Monday, April 30, 2018

મારું, તમારું, આપણા સૌનું જળઅભિયાન


મારું, તમારું, આપણા સૌનું જળઅભિયાન

---- આવતીકાલે 1 મે છે, ગુજરાતનો 58મો સ્થાપના દિવસ. આમ તો ગુજરાત સરકાર આ અભિયાન શરૂ કરી રહી છે, પણ તમે અને હું – આપણે સૌ આ અભિયાનને આપણું પોતાનું બનાવી લઈએ તો કેવું?

- અલકેશ પટેલ

પાણીની બચત કરવા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દાયકાથી આખી દુનિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એમાંય ત્રણેક દાયકાથી તો વારંવાર એવું સાંભળવા મળે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે થશે. અંગત રીતે મને એવું લાગે છે કે પાણીની બચતની ગંભીરતા સમજાવવા માટે વિશ્વયુદ્ધની વાત કરવામાં આવી હોઈ શકે, કેમકે વિશ્વયુદ્ધ થાય એવો આ મુદ્દો લાગતો નથી. માણસને વિકલ્પો શોધી લેતાં આવડે છે. દરિયાના પાણીને મીઠું બનાવવાના પ્રયોગો સફળ થયા છે. પણ... સવાલ એ છે કે આજે દરિયાનું પાણી મીઠું કરવા લાગીશું અને કાલે એ પાણી પણ ખૂટી પડશે તો..? અને એટલે જ કુદરતી રીતે આપણને જે વરસાદી પાણી મળે છે, પહાડી જંગલોમાંથી જે પાણી નદી-ઝરણાં મારફતે આપણા સુધી આવે છે, ઉત્તરધ્રુવમાંથી બરફ પીગળીને જે પાણી આપણા સુધી પહોંચે છે તેને આપણે શા માટે બચાવતા નથી..? આ બધું આપણને મફતમાં મળે છે એટલે જ ને..?
ખરેખર તો આપણે એ સમજવું જોઈએ કે જે કંઈ મફતમાં છે એ જ સૌથી વધારે મોંઘું છે. મફતમાં છે તેથી તેની આપણને કિમત નથી અને તેનો બેફામ ઉપયોગ કરીએ છીએ, પરિણામે તેનાથી વંચિત થવાનો, તેની અછત ભોગવવાનો વારો આવે છે.
ખેર, ગુજરાતમાં આવતીકાલથી જે જળઅભિયાન શરૂ થાય છે તેનો હિસ્સો બનવાની આપણા સૌની ફરજ છે. રાજ્યનો દરેકે દરેક નાગરિક વ્યક્તિગત રીતે આ જળઅભિયાનને પોતાની ફરજ બનાવી લે તો મને ખાતરી છે કે કાયમ માટે પાણીની અછતની સમસ્યામાંથી આપણે બહાર આવી શકીશું.
--- પાણીની બચત એ દરેક નાગરિકની ફરજ છેઃ
પાણીની અછત માટે સરકારને ગાળો આપવાથી કે વહીવટીતંત્રની ટીકા કરવાથી નહીં ચાલે. આપણે પોતે તેના ઉપાયમાં લાગી જવું પડશે. કેવી રીતે..? આપણા ઘરના કોઈપણ નળમાં પાણી લીકેજ થતું હોય તો એ બંધ કરવાની જવાબદારી આપણી છે, એમાં સરકાર કે વહીવટીતંત્ર કશું ન કરી શકે. સ્નાન સહિત અન્ય ક્રિયાઓ વખતે જરૂર જેટલું પાણી ઉપયોગમાં લેવાય અને તેનો બગાડ ન થાય એ જોવાની જવાબદારી વ્યક્તિગત છે, સરકારી નહીં.
--- મારે શું..? ની માનસિકતા છોડવી પડશેઃ
કોઈ જાહેર શૌચાલયમાં કે પછી અન્ય કોઈપણ જાહેર જગ્યાએ જો પાણીનો બગાડ થતો હોય, પાણીનું લીકેજ થતું હોય તો તેના પ્રત્યે સરકારી તંત્રનું, વહીવટીતંત્રનું ધ્યાન દોરવાની જવાબદારી પણ આપણી છે કેમકે સરકાર અને વહીવટીતંત્રનું કદ નાનું હોય છે, તેઓ સંખ્યામાં ઓછા હોય છે તેથી દરેક શેરીમાં, દરેક જાહેર સ્થળે અધિકારીઓ અને કર્મચારીઓ આવી બાબતોનું ધ્યાન રાખવા ચોવીસે કલાક બેસી ન રહ્યા હોય એવી સામાન્ય સમજ આપણામાં હોવી જોઈએ. વળી એ કર્મચારીઓ અને અધિકારીઓ બીજી અનેક પ્રકારની કામગીરીમાં રોકાયેલા હોવાથી બધે એક સાથે ધ્યાન આપવાનું શક્ય ન હોય એવું બને. અને એ જ કારણે કોઈ જાહેર સ્થળે પાણીનો બગાડ થતો હોય તો તંત્રનું ધ્યાન દોરવામાં આપણે સક્રિય થવું જોઈએ... મારે શું..? ની વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
--- વરસાદી પાણીનો સંગ્રહઃ
આ સૌથી અગત્યનો મુદ્દો છે. વરસાદી પાણી સૌથી શુદ્ધ હોય છે અને તેનો સંગ્રહ કરવાની ટેવ આપણે આ વર્ષથી જ કેળવી લેવી જોઈએ. આ કોઈ અશક્ય બાબત નથી. હાઉસિંગ સોસાયટી હોય કે પોળ – દરેકે સાથે મળીને આવતીકાલથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું જોઈએ. વરસાદી પાણીને વહી જવા દેવાને બદલે તેને જમીનમાં ઉતારવાની ટેકનિક ઘણા દાયકાથી અમલમાં છે અને હવે છેક કટોકટીનો સમય આવી ગયો છે કે આપણે સૌ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા આપણી સોસાયટી કે પોળ કે ઘરે લગાવી દઈએ.
આમાં કોઈ અતિશય મોટો ખર્ચ નથી. બધા સામૂહિક રીતે ભંડોળ ઊભું કરીને વરસાદી પાણી સંગ્રહની વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને આમ પણ આવી વ્યવસ્થા ઊભી કરવા માટે જે ખર્ચ થાય તે અત્યારે નહીં કરીએ તો પાણી વિનાની આવતીકાલ આપણને અનેકગણી મોંઘી પડશે...
પાણી વિના સ્થિતિ કેવી ગંભીર થઈ શકે તેમ છે - એ સમજાવવા માટે આંકડા અને ટકાવારી આપવાનું સહેલું છે. એ આંકડા અને ટકાવારીની જાહેર ચર્ચા કરવાનું પણ સહેલું છે... પરંતુ એવી ડાહીડાહી એકેડેમિક ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. સીધી અને સટ મૂળ વાત એ છે કે પાણી વિના કોઈને ચાલતું નથી અને ચાલવાનું નથી. જમીનની નીચે પાણીનું સ્તર ઘટી રહ્યું છે એ હકીકત છે. એ માટે ઉદ્યોગો અને ઠંડાપીણાંની કંપનીઓ તો જવાબદાર છે જ, પણ વ્યક્તિગત રીતે આપણે સૌ પણ ઓછા જવાબદાર નથી. આ બાબતમાં આજ સુધી જે કંઈ થયું એ ભલે થયું, પરંતુ શું આપણે દરેક નાગરિક વ્યક્તિગત રીતે નક્કી કરી શકીએ કે આવતીકાલથી પાણીની બચત માટે મારાથી જે કંઈ થઈ શકશે તે હું કરીશ..?

Saturday, April 28, 2018

વિશ્વનાં સમીકરણ બદલાઈ રહ્યાં છેઃ એડવાન્ટેજ ભારત?


વિશ્વનાં સમીકરણ બદલાઈ રહ્યાં છેઃ એડવાન્ટેજ ભારત?
---- વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ શી જીન પિંગને મળી રહ્યા છે. ઉત્તર કોરિયાના આપખૂદ પ્રમુખ કિમ જોંગ ચાલીને દક્ષિણ કોરિયાની સરહદ પાર કરે છે. કિમ જોંગ અને ચીની પ્રમુખ વચ્ચે થોડા સમય પહેલાં જ મુલાકાત થઈ ગઈ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે... આ ઘટનાક્રમમાં આડકતરી રીતે ભારતની ઘણી મોટી ભૂમિકા છે 

- અલકેશ પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિ માટે 2018નું વર્ષ મહત્ત્વનું બની રહેવાનું છે. હજુ થોડા મહિના પહેલાં જે દેશો એકબીજા સામે મિસાઈલ તાકી રહ્યા હતા એ આજે હાથ મિલાવીને એકબીજાને ભેટી રહ્યા છે. હજુ થોડા મહિના પહેલાં જે પાડોશી દેશો સરહદ પરની હિલચાલને યુદ્ધની તૈયારી ગણતા હતા એ સરહદો પાર કરીને એકબીજાને ભેટી રહ્યા છે. હા, હું વાત કરું છું - ઉત્તર કોરિયા અને અમેરિકાની. હું વાત કરું છું – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની. હું વાત કરું છું – ભારત અને ચીનની.
વાસ્તવમાં આ બધા ઘટનાક્રમને સમજવા માટે થોડા પાછળ જવું પડે. જે સમયે ઉત્તર કોરિયા એક પછી એક મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું હતું અને તેનો આપખૂદ શાસક કિમ જોંગ આખી દુનિયાને ડોળા બતાવી રહ્યો હતો ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલ અને પેલેસ્ટિનની મુલાકાત લઈ રહ્યા હતા. જે સમયે કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ એક-બીજાને મિસાઈલથી ફૂંકી મારવાની ભાષા બોલી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી જાપાન, વિયેતનામના સંપર્કમાં હતા. જે સમયે ઉત્તર કોરિયાના આક્રમક પરમાણુ પરીક્ષણોને કારણે પાડોશી દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતા અને ડરનો માહોલ હતો ત્યારે નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુ ઈ એફ)ની કૉન્ફરન્સમાં કી-નોટ પ્રવચન આપી રહ્યા હતા. જે સમયે ચીની ડ્રેગન ભારતને ડરાવવા માટે પાકિસ્તાનને પોતાના પડખામાં ભરાવી રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મોટાભાગના મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશિયાન સંગઠનના વડાઓને નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં ભારતની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી રહ્યા હતા. જે સમયે ચીન ભારતની મુશ્કેલી વધારવા માટે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાંથી પસાર થતા ન્યૂસિલ્ક રૂટના આયોજનમાં વ્યસ્ત હતું ત્યારે નરેન્દ્ર મોદી નેપાળ માટે નવો વૉટર-વે ખોલવાની યોજના બનાવી ચૂક્યા હતા એટલું જ નહીં પરંતુ ફ્રાન્સ સાથે મળીને સમગ્ર આફ્રિકા ખંડમાં ખૂબ મોટા પાયે સૂર્યઊર્જાનું ઉત્પાદન કરવા માટેની મહત્ત્વાકાંક્ષી યોજનાનો પાયો નાખી દીધો હતો.
હવે આ જે ઘટનાક્રમ કહ્યો તેના સંદર્ભમાં અહીં શરૂઆતમાં જે કંઈ કહ્યું તેને સરખાવો એટલે એ સમજવાનું અઘરું નહીં પડે કે છેલ્લા થોડા સમયમાં શા માટે બધું એકાએક બદલાવા લાગ્યું..!? સાચી વાત એ છે કે, નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા એ દિવસથી આખી દુનિયાને એક મંચ ઉપર લાવવા મથી રહ્યા છે. શપથવિધિમાં પાકિસ્તાન સહિત સાર્ક દેશોના વડાઓને નિમંત્રણ આપ્યું ત્યારથી જ તેમનો ઈરાદો અને લક્ષ્યાંક નક્કી હતા, પરંતુ છેલ્લા ચાર વર્ષ દરમિયાન અલગ અલગ દેશો પોતપોતાની ગણતરી મુજબ, પોતપોતાના સ્વાર્થ મુજબ વર્તન કરતા રહ્યા, જેને કારણે ભારતમાં તેમજ દુનિયામાં જૂજ લોકોને એવું લાગ્યું કે મોદી સરકારની કોઈ વિદેશ નીતિ નથી અને નરેન્દ્ર મોદી તો માત્ર દુનિયામાં ફર્યા કરે છે વગેરે વગેરે... પણ હવે ઓબ્જેક્ટિવલી વિચારવા બેસીએ તો મોદી સરકારની વિદેશ નીતિને કારણે જ આજે ચીન ઝૂક્યું છે અને વડાપ્રધાન મોદીને ખાસ નિમંત્રણ આપીને અનૌપચારિક શિખર બેઠક માટે બોલાવ્યા.
નરેન્દ્ર મોદીના ચાર વર્ષના પ્રયાસોનાં પરિણામો ઉપર નજર કરીએ તોઃ આફ્રિકા ખંડના મોટાભાગના દેશોએ ભારત સાથેના સંપર્ક વધારી દીધા છે જેને કારણે ચીનને આર્થિક ફટકો પડી શકે તેમ છે. એશિયામાં ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સિવાય ચીનના કોઈ ગાઢ મિત્રો નથી, જેની સામે મોદી સરકાર જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિત મોટાભાગના દેશોને એકસૂત્રમાં બાધવામાં સફળ રહી છે. મોદી સરકારે ચીન દ્વારા આયોજિત ન્યૂ સિલ્ક રૂટની કૉન્ફરન્સમાં ભાગ નહીં લઈને દુનિયા સમક્ષ ચીની ડ્રેગનના બદઈરાદાને ખુલ્લો પાડ્યો જેને પરિણામે હજુ થોડા દિવસ પહેલાં જ ઈંગ્લેન્ડને બાદ કરતાં મોટાભાગના યુરોપીય દેશોએ ચીનની વન બેલ્ટ, વન રૂટની ચાલમાં ફસાવાનો ઈનકાર કરી દીધો.
ટૂંકમાં વાત એ છે કે કોઈ જાતનો હોબાળો કર્યા વિના ભારત સરકારે છેલ્લા ચાર વર્ષમાં વિશ્વની ભૌગોલિક અને તેની સાથે સંકળાયેલી આર્થિક સ્થિતિ ઉપર એવો પ્રચંડ પ્રભાવ પાડ્યો છે કે થોડા મહિના પહેલાં સુધી એક-બીજા સામે બંદૂક તાકીને ઊભેલા દેશો હવે મિત્રતાનો હાથ લંબાવી રહ્યા છે. અને આ પરિવર્તનનું શ્રેય મોદી સરકારને જાય છે એ વાતમાં કોઈ આશંકા નથી. મોદી સરકારે ભૂતકાળની – ખાસ કરીને કોંગ્રેસી સરકારોની જેમ પેલેસ્ટિનને ખુશ કરવા ઈઝરાયેલ સાથે સંબંધ નહીં રાખવાની કે પછી ચીનને ખુશ રાખવા નેપાળ સાથે સંબંધ ગાઢ નહીં બનાવવાની નીતિ ફગાવી દઈને પેલેસ્ટિન-ઈઝરાયેલ બંનેને સાથે રાખ્યા છે, ચીન-નેપાળ બંને સાથે સંબંધ વિસ્તાર્યા છે, સાઉદી અરેબિયા-ઈરાન બંનેના વડા સાથે વડાપ્રધાન મોદી એક સરખી ઉષ્માથી સંબંધ કેળવી શક્યા છે. વૈશ્વિક સંબંધોનાં સમીકરણ બદલાઈ રહ્યાં છે અને તેમાં લાભ ભારતને છે.

Saturday, April 21, 2018

ઉન્નાવથી કથુઆઃ બદમાશ બુદ્ધિજીવીઓ અને બદમાશ મીડિયા


ઉન્નાવથી કથુઆઃ બદમાશ બુદ્ધિજીવીઓ

અને બદમાશ મીડિયા



--- ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં દુષ્કર્મની ઘટનાઓએ કોંગ્રેસ, (કુ)બુદ્ધિજીવીઓ તેમજ મીડિયાના બેવડાં ધોરણ ખુલ્લા પડી ગયા



અલકેશ પટેલ



એક ભયંકર કાવતરું ચાલી રહ્યું છે આ દેશમાં. દેશને જ્ઞાતિવાદ-જાતિવાદ, ધર્મ અને પ્રાંતવાદમાં વિભાજિત કરવા કેટલાંક તત્વો સક્રિય છે. આ તત્વોમાં રાજકીય પક્ષો, સમાજના કેટલાક કહેવાતા અગ્રણી બુદ્ધિજીવી નાગરિકો તેમજ મીડિયા પોતે સામેલ છે. છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રવાદી લાગણીમાં ઉછાળ આવવાને કારણે આ તત્વો તેમનું વજૂદ ગુમાવી રહ્યાં છે અને તેથી એ બધું પાછું મેળવવા દરરોજ એક કાવતરું ઘડાય છે અને અહીં જણાવી એ ટોળકી એક સાથે ભયાનક અપપ્રચારમાં લાગી પડે છે જેથી આવાં કાવતરાંને ઓળખી નહીં શકતા સામાન્ય નાગરિકો એ બધું સાચું માની લે અને દેશને, દેશની સરકારને, દેશના વહીવટીતંત્રને, દેશની પોલીસને ધિક્કારવા લાગે. આવી ટોળકીને સાથ આપે છે કોંગ્રેસ, આવી ટોળકીને સાથ આપે છે બુદ્ધિજીવી બદમાશો અને મીડિયાનો અમુક વર્ગ.

કેવી રીતે? વાતની શરૂઆત છેલ્લી બે ઘટનાઓથી કરીએ ઉન્નાવ અને કથુઆ. આમ તો એ છેલ્લી ન કહેવાય, પરંતુ તાજી ઘટનાઓ કહેવાય કેમકે કમનસીબે આવું સતત ચાલ્યા કરે છે. હકીકતે આ બંને તાજી ઘટનાઓ નથી, પરંતુ તેના વિશે એવી હવા ઊભી કરવામાં આવી છે કે જાણે બધું છેલ્લા એક અઠવાડિયાના ગાળામાં બની ગયું હોય અને હવે દેશ ખતરનાક સ્થિતિએ આવી પહોંચ્યો હોય! રાહુલ ગાંધીએ તો એ હદે નિવેદન કરી નાખ્યું કે દેશમાં હવે દરેકે દરેક સ્ત્રી અને બાળકી અસલામત છે અને ઘરની બહાર નીકળી શકે તેમ નથી!? (મારી આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો 12 એપ્રિલે રાત્રે 11 વાગ્યા પછી નવી દિલ્હીમાં કૅન્ડલ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને આપેલા નિવેદનનો વીડિયો સાંભળી લેજો).

ખેર, મુદ્દો એ છે કે સ્ત્રી જાતિ સાથેનો કોઈપણ અત્યાચાર એ અત્યાચાર છે. આવા અત્યાચારમાં ભોગ બનનાર બાળકી કે સ્ત્રી અને અત્યાચાર કરનાર પુરુષના કોઈ ધર્મ કે જાતિ નથી હોતા. અત્યાચાર એ અત્યાચાર કહેવાય અને આરોપી એ આરોપી જ કહેવાય. પરંતુ ઉપરની બંને ઘટનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને હિન્દુત્વને બદનામ કરવા માગતી ટોળીએ ચાલાકીથી ધર્મને ઘૂસાડી દીધો અને તેનું ધાર્યું પરિણામ આવ્યું. છેક યુએનમાં તેની નોંધ લેવાઈ અને યુએનના વડાએ નિવેદન કર્યું કે કથુઆની ઘટનામાં ભોગ બનેલી બાળકીને ન્યાય મળવો જોઈએ. દેશ વિરોધી ટોળકીનું આ જ તો કાવતરું કહેવાય, કે જમ્મુ-કાશ્મીરની એક ઘટના છેક યુએન સુધી પહોંચે છે અને તેની સામે એવી બીજી સેંકડો ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે.

કોંગ્રેસ તો રાજકીય કારણોસર આવું કરે એ સમજી શકાય, પરંતુ કહેવાતા બુદ્ધિજીવીઓ અને મીડિયા જ્યારે આવું કરે ત્યારે દેશને અને સામાજિક માળખાને વધારે નુકસાન થાય છે કેમકે પ્રજાને રાજકારણીઓના ઈરાદાની તો ખબર હોય છે, પરંતુ બુદ્ધિજીવી બદમાશો તેમજ બદમાશ મીડિયાના બદ-ઈરાદાની ઘણાં વર્ષ સુધી ખબર પડતી નથી. આ બાબત સાબિત કરવા માટે જે ઉદાહરણો છે તે સ્વયંસ્પષ્ટ છે. હાલ પૂરતા આપણે કેરળ અને કર્ણાટકનાં ઉદાહરણ લઈએ. હમણાં જ અહેવાલ પ્રકાશિત થયો છે જે અનુસાર કેરળમાં ગયા વર્ષે એટલે 2017માં દુષ્કર્મની 3088 ઘટનાઓ બની હતી અને તેમાં ભોગ બનેલી સગીર છોકરીઓની સંખ્યા 1000 કરતાં વધારે હતી. એ જ રીતે કર્ણાટકમાં પણ હજારો કેસ બન્યા છે અને બની રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કેસ હાલ કર્ણાટકમાં બની રહ્યા છે. બંને રાજ્યમાં હત્યા અને તેમાંય ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા સરેરાશ એક અઠવાડિયા કે દર પંદર દિવસે થાય છે. લેખક કલબુર્ગીની હત્યા કર્ણાટકમાં જ થઈ હતી અને મહિલા પત્રકાર ગૌરી લંકેશની હત્યા પણ કર્ણાટકમાં થઈ હતી. કલબુર્ગીની હત્યાને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા અને ગૌરી લંકેશની હત્યાને સાત મહિના થયા છતાં બંને કેસમાં કર્ણાટક પોલીસ હજુ હવાતિયાં મારે છે.

શું આ અહેવાલ તમને વાંચવા – જોવા – સાંભળવા મળ્યા?

નહીં મળે કેમકે એ ઘટનાઓ કેરળ તેમજ કર્ણાટકની છે જ્યાં ડાબેરીઓ તેમજ કોંગ્રેસની સરકારો છે. બેવડાં ધોરણ ધરાવતા મીડિયા અને બુદ્ધિજીવીઓને ડાબેરીઓ અને કોંગ્રેસના રાજ્યોમાં થતા તમામ પ્રકારના અપરાધની કોઈ ચિંતા નથી. એ લોકોનું ધ્યાન માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં છે જ્યાં નાનામાં નાની ઘટનાને આ બદમાશ તત્વો મોટું સ્વરૂપ આપી દે છે. (અહીં એક ખાસ સ્પષ્ટતા એ થવી જોઈએ કે મહિલા પરના અત્યાચાર કે પછી અન્ય કોઈ અપરાધ ભાજપશાસિત રાજ્યોમાં થતા હોય તો તેનો બચાવ કરવાનો કોઈ આશય નથી પણ મુદ્દો માત્ર એટલો છે કે દરેક ઘટના પર દરેકને એક સરખી ચિંતા હોવી જોઈએ, પણ એવું થતું નથી.) અને એટલે જ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ દ્વારા જૂઠાણા ફેલાવવામાં આવે અને (કુ)બુદ્ધિજીવીઓ તેને આગળ વધારે અને મીડિયાનો અમુક વર્ગ એ જૂઠાણામાં સામેલ થાય ત્યારે ચિંતા થવી જોઈએ. ચિંતા એટલા માટે થવી જોઈએ કે સત્તાના રાજકારણ માટે માત્ર અને માત્ર હિન્દુ સમાજને બદનામ કરવા અને તેના દ્વારા દેશને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

ઈસ દેશ કી સેહત કે લિયે કોંગ્રેસ તુ તો હાનીકારક હૈ


ઈસ દેશ કી સેહત કે લિયે કોંગ્રેસ તુ તો હાનીકારક હૈ

---------------------------------------------------------
2019ની લોકસભા ચૂંટણીનાં નગારાં સંભળાવા લાગ્યાં છે. બધા પક્ષ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસે પણ તૈયારી તો શરૂ કરી જ છે, પણ એની તૈયારી રચનાત્મક હોવાને બદલે ભાંગફોડવાળી વધારે છે. રાજકીય લડાઈ લડી લેવા કોંગ્રેસ મુક્ત છે, બલ્કે એણે એવી લડાઈ લડવી પણ જોઈએ... પરંતુ ભારે દુખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસનાં પગલાં ભારતના સામાજિક તાણાવાણાને વેરવિખેર કરી નાખશે એવું ગંભીર જોખમ રહેલું છે
---------------------------------------------------------

--- અલકેશ પટેલ

12 એપ્રિલે મોડી રાત્રે 11 વાગ્યા પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, તેમનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકાએક નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે એકત્ર થઈ ગયાં. એને તેમણે દુષ્કર્મ વિરુદ્ધ કૅન્ડલ માર્ચ નામ આપ્યું હતું. એક રીતે જોઈએ તો મુદ્દો તો સાચો જ હતો. બાળકી હોય કે પછી કિશોરી કે પછી કોઈ મોટી ઉંમરની મહિલા – પરંતુ સ્ત્રી જાતિ ઉપર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે તેની સાથે દુષ્કર્મ થાય તો કોઈપણ સભ્ય સમાજને ચિંતા થવી જોઈએ. તો પછી સવાલ એ થાય કે કોંગ્રેસનું આ પગલું અયોગ્ય કેવી રીતે કહેવાય? તેનો જવાબ એ છે કે કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ઉન્નાવ તથા જમ્મુ-કાશ્મીરના કથુઆની ઘટનાઓને માત્ર રાજકીય ચશ્મા પહેરીને જોઈ હતી અને તેના કરતાં વધારે ખતરનાક બાબત એ હતી કે આવી ઘટનાઓમાં કોંગ્રેસે ધર્મને ઘૂસાડીને ભારતમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વકરાવવાનું પાપ કર્યું હતું. કોંગ્રેસે એવો માહોલ ઊભો કરવા પ્રયાસ કર્યો કે ભાજપની સરકાર સત્તા ઉપર છે એટલે તમામ હિન્દુઓ છાકટા બની ગયા છે અને તે કારણે આખા દેશમાં હવે કોઈ મહિલા સલામત નથી. (મારી આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો 12 એપ્રિલે કૅન્ડલ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને આપેલા નિવેદનનો વીડિયો સાંભળી લેજો).
સત્તા વિહોણો બનેલો કોંગ્રેસ પક્ષ બેબાકળો થઈ ગયો છે. એટલું ઓછું હોય તેમ નરેન્દ્ર મોદી સરકાર એક પછી એક જે આર્થિક અને સામાજિક પગલાં લઈ રહી છે તેને કારણે કોંગ્રેસ અને ડાબેરીઓનું વજૂદ જોખમમાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેમની પરંપરાગત વોટબેંક સંકોચાઈ રહી છે. એ સંજોગોમાં રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખવા કોંગ્રેસ પ્રયાસ કરે એમાં કશું ખોટું નથી, પરંતુ એણે જે માર્ગ અખત્યાર કર્યો છે એ ચોક્કસ ચિંતાજનક છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં પાટીદાર અનામતના નામે સામાજિક વિભાજનનો અખતરો કરી ચૂકેલા કોંગ્રેસ પક્ષે આવતા મહિને કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી પહેલાં ત્યાંના વગદાર લિંગાયત સમુદાયમાં ભાગલા પાડી દીધા છે. કર્ણાટક કોંગ્રેસે લિંગાયતને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાનો અત્યંત વરવો ખેલ ખેલીને હિન્દુ સમાજના બે જૂથ વચ્ચે ઝેરનાં બીજ રોપી દીધાં છે.
આ જ ગાળામાં ગુજરાતમાં દલિતોને લગતી બે ઘટનાને પણ કોંગ્રેસ તદ્દન ખોટી રીતે દલિત-હિન્દુ વૈમનસ્યની ઘટનાઓ હોય એ રીતે હજુ પણ રજૂ કરી રહી છે. કોંગ્રેસ તેમજ મીડિયા પણ જાણે છે કે દલિત યુવાનોને લગતી એ ઘટના અંગત કારણોનું પરિણામ હતી અને તેને હિન્દુ વિરુદ્ધ દલિત જેવા કાલ્પનિક મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી.
સાચી વાત એ છે કે, કોંગ્રેસ અને ડાબેરીઓને પેટમાં એ વાતનું દુખે છે કે 1) મોદી સરકાર તમામ બાબતો સાથે આધાર લિંક કરવા મક્કમ છે, જેને કારણે સાચા લોકો તેમજ નકલી ભૂતિયા નામો દ્વારા કૌભાંડ કરતા લોકો વચ્ચે ઓળખ થઈ શકે. 2) મોદી સરકાર લાખો સામાન્ય લોકોને મુદ્રા બેંક દ્વારા રોજગારી માટેની લોન આપી રહી છે. 3) મોદી સરકાર દેશના અન્ય દિગ્ગજ નેતાઓ જેવું જ માનપાન બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરને આપી રહી છે. 4) મોદી સરકારે ચાર વર્ષમાં 2014 પહેલાં જ્યાં વીજળી નહોતી એવાં 90 ટકા ગામોમાં વીજળી પહોંચાડી દીધી છે. 5) મોદી સરકારે શૌચાલયો બાંધવાનું ભગીરથ કામ હાથમાં લીધું છે અને મોટાભાગનાં રાજ્યોમાં જ્યાં ગરીબો માટે શૌચાલયની વ્યવસ્થા નહોતી ત્યાં આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 6) રસ્તા અને રેલવે સહિત માળખાકીય સુવિધાઓ એટલી બધી ઝડપથી વધી રહી છે કે હવે દેશના મોટાભાગના અંતરિયાળ વિસ્તારો રસ્તાથી જોડાઈ ગયા છે. 7) આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે જેને કારણે હવે પાકિસ્તાન અને ચીન જેવા બે-ત્રણ દેશને બાદ કરતાં બાકીના તમામ દેશ ભારત સાથે મૈત્રી કરવા તત્પર છે. વડાપ્રધાન મોદી ઈઝરાયેલ અને તેના કટ્ટર દુશ્મન પેલેસ્ટીન સાથે પણ સંબંધો ગાઢ બનાવવામાં સફળ થયા છે. 8) મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ હવે દેશમાં ઘણા મોટા પાયે શસ્ત્રોનું નિર્માણ શરૂ થયું છે જેનું દેખીતું ઉદાહરણ 12 એપ્રિલે ચેન્નઈમાં યોજાયેલો ડિફેન્સ એક્સ્પો છે (https://www.oneindia.com/india/defence-expo-2018-live-updates-modi-inaugurate-the-event-today-chennai-2676313.html). આ રીતે સુરક્ષા સાધનોના ઉત્પાદનથી ભારતની જરૂરિયાત તો સંતોષાસે, સાથે ભવિષ્યમાં નિકાસની સંભાવના હોવાથી દેશને પુષ્કળ આવક પણ થશે.
આ બધી  સ્થિતિ કોંગ્રેસના રાજકીય અસ્તિત્વ માટે સવાલ ઊભો કરી શકે તેવી છે અને એ કારણે કોંગ્રેસ બેચેન છે. કોંગ્રેસે એમ માની લીધું છે કે ભાજપની વોટબેંક મોટાભાગે હિન્દુઓની છે અને તેથી હિન્દુઓમાં વિભાજન કરાવી દેવામાં આવે તો ભાજપને હરાવી શકાય. પણ કોંગ્રેસની આ વિચારધારા અને રસ્તો ખોટો છે. અલબત્ત, જૂની પેઢીના લોકો જાણે છે કે કોંગ્રેસ માટે આ કંઈ નવી વાત નથી. તેનું રાજકીય અસ્તિત્વ પહેલેથી જ ભાગલાવાદી રહ્યું છે. દાયકાઓ સુધી અનામત અને ગરીબોના નામે ચૂંટણી જીતતો રહેલો કોંગ્રેસ પક્ષ છેલ્લા થોડાં દાયકાથી મુસ્લિમ તુષ્ટિકરણ કરીને ચૂંટણી જીતતો આવ્યો છે. પ્રદેશવાદ ભડકાવવામાં પણ હંમેશા કોંગ્રેસે કુટિલનીતિ અખત્યાર કરી છે. તાજેતરમાં જ કર્ણાટકના કોંગ્રેસના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યોને ફાળવવામાં આવતી કેન્દ્રીય સહાયનો ઉલ્લેખ કરીને એવું અતિશય વિભાજનકારી નિવેદન કર્યું હતું કે મોદી સરકાર ઉત્તર ભારતનાં રાજ્યોને વધારે સહાય કરે છે અને દક્ષિણના રાજ્યોને અન્યાય કરે છે. દેશનાં જ રાજ્યો વચ્ચે આવી અધમ કક્ષાની વિભાજનકારી વિચારણા અને નિવેદન તો કોંગ્રેસીઓ જ કરી શકે.
ભારતમાં રહેતા નાગરિકો કે પછી ભારત બહાર રહેતા ભારતીય મૂળના નાગરિકો જો તટસ્થપણે વિચારે તો ખ્યાલ આવશે કે વિપક્ષો દ્વારા જે હો-હા કરવામાં આવી રહી છે તેમાં સત્ય ઓછું અને અપપ્રચાર વધારે છે. દુનિયામાં કોઈ સરકાર ચાર વર્ષના ગાળામાં આમુલ પરિવર્તન લાવી ન શકે, અને તેમ છતાં કમનસીબે વિપક્ષો અને તેમાંય ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દિવસ-રાત અવરોધક ઊંબાડિયા કરવામાં આવે છે તેનાથી પક્ષને ટૂંકા ગાળા માટે કદાચ રાજકીય લાભ મળી જશે, પરંતુ દેશના સામાજિક માળખાને જે નુકસાન થશે તેની ભરપાઈ દાયકાઓ સુધી નહીં થઈ શકે.