક આપણા સૌનો છે. મારો છે, તમારો છે, કોંગ્રેસનો છે, ભાજપનો છે, ખાદી-ધારીઓનો છે, શાખા-ધારીઓનો છે અને હા, મીડિયાનો વાંક તો છે જ છે. 1400 વર્ષથી જેમને કોઇએ જોયા જ નથી એવી વ્યક્તિના તદ્દન કાલ્પનિક ચિત્રો પણ જો હત્યાનું કારણ બનતા હોય તો એ હત્યારાઓનો વાંક કેવી રીતે હોઈ શકે? દેખીતું છે વાંક કોઇક બીજાનો છે. વાંક એ લોકોનો છે જેઓ આવી માનસિકતાને છાવરતા હોય છે. વાંક કેન્સરનો હોતો જ નથી, વાંક તો તેની સારવાર નહીં કરનારાઓનો હોય છે.

નિયમિત સમયાંતરે દેશ અને દુનિયામાં કિશન ભરવાડ અને કમલેશ તિવારી અને ચાર્લી હેબ્દો જેવી ઘટનાઓ બનતી જ રહે છે, પરંતુ એવી દરેક ઘટનાઓમાં શાસકો અને રાજકારણીઓ અને મીડિયા ઉપરાંત સમાજ—બધા ભેગા મળીને કિશન અને કમલેશમાં જ વાંક શોધે છે. ખાદી-ધારીઓ અને શાખા-ધારીઓ માત્ર એવી જ ચર્ચામાં ઇતિશ્રી માની લે છે કે, કિશને અને કમલેશે આવું ન કરવું જોઇએ. બદમાશ-હિંસાખોર માઓવાદીઓ આવી દરેક ઘટના વખતે હિન્દુત્વના કથિત છીંડાં શોધવાની કામગીરીમાં લાગી પડે છે અને હજારો વર્ષના સનાતન ઈતિહાસમાંથી બે-ચાર કિસ્સા શોધી કાઢીને હિન્દુત્વને ભાંડવા લાગે છે. મફતિયા માનસિકતાવાળા 20-30 ટકા હિન્દુઓ પણ હિંસાખોર માઓવાદીઓ-અર્બન નક્સલીઓની વાતોમાં સપડાઈને કિશન અને કમલેશને જ ગુનેગાર માની લે છે. બાકી રહેલા 70-80 ટકા હિન્દુઓ એટલા બધા વેર-વિખેર છે કે કદી સંગઠિત થતા જ નથી, સંગઠિત થઇને અવાજ ઉઠાવતા જ નથી.

જેહાદી હિંસાના જવાબમાં સામી હિંસા શક્ય નથી. એવું કરવાથી તો જંગલના કાયદા અને માનવસમાજના કાયદા વચ્ચે કોઈ તફાવત નહીં રહે. પરંતુ, ખાટલે જે મોટી ખોડ છે તે સંગઠન બતાવવાની છે. આપણે સંગઠન બતાવતા નથી એટલે હિન્દુવાદી હોવાની વાતો કરતા ભાજપને પણ હિંમત બતાવવાની હિંમત નથી થતી. બાકીના રાજકીય પક્ષોએ તો ઘૂંટણ અને માથાં ઝૂકાવી દીધેલા છે એ સ્પષ્ટ જોઈ શકાય છે.

ધંધૂકા, લખનૌ અને ચાર્લી હેબ્દો (પેરિસ) જેવી હિંસા અને હત્યા માટે જવાબદાર ત્રણ મુખ્ય આરોપી છેઃ એક તો એ વ્યક્તિ છે જેનું નામ લઇને હું મારા લખાણને અપવિત્ર કરવા નથી માગતો. બાકીના બેમાં- (1) રાજકારણીઓ + માઓવાદીઓના અપવિત્ર ગઠબંધન અને (2) માઓવાદીઓ + મીડિયાના અપવિત્ર ગઠબંધનનો સમાવેશ થાય છે. આ બંને ગઠબંધનોએ કહેવાતી અહિંસા અને કહેવાતી સહિષ્ણુતાના નામે વાસ્વતવમાં હિન્દુઓ ઉપર હિંસા અને અસહિષ્ણુતાના ચરખા ચલાવ્યા કર્યા છે.

જે પ્રજા શિવાજી મહારાજ અને વીર સાવરકરની વાત સમજવા અને એ રસ્તે ચાલવા તૈયાર નથી એ પ્રજા એક વંશ તરીકે હવે કેટલો સમય ટકી રહેશે એ ઘણો મોટો પ્રશ્ન છે. છેલ્લા સર્વેક્ષણ મુજબ ભારતમાં હિન્દુઓની સંખ્યા 79 ટકા થઈ ગઈ છે. આ સંખ્યા કોઇએ ધારી ન હોય એટલી ઝડપથી ઘટી રહી છે. સામે સંખ્યા વધવાના કેટલાં મોટાં જોખમ છે તેનો અંદાજ બોલિવૂડ, ક્રિકેટ, ટીવી સિરિયલો, ઓટીટી અને ઑનલાઇન ગેમમાં માથું ઘાલીને એક પ્રકારે નશાની હાલતમાં પટકાઈ ગયેલા હિન્દુઓને નથી.

કિશન અને કમલેશ જેવા લોકોની હત્યા થાય ત્યારે બંધનાં એલાન આપી દેવાથી ભવિષ્યમાં બીજા કિશન અને કમલેશ બચી જશે એની કોઈ ખાતરી ખરી? નથી જ, તો પછી ભવિષ્યમાં બચવા માટે કોઈ ઉશ્કેરણી વિનાની – અહિંસક વ્યૂહરચના ઘડવી પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો રાજકારણીઓને પણ તમારી વાત માનવાની ફરજ પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો અત્યાર સુધી એક તરફી એજન્ડા ઉપર કામ કરતા મીડિયાને પણ તમારી વાત માનવાની ફરજ પડશે. સંગઠિત છીએ એવું બતાવી શકાશે તો હિંસાખોર માઓવાદીઓ – અર્બન નક્સલીઓને વામણા સાબિત કરી શકાશે. અને જો આ બધું થશે તો જ, હા તો જ જેહાદી હત્યારાઓને સજા આપી શકાશે...અન્યથા આપણી દુનિયા શાખા અને મોબાઇલ સ્ક્રિન (અર્થાત ઑનલાઇન) સુધી જ સીમિત થઈ જશે. બચવું હોય તો આ બંને જગ્યાએથી બહાર નીકળીને સાચા અર્થમાં સહિષ્ણુ અને અહિંસક એકતા બતાવવી પડશે. આવી એકતાની દિશામાં આગળ વધવા માટે ઉપાયો વિચારીએ.

સ્વાતંત્ર્યના ખરા લડવૈયાનું 75 વર્ષે સાચું સન્માન થયું

 



– નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજનાં સંસ્મરણો હજુ પણ ક્યાંક ક્યાંક સચવાયેલા છે. આઈ.એન.એ.ના એ તમામ વારસદારો દિલ્હીમાં રાજપથ પર નેતાજીની પ્રતિમા જોઇને આજે કેટલા પુલકિત હશે!

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

દિલ્હીમાં જે રાજપથની છાતી ઉપર બ્રિટિશરો ભારતને ગુલામ બનાવવાના અહંકારમાં કૂચ કરતા હતા એ જ રાજપથ ઉપર સ્વતંત્રતાની લડાઈનો એક સાચો વીરયોદ્ધો ઊભો હશે ત્યારે કરોડો રાષ્ટ્રવાદીઓની છાતી ગજગજ ફૂલી જશે એનો અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી. આપણને સ્વતંત્રતા બિના ખડગ, બિના ઢાલ મળી છે એવી ભ્રમણામાંથી મુક્ત થવાનો આજે અવસર છે. આજે ભારતના એ સપૂતનો જન્મદિવસ છે જે એક આખા બ્રિટિશ સામ્રાજ્ય સામે સૈન્યદળ સ્થાપીને માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યુદ્ધમાં ઉતર્યા હતા. દેશને સ્વતંત્ર કરાવવા માટેની લડાઈના ખરા લડવૈયાઓ પૈકી એક એવા સુભાષચંદ્ર બોઝને આજે- 2022ની 23 જાન્યુઆરીએ એ રાજપથ ઉપર સ્થાન મળી રહ્યું છે જે સ્થાન મેળવવા માટે તેઓ હકીકતે 1947ની 15 ઑગસ્ટે હકદાર હતા.

ખેર, સાચા વીરોની ઓળખ માત્ર સાચા વીરોને જ થઈ શકે એ વાત આજે નરેન્દ્ર મોદીએ વધુ એક વખત સાબિત કરી છે. આપ સૌ વાચકોને યાદ હશે કે હજુ ત્રણ વર્ષ પહેલાં જ, 2019ની 23 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કર્યું હતું જેમાં નેતાજી બોઝ સાથે જોડાયેલાં તમામ સંસ્મરણો રાખવામાં આવ્યાં છે. આ સ્થળને એક વર્ષ અગાઉ એટલે કે 2018ની 21 ઑક્ટોબરે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્મારક અને સંગ્રહાલયનું મહત્ત્વ એ છે કે, તે સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના બાહોશ જવાનોને કેદી બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

પરિવારવાદ અને નકલી મહાત્માઓની કિન્નાખોરીને કારણે દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સુભાષચંદ્ર બોઝને યોગ્ય સન્માન મળી રહ્યું છે ત્યારે આઈ.એન.એ.ના એ બાહોશ કમાન્ડરનાં કેટલાંક પરાક્રમને ફરી એક વખત યાદ કરી લેવાં જોઇએ. આ દેશની એ કમનસીબી રહી છે કે નહેરુ-ગાંધી ખાન-દાન પ્રત્યેની ગુલામ માનસિકતાને કારણે માત્ર સ્વતંત્રતા ચળવળ જ નહીં પરંતુ એ સિવાય પણ આ દેશના સેંકડો રાષ્ટ્રવાદી વિદ્વાન નાયકોએ ભારતીય જીવન ઉપર પાડેલા પ્રભાવને ઇતિહાસનાં પાનાઓમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઘોર પાપ કરેલું છે. આવી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બન્યા હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. ભીમરાવ આંબેડકર જેવા વિદ્વાન અને બાહોશ સ્વતંત્રતા સેનાનીઓ સાથે શા માટે અને કોના ઈશારે અન્યાયની શરૂઆત થઈ હતી એ વાત દરેક રાષ્ટ્રવાદી ભારતીય સારી રીતે જાણે છે. દેશનો એક ઘણો મોટો વર્ગ આ અને આવા બીજા અનેક સાચા નાયકો પ્રત્યે આજે પણ સાચી શ્રદ્ધા ધરાવે છે, અને હવે તો એ નાયકોને તેમનું યોગ્ય સન્માન પણ મળવા લાગ્યું છે.

દેશની ઘણી મોટી વસતીને હજુ થોડાં વર્ષ પહેલાં જ એ વાતની ખબર પડી કે નેતાજી સુભાષચંદ્ર બોઝે તો 21મી ઑક્ટોબર, 1943ના દિવસે જ, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના ચાર વર્ષ પહેલાં જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ એવા સ્વતંત્ર ભારતના એ પ્રથમ વડાપ્રધાન અને વિદેશપ્રધાન પણ બન્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે 1943ની 21 ઑક્ટોબરે નેતાજી બોઝે તેમની સરકારની રચના કરી તેને વિશ્વના નવ (9) દેશોએ માન્યતા પણ આપી હતી. આ દેશોમાં જાપાન, જર્મની, ફિલિપિન્સ, થાઇલેન્ડ, મંચુરિયા, ક્રોએશિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝની સરકાર 21 ઑક્ટોબર, 1943થી 18 ઑગસ્ટ, 1945 સુધી અસ્તિત્વમાં હતી. 1945ની 18 ઑગસ્ટે તેમના રહસ્યમય નિધન સાથે બધું જ ઇતિહાસનાં પાનાઓમાં માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયું.

આઝાદ હિન્દ ફોજના કેટલાક સૈનિકો નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અન્ય નગરો-શહેરોમાં હતા અથવા છે એવી જાણકારી મને 2013માં મળી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે આઈ.એન.એ. સાથે સંકળાયેલા સ્વતંત્રતા સંગ્રામના દસ્તાવેજો એ સેનાનીઓના વારસદારો પાસે સચવાયેલા છે. આશા છે હવે એ વારસદારો એ બધા દસ્તાવેજો ભારત સરકારને સોંપીને દેશના સાચા ઇતિહાસને ઉજાગર કરવામાં તેમજ સુભાષચંદ્ર બોઝ અને તેમના સેનાનીઓને ગૌરવ અપાવવામાં મદદરૂપ થશે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!જયહિંદ.

વિધાનસભા ચૂંટણીઃ કયું સમીકરણ આદર્શ ગણાય?

 



– હાલ જે 4:1નું સમીકરણ છે તે યથાવત્ રહેશે કે પછી

તે 3:2, 2:3 અથવા 1:4 થશે? દેશ અને પ્રજાનું હિત શામાં છે?

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભારત ચૂંટણી-પ્રિય દેશ છે. સરેરાશ દર ત્રણ મહિને કાંતો કોઈ રાજ્યમાં પંચાયતની અથવા પાલિકા-મહાપાલિકાની અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થિતિ બદલવા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક સાથે ચૂંટણી યોજાય તે માટે વન નેશન, વન ઈલેક્શનનો વિચાર ઘણા વખત પહેલાં આપ્યો હતો, પરંતુ સ્વાર્થી-ભ્રષ્ટ અને ગંદી-ગોબરી માનસિકતા ધરાવતા અન્ય પક્ષો આ વિચારને સમર્થન આપતા નથી અને તેથી આ ક્રાંતિકારી વિચારનો વાસ્તવિક અમલ ક્યારે થઈ શકશે તે કહેવું મુશ્કેલ છે. વન નેશન, વન ઈલેક્શન ના અનેક લાભ છે, પરંતુ ઉપર કહ્યા તેવા વિપક્ષો પરિવર્તન સ્વીકારીને ફૂલની સુવાસ લેવા તૈયાર નથી, એમને એમની ગંદકી જ પસંદ છે!

ખેર, તો હાલની સ્થિતિએ સતત ચૂંટણી-મોડમાં રહેતા આપણા દેશમાં પાંચ રાજ્ય – ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પાંચમાંથી પંજાબને બાદ કરતાં બાકીના ચાર રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે, એટલે એ રીતે 4:1 નું સમીકરણ છે. આ લખાય છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કેટલાક કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામાં આપી દીધાં છે અને સપામાં જોડાઈ રહ્યા છે. ભાજપ છોડી જનારા વરસાદી દેડકા એવો આક્ષેપ કરે છે કે, ભાજપમાં તેમને ન્યાય મળ્યો નથી અને ભાજપ શાસનમાં કચડાયેલા વર્ગોનું કલ્યાણ થયું નથી અને બ્રાહ્મણો સાથે પણ અન્યાય થાય છે...વગેરે વગેરે...વગેરે. ખેર, જૈસી જીસકી સોચ! પણ આ વંડી ઠેકનારા પાંચ વર્ષ પહેલાં ભાજપમાં આવ્યા ત્યારે તેમના જૂના પક્ષ બસપા અને સપા માટે આવું જ કહેતા હતા. બીજું, આ કથિત નેતાઓ એ વાતનો જવાબ આપી શકવા સમર્થ નથી અથવા તેમની પાસે એ જવાબ જ નથી કે સપા-બસપાએ કચડાયેલા વર્ગો અને બ્રાહ્મણોનું શું કલ્યાણ કર્યું? એ પક્ષોએ આ વર્ગો માટે એવી કઈ યોજનાઓ અને કયા કાર્યક્રમો આપ્યા જેને કારણે બધાને સમાનતા મળી ગઈ હોય?

પણ આ ડેવલપમેન્ટથી એટલું નિશ્ચિત છે કે સફળતાના શિખર પર બેઠેલા ભાજપ માટે ત્યાં ટકી રહેવાનું એટલું સહેલું નહીં હોય. તમે સફળ થવા લાગો ત્યારે તમામ પ્રકારના લોકો તમારી આસપાસ વીંટળાઈને તમારી વાહવાહ કરે, પરંતુ એ ચુનાવી હજુરિયા તેમને જે કિંમત જોઇએ એ ન મળે ત્યારે તમારી ઉપર કાદવ ઉછાળીને બીજી તરફ કૂદી જતા હોય છે. 2014 પછી કોંગ્રેસ સાથે જે થયું છે એવું ભાજપ સાથે પણ ગમે ત્યારે થઈ શકે છે, ઉત્તરપ્રદેશ એનું ઉદાહરણ છે.

10 જાન્યુઆરીને સોમવારે બે રાષ્ટ્રીય હિન્દી સમાચાર ચેનલે ઓપિનિય પોલ જાહેર કર્યા હતા. આ બંને ઓપિનિયન પોલનું સરેરાશ તારણ એ જ રહ્યું કે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપને ફરી સત્તા મેળવવામાં ખાસ વાંધો નહીં આવે. પણ પંજાબમાં કોંગ્રેસ માટે સત્તા ટકાવવી મુશ્કેલ બનશે. આ બંને ઓપિનિયન પોલ અનુસાર પંજાબમાં ઝાડુ-ટોપીનું પ્રતીક ધરાવતા જૂથને બીજા પક્ષો કરતાં વધારે લાભ થઈ રહ્યો છે. જો એ સાચું હોય તો દેશની એકતા-અખંડિતતા અને સલામતી સામે સૌથી મોટું જોખમ ઊભું થઈ જશે કેમ કે પંજાબ એ ઝેરીલા-જેહાદી પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે.

ઝેરીલા-જેહાદી પાકિસ્તાનને એક દેશ તરીકે તેની પોતાની પ્રગતિમાં કોઈ રસ નથી, પરંતુ તેનો એકમાત્ર કાર્યક્રમ અને ધ્યેય ભારતને અસ્થિર રાખવાનો હોય છે. પંજાબમાં છેલ્લા એકાદ વર્ષથી ખાલિસ્તાની ચળવળ ફરી સક્રિય થઈ છે જેના માટે ઝેરીલું-જેહાદી પાકિસ્તાન ઘણા દાયકાથી પ્રયાસ કરતું હતું. પહેલાં અકાલીદળ-ભાજપની સંયુક્ત સરકારને કારણે ના-પાકીઓને સફળતા મળતી નહોતી અને ત્યારબાદ કેપ્ટન અમરિન્દર સિંહ મુખ્યપ્રધાનપદે હોવાને કારણે ના-પાક ઈરાદા સફળ થતા નહોતા. નવજોત સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહને હોદ્દો અને પક્ષ છોડવા ફરજ પાડી ત્યારથી જેહાદી પાકિસ્તાનીઓ ખુશખુશાલ છે. આમછતાં, કોંગ્રેસમાં હજુ પણ રાષ્ટ્રહિતમાં વિચારતા કેટલાક લોકો છે તેથી ઝેરીલા પાકિસ્તાનીઓ આવા કોંગ્રેસી નેતાઓને જીતવા નહીં દે એ નિશ્ચિત છે. એ સંજોગોમાં ઝાડુ-ટોપી ટોળકી સંપૂર્ણપણે તેમના પીઠ્ઠુની જેમ વર્તવા તૈયાર છે. તેથી જ પંજાબ અંગેના ઓપિનિયન પોલના આંકડા ડરામણા છે. સાવધાન પંજાબ, સાવધાન ભારત.

 પંજાબ સરહદી રાજ્ય હોવાને કારણે તથા ઉત્તરપ્રદેશ સૌથી વિશાળ રાજ્ય હોવાને કારણે મહત્ત્વ ધરાવે છે. ઉત્તરપ્રદેશની કુલ વસ્તી 20થી 22 કરોડ છે અને મતદારોની સંખ્યા 18 કરોડની આસપાસ છે. આ આંકડો દુનિયાના ઘણા નાના દેશોની કુલ વસ્તી કરતાં પણ મોટો છે. આવા મહાકાય રાજ્યના મુખ્યપ્રધાન તરીકે યુવાન સંત યોગી આદિત્યનાથે જે મહેનત કરી છે, જે વિકાસ સાધ્યો છે, કોરોનાકાળમાં જે સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કિલ દર્શાવી છે, જેટલી સંખ્યામાં મેડિકલ કૉલેજો સહિત આરોગ્ય સેવાનો વિસ્તાર વધાર્યો છે, જે શ્રદ્ધા અને ભક્તિભાવથી ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે – એ બધું ધ્યાનમાં લેતાં તેઓ બીજી વખત સરકાર બનાવશે એવી આશા અસ્થાને નથી. જામી રહેલી આ ચૂંટણીનો માહોલ જોઈએ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 9, 2022

વડાપ્રધાન મોદી, પંજાબ, પાકિસ્તાન અને ખાલિસ્તાન

 



 --- 5 જાન્યુઆરી, 2022: એક રાષ્ટ્રવાદીને કાયમ માટે દૂર કરી દેવાની એ ચાલ હતી કે પછી આ તારીખ પંજાબમાં કોંગ્રેસનું આત્મઘાતી પગલું સાબિત થશે? ખાલિસ્તાની ચળવળને કોણ હવા આપી રહ્યું છે? કોણ જીતશે – પંજાબિયત કે વામણા વિપક્ષો?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે પંજાબની રાજકીય સ્થિતિએ કઈ દિશામાં કરવટ બદલી હશે એનો આજે શુક્રવારે તો કોઈ અંદાજ નથી. હાલની સ્થિતિએ એટલું નિશ્ચિત છે કે, પંજાબની રિમોટ કંટ્રોલ સરકારે હિમાલય જેવડી મોટી ભૂલ કરી દીધી છે. પંજાબના મુખ્યપ્રધાન ચન્નીને આ માટેના દિશા-નિર્દેશ કોના તરફથી, ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એ વાત તો કદી બહાર નહીં આવે, પરંતુ એટલું સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે પાંચ જાન્યુઆરી, 2022ની ઘટનાથી પંજાબ કોંગ્રેસના અંતનો આરંભ થઈ ગયો છે.

આમ તો જે દિવસે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો પ્રમુખ બનાવવામાં આવ્યો એ જ દિવસે રાજ્યમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ ગઈ હતી, પરંતુ પંજાબ કોંગ્રેસના ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂકવાની ગુસ્તાખી બની રહેશે.

નરેન્દ્ર મોદી નામનું એક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ તમામ સનાતન-વિરોધીઓની આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ માણસે કોઈનું પણ અહિત કર્યું નથી. જે કંઈ કર્યું છે તે માત્ર આ દેશના સાચા નાગરિકોને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. દુનિયામાં ભારતીય તરીકેની ઓળખ ગૌરવ બની રહે એવાં કામ નરેન્દ્ર મોદીએ કર્યાં છે. પાકિસ્તાન અને ભારતમાં રહેતા પાકિસ્તાની મળતિયાઓની લાંબાગાળે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની યોજના ધૂળમાં મળી ગઈ એ દિવસથી પાકિસ્તાનના ઝેરીલા જેહાદીઓ અને ભારતમાં વસતા તેમના સ્લીપર સેલ મોદીના લોહીના તરસ્યા થયા છે.

રાષ્ટ્રદ્રોહીઓએ 2018ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં સભા કરી અને ત્યાં હિંસા થઈ. એ હિંસાખોરોની તપાસ દરમિયાન નરેન્દ્ર મોદીની હત્યા માટે માઓવાદીઓ દ્વારા ઘડવામાં આવેલી રહેલા કાવતરાને લગતો એક પત્ર તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો હતો. એ પત્રમાં એક વાક્ય હતું કે, – જે રીતે 1991માં તમિળનાડુમાં એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે નરેન્દ્ર મોદીને તેમના રોડશો દરમિયાન... માઓવાદીઓની આ ટૂલકિટ ઉપર કામ કરવા માટે પાકિસ્તાને ખાલિસ્તાની ચળવળને હવા આપી. એક વર્ષ સુધી ચાલેલા નકલી ખેડૂત આંદોલન દરમિયાન અનેક વખત ઉશ્કેરણી કરવામાં આવી જેથી સરકાર આકરાં પગલાં લે અને પછી આખા દેશમાં હિંસા ફેલાવીને મોદીને બદનામ કરીને સત્તાભ્રષ્ટ કરી શકાય. જોકે, રાષ્ટ્રદ્રોહીઓની ચાલ સારી રીતે સમજી ચૂકેલા નરેન્દ્ર મોદીએ એક પણ ગોળી ચલાવ્યા વિના આંદોલન એક વર્ષ સુધી ચાલવા દીધું અને છેવટે ત્રણ કાયદા ખેડૂતોના હિતમાં હતા છતાં પાછા ખેંચી લીધા. એ કાયદા પાછા ખેંચાવાથી ટુણિયાટ અને વામણા વિપક્ષોનો ગરાસ લૂંટાઈ ગયો છે. કાયદામાં પીછેહઠ છતાં મોદીની સ્થિતિ નબળી ન પડતાં વામણા વિપક્ષે જે ખેલ ખેલવાનું દુઃસાહસ કર્યું તે ગત બુધવારે દેશ અને દુનિયાએ જોયું.

જે કંઈ થયું તેનું સત્ય ગમેત્યારે બહાર આવશે, પરંતુ પંજાબની ચન્ની સરકારનો તેમજ કોંગ્રેસના ગાંધી ખાન-દાનનો બચાવ કરનારા લોકો અને એજન્ડાધારી મીડિયા જે કંઈ કરી રહ્યા છે તે માત્ર ખેદજનક જ નહીં પણ અત્યંત જોખમી છે. આ તત્વો મુખ્યપ્રધાન ચન્નીને દલિત બતાવીને એવી છાપ ઊભી કરવા માગે છે કે મોદી સરકાર દલિતને નિશાન બનાવે છે! ભારતીય નાગરિકોએ વામણા વિપક્ષોની આવી ચાલમાં ફસાવું જોઈએ નહીં. આ સમગ્ર કેસમાં વાત કોઈ દલિત મુખ્યપ્રધાનની નથી, પણ એક ચૂંટાયેલી રાજ્ય સરકારે આ વિશાળ દેશના એક શક્તિશાળી વડાપ્રધાનના સંરક્ષણમાં જે કોઈ ગોબાચારી કરી તેની સામે જો આકરાં પગલાં લેવામાં ન આવે તો વિપક્ષ શાસિત બીજાં રાજ્યોના વામણા નેતાઓને પણ આવી ગુસ્તાખી કરવાની છૂટ મળી જાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમની તપાસનું શું પરિણામ આવશે, સુપ્રીમ કોર્ટમાં આ અસાધારણ ઘટના અંગેનો જે કેસ ચાલી રહ્યો છે એ કઈ દિશામાં જશે – એ બધા પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળશે... પરંતુ ખાલિસ્તાની માનસિકતાની આગમાં પાકિસ્તાન દ્વારા, વામણા વિપક્ષો દ્વારા, ભારતમાં બેઠેલા પાકિસ્તાનના મીડિયા સહિતના સ્લીપર સેલ દ્વારા જે પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે તે ભારતને અને રાષ્ટ્રવાદી ભારતીયોને તો દઝાડશે જ પણ એ આગની જ્વાળાથી એ લગાડનારા પોતે પણ નહીં જ બચી શકે એ એટલું જ નિશ્ચિત છે.

અકાલી દળ અને ભાજપના સંયુક્ત શાસન દરમિયાન જે પંજાબ શાંત અને સુખી હતું એ પંજાબને કોંગ્રેસે, ખાસ કરીને પાકિસ્તાની તરફી માનસિકતા ધરાવતા સિદ્ધુ જેવા તત્વોએ ફરી અશાંતિ તરફ ધકેલી દીધું છે. સિદ્ધુની સાથે બધા નહીં પણ મુઠ્ઠીભર કોંગ્રેસીઓ છે, મુઠ્ઠીભર મીડિયા છે અને આખું પાકિસ્તાન, ચીન તેમજ ભારતમાં વસતા ઝેરીલા માઓવાદીઓ અને અર્બન નક્સલવાદીઓ સિદ્ધુની સાથે છે. આ બધા ભેગા મળીને ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ વાત સારી રીતે જાણતી-સમજતી જ હશે. ભાજપ અને અન્ય રાષ્ટ્રવાદીઓ હંમેશાં સહિષ્ણુતામાં માનતા હોય છે અને તેથી લોકશાહી પદ્ધતિએ ચૂંટણી દ્વારા પંજાબમાં જીત મેળવીને ત્યાં ફરી શાંતિ સ્થાપવાની ગણતરી હશે...પરંતુ પાંચ જાન્યુઆરી, 2022ની ઘટના પછી આવી કોઈ સહિષ્ણુતા રાખવાનું માત્ર ભાજપને જ નહીં, સમગ્ર દેશને મોંઘું પડી શકે છે. એ દિશામાં કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 2, 2022

કોંગ્રેસનું “આ મહાપાપ” છાપરે ચડીને પોકારે છે

 


--- લઘુમતી ખુશામતની કોંગ્રેસી નીતિથી આ દેશનો કોઈ નાગરિક અજાણ નથી, પરંતુ 2013માં કોંગ્રેસે વકફ કાયદામાં ફેરફાર કરીને જે પાપ કર્યું છે એ કલમ 370 કરતાં અનેકગણું મોટું છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી લગભગ મોટાભાગના અથવા તમામ વાચકો ગયા અઠવાડિયે (26-12-2021ના અખબારોમાં) દ્વારકાના ટાપુ અંગે અદાલતે કરેલી ટિપ્પણીના સમાચારથી વાકેફ હશે. દ્વારકા જિલ્લાના બે બેટ વકફની માલિકીના હોવાના દાવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં પણ બન્યો હતો. સાચી વાત એ છે કે, લગભગ દરેક રાજ્યમાં દર ચાર-છ મહિને એક કેસ બનતો રહે છે. અનેક દાયકાથી આ થઈ રહ્યું છે પરંતુ આવા કેસને સામાન્ય અદાલતોમાં જતા રોકવા કોંગ્રેસની સરકારે 2013માં વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરીને વકફની મિલકતના દાવાના કેસ માત્ર વકફની ટ્રિબ્યુનલમાં ચાલે એવું ઠરાવ્યું હતું.

આગળ વધતા પહેલાં વાચકોને અહીં કોંગ્રેસની જ સરકારે લાવવા ધારેલા પરંતુ તે સમયના વિપક્ષ તેમજ પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પસાર નહીં થઈ શકેલા એક ખરડાની યાદ અપાવી દઉં. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કોમી તોફાનોને લગતો એક ખરડો પસાર કરવા માગતી હતી જેમાં દેશમાં ગમેત્યાં કોમી તોફાન થાય તો એ માટેની જવાબદારી માત્ર બહુમતીની અર્થાત હિન્દુઓની જ નિર્ધારિત કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈ અનુસાર જવાબદાર સંદિગ્ધ હિન્દુઓની બિન-જામીનપાત્ર કલમો હેઠળ તત્કાળ ધરપકડ કરી લેવાની, જ્યારે કોમી તોફાનોમાં સંડોવાયેલા લઘુમતી સમુદાયના લોકો સામે કેસ બને છે કે નહીં તેનો નિર્ણય માત્ર જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા પછી લેવાનો હતો.

ભારતીયોના સદ્દનસીબે આ ખરડો પસાર થઈને કાયદો ન બન્યો, પરંતુ 1995ના વકફ કાયદામાં 2013માં સુધારો કરીને દેશને અત્યંત ભયાવહ સ્થિતિમાં નાખી દેવામાં આવ્યો છે. આ સુધારા અનુસાર જે મિલકત ઉપર વકફ દ્વારા પોતાની મિલકત છે એવો દાવો કરી દેવામાં આવે પછી એ મિલકતના માલિકે પોતાની વાતની રજૂઆત માત્ર વકફ બોર્ડ સમક્ષ જ કરવી પડે. વકફ બોર્ડમાં મામલાનું સમાધાન ન આવે તો કેસ ટ્રિબ્યુનલમાં જાય, પરંતુ આ કાયદાની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલમાં પણ વકફના સભ્ય હોવા જોઇએ.

ટૂંકમાં મિલકતો અંગેના વકફના કાયદાને એ હદે જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે એક વખત કોઇપણ જમીન કે મિલકત ઉપર વકફના નામે દાવો થઈ ગયો તો પછી તેમાંથી નીકળવાનું લગભગ અશક્ય બની જશે.

આવી સ્થિતિ આવે તે પહેલાં મોદી સરકારે વકફના કાયદા અંગે પગલાં લેવા જરૂરી છે. તે સાથે રાષ્ટ્રવાદી વકીલોએ પણ આ કાયદાનો યોગ્ય અભ્યાસ કરીને તેના વિશે ગુજરાતના અને દેશના નાગરિકોમાં જાગ્રતિ ફેલાવવી જોઇએ. દેશનો સરેરાશ નાગરિક કોઇની સાથે સંઘર્ષ ઈચ્છતો નથી. સરેરાશ નાગરિકો સંઘર્ષ કરી પણ શકતા નથી કેમ કે તેમને પરિવારની ચિંતા હોય છે અને તે સાથે અદાલતોમાં કેસ લડવા માટેની આર્થિક ક્ષમતા અને સમય પણ બધા નાગરિકો પાસે હોતા નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પણ વકફ કાયદાનો અભ્યાસ કરીને વહેલામાં વહેલી તકે લોકજાગ્રતિનું કામ કરે એ જરૂરી છે. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ અને તેની ટીમના સભ્યો આવી લોકજાગ્રતિનું કામ કરી જ રહ્યા છે, પરંતુ 135 કરોડની વસ્તીના દેશમાં માત્ર બે-પાંચ વ્યક્તિ મથામણ કરે એ પૂરતું નથી. આ બાબતમાં સંઘે એની શક્તિ વહેલામાં વહેલી તકે કામ લગાડવી જોઇએ. અન્યથા આજે દ્વારકાના બે બેટ ઉપર દાવો થયો છે, આવતીકાલે મંદિરોની જમીનો પર દાવા કરવાનું શરૂ થશે ત્યારે બંને સમાજ વચ્ચે જે તણાવ ઊભો થશે એ બધા માટે અસહ્ય હશે. ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ ઘર્ષણ ટાળવું હોય તો દરેકે અત્યારથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું પડશે. (આ કાયદા વિશે આ લિંક પર જઇને અભ્યાસ કરો - https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_44_74_00001_199543_1517807323904&orderno=41  ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!