Tuesday, August 23, 2022

અનેક દાયકાથી ઉપેક્ષિત સુકીભઠ્ઠ ધરતી લીલીછમ કેવી રીતે થઈ?


-- માતા ગંગાની જેમ શિવગંગાને સાકાર કરવાનું કામ કોણ કરી રહ્યું છે

-- ગુજરાતની સરહદ નજીક ઝાબુઆમાં આદિવાસીઓએ કેવી રીતે કરી હરિત-ક્રાંતિ?

 n  અલકેશ પટેલ

 ગુજરાતની પૂર્વ સરહદ નજીક મધ્યપ્રદેશમાં ઝાબુઆ જિલ્લામાં એક શાંત ક્રાંતિ થઈ રહી છે. આ ક્રાંતિનાં શસ્ત્રો છે પાવડા અને કોદાળી. આ ક્રાંતિનું ધ્યેય છે લીલીછમ ધરતી. આ ક્રાંતિનું પરિણામ છે જમીનમાં પાણીનો ભરપૂર સંગ્રહ. આ ક્રાંતિનાં ફળ મળી રહ્યાં છે આદિવાસી યુવાનોને ઘર આંગણે જ રોજગારીના અવસર રૂપે. - આ છે ઝાબુઆના આદિવાસીઓએ, અન્ય ગ્રામ્ય પ્રજાએ કરેલી હરિત-ક્રાંતિ.

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદ નામે એક સંસ્થા આ હરિતક્રાંતિની સૂત્રધાર છે. આ સંસ્થા – જલ, જંગલ, જમીન, જાનવર અને જળ – એમ આદિજાતિઓ માટે પાયાના દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે.

આ સુકાભઠ પ્રદેશને હરિયાળો કરવા માટેના પ્રયાસ 2007માં શરૂ થયા હતા. બન્યું એવું કે, મહેશ શર્મા આદિવાસી વિસ્તારોની સામાજિક – આર્થિક સ્થિતિ વિશે અભ્યાસ કરવા 1998માં ઝાબુઆ પહોંચ્યા. ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, યુવાનોને મળ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે એ પ્રદેશના લોકોની સૌથી મોટી ફરિયાદ પાણીની અછતની છે. આ અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત સ્થાનિક આદિવાસી અગ્રણી હર્ષ ચૌહાણ સાથે થઈ. બંનેએ સાથે મળીને ઝાબુઆની પાણીની સમસ્યા હલ કરવા માટે મનોમંથન કર્યું અને તેમાંથી શિવગંગા યોજનાનો વિચાર આવ્યો.

પાણી સિવાય પણ ઝાબુઆ ક્ષેત્રની બીજી અનેક સમસ્યાઓ જેવી કે, આરોગ્ય, શિક્ષણ, આદિવાસી મહિલાઓનું સ્વાસ્થ્ય જેવા પ્રશ્નો પણ હતા. એ લોકોને ચોમાસા સિવાયના સમયમાં રોજગારી માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડતું હતું. આવા સ્થળાંતરને કારણે પરિવારો જૂદા પડી જતા એટલું જ નહીં પરંતુ અન્ય સ્થળોએ તેઓ તેમની પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનું જતન કરી શકતા નહોતા. તકોના અભાવે યુવાનો પણ હતાશ થઈ રહ્યા હતા.

આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા બંને કર્મશીલોએ શિવગંગા સમગ્ર ગ્રામીણવિકાસ પરિષદની રચના કરી જેથી અલગ અલગ સમસ્યાઓનો અલગ અલગ માધ્યમ દ્વારા ઉકેલ લાવી શકાય. તેમણે ઝાબુઆ જિલ્લાના 800 ગામમાં એક નેટવર્ક ઊભું કર્યું અને તેના દ્વારા ગામ તળાવો, ખેત તળાવો, નાના-મોટા કદના પાણીના કુંડ બનાવવાની કામગીરી સ્થાનિક આદિવાસીઓ તેમજ યુવાનો અને મહિલાઓની મદદથી શરૂ કરી.

પાણીનો સંગ્રહ શરૂ થયા પછી ખેતી માટે ચોમાસા સિવાય પણ પાણી મળી રહેવાની સુવિધા ઊભી થતાં તેમણે ગામડાંની નજીક જંગલો ઉગાડવાની યોજના બનાવી. આ માટે ખેડૂતો સાથે વાત કરી અને તેઓ જમીન આપવા તૈયાર થયા. ઝાબુઆ જિલ્લાના આદિવાસીઓ જંગલોમાં જ રહેતા હતા પરંતુ વિકાસની દોડમાં એ જંગલોનો નાશ થતા તેમનું પરંપરાગત જીવન ખોરવાઈ રહ્યું હતું. એ જંગલોને આદિવાસીઓ માતાવન તરીકે ઓળખતા હતા. મહેશભાઈ અને હર્ષભાઈએ નવેસરથી ગામડાંઓની નજીક જંગલો ઉગાડવાની જે યોજના બનાવી તેનું નામ માતાવન જ રાખ્યું જેથી આદિવાસીઓને એ પોતીકું લાગે.

સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગની તાલીમ તથા અન્ય સહાય આપવામાં આવી રહી છે જેને કારણે આ વિસ્તારમાં ખેતીની ઉપજ અને ખેડૂતોની આવક બંનેમાં વધારો થયો છે.

આમ કરતાં કરતાં ઝાબુઆનો આદિવાસી સમૂહ ફરી એકત્રિત અને સંગઠિત થતો ગયો એટલે તેમના માટે સ્થાનિક સ્તરે જ રોજગારીના અવસર ઊભા કરવામાં આવ્યા. સંસ્થા દ્વારા સ્થાનિક યુવાનોને વાંસમાંથી વિવિધ ચીજો બનાવવા સહિત અન્ય રોજગારલક્ષી તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે.

શિવગંગાનો આ ઉપક્રમ સમગ્ર આદિવાસી સમાજ માટે હોવાથી સ્વાભાવિક રીતે જ મહિલાઓ તેમજ કિશોરીઓને તેમાં જોડવામાં આવી છે. આ વિસ્તારમાં હાલ અનેક યોજનાનું નેતૃત્વ મહિલાઓને સોંપવામાં આવ્યું છે. તેની સાથે સાથે કિશોરાવસ્થાની દીકરીઓને પણ શિક્ષણ સહિત વિવિધ તાલીમ કાર્યક્રમોમાં સામેલ કરીને તેમને સક્ષમ બનાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં તેઓ સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે.

આ ક્ષેત્રના સમુદાયો સાથેની વાતચીત દરમિયાન સંસ્થાના સંચાલકોને ધ્યાનમાં આવ્યું કે, આરોગ્યના પ્રશ્નો ચિંતાજનક છે. જંગલ વિસ્તાર હોવાથી ક્વૉલિફાઈડ ડૉક્ટરો અહીં પ્રેક્ટિસ કરતા નથી. આ કારણે સંસ્થાએ પોતે આ બાબતમાં ધ્યાન આપ્યું અને સાથે દરેકના ઘરાના આંગણાંમાં જડીબુટ્ટીઓના છોડ અને વૃક્ષો ઉગાડવાનો પ્રયોગ પણ શરૂ કર્યો. સંસ્થાના સંચાલકો જણાવે છે કે, જડી-બુટ્ટીઓના છોડ-વૃક્ષોના પ્રયોગ બાદ આશ્ચર્યજનક પરિણામ મળ્યાં છે. આદિવાસી પરિવારોમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ ઘટી ગઈ છે એટલું જ નહીં પરંતુ તેનું બીજું એક પરિણામ એ પણ આવી રહ્યું છે કે વૃક્ષો પર ઊગતી વધારાની જડીબુટ્ટીઓ વેચીને પરિવારો આવક પણ કરી રહ્યા છે.

શિવગંગા કાર્યક્રમની સાથે સાથે આદિવાસીઓની હજારો વર્ષ જૂની હલમા પરંપરા પણ પુનઃજીવિત થઈ છે. હલમા એક એવી પરંપરા છે જેમાં કોઇપણ આદિવાસી પરિવારને એવી મદદ જોઈતી હોય જેમાં શારીરિક શ્રમની આવશ્યકતા હોય, પરંતુ એ કામગીરી વ્યવસાયી રીતે કરાવી શકાય એવી નાણાકીય સ્થિતિ ન હોય ત્યારે તે પોતાના સમુદાયને હાકલ કરે અને સમુદાય લોકો એકઠા થઇને સામુહિક રીતે એ પરિવારની જરૂરિયાતનું કામ કરી આપે. હલમાની આવી કામગીરી માટે એકઠા થતા આદિવાસીઓ ભોજન પોત-પોતાના ઘરેથી જ લઇને આવે અને જરૂરિયાતમંદ વ્યક્તિનું કામ કરીને એ માટે કોઈ ફી લીધા વિના હસતાં હસતાં પોતપોતાના ઘરે પરત ફરી જાય.

શિવગંગાના સંચાલકોને આ પરંપરાની જાણ થઈ ત્યારે તેમણે એ લુપ્ત થઈ ગયેલી પરંપરાને પુનઃજીવિત કરી. હકીકતે ગામોની આસપાસ તળાવો બનાવવા, માતાવન વિકસાવવા જેવાં કામો હાલ આ હલમા પરંપરા દ્વારા જ થઈ રહ્યા છે.

સંસ્થા દ્વારા શહેરી યુવાનો માટે ફેલોશિપ કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે જેના હેઠળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવા ઈચ્છુક યુવાન-યુવતીઓ ઝાબુઆમાં શિવગંગા સંસ્થા સાથે મળીને પ્રત્યક્ષ કામગીરીનો અનુભવ અને તાલીમ લે છે.

 આ સંસ્થા વિશે વધુ જાણકારી માટે નીચેના સરનામે સંપર્ક કરી શકાયઃ-

Indore Office :
Shivganga Samagra Gramvikas Parishad

50 A Lokmanya Nagar Extension,
Indore – 452009
Ph: 9406922130

 ------------------

Dharampuri Gurukul :
Shivganga Samagra Gramvikas Parishad Gram – Dharampuri,

Gram Panchayat- Charoli Pada
Dist – Jhabua – 4576611
Ph: 9588296068

----------------

Mail Address

Contact@shivgangajhabua.org

Sunday, August 21, 2022

“કટ્ટર ભ્રષ્ટાચારીઓ” વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે, બધાનો નંબર આવશે

આ દેશ એટલો કમનસીબ છે કે અહીંના નાગરિકો ભ્રષ્ટાચારને ગંભીર મુદ્દો નથી ગણતા! છતાં હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાશે એવી આશા બંધાઈ છે, કેમ કે લડાઈ માટેનું બ્યુગલ નરેન્દ્ર મોદીએ ફૂંક્યું છે—પરિણામ તો અવશ્ય દેખાશે

=============

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

ખરેખરા ઇમાનદાર હોય એમણે કટ્ટર ઇમાનદારનાં પ્રમાણપત્રો જાતે તૈયાર કરવાં નથી પડતાં. સાચા દેશભક્ત હોય એમણે કટ્ટર દેશભક્તનાં પ્રમાણપત્રો જાતે વહેંચવા નીકળવું નથી પડતું. પણ આજે આ દેશમાં આવું થઈ રહ્યું છે—કમનસીબે.

આવું થાય છે એનાં બે કારણ છે. એક તો ભ્રષ્ટાચારીઓ ઉપર જનોઈવઢ પ્રહાર થઈ રહ્યો છે અને બીજું, સનાતન સંસ્કારના બળે સત્તા પર આવેલી રાજકીય વિચારધારાનાં મૂળિયાં જ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલાં છે અને તેને પરિણામે અન્ય તમામ રાજકીય પક્ષોમાં રહેલા ભારત-તોડો પરિબળો (બ્રેકિંગ ઈન્ડિયા તત્વો) સત્તા વિના એવી છટપટાહટ અનુભવી રહ્યા છે જાણે પાણી વિનાની માછલી!

દેશભક્તિ કે રાષ્ટ્રવાદની વાત પછી ક્યારેક કરીશું, પરંતુ આજે ભ્રષ્ટાચારની વાત કરીએ. એનું કારણ એ છે કે, 15 ઑગસ્ટે વડાપ્રધાને પોતે લાલ કિલ્લા પરથી એવું નિવેદન કર્યું કે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી લડાઈ લડવા જઈ રહ્યો છું અને તેમાં દેશના નાગરિકોનો સાથ જોઇશે. આ વાંચનાર ઘણાને થશે કે, એમાં શું? આવું તો દરેક સરકાર અને દરેક વડાપ્રધાન કહેતા રહ્યા છે, છતાં આજ સુધી કોઈ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શક્યું નથી. પણ એવું વિચારનાર એક વાત ભૂલી જાય છે કે, ઉપરનું નિવેદન કરનાર નરેન્દ્ર મોદી છે. કમ સે કમ છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ તો એ વાતનો પુરાવો છે કે, નરેન્દ્ર મોદીએ ગંભીરતાથી – ભારપૂર્વક કોઈ નિવેદન કર્યું હોય તો પછી એનું પરિણામ આવે જ છે.

કોંગ્રેસનું એક લક્ષણ સારું છે કે એ પોતે જે નથી એ માટેના દાવા ગળા ફાડીને કરતા નથી. જેમ કે કોંગ્રેસે એવું કદી કહ્યું નથી કે તેમના પક્ષમાં કોઈના ઉપર ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો નથી. એ જ રીતે કોંગ્રેસે રાષ્ટ્રવાદ વિશે પણ કદી કોઈ દાવા નથી કર્યા. પરંતુ એથી વિરુદ્ધ અમુક રાજ્યોમાં કોંગ્રેસનું સ્થાન લઈ રહેલી (અથવા કહો કે કોંગ્રેસ દ્વારા જ સામે ચાલીને જેમને પોતાનું સ્થાન આપવામાં આવી રહ્યું છે એવી) આમ આદમી પાર્ટી જાતે જ પ્રામાણિકતા અને રાષ્ટ્રવાદનાં પ્રમાણપત્રો છાપવાનું અને છાપાંઓમાં એ છપાવવાનું – ટીવી ઉપર પ્રસારિત કરવાનું કામ કરે છે.

અને તેમ છતાં કર્મ કોઇને છોડતું નથી. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના અને પંજાબના આરોગ્ય પ્રધાનો ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. કેજરીવાલની પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ગમે ત્યારે ધરપકડ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે (શક્ય છે કે આ લેખ તમારા હાથમાં આવે ત્યારે કદાચ ધરપકડ થઈ પણ ગઈ હોય અથવા તૈયારી હોય). કેજરીવાલની પાર્ટીના દિલ્હીના કેટલાક કોર્પોરેટર હિન્દુ વિરોધી કોમી તોફાનોના કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે.

નરી આંખે જોઈ શકાય એવી, સાવ સામાન્ય માણસ પણ સમજી શકે એવી ઘટનાઓ બની રહી હોવા છતાં ગુજરાતમાં કેટલાક મફતના લાલચુઓ જેમ ગંદકી ઉપર માખો બણબણે એમ એની આસપાસ ફરી રહ્યા છે. અને તેમાંય હદ તો ત્યારે થઈ જ્યારે એક ભૂતપૂર્વ ટીવી એન્કરે કેજરીવાલના જન્મદિવસે પ્રમાણભાન ભૂલી જઇને ભાટાઈની તમામ હદ વટાવી દીધી! એ ભૂતપૂર્વ એન્કરે એક હોટેલ રૂમમાં 50 માણસોની જંગી મેદનીને સંબોધતાં એવું નિવેદન કર્યું કે, ભારતમાં પાપ વધી ગયા છે એટલે કેજરીવાલ જેવા મહામાનવે જન્મ લીધો છે. ઓત્તારી... પાછા એ ભૂતપૂર્વ એન્કર ત્યાંથી અટક્યા નહીં પણ આ બાબતનું ટ્વિટ પણ ઠપકારી દીધું!

ખેર, જેવી જેની મતિ. અહીં મુદ્દો ભ્રષ્ટાચારનો છે. પત્રકાર તરીકે અને ટીવી એન્કર તરીકે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કથાઓ કરવી અને પછી બે-ચાર હજાર લાઇક મળે એટલે પોતે ગુજરાતમાં સૌથી લોકપ્રિય છે એવું માની લઇને સદંતર અપ્રામાણિક, રાષ્ટ્રદ્રોહી લોકોના ખોળામાં જઇને બેસી જવું એ બાબત વિશ્વસનીયતાનો ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. જે વ્યક્તિ પોતાનાં બાળકોના સોગંદ ખાધા પછી પણ રાજકારણમાં આવે, જે વ્યક્તિ ભગવાન શ્રીરામના જન્મસ્થળે હોસ્પિટલ અને સ્કૂલ બનાવવાની વાતો કર્યા પછી મંદિર નિર્માણ શરૂ થાય ત્યારે ત્યાં જઇને ભગવા ખેસ પહેરે ત્યારે એ કઈ હદની છેતરપિંડી હશે અને આવા માણસો ભવિષ્યમાં આ દેશની શું દશા કરશે એ ખબર ન પડતી હોય એવી પ્રજા પોતે તો ગુલામ બનતી જ હોય છે પરંતુ તેમના પાપે અન્ય દેશવાસીઓએ પણ ગુલામી સહન કરવી પડતી હોય છે. 800-1000 વર્ષનો ઈતિહાસ આવા જયચંદો ઉર્ફે કેજરીવાલોને આભારી હતો – બસ એટલું ધ્યાન રાખજો વ્હાલા ગુજરાતીઓ! તો... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 14, 2022

75 વર્ષ પહેલાંનું એ વિભાજન ધર્મ આધારિત હતું...એ ન ભૂલશો

 


1947માં ભારતના વિભાજનને બદમાશ સેક્યુલરવાદીઓ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો-ની નીતિ ઉપર ઢોળી દે છે, પરંતુ આ સત્ય નથી. સેક્યુલર અપરાધીઓ જે રીતે ત્રાસવાદને છાવરે છે એ જ રીતે વિભાજનને છાવરે છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

75 વર્ષ વીતી ગયાં છે. હવે કશું જ પહેલાં જેવું થવાનું નથી, કમ સે કમ હજુ થોડી સદી સુધી તો નહીં જ. છતાં એ દિવસો ભૂલવા ન જોઈએ, બલ્કે સાચી વિગતો દરેક ભારતવાસીએ જાણવી જોઇએ. આ જ ઉદ્દેશથી નરેન્દ્રભાઈ મોદીએ 14 ઑગસ્ટને વિભાજન વિભીષિકા દિવસ જાહેર કર્યો. આજે, 14 ઑગસ્ટ, 2022ના રોજ પ્રથમ વિભાજન વિભીષિકા દિવસ છે.

નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ કોઈ વૈનસ્ય ફેલાવવાનો નથી જ. તે એક રાજપુરુષ છે પણ સાથે પોતાના મૂળ સંસ્કાર સાથે મજબૂત રીતે જોડાયેલા છે. તેઓ માત્ર એટલું જ ઈચ્છે છે કે વિભાજનના દિવસોમાં જે કંઈ થયું તેની સાચી જાણકારી, સાચી વિગતો હિન્દુઓ અને મુસ્લિમો બધા જ જાણે. અત્યાર સુધી સેક્યુલર અપરાધીઓએ આ દેશ સાથે અને એ રીતે સમગ્ર દુનિયા સાથે બહુ મોટું છળ કર્યું છે. ભારતના ભાગલા ધાર્મિક આધાર ઉપર જ હતા તેમ છતાં સેક્યુલર અપરાધીઓ હજુ આજે પણ એવી વાર્તાઓ કરી રહ્યા છે કે, એ બધું અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો-ની નીતિને કારણે થયું હતું.

સેક્યુલર અપરાધીઓનું આ સૌથી મોટું જૂઠાણું છે અને આજે, બલ્કે આજથી દરેક રાષ્ટ્રવાદી ભારતીય નાગરિકે એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઇએ કે વિભાજન ધર્મ આધારિત હતું. અને જો હજુ સાવધાન નહીં રહો તો ભવિષ્યમાં એવી સ્થિતિ આવી જ શકે છે. કાશ્મીર ફાઈલ્સ એનું ઉદાહરણ છે. સાચું જાણશો તો બચી શકશો. તો આજથી જ એ સત્ય જાણવાની શરૂઆત કરો. આપણા એક સુપ્રસિદ્ધ લેખક કિશોર મકવાણાએ ભારતના ભાગલાની ભીતરમાં પુસ્તકમાં અનેક ઐતિહાસિક સંદર્ભો સાથે સાબિત કર્યું છે કે, 1947ના ભાગલા ધર્મ આધારિત જ હતા. અહીં પ્રસ્તુત છે તેમના પુસ્તકની પ્રસ્તાવનાના અંશો...

ભારત આઠસો વર્ષ વિદેશી આક્રમકોના પગતળે કચડાતું રહ્યું. પહેલા વિદેશી ઇસ્લામી આક્રમકો અને એ પછી અંગ્રેજ આક્રમકોએ એને રગદોળ્યું. આઠસો વર્ષ સુધી ભારતના પરાક્રમી વીરો ભારતભૂમિને વિદેશીઓની નાગચૂડમાંથી મુક્ત કરવા ઝઝૂમતા રહ્યા. આપણાં દેશનું કોઈપણ સ્થળ એવું નહીં હોય જ્યાં ભારતમાતાના કોઈ સપૂતોએ યોગદાન આપ્યું ના હોય, બલિદાન આપ્યું ન હોય.

એ કેવળ સ્વતંત્રતા આંદોલન જ નહોતું, સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાનું જાગરણ પણ હતું. પહેલું આક્રમણ મોહંમદ બિન કાસિમે ભારતભૂમિના ગાંધાર પર સાતમી સદીમાં કર્યું. એ પછી તો સતત ઇસ્લામી આક્રમકોના ધાડેધાડાં આ દેશ પર આક્રમણ માટે આવતા રહ્યા. સત્તરમી સદીમાં અંગ્રેજ આક્રમકો નવા સ્વરુપે આવ્યા. આ દેશ હિન્દુનો છે એટલે એ પોતાની પ્રિય માતૃભૂમિને વિદેશી આક્રમકોની નાગચૂડમાંથી મુક્ત કરવા સાતમી સદીથી લઇ 15 ઓગસ્ટ, 1947 સુધી લડતો રહ્યો, સંઘર્ષ કરતો રહ્યો.

પ્રત્યેક સંગ્રામ અને સંઘર્ષો જુઠ્ઠાણા સામે સત્યની પ્રબળ ઘોષણા હતા, જે ભારતની સ્વતંત્રતાના જુસ્સાની સાક્ષી પૂરે છે. આ સંઘર્ષોએ એવી જ જાગૃતિ અને જુસ્સો લાવી દીધો હતો, જે શ્રી રામે રાવણ સાથેના યુદ્ધમાં, શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં અને હલ્દીઘાટીના યુદ્ધમાં વીર મહારાણા પ્રતાપની ત્રાડથી ઉદભવ્યો હતો.

અંતે 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારત એક હજાર વર્ષ પછી ગુલામીમાંથી મુક્ત થયું. પરંતુ સ્વતંત્રતાની સાથેસાથે ભારતની જ ધરતી પર પાકિસ્તાન નામના દેશનું સર્જન થયું. ભારતના ભાગલા કેવી રીતે થયા? ભાગલા માટે કોણ જવાબદાર? કોણે-કોણે ખલનાયકની ભૂમિકા ભજવી? આવા અનેક સવાલો આજે પણ જનમાનસમાં ઊઠ્યા કરે છે અને સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે ફરી આ સવાલોની પણ ચર્ચા તો થવાની જ છે.

ભારતવર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે મનાવવાની એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. એ સંદર્ભે ગેઝેટ પણ પ્રસિદ્ધ કર્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું:

આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે મનાવવામાં આવશે. દેશના ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણાં લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને અનેકે જીવ પણ ગુમાવ્યા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભિષિકા સ્મરણ દિવસતરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા તો આપશે જ, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આ વાતમાં ભારોભાર ઐતિહાસિક તથ્ય છે. ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઊજવણીનો અમૃત મહોત્સવપ્રારંભ થઇ ગયો છે, ત્યારે સ્વતંત્ર થતાંની સાથે ભારતના ભાગલા કેમ થયા અને કોણે કર્યા તેનું વિશ્લેષણ થાય તે પણ જરૂરી છે.

15મી ઓગસ્ટે દેશ સ્વતંત્ર તો થયો, પણ 14 ઓગસ્ટે ભારતના ફાડિયા કરી નાખવામાં આવ્યા ને ભારતની જ ધરતી પર આતંક-નફરતથી ભરપૂર એવો પાકિસ્તાનનામનો દેશ પેદા થયો. આખરે એવું તે શું થયું કે દેશના ભાગલા કરવા પડ્યા? લાખો લોકોની કતલ કરવામાં આવી, હજારો બહેન-બેટીઓને ઉપાડી જઈ એમના શીલભંગ કરવામાં આવ્યા, નાના-નાના ભૂલકાને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા? આ સવાલો પ્રત્યેક ભારતીય માટે મનોમંથન માગી લે તેવા છે, એટલે જ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસમનાવવો રાષ્ટ્ર માટે બહુ જરૂરી હતો, જેથી દેશની પ્રજા જાણી શકે કે દેશ એમ જ સ્વતંત્ર નથી થયો. વિભાજન વિભીષિકાની બર્બર-ભયાનક કથા જાણવી ખૂબ જરૂરી છે.

બીજું, પાકિસ્તાન નિર્માણ પછી પણ દેશમાં ભાગલાવાદી માનસિકતા ઓછી થઈ ખરી? વર્ષ 1947 પછી પણ મુસ્લિમ કટ્ટરવાદ અને ભાગલાવાદી માનસને ખાતર-પાણી પૂરા પાડવામાં આવ્યા. પરિણામે આજે પણ દેશમાં દેશ તોડવાના નારા સેક્યુલારિઝમની આડમાં લાગી રહ્યા છે. આજે પણ વૈશ્વિક ઇસ્લામ વિસ્તારવાદના હાકલા રોજ વાગતા રહે છે, ત્યારે પણ ભાગલાની દર્દભરી કથા જાણવી જરૂરી છે, જેથી ઇતિહાસનું યથાવત્ પુનરાવર્તન ન થાય...!

સ્વતંત્રતા આંદોલનની સાથેસાથે ભારતના ભાગલા પાછળના કારણો અને પીડા પ્રજા જાણી શકે એ આશયથી આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પુસ્તક લખવામાં મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત થોટ્સ ઓન પાકિસ્તાનતથા ચિંતક-લેખક અને રા.સ્વ. સંઘના પૂર્વ સરકાર્યવાહ અને  વરિષ્ઠ લેખક શ્રી હો. વે. શેષાદ્રિએ લખેલા ધ ટ્રેજીક સ્ટોરી ઓફ પાર્ટીશનજેવા અધિકૃત પુસ્તકોનો આધાર લીધો છે. દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાઠ ઊજવી રહ્યો છે ત્યારે આ પુસ્તક આજની અને આવનારી પેઢીને કંઈક ઇતિહાસબોધ આપવામાં નિમિત્ત બને અને ભારતના ઊજ્જવળ ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવે એજ અભ્યર્થના

... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, August 7, 2022

મફતવાલ મંડળીથી સાવધાન ગુજરાત, દુનિયામાં કશું મફત નથી હોતું

 

મફતની લાલચ આપવી એ ઘાતક ડાબેરી વિચારધારાનું પરિણામ છે. દુનિયામાં ડાબેરીવાદ 50 વર્ષથી વધુ ટક્યો નથી. મુર્ખ કાર્લ માર્ક્સના રવાડે ચડેલા દેશો આર્થિક રીતે કંગાળ થઈને વેરવિખેર થઈ ગયેલા છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

વીજળી મફતમાં આપવાની, બેરોજગારોને ભથ્થું આપવાની, મહિલાઓને દર મહિને રૂપિયા 1000ની સહાય આપવાની, મહિલાઓને મફત પ્રવાસ કરાવવાની, વૃદ્ધોને યાત્રા કરાવવાની વાતો હવે તમામ મર્યાદા ઓળંગી રહી છે. અલબત્ત આવી વાતોથી મફતનું મેળવવાની માનસિકતા ધરાવતા અમુક ચોક્કસ વર્ગો તથા મીડિયામાં રહેલા અમુક ચોક્કસ લોકોને ગલગલિયાં થતાં હશે.

સાચી વાત એ છે કે, મફતિયા-વૃત્તિ એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસ રાષ્ટ્ર-પ્રેમી પ્રજાને પણ લાગી શકે છે. મને હમણાં જ રાજકોટના એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે, તાજેતરમાં મફતવાલે રાજકોટમાં સભા કરી ત્યારે કેટલાક વેપારીઓ જીએસટીનો મુદ્દો લઈને તેમની પાસે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી હતી. આવા વેપારીઓ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કોઈ ન હોઈ શકે. જીએસટી એક પ્રકારનો સંકલિત કર છે અને તમારે પ્રજા પાસેથી જ લેવાનો હોય છે. તમારા નફાની રકમ તો તમને પહેલેથી મળી જ ગયેલી હોય છે. પણ તમે રિફંડની લાલચ રાખી બેઠા હોવ છો. એ રકમ જે વાસ્તવમાં પ્રજાએ સરકારને આપેલી રકમ છે. છતાં ઠીક છે કે એ કાયદાની જોગવાઈ છે તેથી અમુક ક્રેડિટ તમને પાછી આપવામાં આવે છે. પરંતુ એ આખી વ્યવસ્થામાં થોડા મહિના લાગી જાય અને તમે તદ્દન છેલ્લી પાટલીએ બેસીને જીએસટી રિફંડનો કકળાટ કરો ત્યારે તમે પણ હદ વટાવી દીધી હોય એમ લાગે. આટલું ઓછું હોય એમ ઘણી મોટી સંખ્યામાં વેપારીઓ અને નાગરિકો પણ જીએસટીથી બચવા બિલ વિનાનો વ્યવહાર કરે છે. શું આ બધી અપ્રામાણિકતા દેશ માટે ઘાતક નથી?

તેની સામે જરા વિદેશની વ્યવસ્થાનો વિચાર કરો. થોડા સમય પહેલાં હું કેનેડામાં હતો અને મને જાણવા મળ્યું કે ત્યાં દરેક વ્યક્તિની આવકના 50 ટકા જેટલી રકમ વિવિધ રીતે ટેક્સમાં ચાલી જાય છે. હવે અહીં કેટલાય અબૂધ લોકો એવી દલીલ વર્ષોથી કરતા આવ્યા છે કે, ત્યાં લોકો ટેક્સ આપે છે કેમ કે સરકાર એમને સુવિધાઓ આપે છે! તો ભાઈ એ દલીલ તમને લાગુ નથી પડતી? 70-70 વર્ષ સુધી અપ્રામાણિક રાજકીય પક્ષોએ કર-માળખું સરખું કરીને સારી આવક કરીને દેશમાં માળખાકીય સુવિધાઓ વધારવા તરફ ધ્યાન કેમ ન આપ્યું? યથા રાજા તથા પ્રજાની જેમ 2014 પહેલાં સરકારમાં બેઠેલા (વચ્ચે વાજપેયી સરકારના સમયને બાદ કરતાં) પોતેય બદમાશી કરતા હતા અને પ્રજાની કરચોરી કરવાની દાનત સામે આંખ આડા કાન કરતા હતા.

આપણને 2014 પછી ખબર પડી કે, 130 કરોડની વસ્તીમાંથી માંડ ત્રણ કરોડ લોકો જ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હતા. બાકીના 127 કરોડ તો ખાઈ-પીને જલસા જ કરતા હતા—આજે પણ એવું જ કરે છે. જોકે થોડો ફેર પડ્યો છે. પ્રામાણિક સરકારના પ્રામાણિક પ્રયાસોને કારણે આ ત્રણ કરોડનો આંકડો આ વર્ષે 31 જુલાઈ, 2022ના રોજ સાડા પાંચ કરોડને પાર કરી ગયો. માત્ર આઠ વર્ષમાં દોઢ ગણો વધારો!

આ સંજોગોમાં સાત-સાત દાયકા સુધી અપ્રામાણિક રાજ્યવ્યવસ્થા અને અપ્રામાણિક વહીવટીતંત્રને કારણે સડી ગયેલી પ્રજાની માનસિકતા હવે મફતવાલોના ખોળામાં જઇને બેસવા તત્પર છે?

એક કૉમનસેન્સનો પ્રશ્ન એ છે કે, તમારા ઘરે બાળક જન્મે એ મોટું થઇને જાતે ચાલતાં શીખે એ તમને ગમશે કે પછી ચાલવાની ઉંમર થાય ત્યારે તેને તમે કાખઘોડી આપશો? એ જાતે ચાલવાનું ન શીખે પરંતુ કાખઘોડી અને તમારા ઉપર નિર્ભર રહે એ તમને પસંદ પડશે? જો આનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું નથી. પણ મને ખબર છે કે તમારો જવાબ હા નથી. તો હવે એ વાત તમારા ઉપર લાગુ કરો...શું મફતની વીજળી અને બેરોજગારીના ભથ્થાંથી તમે આખી જિંદગી પૂરી કરી શકશો? શું એ બધું મફત મળવાથી તમે પ્રગતિ કરી શકશો? એવી પ્રગતિ જે તમને મોટું ઘર, ગાડી, વિદેશ પ્રવાસ કરવાની ક્ષમતા આપે એવી પ્રગતિ મફતની વીજળી અને ભથ્થાંથી મળી શકશે? મફતવાલ તો તમને બધું મફત આપીને- તમને માયકાંગલા બનાવીને અને સાથે સાથે રાજ્યની તિજોરી ખાલી કરી દઈને બેશરમની જેમ હાથ ઊંચા કરી ચાલ્યો જશે, પણ પછી તમે મહેનત કરવાને લાયક રહ્યા હશો ખરા?

મફતની વીજળી અને બેરોજગારી ભથ્થાંનાં સ્વપ્ન જોતી વખતે બસ માત્ર એટલું યાદ રાખજો કે વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓને એ માટે ખર્ચ થાય છે. એ ખર્ચ તમે નાણા આપશો ત્યારે ભરપાઈ થશે. પણ તમે નાણા નહીં આપો તો વીજળી ઉત્પન્ન કરતી કંપની ખોટમાં જશે. એ ખોટમાં વધારો થવાથી તેની અસર ઉત્પાદન ઉપર થશે. વીજળી કાપ આવશે. એ વીજ કંપનીઓના કર્મચારીઓની છટણી થશે. એ રીતે બેરોજગારોની સંખ્યામાં વધારો થશે. એ બધા બેરોજગારોને બેરોજગારી ભથ્થાં ક્યાંથી આપવામાં આવશે? જે મુઠ્ઠીભર લોકો ટેક્સ ભરે છે એમના નાણામાંથી જ ને? એ મુઠ્ઠીભર લોકો દેશની 99 ટકા પ્રજાનું ભરણપોષણ કરવાની જવાબદારી કેટલા સમય સુધી વહન કરી શકશે એ બાબતે કોઇએ વિચાર કર્યો છે ખરો?

હવે રેવડીવાલ-મફતવાલ તમારી સમક્ષ આવીને વાયદા કરે ત્યારે અહીં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એ એમને પૂછજો. એમને પૂછજો કે તમારી પાસે રાજ્યની આવક વધારવાનું કયું મોડેલ છે? એમને પૂછજો કે વિકાસનાં કામો માટે તમારી પાસે કયું મોડેલ છે? આ દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષણ માટે તેમની પાસે કયું મોડેલ છે એ પણ પૂછવાનું ચૂકશો નહીં. જો રેવડીવાલ-પાર્ટી પાસે આના જવાબો ન હોય તો તેમની નૌટંકી ઉપર નજર નાખતા રહો, બધું આપોઆપ સમજાઈ જશે... મિલતે હૈ બ્રેક કે બાદ!