Sunday, December 26, 2021

પંજાબમાં ઘરના ભેદી અને ઘાતકી પાડોશી

 

 


--- કેન્દ્ર સરકારે નકલી ખેડૂત આંદોલનની હવા કાઢી નાખી એ દિવસથી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ બેચેન છે. તેમની એ બેચેની હતાશામાં પલટાઈ રહી છે અને એટલે જ સાવ સામાન્ય બાબતમાં હત્યા અને બોંબ વિસ્ફોટ થઈ રહ્યા છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબમાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે અતિશય ચિંતાજનક છે. આ ચિંતા કામચલાઉ નથી પણ લાંબાગાળાની છે. લોકો 30 વર્ષ પહેલાંના પંજાબની હાલતને યાદ કરીને વિચારમંથન કરવા અને ઉકેલ શોધવા લાગી ગયા છે. ત્રણ દાયકા પહેલાં એવા કયાં કારણો અને પરિબળો હતાં જેને કારણે સામાન્ય નાગરિકોએ સતત ભયમાં જીવવું પડતું હતું? એવા કયા રાજકારણીઓ હતા જે સ્થિતિ કથળાવવા માટે જવાબદાર હતા? શું એવા જ રાજકારણીઓ અને એવી જ રાજકીય વિચારધારા ફરી આકાર લઈ રહી છે? ધીમે ધીમે ફરી ચિંતાજનક સ્થિતિ માથું ઊંચકી રહી છે ત્યારે જૂની ઘટનાઓ અને જૂની વાતોને યાદ કરીને પંજાબના અને એ થકી દેશનું ભવિષ્ય ફરી અંધકાર તરફ ન ધકેલાય એ માટે ભૂતકાળ અને વર્તમાનની સાંકળો જોડવી જરૂરી છે.

ઘરના ભેદી તરફથી કિલ્લાની દીવાલમાં અથવા દરવાજામાં તિરાડ પાડવામાં ન આવે ત્યાં સુધી બહારની દુશ્મન તાકતો એ કિલ્લાને નુકસાન પહોંચાડી શકતી નથી. બીજા શબ્દોમાં ઘરના ભેદીની મદદ વિના દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી. પંજાબની ભૌગોલિક સ્થિતિ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. એક તો પાકિસ્તાન જેવો ઘાતકી પાડોશી, બીજું દેશમાં બેઠેલા પાકિસ્તાનવાદી દુશ્મનો, ત્રીજું ખાલિસ્તાનવાદીઓ, ચોથું આ બધાનો સામૂહિક દૂરુપયોગ કરવા માગતી ધર્મની રાજનીતિ અને પાંચ, માઓવાદીઓથી ખદબદતું મીડિયા.

પાકિસ્તાન જેવા ઘાતકી પાડોશીનો ગેરલાભ ગુજરાત (512 કિ.મી), રાજસ્થાન (1035 કિ.મી.), પંજાબ (547 કિ.મી.) અને જમ્મુ-કાશ્મીર (1216 કિ.મી.)ને મળે છે. આ ચારેય રાજ્યો મળીને કુલ 3,300 કિલોમીટર કરતાં વધુ ભૌગોલિક વિસ્તાર ના-પાક. સાથે જોડાયેલો છે. પરંતુ સાત દાયકા કરતાં વધારે સમયથી સતત અશાંતિ અને હિંસાનો ભોગ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો બન્યા છે – કેમ કે એ બંને રાજ્યોમાં ઘરના ભેદી ઉપરાંત પાકિસ્તાન-પ્રેમીઓ વધારે છે!

આ જ કારણોસર 1980 અને 1990ના દાયકાઓમાં આ બંને રાજ્ય આતંકવાદનો ભોગ બન્યા. હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ જીવ ખોયા, અર્થતંત્ર નબળું પડી ગયું અને એના કરતાં વધારે ખતરનાક સ્થિતિ એ થઈ કે વિવિધ સમુદાયો વચ્ચે અવિશ્વાસની કાયમી ખાઈ રચાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત છ-સાત જિલ્લામાં તો જેહાદી માહોલ હતો એટલે આખી સ્થિતિ જૂદી હતી, પરંતુ પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ અનેક લોકો માની શકતા નહોતા. જે સંપ્રદાય અને જે સમુદાય દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સૌથી અગ્રેસર હતો અને આજે પણ છે - એ જ સમુદાયમાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં અને એ ત્રાસવાદી ઘટનાઓ સુધી વિસ્તરી ગયાં હતાં એ બાબત શેષ ભારત માટે અકલ્પનીય હતી.

સંપૂર્ણ તટસ્થ નિરીક્ષણ અને સમીક્ષા કરીએ તો વાત ફરી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઉપર જ આવીને અટકે છે. આ બંને ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સરકારને મળેલો વિજય- ઘાતકી પાડોશી દેશોને અને એ સાથે ભારતની અંદર બેઠેલા તેમના સ્લીપર સેલ જેવા લોકોને હજુ પચતો નથી. રાષ્ટ્રવાદી સરકાર દ્વારા દેશના હિત માટે, તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે, કાયદા ઘડવામાં આવી રહ્યા છે એ વાત ઘાતકી પાડોશી દેશો અને ભારતમાં તેમના સ્લીપર સેલ તરીકે કામગીરી કરતા લોકોને પચતી નથી. આવા સ્લીપર સેલમાં માત્ર એકલદોકલ વ્યક્તિ જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓનો પણ સમાવેશ થાય છે. લઘુમતીઓની બગલ ખંજળવામાં જન્નતનું સુખ માનતા આ કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષો કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકારના એકપણ પગલાંને સમર્થન નથી આપતા...ત્યાં સુધી તો વાત સમજી શકાય, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા આ સેક્યુલર પક્ષો તો રાષ્ટ્રહિતના કાયદા કે પગલાંની વિરુદ્ધ રીતસર શહેરો અને દેશને બાનમાં લઈ લે છે.

એક વર્ષથી ચાલતું નકલી ખેડૂત આંદોલન આ જેહાદી સેક્યુલરોના અપપ્રચારનું જ પરિણામ હતું જેને આધાર બનાવીને ખાલિસ્તાનવાદી લાગણી ફરી ભડકાવવામાં આવી. સામાન્ય પંજાબીઓ જે શાંતિથી જીવતા હતા એ ફરી ઉગ્ર બનવા લાગ્યા છે. નાની સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને હત્યાઓ થઈ રહી છે અને ગુરુવારે અદાલતના મકાનમાં બોંબ વિસ્ફોટ થયો.

દેશ માટે જરાસરખી પણ લાગણી ધરાવનાર કોઇપણ વ્યક્તિ એટલું તો વિશ્વાસપૂર્વક કહી જ શકે કે, કેન્દ્રની વર્તમાન સરકારના દરેકે દરેક પગલાં દેશહિતમાં છે...પરંતુ કથિત સેક્યુલર પક્ષો તેમના ટૂંકા સ્વાર્થમાં તોડફોડ કરાવવા માટે ઉશ્કેરણી કરતા રહે છે અને એ દ્વારા ઘાતકી પાડોશીઓના ઈશારે નાચતા રહે છે. આ સ્થળે હું તમને વારંવાર એક બાબતની ચેતવણી આપતો રહીશ કે, જો તમે સાવધાન નહીં રહો તો લઘુમતીઓની ખુશામતમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો આ દેશમાં ગમેત્યારે પંજાબ-કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે અથવા દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ ધકેલી દેશે. તમારી રાજકીય વિચારધારા ગમે તે હોઈ શકે, તમે ગમે તે પક્ષના સમર્થક હોવ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ રાજકીય પક્ષની નીતિ, કાર્યક્રમો અને પગલાં રાષ્ટ્રહિતના છે કે નહીં એ વિચારો ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ કોરિડોર કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ ધર્મપથથવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ કદાચ ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 5, 2021

વિપક્ષો પણ હવે “કોંગ્રેસ-મુક્ત” થવા માગે છે?

 


--- લોકસભા ચૂંટણી આડે પૂરા સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ જાતિવાદી અને લઘુમતી ખુશામતના રાજકારણમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગી ગયા છે, અને એમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે- અન્ય વિપક્ષો કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની પ્રગતિની ચિંતા કરવાને બદલે, પોતપોતાના રાજ્યના વિકાસ અંગે વિચારવાને બદલે, લોકકલ્યાણનાં કામો ઉપર ધ્યાન આપવાને બદલે વિરોધ પક્ષો ગઠજોડ - તડજોડ અને ગઠબંધન માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં માનવકલાકો, નાણા તેમજ અન્ય સ્ત્રોતોનો ગુનાઇત બગાડ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી તેમજ કેન્દ્રમાંથી ભાજપ તથા નરેન્દ્ર મોદીને દૂર કરવાના શેખચલ્લી વિચારોમાં રચ્યા-પચ્યા રહેતા આ વિરોધ પક્ષોએ લોકસભા ચૂંટણીને આડે હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે ત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે... પરંતુ આ મથામણમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને તરછોડી રહ્યા છે. આ વિપક્ષોને કોંગ્રેસ મંજૂર નથી કે પછી ગાંધી ખાન-દાન મંજૂર નથી?

રાજકીય પક્ષો રાજકારણ રમે એમાં કશું ખોટું નથી. એક-બીજા ઉપર આક્ષેપબાજી કરે એ પણ સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓ પર સમાન વિચાર ધરાવતા પક્ષો ચૂંટણીલક્ષી જોડાણ કરે એ સમયની માંગ છે...પણ આ બધું જ જો પ્રજા-હિતના ભોગે, દેશ-હિતના ભોગે થતું હોય તો નાગરિકોએ – મતદારોએ સમજવું જોઇએ કે તેમનું હિત ક્યાં છે?

યાદ રહે, મોટાભાગના આ રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ અલગ થયેલા છે. અને આશ્ચર્યજનક રીતે સમાનતા એ છે કે કોંગ્રેસમાંથી છૂટા પડીને અલગ પક્ષ રચનારા પ્રાદેશિક નેતાઓને ગાંધી ખાન-દાન સામે જ વાંધો હતો. મમતા બેનરજી સાથે આ અઠવાડિયે મુલાકાત કરનાર શરદ પવાર તો સોનિયા ગાંધીના વિદેશીકૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. આમ છતાં આ જ બધા પક્ષો આટલાં વર્ષ સુધી કોંગ્રેસના જ ખોળામાં બેસીને કેન્દ્રમાં પરોક્ષ સત્તા ભોગવતા રહ્યા. પરંતુ 2014 પછી અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પછી આ બધા રાજ્ય સ્તરના નાના નાના વિપક્ષોને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી અને કોંગ્રેસનું વર્તમાન પારિવારિક નેતૃત્વ અર્થાત ગાંધી ખાન-દાન કોંગ્રેસને પુનઃજીવિત કરવા સક્ષમ નથી.

હકીકતે આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. માત્ર સ્થાનિક સ્તરના નાના નાના પ્રાદેશિક પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં ટોચના નેતાઓ સમજી ચૂક્યા છે કે ગાંધી ખાન-દાન હવે કોંગ્રેસને પુનઃજીવિત કરી શકે તેમ નથી. જોકે કોંગ્રેસના એ કહેવાતા વરિષ્ઠ નેતાઓમાં પક્ષમાંથી બહાર નીકળીને અલગ પક્ષ રચવાની હિંમત કે ક્ષમતા નથી. એ નેતાઓ અત્યાર સુધી માત્ર ગાંધી ખાન-દાનના ખીલે બંધાઈને કૂદતા રહ્યા છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને જ ટીએમસી અને આપ પાર્ટી જેવા કટ્ટરવાદી પક્ષો બીજા રાજ્યોમાં ચૂંટણી લડીને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવવાની ફિરાકમાં છે. એ વાત જૂદી છે કે એ પક્ષોના નેતાઓ તેમના દેખીતા લઘુમતી તરફી વલણ અને નીતિઓને કારણે બીજા રાજ્યોમાં સફળ થઈ શકે તેમ નથી. અને એ જ કારણે બેનરજી અને કેજરીવાલ જેવા લોકો ભોળા હિન્દુઓને વધારે મુર્ખ બનાવવા રામનામ જપવા લાગ્યા છે, બેનરજી તો હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરવા લાગ્યા છે. આ એ જ બેનરજી છે જેમણે પશ્ચિમ બંગાળમાં ટાટા નેનોના પ્લાન્ટ ન સ્થપાય એ માટે ખેડૂતોને ઉશ્કેરીને હિંસક આંદોલન કરાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીમાં મુલ્લા-મૌલવીઓને જંગી વેતન આપનાર કેજરીવાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની વાતો કરે છે.

દરમાં છૂપાયેલા ઝેરી સાપ કરતાં વધારે જોખમી લોકોને ઓળખવા જોઇએ, તેમનાથી સાવધાન રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ચૂંટણી જીતનાર બેનરજીને તો હવે એવું લાગે છે કે, પોતે વિપક્ષોને એકત્ર કરીને 2024ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બની શકે તેમ છે! પરંતુ કોંગ્રેસી કૂળ અને મૂળ ધરાવતા આ બધા રાજકારણીઓ કદી લઘુમતી તુષ્ટિકરણ છોડી શકવાના નથી એ હકીકત છે, એટલે વ્યૂહાત્મક રીતે અથવા બીજા કોઈપણ કારણસર આ ટુણિયાટ વિપક્ષો કોંગ્રેસથી છેડો ફાડે તો પણ રાષ્ટ્રીય સ્તરે કશું ઉકાળી શકે તેમ નથી. બીજો એક અગત્યનો મુદ્દો તમે સૌ વાચકો જાણો છો એમ આ બધા વામન પ્રાદેશિક પક્ષો ભેગા ભલે થાય પરંતુ વડાપ્રધાનપદની વાત આવશે ત્યારે બધા એકબીજાના પગ ખેંચવાના છે. એક નેતા માટે આ બધા સંમત થવાના જ નથી, પરંતુ ત્યાં સુધી સમજદાર નાગરિકોએ આ ટુણિયાટ વિપક્ષોના અપ-પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. અને જેઓ સમજદાર નથી એમણે અહીં ઉપર જણાવી એ સ્થિતિનો થોડો વિચાર કરવાની જરૂર છે. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, November 29, 2021

શું નકલી ફેમિનિસ્ટો હવે નરેન્દ્ર મોદીની પીઠ થાબડશે?

 

--- આ અઠવાડિયે રાષ્ટ્રીય સરવેના આંકડા જાહેર થયા, તે અનુસાર દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હોવાનું તારણ નીકળ્યું. બેટી બચાવો, બેટી પઢાઓ– એ માત્ર સૂત્ર નથી એ સાબિત થયું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની સામાજિક – આર્થિક સ્થિતિ દર્શાવતો પાંચમો રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવે (NFHS) આ અઠવાડિયે જાહેર થયો. આ સરવેના અન્ય કેટલાંક તારણોની સાથે સૌથી મોટું એક તારણ એ નીકળ્યું કે, ભારતમાં હવે પુરુષો અને મહિલાઓની સંખ્યાનો રેશિયો બદલાઈ ગયો છે. અર્થાત દેશમાં પુરુષોની સંખ્યા કરતાં મહિલાઓની સંખ્યા વધી છે. હવે ભારતમાં પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 છે.

આ સ્થિતિ કંઈ એમ જ નથી આવી ગઈ. આ માટે 20 વર્ષ પહેલાં ગુજરાતે જ પહેલ કરી હતી. આવો પ્રથમ સરવે 1992-93માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજો સરવે 1998-99માં કરવામાં આવ્યો હતો. બીજા સરવેનાં પરિણામો સમયે ગુજરાતમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે સરકાર બનાવ્યાને માંડ બે-ત્રણ વર્ષ થયાં હતાં. તે સમયે ગુજરાતમાં 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યાનું પ્રમાણ (અંદાજે) 930 આસપાસ હતું. 1990ના દાયકાના અંતિમ વર્ષોના એ ગાળામાં કેરળ જેવાં એકાદ-બે અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં પુરુષો અને મહિલાઓની સંખ્યામાં આવું જ અસંતુલન હતું. પરંતુ કમનસીબે ગુજરાત, ભારત અને દુનિયાભરના નકલી ફેમિનિસ્ટો અને નકલી માનવ અધિકારવાદીઓએ માત્ર ગુજરાતને નિશાન બનાવીને કાગારોળ મચાવી મૂકી હતી. તેનું કારણ દેખીતું હતું – આ નકલી ફેમિનિસ્ટ-માનવ અધિકારવાદી પ્રજાતિને ભાજપનું શાસન પસંદ નહોતું.

1990ના દાયકાની આ વાતને વર્તમાન સાથે જોડવાનું તાત્પર્ય શું છે?

તાત્પર્ય એ જ છે કે, ત્યારપછી ગુજરાતમાં ભાજપની સરકારે અને ખાસ કરીને 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારપછી મહિલા સશક્તિકરણની દિશામાં સાચા અર્થમાં પ્રયાસો શરૂ થયા હતા, અને છતાં પેલા નકલી ફેમિનિસ્ટો તેમજ નકલી માનવ અધિકારવાદીઓએ તેમની એકતરફી કાગારોળ ચાલુ રાખીને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ થઈ રહેલા મહિલા સશક્તિકરણના પ્રયાસોને વખોડવાનું અને એથી આગળ વધીને ક્યારેક તો એ પ્રયાસોને ખોરવી નાખવાનાં કાવતરાં પણ કર્યા હતાં.

ટુકડેગેંગના આ કાવતરાખોરો હિન્દુત્વ વિરોધી હતા અને છે, એ તત્વોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાજપ સામે વાંધો હતો અને છે અને એ કારણે જ દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ સિવાયના પક્ષોની સરકારો હતી છતાં એ રાજ્યોમાં પુરુષ - મહિલા વસ્તી અસંતુલ વિશે કશું બોલતા નહોતા, પરંતુ ભાજપની સરકાર હોય તો એને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવામાં કશું બાકી રાખતા નહોતા.

નરેન્દ્ર મોદી ટુકડેગેંગના આ મલીન ઈરાદાને સારી રીતે સમજતા હતા અને તેથી જ ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી તેમણે મહિલા સશક્તિકરણની દિશામાં ધરમૂળથી નીતિગત ફેરફારો કર્યા. આ ફેરફારોને તેઓ 2014માં વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય સ્તરે પણ લઈ ગયા. એનું જ પરિણામ છે કે સાત વર્ષના ગાળામાં પુરુષ – મહિલા વસ્તીનો રેશિયો બદલાઈ ગયો છે. શરૂઆતમાં કહ્યું તેમ ભારતમાં હવે પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવેના છેલ્લા અહેવાલ અનુસાર લગભગ તમામ પેરામીટરમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. ખુલ્લામાં ટોઇલેટ જવાની વાત હોય કે ઈંધણ માટે લાકડાને બદલે ગૅસના ઉપયોગની વાત હોય; મહિલાઓને મળતા વીમા કવચની વાત હોય કે પછી બેંક ખાતાંનો જાતે ઉપયોગ કરવાની બાબત હોય – દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે.

આ સંજોગોમાં સૌથી મહત્ત્વના પ્રશ્નો એ ઉપસ્થિત થાય છે કે, નકલી ફેમિનિઝમના ઝંડાધારીઓ અને નકલી માનવ અધિકારવાદીઓ શું હવે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સ્વીકારી તેને આવકારશે? હિન્દુત્વને, રાષ્ટ્રવાદને, ભાજપને મનુવાદી કહીને ઊતારી પાડવાના નીચ પ્રયાસો કરનારા રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય સ્તરના અને આંતરરાષ્ટ્રીય સ્તરના હિંસાખોર અર્બન નક્સલીઓ શું હવે મહિલા સશક્તિકરણની બદલાયેલી આ સ્થિતિ બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનશે? આમ તો આવી આશા રાખવી નિરર્થક છે કેમ કે અર્બન નક્સલીઓનું લક્ષ્યાંક માત્ર ભાજપને સત્તાથી દૂર કરવાનું છે...એ તત્વોને મહિલા સશક્તિકરણ કે ખેડૂત સશક્તિકરણમાં કોઈ રસ નથી. તેથી જ આ સરવેનાં પરિણામોની સર્વગ્રાહી સારપને જોવાને બદલે ટુકડેગેંગના તત્વો તેમાંથી છીંડા શોધીને ચગાવશે એ નિશ્ચિત છે. આગામી એક અઠવાડિયા દરમિયાન ટુકડેગેંગના આવા પ્રયાસોને સમજદાર નાગરિકો ઓળખી લે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 21, 2021

કૃષિ કાયદાઃ આ પીછેહઠ નથી, માસ્ટર સ્ટ્રોક પણ નથી!

 


--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી. સમર્થકો અને વિરોધીઓ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. બંનેમાંથી કોઇને આખા કેસની સંપૂર્ણ જાણકારી નથી...એટલું નિશ્ચિત છે કે નકલી ખેડૂત આંદોલન પાછળના આંતરરાષ્ટ્રીય કાવતરાની ચેઇન એક વખત તો તોડવી પડે એમ હતી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી ત્યારપછીના થોડા કલાક બાદ આ લેખ લખી રહ્યો છું. લેખ રવિવારે પ્રકાશિત થવાનો છે એટલે શુક્રવાર બપોરથી શનિવાર રાત સુધી આ મુદ્દે તમે ઘણું બધું વાંચ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હશે. દરેક લખનાર અને દરેક બોલનાર પોતે નિષ્ણાત છે એ રીતે રજૂઆત કરતા હશે, તેથી ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થકો મુંઝવણમાં છે કે- કોણ સાચું અને કોણ ખોટું?

મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણય પાછળની બધી વિગતો ખબર છે એવું નથી. પરંતુ હું એટલું ચોક્કસ જાણું છું કે, સરકારે કોઈ અસાધારણ મજબૂરી વિના આ નિર્ણય નહીં જ લીધો હોય. ખેર, મુદ્દો એ પણ નથી. ચાલો આ બાબતે અહીં એક સર્વગ્રાહી ચર્ચા કરી લઈએ.

વાત એમ છે કે, ખેડૂત આંદોલનના નામે વિપક્ષો તેમજ ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય લૉબી જે રીતે સક્રિય થઈ હતી એને ક્યાંક અટકાવવી પડે તેમ હતી. નકલી આંદોલન શરૂ થયાના એક વર્ષ પછી પણ જો એ ટોળકી સક્રિય હતી તો તેનો અર્થ એ હતો કે એ લોકોને ભંડોળ મળવા સહિત બીજી તમામ સુવિધાઓ ઘણા લાંબા સમય સુધી મળવાની ખાતરી હતી (અને ટિકૈત એવું વારંવાર બોલતો પણ હતો) અને એ સંજોગોમાં દેશ-વિરોધી તત્વોને ભાંગફોડ કરવાની વધારે તક મળત.

જો આ કથિત ખેડૂત આંદોલન સાચા અર્થમાં હોત તો આખા દેશના ખેડૂતો તેમાં જોડાત, પરંતુ બધા જ જાણીએ છીએ કે માત્ર સ્થાપિત હિતો ધરાવતા રાજકીય પક્ષોના સમર્થક એવા ખેડૂતોને બાદ કરતાં કોઈ સાચા ખેડૂતો જોડાયેલા નહોતા. બાકી જે કોઈ બચ્યા હતા એ ખાલિસ્તાની સમર્થકો હતા એ વાત આંદોલનના સ્થળે લાગેલાં પોસ્ટરો તેમજ બેનરોના આધારે સ્પષ્ટ સમજી શકાતું હતું.

મોદી સરકારે એક વર્ષ સુધી આ નકલી ખેડૂતો તેમજ આંતરરાષ્ટ્રીય માઓવાદી ટોળકીઓને મચક ન આપી એના પરથી સરકારનો ઇરાદો સ્પષ્ટ થાય છે, અને છતાં હવે આ નિર્ણય લેવો પડ્યો એના પરથી વિચારો કે સરકાર કેવાં પરિબળો સામે લડી રહી હતી! એ પરિબળોને સફળ નહીં થવા દેવા માટે પણ અણગમતો નિર્ણય કરવો પડે તેમ હતું. સામાન્ય નાગરિકોએ એ વાત પણ સમજવી જરૂરી છે કે આ નકલી ખેડૂત આંદોલન પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યાં હશે તેના વિશે મોદી સરકારને ગુપ્તચર અહેવાલ મળ્યા હશે, પરિણામે દેશહિત ખાતર પણ આવો નિર્ણય લેવાની ફરજ પડી હોઈ શકે!

કેટલાક તત્વો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની સરકારને ફરજ પડી છે તેથી CAA તથા કલમ 370-A જેવા કાયદા અંગેના નિર્ણયોનો જે લોકો વિરોધ કરે છે તેઓ હવે રસ્તા પર આવશે અને સરકારને તેના નિર્ણય પરત ખેંચવા ફરજ પાડશે. આવું તારણ કાઢવું એ હકીકતે અધકચરી સમજનું પરિણામ છે. અગાઉ કહ્યું તેમ, રાષ્ટ્રહિતમાં માનતા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ વિપક્ષો કૃષિ કાયદાના વિરોધમાં હતા. તેમની સાથે ખેત પેદાશોની દલાલી કરતા માફિયા ઉપરાંત ખાલિસ્તાનીઓ, માઓવાદીઓ અને એજન્ડાધારી મીડિયા એ બધા જ જોડાઈ ગયા હતા. આ તમામ રાષ્ટ્ર-વિરોધી તત્વો ભેગા મળીને દેશને નુકસાન કરી જ રહ્યા હતા, પરંતુ તેના કરતાં વધારે જોખમ આવી રહેલી પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઊભું થઈ શકે તેમ હતું.

નકલી ખેડૂત આંદોલનકારીઓ વારંવાર હિંસા કરતા હતા. આ વર્ષની 26 જાન્યુઆરીએ શરૂ કરેલી હિંસા ગયા મહિને છેક લખીમપુર સુધી ભાજપના કાર્યકરોના લિંચિંગ સુધી પહોંચી હતી. તેથી હવે એવી પૂરી શક્યતા હતી કે, પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ હિંસાખોર તત્વો વધારે ઉગ્ર બનીને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા પણ ખોરવી નાખી શકે. કોરોનામાંથી માંડ ઉભરી રહેલો દેશ આ તબક્કે ખાલિસ્તાની-માઓવાદી હિંસાની સંભાવનાનું જોખમ ઉઠાવી શકે નહીં. હકીકતે કૃષિ કાયદાના બહાને આ હિંસાખોર તત્વો એક રાષ્ટ્રવાદી સરકારને ઉખાડી ફેંકવા શસ્ત્રો સજાવી રહ્યા હતા અને તેથી જ તેમના શસ્ત્રોને બુઠા કરી દેવા જરૂરી હતા. જે વડાપ્રધાન ચીન જેવા દેશને ઝુકાવી શકતા હોય એ ટુણિયાટ જેવા નકલી ખેડૂતોને તો ઝુકાવી જ શકે...છતાં એ જ વડાપ્રધાને પોતે પોતાનો નર્ણય પાછો ખેંચ્યો છે ત્યારે એના ઘણા સૂચિતાર્થ હશે જ. થોભો અને રાહ જૂઓ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 14, 2021

સંવત 2078માં આટલું તો કરજો જ...કરશો ને?

 


 --- ગુજરાતમાં શુક્રવારથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. હિન્દુ સભ્યતા-સંસ્કૃતિ ઉપર બેસુમાર આક્રમણ થઈ રહ્યાં છે. સૌથી આધુનિક વિચારો ધરાવતા સૌથી પ્રાચીન સનાતન ધર્મને ખતમ કરવા કારસા ઘડાઈ ગયા છે, ત્યારે તેના રક્ષણની અને આગળ વધારવાની જવાબદારી આપણે જ પૂરી કરવાની છે

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

સૌપ્રથમ તો નવા વર્ષના સૌને રામ રામ.

વિક્રમ સંવત 2078માં મારે, તમારે, આપણા સૌએ કેટલાક સંકલ્પ લેવા જ પડશે. મારી આ કૉલમમાં વારંવાર ચેતવણી આપું છું કે, બધું ઠીક નથી ચાલી રહ્યું. સ્હેજ આંખ ઉઘાડો, સ્હેજ ઊંઘમાંથી બહાર આવો તો ખબર પડશે કે સનાતન હિન્દુ ધર્મને કોતરી-કોતરીને, તોડીફોડીને, વેરવિખેર કરી નાખીને સંપૂર્ણ ખતમ કરી દેવાના કારસા એક સાથે અનેક તરફથી ઘડાયા છે. વળી પીડાદાયક કમનસીબી એ છે કે, આપણામાંથી જ અનેક લોકો જાણે-અજાણ્યે એ કારસામાં સામેલ થઈ ગયા છે. આપણા જ ઘરના પાયાને તોડી રહેલી ટોળકીમાં આપણમાંના ઘણા જાણે-અજાણ્યે સામેલ છે.

એટલે જ આજે વધુ એક વખત ચેતવું છું. સમાજને તેની આસપાસનાં જોખમોથી, આવી રહેલા મોટાં જોખમોથી ચેતવવો એ લેખકોની માત્ર ફરજ જ નહીં જવાબદારી પણ છે.

તેથી આ નવા વર્ષે સંકલ્પ કરો કે, કોઇપણ ભોગે આપણી પોતાની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીશું.

સંકલ્પ કરો કે, આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરા વિશે આપણને જ્ઞાન આપવા નીકળી પડતા વિધર્મીઓની વાતોમાં સપડાઈશું નહીં.

સંકલ્પ કરો કે, રોજેરોજ લાખો-કરોડો જીવોની હત્યા કરીને ખાઈ જતા માંસાહારીઓ જ્યારે આપણા તહેવારોમાં જીવદયા બતાવવા આવશે ત્યારે એમને જડબાતોડ જવાબ આપીશું.

સંકલ્પ કરો કે, પોતાના એક દિવસના તહેવારમાં લાખો-કરોડો જીવની હત્યા કરી દેતા લોકો આપણા તહેવારમાં જીવદયા વિશે ડહાપણ ડહોળવા આવશે તો એમને એમની અસલિયતનો અરીસો બતાવીને પરત જવા ફરજ પાડીશું.

સૌથી મોટો સંકલ્પ તો એ કરો કે, હિન્દુ તહેવારો ઉપર સુફિયાણી સલાહ આપવા હાલી નીકળતા બોલિવૂડની ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કથિત સ્ટાર, જુગારના અડ્ડા સમાન ક્રિકેટની રમતના કથિત ખેલાડીઓ કે પછી સનાતન પરંપરાઓને તોડવામાં સૌથી અગ્રેસર ટીવી શ્રેણીઓના કથિત સ્ટાર બાબલા-બેબલીઓની વાતો માનીશું નહીં...એટલું જ નહીં પરંતુ એવી સલાહ આપવા નીકળી પડતા લોકોની ફિલ્મ, રમત તેમજ શ્રેણીનો અને એ જે પ્રોડક્ટની જાહેરાત કરે તેનો બહિષ્કાર કરીશું.

બીજો સૌથી મોટો સંકલ્પ એ પણ કરવો જોઇએ કે, હિન્દુ પરંપરાઓને તોડવા માગતા તત્વોને મહત્ત્વ આપતી સમાચાર ચેનલો, મીડિયાનો બહિષ્કાર કરો. યાદ રાખો, આર્થિક ફટકો માર્યા વિના કદી કોઈ સુધરતું નથી. તમે જોયું હશે કે, ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો હજુ 2014 સુધી હિન્દુઓને ગણતરીમાં નહોતા લેતા, હિન્દુ તહેવારોમાં કદી શુભેચ્છા પણ નહોતા પાઠવતા- એ બધા 2014 પછીની હિન્દુ એકતા જોઇને હવે મંદિરોના આંટા મારતા થઈ ગયા છે. આ વટલાયેલા નકલી હિન્દુ રાજકારણીઓ છે. એમણે એમની લઘુમતી મતબેંકને દગો કર્યો છે અને હવે હિન્દુઓને છેતરવા આવી પહોંચ્યા છે. એમનાથી ભોળવાઈ નહીં જવાનો પણ સંકલ્પ લેવાની ખાસ જરૂર છે.

જરા વિચાર તો કરો કે તમે પોતે એ પરંપરાના વંશજ છો જે પ્રત્યેક કણમાં જીવ અને પ્રત્યેક જીવમાં શિવના અસ્તિત્વને માને છે. માત્ર માને છે એટલું નહીં, પરંતુ એ પ્રત્યેક જીવને જીવનના વિવિધ પાસાં સાથે એવી રીતે વણી લીધા છે જેથી તમારા પોતાના વિકાસની સાથે સાથે એ જીવોનો પણ વિકાસ થાય. સનાતન હિન્દુ પરંપરા ઉપભોગ અને ઉપભોકતાવાદી નથી. છેક વેદકાળથી સનાતન પરંપરા રહી છે કે સૃષ્ટિમાંથી જે કંઈ લેવામાં આવે એ તેને પરત કરવું.

આ સનાતન પરંપરા હજુ સુધી જળવાઈ છે એમાં કોઈ બેમત નથી. બસ ફેર એટલો પડ્યો છે કે, આવી પરંપરા જાળવનારા સાચા સનાતનીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાચા સનાતની હિન્દુઓ ઘટી ગયા છે, ઘટી રહ્યા છે. જો આ જ પ્રવાહ ચાલુ રહશે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, બર્મામાંથી જેમ આપણે લૂપ્ત થઈ ગયા અથવા લૂપ્ત થઈ રહ્યા છીએ...એમ જ એક દિવસ આપણી પોતાની ભૂમિ ભારતવર્ષમાંથી લૂપ્ત થઈ જઇશું.

આપણા તહેવારો, આપણી ધાર્મિક પરંપરા અને માન્યતાઓ, આપણા ઉત્સવો, આપણી બોલચાલ અને ખાણીપીણી આ બધા ઉપર ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ટીવી શ્રેણીઓ, મીડિયા ઉપરાંત દંભી વટલાયેલા રાજકારણીઓ અવળો પ્રભાવ પાડી રહ્યા છે. એટલે સુધી કે આપણા પોતાના તહેવારમાં, આપણા પોતાના ધર્મમાં શુભેચ્છા પાઠવવાની પરંપરામાં મુબારક જેવો શબ્દ ઘૂસાડી દેવામાં આવ્યો છે. આવી ગુલામીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ લેવો જ પડશે. કોઈ વિકલ્પ નથી. જેમ વંશવેલો આગળ વધારવા માટે ગોત્રનું મહત્ત્વ છે એમ જ ધર્મનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા સાધર્મીઓનો મજબૂત કિલ્લો જોઇએ. આટલું સમજાશે તો તમને – આપણને વિખેરી નાખવા માગતાં પરિબળોને ઓળખવાનું વધારે અઘરું નહીં રહે. આ લેખના એક-એક વાક્ય ઉપર વિચાર કરો, ફેલાવો ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Thursday, November 11, 2021

Abhimanyu – The Warrior Prince




Abhimanyu – The Warrior Prince

 

Author: Deepak M.R.

 

Review by – Alkesh Patel (અલકેશ પટેલ)

 

Abhimanyu and Chakravyuha are the words that hardly any Dharmik Bhartiya may not know! For thousands of years the maharathi Abhimanyu is inspiring us to fight and break the Chakravyuhas of any kind. But here, we are talking about one of the greatest heroes of Mahabharata. The author of the novel Abhimanyu- The Warrior Prince Mr. Deepak M.R. is absolutely right when he says that there are several great characters in Mahabharata about whom we know little or nothing. I would like to add that stories of such characters needs to be told in such literary forms that would attract younger generation towards our Shastras.

We know that as a maharathi, Abhimanyu was able to defeat any warrior on the earth like his father Arjuna. But still he was killed because he could not break the Chakravyuha, a war formation that was specially created to trap and kill Abhimanyu. Call it a Shree Krishna neeti or whatever, that even though knowing in advance the outcome of the Chakravyuha He neither stop him to enter the Chakravyuha, nor allowed Arjuna to rush and save his son!

Yes! Lord Krishna wanted to defeat Adharma and that He knew that virtuousness of Pandvas won’t serve the purpose.

And here the art of storytelling comes into action! The author has very meticulously crafted the character of Abhimanyu out of the entire Mahabharata and its scores of legendary characters. The author Deepak M.R. is successful in creating curiosity while crafting the story of Abhimanyu along with other rousing emotions surrounding the family, war, stress, valour, cunningness, cheating, truth etc.

I would suggest, especially to young readers to read this book to understand the difference between Dharma and Adharma.

https://www.goodreads.com/review/show/4332535412?error_code=4201&error_message=User%20canceled%20the%20Dialog%20flow#_=_

 

 


Rise of Dharma


"Rise of Dharma (Samrat Yudhishthira Trilogy Book 1)" a book by Semanti Chakraborty

Review by Alkesh Patel (અલકેશ પટેલ)

We all know about our Shashtras including the most revered and widely read Mahabharata and Ramayana. Most of us also know about the characteristics of the main characters through their words and actions. Thousands of writers and speakers have been interpreting these epics and the characters, but if you have a sensible writer like Semanti Chakraborty, you can have the glimpse of a particular character, his/her inner joys and stresses, struggles and wins.<br /><br />Rise of Dharma, a novel by Semanti Chakraborty provides a new and fresh dimension about Dharmaraj Yudhishthira. As the author herself says, “...To most of them he is nothing more than a gambler who caused misery in this family members’ lives, an unworthy husband who did not protest against humiliation of his wife, and a selfish brother who just used his brothers to get everything done... Many others see him as a weak, boring person who only preaches the rulebook Dharma and sometimes even justifies his own wrong decisions in the name of the same...” And she has done full justice to the character of Dharmaraj by bringing out his real worth.<br /><br />Interestingly, the author is going to write Samrat Yudhishthira trilogy, and I believe that it would be a real treat for not only the book lovers, but the Mahabharata and Yudhishthira lovers as well! Why I say so? The reason is that, the author has nicely woven each and every character around the central character of Dharmaraj Yudhishthira. Rise of Dharma is such a lucidly written that the reader would not be able to put it back in the shelf without reading the last word of the last chapter, that’s promise! As you go through each chapter, the question will hunt you too, that banished from his homeland, in danger of being murdered, moving in disguise through a land of cannibals – can Yudhishthira cause Dharma to rise again in a broken Bharatvarsha? 




Sunday, October 31, 2021

આકરો વસ્તી નિયંત્રણ કાયદો નહીં બને તો શું થશે જાણો છો?

 


 --- ત્રણેક વર્ષ પછી ફરી દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની ચર્ચા શરૂ થઈ છે. વહેલામાં વહેલી તકે આ માટેનો સાચા અર્થમાં કડક કાયદો નહીં બને તો દેશમાં વિકાસ અને પ્રગતિના તમામ પ્રયાસ નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

છેલ્લા થોડા દાયકાથી આપણે બધા એવું સાંભળતા-વાંચતા રહ્યા છીએ કે અમુક સમય પછી વસ્તીની બાબતમાં ભારત ચીનને પણ પાછળ રાખી દેશે. આપણે સવા અબજની આસપાસ છીએ, જ્યારે ચીન દોઢ અબજની આસપાસ. એટલે 25 કરોડનો તફાવત છે. તેથી જ વસ્તી વધારાના વર્તમાન દરે આગામી પાંચ-સાત વર્ષમાં પહેલો-બીજો ક્રમ ઊલટસુલટ થઈ શકે.

પણ, શું આ કોઈ ગૌરવ લેવા જેવી વાત છે? વસ્તીની બાબતમાં ચીનને પાછળ રાખીને પહેલા ક્રમે આવીશું તો તેનાથી આપણી સમસ્યાઓમાં વધારો થશે કે હલ થશે? સંસાધનો ઉપર પડી રહેલા અતિશય ભારણ ઉપરાંત બેરોજગારી, ગરીબી જેવા ગંભીર પ્રશ્નો વિશે આ દેશમાં હજુ સુધી વ્યાપકપણે ગંભીર ચિંતન શા માટે શરૂ નથી થયું? છૂટાછવાયા પ્રયાસ થતા રહે છે. જેમ કે 2018માં સુદર્શન સમાચાર ચૅનલના સંચાલક સુરેશ ચવાણકેએ દેશવ્યાપી પ્રવાસ કરીને આ મુદ્દે લોકજાગ્રતિ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ ડૉ. રાકેશ સિન્હાએ 2019માં રાજ્યસભામાં આ મુદ્દે પ્રાઇવેટ મેમ્બર બિલ દાખલ કર્યું હતું, જેની ચર્ચા 2021ના ચોમાસુ સત્રમાં થવાની હતી, પરંતુ વિરોધ પક્ષોએ સંસદ ચાલવા જ નહોતી દીધી એ આપણે જાણીએ છીએ. એ પછી હમણાં વિજયા દશમીને દિવસે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે પણ તેમના પ્રવચનમાં વસ્તી વધારા અંગે ચિંતા વ્યક્ત કરી. હવે ફરી આ મુદ્દે ચર્ચા અને ચિંતન શરૂ થયું છે જેના ભાગરૂપે ડૉ. રાકેશ સિન્હાએ ગયા અઠવાડિયે કર્ણાવતીના દિનેશ હૉલમાં એક વિશાળ સમૂહને સંબોધન કર્યું હતું.

રાકેશ સિન્હાએ માહિતી આપી કે, વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવાની ચિંતા અને પ્રયાસો સ્વતંત્રતા પહેલાં- છેક 1940થી જ શરૂ થઈ ગયા હતા. તે સમયે એટલે કે આજથી 80 વર્ષ પહેલાં અંગ્રેજ શાસનમાં રાષ્ટ્રીય આયોજન કમિટી હતી જેની એક પેટા સમિતિને વધતી વસ્તી અંગે સર્વમાન્ય ઉકેલ શોધવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી. 1946 આવતાં આવતાં સ્વતંત્રતા પહેલાં વચગાળાની સરકાર બની હતી તેણે પણ હેલ્થ સરવે એન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના કરી હતી. ટૂંકમાં દેશમાં પહેલી વચગાળાની સરકાર બની ત્યારથી વસ્તી નિયંત્રણ માટે પ્રયાસ શરૂ થઈ ગયા હતા. આ માટે સ્વતંત્રતા પછી પહેલી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ માટે રૂપિયા 15 લાખની ફાળવણી થઈ હતી. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં રૂપિયા બે લાખ કરોડ કરતાં વધુ રકમ વસ્તી નિયંત્રણ કાર્યક્રમો પાછળ વપરાઈ ચૂકી છે, છતાં આ બાબતમાં આપણે ક્યાં ઊભા છીએ?

વળી, સમસ્યા માત્ર વસ્તી વધારાની નથી પરંતુ ખોરવાઈ રહેલા ડેમોગ્રાફિક સંતુલનની પણ ગંભીર સમસ્યા છે. દેશના આઠથી નવ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે અને આ સ્થિતિ કેટલી જોખમી બની શકે છે એ કાશ્મીર, કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો પરથી સમજવું પડશે.

કોઈપણ માનવ સભ્યતાને ટકવા માટે તેનો જન્મદર 2.3 ટકા હોવો જોઈએ, પણ ભારતમાં હિન્દુઓનો હાલનો જન્મદર 2.1 થઈ ગયો છે. તેની સામે મુસ્લિમોનો જન્મદર 3.6 ટકા છે. આ વાતને સરળ ભાષામાં સમજવી હોય તો કહી શકાય કે દેશમાં જે પ્રત્યેક 100 બાળક જન્મે છે તેમાં 47 મુસ્લિમ અને 40 હિન્દુ છે. બાકીના 13 અન્ય તમામ સમુદાયોના છે. આ સમસ્યા કેટલી ગંભીર છે અને આગામી સમયમાં તેના કેવાં પરિણામ આવશે એ વિશે કમનસીબે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરોને કોઈ ચિંતા નથી!

દેશમાં છેલ્લા થોડાં વર્ષમાં જ્યારે જ્યારે વસ્તી નિયંત્રણની વાત કરવામાં આવે છે ત્યારે એજન્ડાધારી મીડિયા અને લીલા ચશ્માધારી સેક્યુલરો તેને ધાર્મિક રંગ આપીને આ ગંભીર સમસ્યાની ચર્ચાને જ છિન્ન-ભિન્ન કરી નાખે છે. પરંતુ હવે આ મુદ્દે વર્તમાન સરકારે કડક વલણ અખત્યાર કરીને વસ્તી નિયંત્રણનો કડક કાયદો લાવવો જ જોઇએ. તેમાં કોઈ ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના – પ્રારંભમાં થોડો છૂટછાટનો સમય આપ્યા પછી કોઈ એક નિર્ધારિત તારીખ બાદ બે કરતાં વધુ બાળકો ધરાવતા પરિવારોને તબક્કાવાર સરકારી સેવાઓનો લાભ લેવામાંથી વંચિત કરવાની જોગવાઈ કરવી જોઇએ. કાયદા છતાં કેટલાક લોકો ન માને તો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવામાંથી (મતાધિકાર)થી વંચિત કરવાની જોગવાઈ કરતાં પણ ન અચકાવું જોઇએ. હાલની વસ્તીની સમસ્યા મતબેંક સાથે પણ જોડાયેલી છે અને જો કાયદો કડક કરીને એ તોડનારનો મતાધિકાર આંચકી લેવાની જોગવાઈ કરવામાં આવે તો ઘણો ફેર પડી શકે તેમ છે...એજન્ડાધારી મીડિયા, લીલા ચશ્માધારી સેક્યુલરો અને સરકાર આ દિશામાં વિચાર કરે ત્યાં સુધી- મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 24, 2021

મીડિયાને ‘તંત્ર’નો ડર કેમ લાગે છે?

 


--- તંત્ર એટલે સરકાર? કે તંત્ર એટલે ભાજપ? તંત્ર એટલે પંચાયત કે પછી તંત્ર એટલે નગરપાલિકા? તંત્ર એટલે ખરેખર શું? અને એ તંત્ર સામે આંગળી ચીંધવામાં મીડિયા શા માટે ગેંગેફેંફે થઈ જાય છે?

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

આપણામાં એક કહેવત છે, નબળો ધણી, બૈરી પર શૂરો. બહાર જેનું કંઈ ન ચાલે એ ઘરે આવીને હાકલા-પડકારા કરે. ભારતનું મીડિયા આ નબળો ધણી છે. ખાસ કરીને 2014 પછી આ ધણીની નબળાઈ ઘણી વધી ગઈ છે. મીડિયાએ આવી નબળાઈ 2014 પહેલાંના 70 વર્ષ સુધી દાખવી હોત તો આજે ભારત દુનિયાના ટોચના દસ દેશોમાં સ્થાન પામતો હોત.

ગુજરાત અને ભારતના કોઇપણ શહેર, નગર કે ગ્રામ્ય વિસ્તારમાં જાવ એટલે તમારો સામનો ગેરકાયદે દબાણ, ગંદકી, બેફામ પાર્કિંગ, ટ્રાફિક જામ – જેવી તમામ પ્રકારની સમસ્યાઓથી થશે. આ દેશનો દરેક ત્રીજો નાગરિક તમને આ સમસ્યાઓ માટે સરકારને જવાબદાર ઠેરવતો સાંભળવા મળશે. અને લગભગ તમામ મીડિયા પણ આવી સમસ્યાઓના ફોટા અને આકરી ભાષામાં સમાચાર લખી નાખશે. પછી સરકારને ગાળો દેતા એ જ નાગરિકો અને એ જ મીડિયાવાળા સાંજે મસ્તમજાનું ભોજન કરીને ટીવી શ્રેણી માણતાં માણતાં સૂઈ જશે.

પ્રશ્ન એ છે કે, શું એ ગંદકી સરકાર પોતે કરે છે? શું એ ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગ સરકાર પોતે કરે છે? શું રસ્તા પર અને ફૂટપાથ પર અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ સરકાર પોતે કરે છે?

આખી સમસ્યાનું સૌથી પહેલું પગલું તો એ છે કે, ભારતના મીડિયાને સરકાર, વહીવટીતંત્ર, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય પક્ષ – આ બધા વચ્ચેના તફાવતનું ભાન જ નથી. અથવા માની લો કે ભાન છે, અને તેમ છતાં દરેક સમસ્યા માટે સરકાર સામે આંગળીયો ચીંધ્યા કરે છે તો તેનો સીધો અર્થ એ છે કે, મીડિયાને વહીવટીતંત્ર સાથે નહીં પણ સત્તાધારી પક્ષ સાથે વાંધો છે. (એનાં કારણો વાચકો તમે જાતે સમજી જશો.)

સરકાર અને શાસક પક્ષ કોઇપણ રીતે પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે અને તેમને ક્લિનચીટ આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પરંતુ મૂળ મુદ્દો નબળા ધણી- નામે મીડિયાનો છે. ભારતના મીડિયાને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (સંશોધન પત્રકારત્વ)ની કોઈ ગતાગમ જ નથી. કોઇપણ સમસ્યા થાય, કોઇપણ ઘટના બને એટલે સીધા જ શાસક પક્ષ ઉપર તૂટી પડે છે.

કમનસીબે ભારતના મીડિયાને ભાન જ નથી કે, શાસક પક્ષો તો કામચલાઉ હોય છે. ચૂંટાયેલી સરકાર તો કામચલાઉ હોય છે. એ પાંચ વર્ષ સત્તા પર રહે કે 25 વર્ષ, પણ રાજકીય પક્ષે (ચૂંટાયેલી સરકારે) લોકશાહી પદ્ધતિનો ઉપયોગ કરીને સત્તા પર આવવાનું હોય છે, અને વિપક્ષમાં પણ બેસવું પડે છે.

આથી વિરૂદ્ધ જે વહીવટીતંત્ર છે, જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે – એ બધું સ્થાયી હોય છે, કાયમી હોય છે. અધિકારીઓ અને કર્મચારીઓનું બનેલું વહીવટીતંત્ર ગંધાઈ ઊઠેલું છે, સડી ગયેલું છે. એ ભ્રષ્ટાચાર અને સગાવાદથી ખદબદી રહ્યું છે. પણ તેમછતાં મીડિયાને આ બધું દેખાતું નથી. ક્યાંક આગની ઘટના બને અથવા ક્યાંક મકાન તૂટી પડે અથવા ક્યાંક જમીન ધસી પડે ત્યારે સીધેસીધી ચૂંટાયેલી સરકાર ઉપર શૂરા થઈને તૂટી પડતા મીડિયાવાળાને કોણ સમજાવશે કે સરકારના દરેક સ્તરે સુચારુ સંચાલન માટેના કાયદા અને નિયમો ઘડાયેલા છે! અને તેની જવાબદારી જે તે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની હોય છે!

શું આટલી સાદી વાત મીડિયાને ખબર નથી? ખબર તો બધી છે, પરંતુ એ અધિકારીઓ તથા એ કર્મચારીઓને સીધાસીધા જવાબદાર ઠેરવવાની મીડિયામાં હિંમત નથી. આગ કે તેના જેવી અન્ય દુર્ઘટનાઓ બાદ એ માટે કયા અધિકારી અને કયા કર્મચારીઓ જવાબદાર છે એ ઇન્વેસ્ટિગેશન કરીને બહાર લાવવાની મીડિયા પાસે હિંમત નથી, કેમ કે મીડિયા નબળો ધણી છે. દુર્ઘટના માટે, ગંદકી માટે, ટ્રાફિકની સમસ્યા માટે, ગેરકાયદે દબાણ માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના નામ જાહેર કરવામાં સ્થાપિત હિતોનો ટકરાવ થઈ શકે, પરંતુ તેનાથી વિરૂદ્ધ ચૂંટાયેલી સરકારનું નામ છાપરે ચડાવી દેવાથી બધાનું બધું સચવાઈ જાય છે... ખરું ને!

અલબત્ત, એ વાત એટલી જ સાચી છે કે, ચૂંટાયેલી સરકાર આ સમગ્ર વહીવટીતંત્રના સંચાલન અને નિયમન માટે જવાબદાર હોય છે અને અધિકારીઓ-કર્મચારીઓને કામ કરતા રાખવા, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ સામે પગલાં લેવા એ બધી જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે જ, પરંતુ મીડિયા દરેક મુદ્દે માત્ર ચૂંટાયેલી સરકારને જ નિશાન બનાવવાનું અને ખરેખરા ભ્રષ્ટ અપરાધીઓ સાથે ચા-પાણી કરીને ગોઠવણ કરી લેવાનું ચાલુ રાખશે તો ના ભ્રષ્ટાચાર ખતમ થશે, ના સમસ્યાઓમાંથી મુક્તિ મળશે...કેમ કે મીડિયાએ એ યાદ રાખવું પડશે કે અધિકારીઓ-કર્મચારીઓ અને નેતાઓ એ બધા જ પ્રજામાંથી જ સર્જાય છે, પરિણામે આપણને પોતાને, એટલે કે પ્રજાને જવાબદાર ઠેરવવાની હિંમત નહીં કરીએ તો આ દેશમાં કદી સુધારો નહીં થાય એટલું જ નહીં પરંતુ પત્રકારત્વ પણ શંકાના ઘેરામાં રહેશે. મીડિયા આપણી આસપાસ, પ્રજાની વચ્ચે જ રહેલા ખરા અપરાધીઓને શોધવા અંગે વિચારે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, October 17, 2021

ભારતને બચાવવા ટુકડેગેંગનું કાવતરું સમજવું પડે

--- ટુકડેગેંગ કોઈ એકલદોકલ વ્યક્તિ કે એકલદોકલ સંગઠન નથી. આ એક આખું આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને ભારતમાં તમારી અને મારી આસપાસ એમના સ્લીપર સેલ છે. એ વાત સમજાવશે બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક


 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ 

શા માટે વિજયા દશમીની વહેલી પરોઢે નકલી ખેડૂત આંદોલનના સ્થળે-સિંઘુ સરહદે એક વ્યક્તિની હત્યા કરીને તેને પોલીસના બેરિકેડ સાથે લટકાવી દેવામાં આવ્યો? શા માટે એ ઘટનાના થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના લખીમપુરમાં કથિત ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ભાજપના કાર્યકરોનું મૉબ લિંચિંગ થયું? રોહિત વેમુલા પ્રકરણ શા માટે ચગાવવામાં આવ્યું હતું? દાદરીની ઘટનામાં તમામ રાજકીય પક્ષો કેમ આટલો ઊંડો રસ લેતા હતા? CAA કાયદાના વિરોધમાં શાહીનબાગમાં આટલો લાંબો સમય આંદોલન કેમ ચાલ્યું હતું અને તેની પાછળ કયાં પરિબળો હતાં? ખેડૂત આંદોલનને એક વર્ષ થવા આવ્યું તો પણ હજુ કેમ ચાલુ છે, કોણ દોરીસંચાર કરે છે? અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોને એમાં શો રસ છે? કોરોનાના બીજા વેવ વખતે ઑક્સિજનની અછત ઊભા કરવા પાછળ કયાં પરિબળો હતાં? ભારતીય રસી વિરૂદ્ધ કોણ અભિયાન ચલાવતા હતા?  - આ અને આવા બીજા અનેક પ્રશ્ન દેશના નાગરિકોને થતા હશે.

દેશનો એક ખૂબ મોટો વર્ગ છે જેને આવી બધી ઘટનાઓ અને તેની પાછળનાં કારણો વિશે કશો ખ્યાલ આવતો નથી. એજન્ડાધારી મીડિયામાં બેઠેલા અમુક તત્વોને બધુ ખબર હોય છે, પણ એ પ્રજાને સાચી વાત જણાવતા નથી કેમ કે એ લોકો પણ આંતરરાષ્ટ્રીય કાવતરાંનો જ એક ભાગ હોય છે. (આ વાત આ અઠવાડિયે જ 13 ઑક્ટોબરને બુધવારે આ સ્થળે રામચંદ્ર નામજોષીજીએ જે પત્રકારત્વના પુસ્તકની સમીક્ષા કરી હતી એ પુસ્તકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે)

ખેર, તો આ આખી વાત સમજવી હોય અને ભારતવર્ષને બચાવવો હોય તો શું કરવાનું? આ રહી ભારતને બચાવવાની રેસિપી.

ભારતના ટુકડા કરવાની માનસિક્તા બ્રેકિંગ ઈન્ડિયા તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો સમગ્ર હિન્દુસ્થાનને છિન્નભિન્ન કરી નાખવાનો છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો આ કામ ઘણા દાયકાથી કરી રહ્યા છે. તેની સામે અમેરિકાસ્થિત પ્રખર સનાતની વિદ્વાન શ્રી રાજીવ મલ્હોત્રાએ તથા દક્ષિણ ભારતમાં વસતા અરવિંદન નીલકનંદન સાથે મળીને બ્રેકિંગ ઈન્ડિયા નામે પુસ્તક લખ્યું.

ભારત અને તેની સનાતન સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. દુનિયાના તમામ સાચા વિદ્વાનો એક વાતે સંમત છે કે વેદો, મહાભારત તથા ભગવદ્ ગીતામાં આખી સૃષ્ટિનો સાર આવી જાય છે. સમાજજીવન હોય કે કૌટુંબિક જીવન, ધર્મ હોય કે આધ્યાત્મ, યુદ્ધ હોય કે શાંતિ, વિજ્ઞાન હોય કે ગણિત, રાજકારણ હોય કે અર્થતંત્ર દુનિયાના કોઈ વિષય એવા નથી જેના વિશે આપણાં શાસ્ત્રોમાં આધારભૂત રીતે કહેવામાં ન આવ્યું હોય. (https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati )

આવી તમામ જ્ઞાન-સમૃદ્ધિથી ભરેલો આપણો દેશ હજારેક વર્ષ પહેલાં જેહાદી આક્રમણકારીઓ અને ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓની નજરમાં આવી ગયો. મધ્યપૂર્વમાંથી નીકળેલા જેહાદીઓ માટે જમીનમાર્ગે ઉત્તર ભારત સુધી પહોંચવાનું સરળ હતું અને તેથી એ લોકોએ એ તરફ આક્રમણ કર્યાં, અત્યાચાર કર્યા, લૂંટફાટ અને બળાત્કાર કર્યા.

તો બીજી તરફ યુરોપમાં મજબૂત થઈ રહેલા ખ્રિસ્તી મિશનરીઓ દરિયામાર્ગે દક્ષિણ ભારત તરફ આવ્યા અને ત્યાં ચાલાકી અને લાલચ દ્વારા ધર્માંતર કરાવ્યા.

આ તમામ પ્રયાસો છતાં ધર્માંતરમાં ધાર્યા મુજબ સફળતા ન મળતા મિશનરીઓએ તેમની વ્યૂહરચના બદલી અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં એવો અપ-પ્રચાર શરૂ કર્યો કે, તમે જ મૂળ ભારતીયો હતા અને જર્મની તરફથી ઉત્તર ભારતમાં આવેલા આર્યોએ તમને હાંકી કાઢીને દક્ષિણમાં મોકલી દીધા. મિશનરીઓ આટલા અપ-પ્રચારથી અટક્યા નહીં પરંતુ તમિળ સાહિત્યમાં, તમિળ કળાઓમાં જીસસ અને ખ્રિસ્તી ધર્મનો જ પ્રભાવ છે એવો અપ-પ્રચાર ફેલાવવાનું વ્યવસ્થિત કાવતરું ઘડી કાઢ્યું. અનેક તમિળો આજે પણ ઉત્તર ભારતને તથા સંસ્કૃત તથા હિન્દી ભાષાને ધિક્કારે છે તેનું મૂળ કારણ આ જ છે.

 આ કાવતરાં કેવી રીતે ઘડાયાં, કોણે કોણે તેમાં શું ભૂમિકા ભજવી...એવા તમામ પ્રશ્નના જવાબ રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકંદને શોધ્યા અને તેને બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક દ્વારા દુનિયા સમક્ષ મૂક્યા. અંગ્રેજી તથા હિન્દી પછી આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે (જેનો અનુવાદ કેનેડાસ્થિત શ્રી ઉદિત શાહે કર્યો છે). આ પુસ્તક વિશે દરેક શાળા-કૉલેજ, સંસ્થાઓ અને મંડળોમાં વાચન અને ચર્ચા કરવી આવશ્યક છે. જો એવું નહીં થાય તો આ દેશના અસંખ્ય ટુકડા થતા વાર નહીં લાગે. થોડા ટુકડામાં જેહાદીઓનું શાસન હશે અને થોડા ઉપર મિશનરીઓએ કબજો જમાવેલો હશે. હિન્દુસ્થાનમાં હિન્દુ જ ઓશિયાળો બની જશે...જો એ બચશે તો. આ પુસ્તક વાંચો, વંચાવો, તેની ચર્ચા કરો, ટુકડેગેંગ વિશે જાગ્રતિ ફેલાવો ત્યાં સુધીમાં એક નવા વિષય સાથે... મિલતે હૈ બ્રેક કે બાદ!

---------------- આ પુસ્તકનો વિમોચન સમારંભ આસો સુદ સાતમને મંગળવારે (12-10-2021) યોજાયો હતો. પુસ્તકનું વિમોચન સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી - પ્રખ્યાત રાષ્ટ્રવાદી સુશ્રી મોનિકા અરોરાએ કર્યો હતો. આ ઑનલાઇન કાર્યક્રમ માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો...👇👇👇 (પુસ્તક ખરીદવા માગતા હોવ તો એ માટેની લિંક પણ લેખને અંતે આપવામાં આવી છે)

Book Inauguration Ceremony Breaking India (Gujarati Edition) - YouTube 

---------------

પુસ્તક ખરીદવા માટે લિંક 👇👇👇

https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati