Showing posts with label Sharimala. Show all posts
Showing posts with label Sharimala. Show all posts

Monday, October 22, 2018

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

--- 800 વર્ષથી જે ધાર્મિક પરંપરાનું પાલન થતું હતું તેને તોડી પાડવા વિધર્મીઓએ કાવતરું કર્યું અને અદાલતમાં એ તત્વો જીતી ગયા. વેટિકન-સાઉદી અરેબિયા અને ડાબેરીઓનું ખતરનાક મિશ્રણ સનાતન ધર્મને ખતમ કરવા ગમે તે હદે જશે – સાવધ રહેજો   



-- અલકેશ પટેલ



કેરળના સબરીમાલામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે તંગદિલી છે. ભગવાન ઐયપ્પાના મંદિરમાં 800 વર્ષથી ચાલી આવતી પરંપરા ઉપર અદાલતી હથોડો વાગ્યો છે. અદાલતે તો તેની સમક્ષ આવેલી અરજી અંગે કાયદા અને બંધારણ અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે... પરંતુ એ ચુકાદાથી માત્ર કેરળમાં જ નહીં, સમગ્ર ભારતમાં દરેકે દરેક સાચા સનાતન ધર્મીઓની આંખમાં આંસું છે. શનિ-સિંગણાપુર અંગે આવો જ અદાલતી ચુકાદો આવ્યો ત્યારે હૃદય ઉપર પથ્થર રાખીને તેમજ આંખની પાંપણમાંથી આંસું બહાર નહીં આવવા દેનાર એ તમામ સાચા સનાતનીની સહનશક્તિના બંધ સબરીમાલાના ચુકાદાથી તૂટી ગયા છે.

આ દેશના કરોડો હિન્દુઓને હજુ આજે પણ ખબર નથી કે સબરીમાલામાં 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓને પ્રવેશવા નહીં દેવાની 800 વર્ષની પરંપરા વિરુદ્ધ અરજી કરનારો એક મુસ્લિમ હતો. જે મુસ્લિમ મૂર્તિ પૂજામાં નથી માનતા એ સમુદાયના એક વકીલે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશના બંધારણીય અધિકારના નામે અરજી ઠપકારી દીધી અને આજે આ પરિણામ આવ્યું છે.

અદાલતી સુનાવણી દરમિયાન મંદિર તરફથી વકીલોએ વારંવાર રજૂઆત કરી કે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો નિષેધ નથી, 10 વર્ષથી નાની કન્યા અને 50 વર્ષથી મોટી ઉંમરની મહિલા દર્શન કરી શકે છે. જે નિષેધ છે તે માત્રને માત્ર ચોક્કસ ઉંમરની મહિલાઓના માસિકધર્મને કારણે છે. પરંતુ આંખે પાટા બાંધેલી ન્યાયની દેવીએ ધાર્મિક પરંપરાને બદલે બંધારણને મહત્ત્વ આપ્યું.

અદાલતની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અનેક સાચા સનાતનીઓએ લેખો લખીને, ટીવી ઉપર ચર્ચા કરીને, જાહેરમાં પ્રવચનો કરીને અત્યંત ભારપૂર્વક રજૂઆતો કરી હતી કે હિન્દુ ધર્મ મહિલા વિરોધી નથી, હિન્દુ ધર્મમાં મહિલાઓનું સ્થાન નીચું નથી, હિન્દુ ધર્મ પુરુષવાદી માનસિકતા ધરાવતો નથી... પરંતુ આ કોઈ દલીલો ન્યાયની દેવીને સંભળાઈ નહીં. ન્યાયની દેવી એ તો એ વાત પણ ધ્યાનમાં ન લીધી કે આ દેશ વર્ષમાં બે વખત નવરાત્ર ઊજવીને દૈવીશક્તિની આરાધના કરે છે.

પણ, છેવટે વાંક તો સનાતન ધર્મીઓનો જ કહેવાય. અનેક વિધર્મીઓ આપણી વચ્ચે ભળી જઈને આપણને આપણી જ પરંપરા વિરુદ્ધ ભડકાવતા રહે છે, આપણાં દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલતાં અને લખતાં રહે છે, આપણી ધાર્મિક ભાવનાઓની મજાક ઉડાવતી ફિલ્મો બનાવતા રહે છે અને છતાં આપણે મુર્ખની જેમ એ બધું હસી કાઢીએ છીએ..!

હકીકત એ છે કે છેલ્લી કેટલીય સદીથી હિન્દુ પરંપરાઓને તોડી પાડીને સનાતન સંસ્કૃતિને જ ખતમ કરી દેવા માટેનું કાવતરું અત્યંત આયોજન અને ચતુરાઈપૂર્વક ચાલી રહ્યું છે અને ભોળા હિન્દુઓ એ કાવતરામાં સપડાઈ રહ્યા છે. આ કાવતરાના બે નામ છે અને ત્રણ પક્ષકાર છે. બે નામો છે – (1) બ્રેકિંગ ઈન્ડિયા અને (2) ગજવા-એ-હિન્દ. અને ત્રણ પક્ષકારો છે (1) વેટિકન, (2) સાઉદી અરેબિયા અને (3) ડાબેરીઓ.

બ્રેકિંગ ઈન્ડિયા એ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતી ધર્માંતરની અત્યંત ખતરનાક પ્રવૃત્તિ છે. આ લોકો ભારતમાં ગરીબોની સેવાના નામે ઘૂસી ગયા છે અને આદિવાસીઓ, દલિતો તેમજ અન્ય ગરીબોને નાણાં આપીને તેમજ ચમત્કારો દ્વારા હિન્દુ વિરોધી ઝેર ભરીને તેમને ખ્રિસ્તી બનાવી રહ્યા છે.

તો ગજવા-એ-હિંદ એ સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં રહેલા અત્યંત જિહાદી માનસિકતા ધરાવતા વહાબીઓ દ્વારા ચલાવવામાં આવતું આંદોલન છે. આ લોકો પ્રત્યેક બિન-મુસ્લિમને કાફીર ગણે છે અને તેથી હિન્દુઓનું કાંતો બળપૂર્વક ધર્માંતર કરાવવામાં આવે છે અને કોઈ ધર્માંતર ન કરે તો... આ દેશમાં સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી જેટલાં પણ કોમી તોફાન થયાં છે તેની પાછળ આ જ માનસિકતા છે.

ખ્રિસ્તી મિશનરીઓ અને જિહાદી તત્વોને સાથ આપનાર ત્રીજા પક્ષકારો છે – ડાબેરીઓ. આ ડાબેરીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવીને દરેક નાની-મોટી બાબતે હિન્દુઓ અને હિન્દુત્વની ટીકા કરવાનું નહીં ચૂકે, પરંતુ એ જ વખતે તેમને ખ્રિસ્તીઓ કે પછી જિહાદીઓના ખોળામાં બેસવામાં જરાય સંકોચ થતો નથી. આ ડાબેરીઓ ત્રિપલ તલાકનું મુસ્લિમોની ધાર્મિક માન્યતા છે એમ કહી સમર્થન કરશે, પરંતુ સબરીમાલામાં અમુક ઉંમરની સ્ત્રીઓ મંદિરની અંદર ન પ્રવેશી શકે તેવી હિન્દુઓની પરંપરાની ટીકા કરીને એ મામલાને અદાલતમાં લઈ જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ 31 ડિસેમ્બરે દેશ અને દુનિયામાં ફોડવામાં આવતા ફટાકડા અંગે કશું જ નહીં બોલે, પરંતુ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે એવું કહી અદાલતમાં પહોંચી જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ એટલે બીજા શબ્દોમાં અર્બન નક્સલવાદીઓ – જેઓ વિવિધ સ્વરૂપમાં આપણી આસપાસ જ રહે છે અને સનાતન ધાર્મિક પરંપરાઓ ખોટી છે એવું ભોળા હિન્દુઓના મનમાં ઠસાવી દેવામાં સફળ થાય છે.

ભોળવાઈ જતા આવા હિન્દુઓ કાંતો નાસ્તિક બની જાય છે અથવા ધર્માંતર કરી લે છે. સનાતન પરંપરા આ જ કારણે સંકોચાઈ રહી છે. હિન્દુ ધર્મ આ જ કારણે સંકોચાઈ રહ્યો છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતના 30 રાજ્યોમાંથી હાલ ઓછામાં ઓછા આઠ (8) રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં આવી ગયો છે. 2021ની વસતી ગણતરી વખતે શું સ્થિતિ હશે એ કોઈ જાણતું નથી. સાવધાની સિવાય કોઈ વિકલ્પ નથી.