Friday, September 15, 2023

અમારા પત્રકાર, તમારા પત્રકાર, એમના પત્રકાર! કોના પત્રકાર?

 


--------------------------------------

છેવટે ભારત વિરોધી ઠગબંધને પત્રકારોની વહેંચણી કરી લીધી. મીડિયાની સ્વતંત્રતાની બાંગ પોકારતા ઠગબંધનને મંજૂર નથી કે પત્રકારો તેમને કોઈ પ્રશ્ન કરે!

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

1989નો એ સમય હતો. લાલકૃષ્ણ અડવાણી રામજન્મભૂમિ આંદોલન સાથે દેશભરમાં ફરી રહ્યા હતા. લગભગ તમામ રાજ્યમાં તમામ મોટાં અખબારો આ આંદોલનને કોમવાદી ઠરાવીને ભાજપ-સંઘના નેતાઓને વિલન ચીતરી રહ્યા હતા. – અડવાણી અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2002નો એ સમય હતો. ગોધરા રેલવે સ્ટેશને જેહાદીઓએ 59 નિર્દોષ રામભક્તોને જીવતા સળગાવી દીધા હતા. તેનો આક્રોશ ગુજરાતમાં અન્યત્ર ફેલાયો ત્યારે અખબારો અને જૂજ માત્રામાં શરૂ થયેલા ટીવી મીડિયાએ નરેન્દ્ર મોદી અને ભાજપ અને સંઘને વિલન ચીતરી દીધા. – મોદી અને ભાજપ અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2023. દેશ પ્રગતિ કરી રહ્યો છે. દુનિયાના દિગ્ગજ નેતાઓ ભારતના નેતૃત્વની ક્ષમતાને સન્માન આપે છે. આ બધું સહન નહીં કરતા શકતા વિભાજનકારી રાજકીય પક્ષો સનાતનને ખતમ કરી દેવાની હાકલો કરવા લાગે છે. મીડિયા આવા સનાતન વિરોધીઓની ટીકા કરે છે. એવાં તત્ત્વોને સમર્થન આપનારાને પ્રશ્ન પૂછે છે. – વિભાજનકારી વિપક્ષોએ કેટલાક દિગ્ગજ પત્રકારોને પ્રતિબંધિત કરી દીધા. તેમના ટીવી શોમાં નહીં જવાનો નિર્ણય લીધો.

તમારું સાચું ચરિત્ર મુશ્કેલ સ્થિતિમાં ઓળખાય છે. પોતાના વિરુદ્ધ અદાલતનો ચુકાદો આવવાથી ઈન્દિરા ગાંધી આખા દેશને કટોકટીના ખપ્પરમાં હોમી દે છે. મીડિયા ઉપર સેન્સરશિપ લદાય છે. દેશ અનેક દાયકા પાછળ ધકેલાઈ જાય છે. અને છતાં ઈન્દિરા ગાંધીના વંશજો ઇચ્છે છે કે, મીડિયા કોંગ્રેસની ટીકા ન કરે. મીડિયા કોંગ્રેસને પ્રશ્ન ન પૂછે. રાજકીય રીતે અસ્તિત્વ ગુમાવવાથી ઘાંઘો થઈ ગયેલો કોંગ્રેસ પક્ષ અને તેમના મળતિયા રાજકીય પક્ષો બેવડાં ધોરણો રાખીને એક તરફ મંદિરોની મુલાકાત લે છે અને બીજી તરફ સનાતનને ખતમ કરવાની ટૂલકિટ તૈયાર કરે છે. પરંતુ વિપક્ષોની આવી ભાગલાવાદી માનસિકતા સામે જાગી ચૂકેલા મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછે છે તો ભાગલાવાદીઓને માઠું લાગી જાય છે, એટલું નહીં પરંતુ એવા મીડિયાકર્મીઓના ટીવી શોમાં નહીં જવાની જાહેરાત કરે છે.

રમૂજની વાત એ છે કે, આ ભાગલાવાદી વિપક્ષો સતત એવો અપપ્રચાર કર્યા કરે છે કે, મીડિયાના અમુક પત્રકારો વેચાઈ ગયા છે અને ભાજપને તથા મોદીના વખાણ કરે છે અને એટલે એ બધા ગોદી મીડિયા છે. ભાગલાવાદી વિપક્ષો એવું જ માને છે કે, મીડિયાએ અમને પંપાળવા જોઇએ અને દરરોજ સવાર-સાંજ મોદીની ટીકા કરવી જોઇએ. જે મીડિયા આવું ન કરે એ ગોદી મીડિયા અને એટલે એવા પત્રકારોનું ચાલુ ટીવી શો દરમિયાન અપમાન કરવાનું, સોશિયલ મીડિયા ઉપર એવા પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરવાની અને એ રીતે રાષ્ટ્રવાદી મીડિયાનું ગળું દબાવી દેવાનું.

કમનસીબે ભાગલાવાદી વિપક્ષો એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે, પત્રકારોમાં પણ રાષ્ટ્રવાદની ભાવના હોય છે, પત્રકારોમાં પણ ધર્મ અને સનાતનની સમજ હોય છે. આ જ ભાગલાવાદી માનસિકતા ધરાવતા વિપક્ષોએ એક જમાનામાં પ્રખર રાષ્ટ્રવાદી તંત્રીઓ ગિરિલાલ જૈન અને અરુણ શૌરીને પણ અપમાનિત કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.

ભાગલાવાદી વિપક્ષો દેશના ભોળા લોકોના મનમાં એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે, મીડિયાનો ઘણોખરો વર્ગ મોદીના મોહમાં ફસાયો છે અથવા મોદીથી ડરે છે. આ વિપક્ષો એવો પણ અપપ્રચાર કર્યા કરે છે કે, જે પત્રકારો રાષ્ટ્રવાદ અને ધર્મની તરફેણમાં છે એ બધા ભાજપના એજન્ટ છે. પરંતુ વિપક્ષોની આ વાત સદંતર ખોટી છે. ભાજપે ક્યારેય રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારોની ખુશામત કરવાનો પ્રયાસ કર્યો નથી. ઊલટાનું એથી ઊંધું ચોક્કસ થયું છે. રાષ્ટ્રવાદ અને ધર્મની બાબતમાં પ્રમુખતાથી પોતાનો અવાજ રજૂ કરતા પત્રકારો – તંત્રીઓને બદલે ભાજપે અને સંઘે લઘુમતી તરફી સેક્યુલર ઝેર ફેલાવતા પત્રકારો – તંત્રીઓને માથે બેસાડ્યા છે. 30 કિલોમીટર દૂર આવેલા વિમાનમથકે ટોઇલેટ જવા જનાર સડકછાપ માનસિકતા ધરાવતા લેખકોને ય ભાજપ તો પોતાના મંચ ઉપર બોલાવે છે અને સન્માન કરે છે. ભાજપની આવી પ્રવૃત્તિઓને કારણે લગભગ મોટાભાગના રાષ્ટ્રવાદી પત્રકારો – લેખકો ભાજપથી નારાજ રહે છે. માત્ર જૂજ રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારો આવાં કારણોસર ભાજપથી નારાજ નથી થતા કેમ કે તેમના માટે રાષ્ટ્રવાદ અને ધર્મ મહત્ત્વનો છે, પક્ષ તરફથી કશું મળે એવી આ જૂજ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો અપેક્ષા નથી રાખતા. પરંતુ મોટી સંખ્યામાં આવા રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો ભાજપથી નારાજ રહે છે એ પણ વાસ્તવિકતા છે.

તો હવે ફરી મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે, ભાગલાવાદી વિપક્ષોએ અમુક પત્રકારોનો બહિષ્કાર કરવાનો શા માટે નિર્ણય લીધો?

મૂળભૂત રીતે ભાગલાવાદી વિપક્ષો લઘુમતી જેવી માનસિકતા ધરાવતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદી અને ભાજપનો રાજકીય રીતે મુકાબલો નહીં કરી શકતા, રાષ્ટ્રીય સ્વયં સંઘના વિરુદ્ધમાં લોકોને ભડકાવી નહીં શકતા આ વિપક્ષો લઘુમતીઓની જેમ વિક્ટિમ કાર્ડ રમવા લાગ્યા છે. ભાગલાવાદી વિપક્ષોની મીડિયા પ્રત્યેની માનસિકતા વિશે મેં મારા પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં ચાર વર્ષ પહેલાં જ એ વાત સ્પષ્ટપણે લખી હતી કે છેક 1947થી મીડિયાને સનાતન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અને લઘુમતીઓની તરફેણમાં કરવાનું પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે કાવતરું ઘડાયું હતું અને તેનો અમલ થયો હતો. ગિરિલાલ જૈન અને અરુણ શૌરી તથા તેમના જેવા સાવ જૂજ અપવાદોને બાદ કરતાં લગભગ તમામ મીડિયા હાઉસ (અખબારો અને સામયિકો) તેમજ પત્રકારો – તંત્રીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેક્યુલારિઝમના નામે લઘુમતી તરફી કોમવાદી નીતિનો અમલ કરતા હતા, આજે પણ કરે છે. પરંતુ મે, 2014ની લોકસભા ચૂંટણીએ રાષ્ટ્રીય સ્તરે આખું ચિત્ર બદલી નાખ્યું. જે પત્રકારો, તંત્રીઓ અથવા મીડિયા હાઉસમાં રાષ્ટ્રવાદ અને સનાતનનો આત્મા દબાવીને રાખવામાં આવ્યો હતો તે બહાર આવ્યો. તેમણે પોતાના અંતરઆત્માની વાત રજૂ કરવાનું શરૂ કર્યું. અને આ સ્થિતિ ભાગલાવાદી વિપક્ષોને પચી નહીં. તેમણે તેમના પીઠ્ઠુ પત્રકારો તેમજ મીડિયા હાઉસની મદદથી રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારોને બદનામ કરવાનું, તેમને હેરાન કરવાનું, તેમના ઉપર કેસ કરવાનું શરૂ કર્યું. આમછતાં આવા પત્રકારો ડરી જવાને બદલે અથવા દબાઈ જવાને બદલે પોતાનું કામ કરતા રહ્યા.

આ સ્થિતિમાં ભાગલાવાદી વિપક્ષોને ખાતરી થઈ ગઈ છે કે, રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારો, તંત્રીઓ, મીડિયા હાઉસ હવે તેમનાથી દબાય એમ નથી. આ વિપક્ષોને સમજાઈ ગયું છે કે આત્માથી જાગૃત થઈ ગયેલા પત્રકારો હવે તેમને પ્રશ્નો પૂછવાના જ છે અને તેના જવાબો આપવાનું ભારે પડવાનું છે. તેથી લઘુમતી વિક્ટિમકાર્ડની જેમ વિપક્ષોએ પણ પત્રકારોનો બહિષ્કાર કરીને તેમના ઉપર દબાણ લાવવાનો તદ્દન છેલ્લી કક્ષાનો પ્રયાસ કરી જોયો છે. હવે જોઇએ આ લડાઈ કેવો રંગ લાવે છે. અસ્તુ!

Sunday, September 10, 2023

સનાતનઃ બાહ્ય હુમલા અને આંતરિક સંઘર્ષની ગાથા સનાતન છે

 


એક તરફ દ્રવિડિયન અંતિમવાદીઓએ સનાતન ઉપર હુમલા શરૂ કર્યા છે, તો બીજી તરફ સનાતનની અંદર જ સાંપ્રદાયિક ખેંચતાણ ચાલુ છે. હે ધર્માચાર્યો! મેદાનમાં આવો...

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

જેના આરંભના સમયગાળા વિશે કોઈ જાણતું નથી અને જેનો કદી અંત થવાનો નથી એવો સનાતન ધર્મ હાલ બે પ્રકારના હુમલાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તમિલનાડુના દ્રવિડિયન અંતિમવાદીઓ સનાતનને જીવ-જંતુઓ અને રોગચાળા સાથે સરખાવીને તેનો અંત લાવવાના હાકલા કરે છે, તો બીજી તરફ ખાસ કરીને હાલ ગુજરાતમાં સનાતનના જ એક પેટા-પંથના અમુક મુઠ્ઠીભર લોકોની ભૂલને કારણે સનાતનીઓ સામસામી છાવણીમાં વહેંચાઈ ગયા છે.

તમિલનાડુની ડીએમકે સરકારના પ્રધાન અને મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના કુ-પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન અંગે કરેલા નિવેદનથી આખો દેશ પરિચિત છે અને તમામ સનાતની હિન્દુઓ ખિન્ન છે. ડીએમકે મૂળભૂત રીતે વટલાયેલા ખ્રિસ્તીઓનો પક્ષ છે. હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ સદીઓ પહેલાં દક્ષિણનાં રાજ્યોમાં ઘૂસણખોરી કરીને ત્યાંની પ્રજાને સનાતનની વિરુદ્ધ સદંતર ખોટી રીતે ઉશ્કેરીને ધર્માંતર કરાવ્યા હતા. ઇસ્લામિક આક્રમણકારીઓની જેમ જ હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ પણ અનેક હિન્દુ મંદિરોનો વિધ્વંસ કરીને ગ્રામ્ય ભોળી પ્રજામાં વટાળ પ્રવૃત્તિ કરી હતી. આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ જ છે. આ મિશનરીઓએ ખાસ કરીને પુરાણોની વાતોના અમુક કિસ્સા ઉપાડીને બ્રાહ્મણો વિરુદ્ધ તેમજ સંસ્કૃત ભાષા વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું જેને પરિણામે ખાસ કરીને તમિલનાડુના દ્રવિડિયનો પોતાને સનાતનથી અલગ સમજવા લાગ્યા અને મિશનરીઓના ધર્માંતરનાં કાવતરાંમાં સપડાઈ ગયા.

સામે પક્ષે સનાતની હિન્દુ સાધુ-સંતો તરફથી આવા મિશનરીઓના અપ-પ્રચાર તેમજ ધર્માંતર રોકવા કોઈ આક્રમક પ્રયાસ થયા નહીં. હિન્દુ સાધુ-સંતોમાં ધર્મને બચાવવાની આક્રમકતાના અભાવે હિંસાખોર મિશનરીઓને મોકળું મેદાન મળી ગયું અને દ્રવિડિયનોમાં એ માન્યતા વધારેને વધારે ઘર કરતી ગઈ કે સનાતન એ બ્રાહ્મણવાદી ધર્મ છે અને તેમાં દ્રવિડિયનોનું સ્થાન નથી.

આ દ્રવિડવાદ હવે અંતિમવાદનું સ્વરૂપ લઈ રહ્યો છે અને રાજકીય કારણોસર સનાતનને વધારે ખંડિત કરવા મરણિયો બન્યો છે. ડીએમકેના પરિવારવાદી દ્રવિડિયનો ભાજપ કે નરેન્દ્ર મોદીને રાજકીય રીતે હરાવી શકવા સમર્થ નથી અને તેથી ભાજપની મુખ્ય મતબેંક એવા હિન્દુઓમાં વિભાજન કરાવવા મથામણ કરે છે. દ્રવિડિયન ખ્રિસ્તી ઉદયનિધિ સ્ટાલિનને મૂળ ખ્રિસ્તી વિચારધારામાંથી ઉતરી આવેલા કોંગ્રેસીઓનું છૂપું સમર્થન છે. ગાંધી નામધારી ચૂંટણીલક્ષી હિન્દુઓને સનાતન પ્રત્યે ખરેખર કોઈ લગાવ નથી. દ્રવિડિયનો અને કોંગ્રેસ અને તેમની ટૂલકિટ ટોળકીને હવે એટલો ખ્યાલ આવી ગયો છે કે, સનાતન ઉપર હુમલા કરવાથી, હિન્દુઓમાં વિભાજન કરવાથી તેમની મુસ્લિમ મતબેંક સંગઠિત થઈ શકે છે અને તેઓ આ સ્થિતિનો ગેરલાભ ચૂંટણી જીતવા માટે ઉઠાવી શકે છે. બંગાળ અને કર્ણાટકના ચૂંટણી પરિણામોએ તેમને આવું માનવા પ્રેર્યા છે.

ભારત વિરોધી ટૂલકિટ ટોળકી તેમની આ કુત્સિત ચાલ હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અપનાવી રહી છે. પાટીદાર આંદોલનની પેટર્ન ઉપર મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નામે હિન્દુઓની ખાઈ પહોળી કરવામાં આવી રહી છે. ગુજરાતના કિસ્સામાં એવી આશંકા અસ્થાને નથી કે, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચગાવવા પાછળ ખાલિસ્તાનવાદી આપિયાઓનો હાથ હોઈ શકે. અલબત્ત, સાળંગપુરમાં હનુમાનદાદાની મૂર્તિનો જે કિસ્સો છે અથવા સ્વામિનારાયણ સંપ્રદાયના જૂજ સાધુઓની કથાઓમાં જે વાણીવિલાસ થાય છે અથવા અમુક પુસ્તકોમાં ક્યાંક ખૂણેખાંચરે કશુંક લખાયું છે – એ બધાનો બચાવ કરવાનો કોઈ આશય નથી. સંપ્રદાય દ્વારા આ ભૂલ થઈ છે તો પછી તેને સુધારી લેવી જોઇએ અને એ કામ માટે સમગ્ર સનાતનના ધર્માચાર્યો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો સક્ષમ છે અને તેઓ શાંતિપૂર્વક આ બધાનો ઉકેલ લાવી શકે તેમ છે. સનાતનની એકતા માટે આ જ રસ્તો યોગ્ય છે, સોશિયલ મીડિયા ઉપર એકબીજા સામે દાંતિયા કાઢવાથી સનાતનનું ભલું નહીં થાય. રહી વાત મીડિયાની...તો મીડિયા તો વંડી ઉપર બેઠેલા લોકો જેવા હોય છે, એ ગમે તે બાજુ કૂદ્યા કરે. એમની પાસે વિશુદ્ધ પત્રકારત્વના કોઈ ધારાધોરણો રહ્યાં નથી. એથી આગળ વધીને હકીકત એ છે કે, મોટાભાગના મીડિયામાં મિશનરી તેમજ જેહાદી માનસિકતાના લોકો ટોચના સ્થાને બેઠેલા છે અને સનાતનને નુકસાન કરવું એ તેમનું મિશન હોય છે.

આ બંને સ્થિતિનો ઉપાય શો?

ઓછામાં ઓછા આઠેક વર્ષથી મારી કૉલમ દ્વારા હું એક વાત કહ્યા કરું છું કે, સનાતનને સંગઠિત રાખવો હોય અને દ્રવિડિયન કે મિશનરી કે જેહાદી કાવતરાંથી હિન્દુ ધર્મને બચાવવો હોય તો ધર્માચાર્યોએ મેદાનમાં આવ્યા વિના છૂટકો નથી. સંતો-મહંતો-ધર્માચાર્યો-બાપુઓએ તેમનાં મંદિરો અને આશ્રમો અને કથાઓની સાથે સાથે હિન્દુ પ્રજાની વચ્ચે નિયમિત મુલાકાત લઇને આભડછેટ અને સામાજિક દુષણોની સામે ધૂણી ધખાવવી જ પડશે.

સનાતન હિન્દુત્વ ઉપર થઈ રહેલા હુમલા અને સનાતનની અંદર સતત ચાલતા રહેતા સંઘર્ષને ખાળવા માટે જો કોઈ એક સમુદાય સક્ષમ અને ઑથોરિટી હોય તો તે સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યો જ છે. એ વિના કોઈ ઉપાય નથી. આનંદમઠની જેમ તેમણે જ નેતૃત્વ લેવું પડશે. ધાર્મિક નેતૃત્વ વિનાની પ્રજા વેરવિખેર થતી જશે અને છેવટે ક્યારે નેસ્તનાબૂદ થઈ જશે એ આપણને ખબર પણ નહીં પડે. મોટાભાગની પ્રજા આ રીતે ધર્માંતરીઓના સકંજામાં આવી જશે તો મંદિરો અને આશ્રમો અને કથા-વાર્તાઓનો પણ કોઈ અર્થ નહીં રહે. ધર્માચાર્યો આ અંગે વિચારે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 27, 2023

એક જાગૃત નાગરિક સામે ભ્રષ્ટ તંત્રને પણ ઝૂકવું પડે

 

આરટીઆઈ તો ઘણા કરતા હોય છે, પરંતુ બધાના ઇરાદા સારા નથી હોતા. ક્યારેક આરટીઆઈ રાજકીય ન્યૂસન્સ કરવા માટે પણ થતી હોય છે...પણ આજનો કિસ્સો અલગ છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

2024ની લોકસભા ચૂંટણી નજીક આવી છે ત્યારે આમ આદમી પાર્ટી અને તેની માતૃ સંસ્થા કોંગ્રેસના કેટલાક તત્ત્વો રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીઆઈ અરજીઓના નાખીને રીતસર ન્યૂસન્સ ઊભું કરી રહ્યા છે. મળતી વિગત અનુસાર આવા એક નવરા માણસે રાજ્યની અગ્રણી યુનિવર્સિટીમાં એક સાથે 76 આરટીઆઈ અરજી નાખીને યુનિવર્સિટીના કેટલાય વિભાગોની કામગીરીમાં અડચણો ઊભી કરી છે. આવા તત્ત્વોની આરટીઆઈને કારણે પ્રાધ્યાપકોએ શિક્ષણકાર્ય પડતું મૂકીને વહીવટી કામગીરીને લગતા પ્રશ્નોના જવાબો આપવા પડે છે.

ખેર, ગામ હોય ત્યાં આમ આદમી પાર્ટી રહેવાની. પણ આપણે આજે સાચા અર્થમાં એક જાગૃત નાગરિકની સતર્કતા અને તેમણે કરેલી સાચા અર્થની આરટીઆઈને કારણે દ્વારકા શહેર નજીક ખુલ્લા ડિવાઇડરને બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી છે. આ જાગૃત અને રાષ્ટ્રવાદી નાગરિકને કારણે આ સ્થળે ગમેત્યારે ગંભીર અકસ્માત થવાનું જોખમ પણ ટળ્યું છે.

શ્રી સુજિતકુમારે આ અંગે કરેલી વાત અહીં તેમના પોતાના જ શબ્દોમાં મૂકું છું, જેથી તમામ વાચકોને સમગ્ર ઘટનાનો યોગ્ય રીતે ખ્યાલ આવે અને તેમની જેમ પ્રેરણા લઇને અન્ય લોકો પણ લોકહિતના આવાં કામ કરી શકે. ... #Pgportal તથા RTI પોર્ટલ ની મદદ થકી મળેલી વધુ એક નાનકડી સફળતા..

દ્વારકા શહેરમાં પ્રવેશ કરતા શરૂઆતમાં જ હોટલ આવે છે, જેની આગળના રોડ પર મીડિયન ઓપનિંગ હતું એટલે કે ડીવાઈડર ખુલ્લું હતું.

આ મીડિયન ઓપનિંગ ફક્ત હોટલ ચાલકોને ફાયદો કરવા માટે કરેલું હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું જેથી કરીને સામેના રોડના વાહનચાલકો આ બાજુ હોટલ પર આવી શકે અને હોટલ સાઈડના વાહનો સામેની બાજુ જઈ શકે..

૧) અન્ય વાહનચાલકો માટે જોખમી આ મિડિયન ઓપનિંગ બંધ કરવા માટે #pgportal પર રજૂઆત કરેલી.

૨) જે ફરિયાદ બાબતે નેશનલ હાઇવે ઓથરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી એવો જવાબ મળ્યો કે કંસેશન એગ્રીમેન્ટ અંતર્ગત આ ઓપનિંગ આપવામાં આવ્યું છે.

૩) આ અનુસંધાને ઇન્ડીયન રોડ કોંગ્રેસની માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યો જેમાં જણાવ્યું છે કે આવા ઓપનિંગની બાજુમાં શેલ્ટર લેન (એટલે કે વળાંક લેનાર વાહન પાછળના વાહનોને નડતરરૂપ ન થાય એ માટે એ શેલ્ટર લાઈનમાં ઉભું રહે અને વળવા માટેની પ્રતીક્ષા કરે) હોવી જરૂરી છે. જે અહીંના મિડીયન ઓપનિંગમાં હતી નહીં.

બીજું, આ માર્ગદર્શિકા મુજબ બે મીડિયન ઓપનિંગ વચ્ચે ઓછામાં ઓછું ૫૦૦ મીટર અંતર હોવું જોઇએ. જ્યારે અહીં ફકત ૧૫૦ મીટરના અંતરે જ એક મોટું મીડિયન ઓપનિંગ આવે છે.

આ માર્ગદર્શિકાના મુદ્દાઓ અને એના ઉલ્લંઘન બાબતે ફરીથી એક ફરિયાદ નાખવામાં આવી,

૪) સાથે સાથે પણ અપીલ કરવામાં આવી

૫) આ ફરિયાદ અને અપીલ સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એવો પ્રત્યુત્તર આપવામાં આવ્યો કે સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણીને અનુસંધાને આ મીડીયન ઓપનિંગ આપવામાં આવ્યું હતું, જ્યાં રિફ્લેક્ટર લાઈટ અને સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યા અને બન્ને વચ્ચેનો રસ્તો પણ પેવર કરવામાં આવેલો છે.

૬) આ પ્રત્યુત્તરની સામે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટમાં RTI કરીને સ્થાનિક રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની માંગણી બાબતના પત્રોની માહિતી માંગવામાં આવી. જેની સામે એવો જવાબ મળ્યો કે એમની ઓફિસમાં આવા કોઈ પત્રો મળ્યા નથી.

૭) આ આરટીઆઈનો જવાબ મળ્યા બાદ વિજિલન્સ વિભાગમાં આ સમગ્ર બાબતની વિસ્તૃત માહિતી અને પત્રોની કોપી સાથે ઇમેઇલ કર્યો અને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી.

૮) ગઈકાલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજકોટ તરફથી પત્ર મળ્યો જેમાં દર્શાવ્યું છે કે એમના દ્વારા આ મીડિયન ઓપનિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.

હવે, આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરીશું.

આ સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર વાત એ છે કે, શ્રી સુજિતભાઈએ સૌપ્રથમ પીજીપોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી અને ત્યાંથી સંતોષજનક જવાબ ન મળ્યો ત્યારે આરટીઆઈ દ્વારા જવાબ માગીને સમગ્ર સમસ્યાનો ઉકેલ લાવવામાં જાગૃતિ દાખવી. ઘટનાનો સાર એ છે કે, જાગૃતિ અને ખંતથી ઘણાં કામ શક્ય બને છે.

અકસ્માત તથા દુર્ઘટનાઓ માટે વાહન ચાલકો ઉપરાંત બીજી પણ બાબતો જવાબદાર હોય છે. જેમ કે સ્થાનિક સ્તરનું ગંદું - ભ્રષ્ટ રાજકારણ, ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ પોલીસતંત્ર અને એવા જ ભ્રષ્ટ વેપારીઓ... આ બધા ભેગા મળીને સામાન્ય જનતાની સલામતી અને સુખાકારીના અધિકારોને ઘોળીને પી જતા હોય છે. પછી આવી સ્થિતિમાં આવાં સ્થળે અકસ્માત અથવા દુર્ઘટના બને ત્યારે સરકાર તરફથી "વળતર" ની જાહેરાત થાય છે. આ પ્રકરણમાં ઉપર જણાવી એ ચારેય તત્ત્વોના ભ્રષ્ટાચારની બૂ આવે જ છે. છતાં નાગરિકો જાગૃત રહે તો સ્થિતિમાં ફેર તો લાવી શકાય છે. પણ હા, શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિવર્સિટીના કોઈ વિભાગમાં બેન્ચ અને બ્લેકબોર્ડ પાછળ કેટલો ખર્ચ થયો એવા મતલબની આરટીઆઈ કરનારા તત્ત્વોના ઇરાદા સારા નથી હોતા એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ. સુજિતભાઈ જેવી જાગૃતિ અન્ય લોકોમાં પણ ફેલાશે તો હાઇવે ઉપર ડિવાઇડર સાથે ચેડાં કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકનારા તત્ત્વો ઉપર લગામ લાવી શકાશે. જાગો...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 13, 2023

પત્રકારત્વની વિશ્વસનીયતાનો પડકાર – ન્યૂઝક્લિક કૌભાંડ

 


લાલ-લીલા ચશ્માં પહેરીને એજન્ડા ચલાવતા પત્રકારો 75 વર્ષથી પકડાતા નહોતા, પણ હવે રંગેહાથ પકડાયા છે. મીડિયાની આ એ જ ટોળકી છે જેને રાષ્ટ્રવાદ સામે વાંધો છે

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ગયા અઠવાડિયે આ સ્થળે હિંસાખોર ચીની માઓવાદીઓની વિસ્તારવાદી નીતિને ઉઘાડા પાડતાં એક પુસ્તક (કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ. લેખકઃ કુસુમલતા કેડિયા) વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારપછીના બે જ દિવસમાં ભારતીય મીડિયા અને ડાબેરીઓની અનૈતિક સાંઠગાંઠનો પુરાવો દુનિયા સમક્ષ જાહેર થયો. આમ તો આવી અનૈતિક સાંઠગાંઠ વિશેની વાત મેં મારા સંપાદિત પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં વિસ્તારથી કરેલી છે.

ખેર, અહીં મુદ્દો પત્રકારત્વનો અને લાલ-લીલા એજન્ડાનો છે. 2014 પછી રાષ્ટ્રવાદને થોડું થોડું મહત્ત્વ આપવા લાગેલા મીડિયા તેમજ અમુક પત્રકારોને ગોદી મીડિયા કહીને ઉતારી પાડનાર ટોળકી છેક 1950થી નહેરુ-ગાંધી ખાન-દાનની પૂંઠે ભરાઈને ચીની એજન્ડા ચલાવી રહી છે. રાષ્ટ્રવાદી મીડિયા અને રાષ્ટ્રવાદી પત્રકારો તો જનસંઘ કે ભાજપના જન્મ પહેલાં પણ હતા અને ભાજપ નહીં હોય ત્યારે પણ રહેશે, કેમ કે આવા મીડિયા અને પત્રકારો માટે રાષ્ટ્રહિતનું મહત્ત્વ હોય છે, કોઈ સંસ્થા કે રાજકીય પક્ષનું નહીં. જે સંસ્થા કે રાજકીય પક્ષ રાષ્ટ્રહિતની વાત કરતા હોય તેમને આવા મીડિયા તેમને મહત્ત્વ આપે એટલા માત્રથી એમને ગોદી મીડિયા કહીને ઉતારી પાડવા એ બદમાશ કાર્લ માર્ક્સની ગળથૂથી પીવાનું પરિણામ છે.

અગાઉ સોવિયેત સંઘ અને તેના વિઘટન પછી આજની તારીખ સુધી ચીની માઓવાદીઓના નાણાના જોરે ભારતમાં નક્સલવાદ ફેલાવવામાં બૌદ્ધિક સમર્થન આપી રહેલા શહેરી અસૂરો (અર્બન નક્સલો) વિવિધ મીડિયામાં પગદંડો જમાવીને બેઠેલા છે. આ વિશે રાષ્ટ્રવાદીઓએ અનેક વખત ચેતવણી આપી છે, પરંતુ ભારતીય સમુદાયની મુશ્કેલી એ છે કે પોતાના માણસોની વાત ઉપર વિશ્વાસ કરવો નહીં. બીજા, અર્થાત કોઈ વિદેશી કહે ત્યારે જ એ માનવાનું. તો હવે આવા ભારતીય સમુદાયના લાભાર્થે અમેરિકાના મીડિયા ન્યૂયોર્ક ટાઇમ્સે ભારતમાં ભારત-વિરોધી હિંસક એજન્ડા ચલાવનાર ન્યૂઝક્લિક નામની વેબસાઇટનાં કરતૂતો ઉઘાડા પાડી દીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, ન્યૂઝક્લિક વેબસાઇટ ચલાવનારા ભારતની અંદર ભારત વિરોધી અને ચીન તરફી એજન્ડા બેધડક ચલાવે છે અને એ માટેનું ભંડોળ અમેરિકાસ્થિત એક ધનિક નેવિલે રૉય સિંઘમ પૂરું પાડે છે. આ નેવિલે રૉય સિંઘમ ચીની સામ્યવાદી પક્ષના મીડિયા વિભાગ સાથે સીધી રીતે સંકળાયેલો છે. તેણે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ન્યૂઝક્લિકને રૂપિયા 32 કરોડ કરતાં વધુ આર્થિક સહાય કરી હોવાનું ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ કેસની હકીકત એ છે કે, પૂરા બે વર્ષ પહેલાં ભારતની આર્થિક અપરાધ વિરોધી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ ન્યૂઝક્લિકના શંકાસ્પદ પત્રકારત્વ અને તેના નાણાકીય સ્રોતો વિશે તપાસ કરી હતી, તેના મુખ્ય તંત્રી પ્રબીર પુરકાયસ્થના ઘરે તેમજ ન્યૂઝક્લિકની ઑફિસે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ જપ્ત થયેલા દસ્તાવેજોને આધારે સ્પષ્ટ થયું હતું કે, ભારત વિરોધી આ સમાચાર વેબસાઇટને અલગ અલગ સ્રોતો મારફત ચીન અને અમેરિકાસ્થિત ભારત વિરોધી ટોળકીઓ તરફથી કરોડો રૂપિયા મળી રહ્યા છે.

આ અઠવાડિયે ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ જાહેર થયા પછી કેટલાક રાષ્ટ્રવાદી ભારતીય મીડિયા સક્રિય થયા અને તેમણે રૉય સિંઘમ, ન્યૂઝક્લિકના વહીવટકર્તાઓ તેમજ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અર્થાત સીપીએમની વચ્ચે થયેલા ઇમેલ આદાન-પ્રદાનનું પગેરું શોધી કાઢ્યું. આ ઇમેલને આધારે દેશને વધુ એક વખત ખબર પડી કે ભારતના સામ્યવાદી પક્ષો આટલા દાયકા પછી હજુ આજે પણ ચીની એજન્ડા ચલાવી રહ્યા છે, તેમને ભારતના હિતોની કશી જ પડી નથી. ભારતને સામાજિક, આર્થિક નુકસાન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિ ખરાબ થાય એ જ સ્વપ્ન આ ડાબેરીઓ, શહેરી અસૂરો તેમજ તેમના આધારે ચાલતા ન્યૂઝક્લિક જેવા મીડિયા જોઈ રહ્યા છે. આ રાષ્ટ્ર-વિરોધીઓ માત્ર સ્વપ્ન નથી જોતા પણ એ માટે સતત સક્રિય છે.

ગુજરાતમાં પણ આવા તત્ત્વો આપણી આસપાસ જ છે. એ બધા શિક્ષણ ક્ષેત્ર, કલા ક્ષેત્ર, ફિલ્મ ક્ષેત્રમાં ગોઠવાઈ ગયેલા છે અને મીડિયામાં તો છે જ, જેમને ઓળખવાનું ખાસ અઘરું નથી. બીજા કોઈ કહે ત્યારે આપણી આંખ ઉઘડે તેના બદલે આ શહેરી અસૂરો, મીડિયામાં બેઠેલા ચીની એજન્ટોને કેવી રીતે ઓળખવા એ નાગરિકોએ જાતે જ શીખી લેવા જેવું છે. જેની એક સામાન્ય ટિપ એ જ છે કે, જે લોકો રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુત્વની મજાક ઉડાવે, હિન્દુ સંસ્થાઓ અને સંગઠનો વિશે બેફામ લખે કે બોલે ત્યારે સમજી લેવાનું કે એ ચીની નાણાને જોરે કૂદે છે. આવા શહેરી અસૂરોથી અને તેમના જેવા લોકોથી ભરાયેલા મીડિયાથી સાચા અર્થમાં બહિષ્કારની શરૂઆત કરવાની જરૂર છે. એ કેવી રીતે કરવું એ વિચારો ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 6, 2023

ચીન વિશે કેટકેટલી ભ્રમણા પાળીને બેઠી છે દુનિયા!

 


 કેટલા લોકો જાણે છે કે ચીનને ચીન બનાવવામાં કોઈ ચીનાની ભૂમિકા નથી? શું તમને ખબર છે કે મહાભારતમાં એવા પ્રદેશોનો ઉલ્લેખ છે જે હાલ ચીનમાં છે?

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

હિંસાખોર ડાબેરીઓ અને લૂંટારા અંગ્રેજોએ જે રીતે ભારતવર્ષના ઇતિહાસની ઘોર ખોદી નાખીને ભારતની અનેક પેઢીઓને સેક્યુલારિઝમનાં ટીપાં પીવડાવી નપુંસક બનાવી દીધી છે એવી જ રીતે એ લોકોએ મગતરાં જેવા ચીનની આગળ બિલોરી કાચ ધરીને તેને ડ્રેગન બનાવી દીધું છે. દુનિયા આજે ચીનને જે રીતે ઓળખે છે એ ચીન હકીકતે કોઈ મૂળ ચીની નાગરિકની દેન નથી પરંતુ લૂંટારુ અંગ્રેજ પ્રજાએ તેના બિભત્સ, છીછરા સ્વાર્થ માટે સર્જેલો એક ભૂમિ-પ્રદેશ છે અને ત્યાં તેમણે હિંસાખોર ડાબેરીઓને માનવજાતનું નિકંદન કાઢવાનું લાઇસન્સ આપી દીધું છે. આ એવી જ સ્થિતિ છે જેમાં બિચારી-બાપડી બની જતી અમુક પ્રજાતિ વિવિધ દેશોમાં શરણાગતિ લે અને પછી એ દેશ ઉપર કબજો જમાવવાનું ચાલુ કરી દે.

ચીનનું પણ આવું જ છે. ચીન નામ ભારતે આપેલું છે. મૂળ સ્થાનિક પ્રજા તો તેમના પ્રદેશને ઝુઆંગહુઆ કહે છે, જે સાવ ટચૂકડો પ્રદેશ હતો. મહાભારતકાળમાં ચીન એ હકીકતે ભારતના સેંકડો જિલ્લા પૈકી એક જિલ્લો હતો. ચીનનું જે વર્તમાન સ્વરૂપ છે તે લેખના પ્રારંભમાં કહ્યું તેમ તે સમયના સોવિયેત સંઘ અને પશ્ચિમી દેશોએ ઘડેલું સ્વરૂપ છે.

આ બધું વાંચીને હસવું આવે છે અથવા આશ્ચર્ય થાય છે?

ખેર, જે કંઈ થતું હોય તે. તમારે ખરેખર જો સમાધાન મેળવવું હોય તો કુસુમલતા કેડિયા લિખીત કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ પુસ્તક વાંચવું જોઇએ. આ પુસ્તક કોઈ નવલકથા નથી કે પછી લેખિકાની કોઈ કલ્પનાશીલતાનું પુસ્તક નથી, પરંતુ નક્કર હકીકતો, ઐતિહાસિક તથ્યો ઉપર આધારિત પ્રમાણભૂત પુસ્તક છે. લેખિકાએ પાને-પાને ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને પુરવાર કર્યું છે કે, પ્રાચીન સમયમાં આવો કોઈ દેશ હતો જ નહીં. છેક ઉત્તર છેડે એક સાવ નાનો પ્રદેશ હતો જ્યાં ભારતીય મૂળના બૌદ્ધ સમુદાયના લોકો જઇને વસ્યા હતા. પરંતુ 17મી-18મી સદીમાં કુસ્તિત અંગ્રેજો અને હિંસાખોર ડાબેરીઓએ છેક ત્યાં સુધી ઘુસણખોરી કરીને શાંતિપ્રિય પ્રજામાં ભાગલા પાડ્યા, પ્રજામાં તેમનામાં સ્થાનિક આગેવાનો પ્રત્યે ઝેર ઘોળ્યું અને એ રીતે વિશ્વયુદ્ધમાં ત્યાંના અમુક સમુદાયોનો સાથ મેળવી લીધો. વિશ્વયુદ્ધ પછી ચીની પ્રદેશના લાલચુ-સ્વાર્થી આગેવાનોને પોતે ઇચ્છે એ રીતે વિસ્તારવાદનો એજન્ડા ચલાવવાની છૂટ આપવામાં આવી. અંગ્રેજો અને ડાબેરીઓના આ બધાં પગલાં પાછળ દેખીતી રીતે ભારત અને હિન્દુત્વ વિરોધી માનસિકતા હતી.

પુસ્તકમાં એવું ચોંકાવનારું સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે કે, છેક 1954 સુધી ચીન પાસે તેના પોતાના પ્રાચીન ઇતિહાસના કોઈ પ્રમાણ જ ઉપલબ્ધ નહોતા. આવા પ્રમાણભૂત પુસ્તક પછી હવે ભારતીયોને તથા દુનિયાને ખ્યાલ આવવો જોઇએ કે, હા વાત તો સાચી છે કે ચીન તેનો પ્રાચીન ઇતિહાસ કે પ્રાચીન વારસો બતાવી શકે એવું કશું જ તેની પાસે નથી. પ્રાચીનતાના નામે જે કંઈ દર્શાવવામાં આવે છે તેમાં હિન્દુત્વ અને બૌદ્ધવાદની છાંટ દેખાયા વિના રહેતી નથી.

તો પછી આટલો વિશાળ પ્રદેશ ચીન કેવી રીતે બન્યો? દુનિયાના કયા દેશના લોકો એ પ્રદેશમાં ક્યારે પહોંચ્યા? ખ્રિસ્તી મિશનરીઓએ ક્યારે અને કેવી રીતે ત્યાં પગપેસારો કર્યો અને કેવી રીતે ત્યાંની પ્રાચીન ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવામાં ભૂમિકા ભજવી? અંગ્રેજો અને હિંસાખોર માર્ક્સવાદીઓએ કેવી રીતે સ્થાનિક સમુદાયોની પરંપરાઓને નષ્ટ કરી અને કેવી રીતે હિંસક ડાબેરી માનસિકતાનો ફેલાવો કર્યો? હિંસક માનસિકતા ધરાવતો માઓ કેવી રીતે સત્તા પર આવ્યો અને તેમાં કોણે કોણે કેવી રીતે મદદ કરી? માઓએ સત્તા કબજે કર્યા પછી કેટલા લાખ લોકોની હત્યા કરી હતી?

આ પ્રશ્નોના સાચા, પ્રમાણભૂત જવાબો જાણવા હોય તો હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ સૌએ વાંચવું જ રહ્યું. આ પુસ્તક વાંચ્યા પછી છેલ્લા સાત દાયકામાં ભારતીય મીડિયા, ભારતીય રાજકારણીઓ, શહેરી અસૂરો (અર્બન નક્સલો) વગેરેએ ચીન વિશે જે ચિત્ર ઊભું કર્યું છે તેની વાસ્તવિકતા તરત જ સમજાઈ જશે એ નક્કી છે. તમે સૌ વાંચો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, July 16, 2023

મીડિયા અને અર્બન નક્સલીઓ પાસે તટસ્થતાની અપેક્ષા?

 


વારંવાર હલાલાનો લાભ લઇને ક્યારેક રાષ્ટ્રવાદી તો ક્યારેક સેક્યુલર બની જતા નીતિશકુમારનું બિહાર પણ હવે ભાજપ માટે જીવલેણ બની રહ્યું છે. દેશમાં કોઈ જગ્યા હિન્દુઓ માટે સલામત બચશે ખરી?

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

અષાઢ વદ, 11 (13-07-2023)ને ગુરુવારે બિહારમાં વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ભાજપના નેતાઓ ઉપર બિહાર પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાજપના એક નેતાનું અવસાન થયું. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ પછી હવે બિહારનો પણ એ યાદીમાં સમાવેશ થયો છે જ્યાં ભાજપના નેતાઓ સલામત નથી. અગાઉ ત્રિપુરામાં હિંસક-ડાબેરીઓનું શાસન હતું ત્યારે ત્યાં પણ એવી જ સ્થિતિ હતી. વિવિધ રાજ્યમાં ભાજપના નેતાઓની આવી હત્યા બાદ અનેક રાષ્ટ્રવાદી, સનાતની વિદ્વાનો, પત્રકારો, લેખકો એવા ટોણા મારતા હોય છે કે, -- "જૂઓ ભાજપના નેતાની હત્યા થાય છે પરંતુ કહેવાતા તટસ્થ મીડિયા કશું બોલતા નથી!"

મુદ્દો એ છે કે, તટસ્થ મીડિયા તમારી તરફેણમાં શા માટે બોલે? તમે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મીડિયા તટસ્થ છે એવું તમે માની લીધું છે, એ લોકો પોતે તો કદી એવું માનતા જ નહોતા. એમનો એજન્ડા પહેલેથી જ મિશનરીઓ તરફી, જેહાદીઓ તરફી હતો. એમને આ એજન્ડા ચલાવવા માટે આ બંને ઉપરાંત ડાબેરીઓ તેમજ અર્બન નક્સલી તત્વો તરફથી ચિક્કાર નાણા મળે છે... તો પછી એ તમારી વિચારધારાના નેતાઓની હત્યા અંગે શા માટે શોક વ્યક્ત કરે?

મુદ્દો એ છે કે, વિદેશી-ભંડોળના જોરે ભાજપ-સંઘ-વિહિપ-બજરંગ દળ વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયા કે બીજા એવા કોઇપણ તત્વો તમારી તરફેણમાં બોલે એવી અપેક્ષા રાષ્ટ્રવાદીઓએ, સનાતનીઓએ શા માટે રાખવી જોઇએ? તમે આવી અપેક્ષા રાખો છો એનો અર્થ એ છે કે તમને મિશનરી જેહાદી ડાબેરી - કોંગ્રેસી સાંઠગાંઠ અને કાવાદાવા વિશે પૂરી જાણકારી નથી!

આ ચારેય પરિબળો ઓછામાં ઓછી એક સદીથી સનાતની સંસ્કૃતિને ખતમ કરવા લાકડી, હથોડી, પાવડા, કોદાળી, તલવારો, છરી-ચાકુ, પિસ્તોલ, બંદૂક, બોંબ - બધાનો ઉપયોગ કરી રહ્યા છે. એ સાચું કે તમારી આંખ ઉઘડેલી છે એટલે જ તમે આવી અપેક્ષા રાખો છો કે તમારી ઉપર, અથવા તમારાં ધર્મસ્થાનો ઉપર અથવા તમારા નેતાઓ ઉપર હુમલા થાય ત્યારે કહેવાતા તટસ્થ લોકો તમારી તરફેણમાં એકાદ નિવેદન કરે. પણ આવી અપેક્ષા રાખવી એ વાંઝણી વિચારણા છે. દરેકે દરેક શાળા-કૉલેજ, કળા સંસ્થાઓ, મીડિયા ગૃહો સહિત કલ્પના કરી ન હોય એવી જગ્યાઓ પર અર્બન નક્સલીઓ અડ્ડો જમાવીને બેસી ગયેલા છે. સ્વીકારી લો કે આ તત્વો કદી તમારો પક્ષ લેવાના નથી.

ઝેર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણું મૃત્યુ ન થાય, વીંછી પાસે અપેક્ષા રાખવી કે એ આપણને ડંખ ન મારે, વીજળીના જીવતા તાર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણને કરંટ ન લાગે... બસ આવી જ અપેક્ષાઓ સનાતની વિદ્વાનો તથા અન્ય સામાન્ય નાગરિકો પણ ઉપર જણાવ્યા એ ચાર પ્રકારનાં તત્વો પાસે રાખે છે, અને એટલે જ એવી અપેક્ષા વાંઝણી છે, એ કદી ફળીભૂત થવાની નથી.

આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે, તો પછી શું કરવું?

જવાબ એ જ છે, રસ્તા ઉપર ઉતરો. ના, હિંસા કરવા નહીં પરંતુ એકતા દર્શાવવા. પ્રચંડ માત્રામાં રસ્તા ઉપર ઉતરશો અને સંખ્યાબળ દર્શાવશો તો જ ઉપર જણાવી એ ચાર ચંડાળોની ટોળી અને તેમને હવા આપનાર મીડિયા તમારી નોંધ લેશે.

કેરળમાં વર્ષોથી ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યમાં હિન્દુઓ રસ્તા ઉપર ઉતર્યા

તમિલનાડુમાં મંદિરો પર આક્રમણ થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યોના સનાતનીઓ, સાધુઓ, મહંતો કે કથાકારો રસ્તા ઉપર ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ ભાજપના સમર્થક સામાન્ય નાગરિકો રહેંસાઈ રહ્યા છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યના ભાજપ-સંઘના નેતાઓ, હિન્દુવાદી કાર્યકરો, રાષ્ટ્રવાદી નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા

હિન્દુઓને સડક ઉપર ઉતરીને સંખ્યબળ બતાવવાની વાત ગળે ઊતરતી જ નથી અને એ જ સૌથી મોટી ફૉલ્ટલાઇન છે. સંખ્યાબળ નહીં દર્શાવો ત્યાં સુધી કોઈ ભોજિયોભઈ પણ તમારી નોંધ લેશે નહીં, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ડાબેરીના ફંડથી ચાલતા, ડાબેરી-પ્રેરિત, જેહાદી-મિશનરી શિક્ષણ મેળવીને આપણી તમામ વ્યવસ્થા, આપણી તમામ સંસ્થાઓમાં ઘૂસી ગયેલા લોકો કદી આપણો પક્ષ લેશે એવી અપેક્ષા રાખવી એ તો ઝેરને અમૃત માનીને તેની સામે મોં વકાસીને બેસી રહેવા જેવી વાત છે. દુર્યોધન કે રાવણ કદી સુધરવાના હોત તો સુદર્શનધારી શ્રીકૃષ્ણ કે પછી ધનુર્ધારી શ્રીરામ કદી મહાભારત કે રામાયણ થવા જ ન દેત! આટલી સરળ વાત સમજીને કમ-સે-કમ સંગઠન બતાવવા માટે રસ્તા ઉપર નહીં ઉતરો ત્યાં સુધી કપાતા રહેશો, ઘટતા રહેશો અને નષ્ટ થઈ જશો. કોઈ નહીં બચાવી શકે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!