Friday, September 21, 2018

શું ભારતીય રૂપિયાની ‘ચાલ-ચલગત’ ખરેખર બગડી છે?



--- એક સમયે રૂપિયાના મૂલ્યમાં થતી વધ-ઘટ માત્ર સરકાર-રિઝર્વ બેંક અને વેપારજગતનો મુદ્દો હતો એ આજે સાર્વજનિક મુદ્દો બની ગયો છે. રાજકીય મંચથી માંડીને સોશિયલ મીડિયા સુધી બધે જ લોકો રૂપિયાના ઘસારા અંગે પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તો હકીકત શું છે?

--- અલકેશ પટેલ
       
અમેરિકી ડૉલરની સામે ભારતીય રૂપિયો ગગડી ગયો. ડૉલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ. ડૉલર સામે ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ. – આવી બધી હેડલાઇન આજકાલ સામાન્ય થઈ ગઈ છે. અમેરિકન ડૉલર સામે જ નહીં પરંતુ દુનિયાના વિવિધ ચલણની સરખામણીમાં ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધ-ઘટ થવાની પ્રક્રિયા કંઈ આજકાલની નથી અને ભવિષ્યમાં બંધ પણ થવાની નથી. પરંતુ હવે ભારતમાં તેના વિશે મોટાભાગના લોકોને ખબર પડવા લાગી છે, અને જેમને ખબર પડવા લાગી છે એ બધા ચિંતિત પણ છે. ડૉલર અને રૂપિયાના વિનિમય દરમાં જે કંઈ ઊથલપાથલ થઈ રહી છે તેને મુદ્દો બનાવીને એક વર્ગ એવું વિકરાળ ચિત્ર તૈયાર કરવામાં વ્યસ્ત છે કે સામાન્ય માણસ તો ડરી જ જાય અને તેને એવું જ લાગવા માંડે કે દેશમાં હવે બધું રસાતાળ જશે. આ સિવાય બીજો વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે – એક ભાગ આશાવાદી છે. તેને એમ લાગે છે કે રૂપિયાનું થોડું અવમૂલ્યન થાય તેમાં વાંધો નથી, ભારતને ફાયદો જ છે. તો બીજો ભાગ ચેતવણી આપીને સાવધાન રહેવા સલાહ આપે છે.
સરકારે અને વહીવટીતંત્રે આ બીજા વર્ગના બીજા ભાગની વાત ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. બલ્કે એમની જ વાત કાન ધરીને સાંભળવી જોઈએ અને આંખો ખોલી નાખવી જોઈએ. એવું થઈ પણ રહ્યું છે. સરકાર અને તેના આર્થિક સલાહકારો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને એટલે જ તો ભારતીય રૂપિયાનું વધુ પતન અટકાવવા માટે 15 સપ્ટેમ્બરને શનિવારે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. (1) બિનજરૂરી આયાતની ચીજવસ્તુઓ હોય તેમાં ઘટાડો કરવામાં આવશે અને નિકાસ વધારવા માટે પગલાં લેવામાં આવશે. (2) ઉત્પાદન કંપનીઓ હવે એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ (ઇસીબી) રૂટ મારફત 50 મિલિયન ડૉલર સુધીની રકમ ત્રણ વર્ષના બદલે એક વર્ષની રેસિડ્યુઅલ મૅચ્યોરિટી સાથે મેળવી શકશે. (3) એક્સટર્નલ કોમર્સિયલ બોરોઇંગ રૂટ મારફત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટેની ફરજિયાત હેજિંગ શરતોની સમીક્ષા કરવામાં આવશે. (4) મસાલા બૉન્ડ પરનો ટૅક્સ સ્થગિત કરવામાંથી મુક્તિ તથા ભારતીય બેંકોને મસાલા બૉન્ડમાં માર્કેટ મેકર બનવાની પરવાનગી આપવામાં આવશે. (5) કોઈ એક કૉર્પોરેટ ગ્રુપના ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવા ઉપર 20 ટકા એક્સપોઝરની મર્યાદા હટાવી લેવામાં આવશે જેથી વિદેશી રોકાણકારો કૉર્પોરેટ બૉન્ડમાં વધુ રોકાણ કરી શકશે.
આ પગલાં જાહેર થયા પછી અર્થતંત્રના નિષ્ણાતોએ ભારતીય રૂપિયાના વધુ પતનને કાબુમાં લેવા સરકારે લીધેલાં પગલાંને આવકાર્યા છે, સાથે સાવધાની રાખવાની સલાહ પણ આપી છે.
તેમછતાં આ બધા વચ્ચે સામાન્ય માણસને તો તેના મનમાં ઉદ્દભવતા એ પ્રશ્નનો જવાબ નથી મળતો કે રૂપિયો આટલો બધો ગગડે છે શા માટે? સામાન્ય માણસ હજુ એ વાત સમજી નથી શકતો કે લોકોના કહેવા પ્રમાણે સરકાર સાચી દિશામાં હોય તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવ માત્ર ટૉપ ગિયરમાં કેમ આગળ વધી રહ્યા છે? પેટ્રોલ-ડીઝલના ભાવનો રિવર્સ ગિયર ક્યાં ગાયબ થઈ ગયો છે?
આ આખી વાત સમજવા ઘણી લાંબી ચર્ચા કરવી પડે. અને એ ચર્ચા માત્ર ભારતીય રૂપિયો અને અમેરિકન ડૉલર પૂરતી સીમિત ન રહેતાં દુનિયાના તમામ મુખ્ય ચલણની ચાલ-ચલગત જોવી પડે. આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ શું છે તેની પણ વાત કરવી પડે. ચીન અને તુર્કી પોતપોતાનું અર્થતંત્ર બચાવવા કેવાં પગલાં લઈ રહ્યા છે અને તેની આપણા ઉપર શી અસર પડી રહી છે એ પણ જાણવું પડે. ટૂંકમાં પાયાની વાત એ છે કે ભારતીય રૂપિયામાં જોવા મળતી કોઇપણ વધ-ઘટ અનેક પરિબળો ઉપર આધારિત છે. હા, છતાં એ પણ એટલું જ સાચું છે કે ભારત સરકારનું કામ તેની નીતિ અને પગલાં દ્વારા આ વધ-ઘટની માઠી અસરોમાંથી દેશના સામાન્ય નાગરિકોને બચાવવાનું હોય છે.
સરકારનો પક્ષ લેનારા લોકોની દલીલ એવી છે કે, ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, પણ ભારતીય રૂપિયો સૌથી કમજોર નથી થઈ ગયો. જો 5 વર્ષનો ડેટા તપાસવામાં આવે તો જાણી શકાય છે કે રૂપિયો બીજાં ચલણો સામે મજબૂત થયો છે. જો કે બીજા ચલણ કરતા ડૉલરનો પ્રભાવ વધુ છે. કેમકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ડૉલરથી જ થાય છે. આ કારણે પણ ડૉલર વધુ મજબૂત થયો છે. અમેરિકાના ઘરેલુ કારણોને કારણે બીજા ચલણ કરતા ડૉલરમાં મજબુતાઈ આવી છે. કરન્સીની સપ્લાયમાં અછત અને વધતી ડિમાન્ડના કારણે ડૉલર મજબૂત થયો છે. અમેરિકી કેન્દ્રીય બેન્કે વ્યાજદરોમાં વૃદ્ધિ કરી અને યુરોપિયન કેન્દ્રીય બેન્કે ઘટાડો કર્યો છે. મતલબ કે ડૉલર ડિપોઝિટ પર યૂરોની સામે વધારે રિટર્ન મળશે. આ જ કારણે ડૉલરની ડિમાન્ડ વધી છે. અમેરિકી ડૉલર દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ચલણમાંનુ એક છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટા ભાગના દેશો પોતાનો વિદેશી મુદ્રા ભંડારમાં ડૉલર રાખે છે, આ જ કારણે ડૉલરનો વિનિમય દર વધે છે. 2013થી 2018ના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારતીય રૂપિયો ઓસ્ટ્રેલિયન ડૉલર, કેનેડિયન ડૉલર, મલેશિયાના રિગ્ગિત, બ્રિટિશ પાઉંડ-સ્ટર્લિંગ તેમજ યૂરો, ચીનના યુઆન કરતાં વધુ મજબૂત છે. પરંતુ અમેરિકી ડૉલર ઉપરાંત સિંગાપોર ડૉલર અને સ્વિસ ફ્રેન્કની સામે રૂપિયો સામાન્ય ઘટ્યો છે. અમેરિકી ડૉલર દુનિયાના બીજા ચલણ કરતા મજબૂત થયો છે.
આમછતાં વાસ્તવિકતા તો એ જ છે કે ડૉલર સામે રૂપિયામાં ફ્રી ફૉલની સ્થિતિ છે. રોજ ભારતીય કરન્સી નવી નીચી સપાટીએ સ્પર્શવા દોડી રહી છે. આ દોડમાં છેલ્લા 10 વર્ષનું બીજું સૌથી મોટું ધોવાણ 14 ટકાનું વર્ષના પ્રાંરભથી અત્યાર સુધી (કેલેન્ડર વર્ષ 2018)માં થઈ ચૂક્યું છે. અગાઉ 2011માં ડૉલર સામે રૂપિયો એક જે કેલેન્ડર વર્ષમાં 15.4 ટકા ઘટ્યો હતો. છેલ્લા દસ વર્ષમાં સામાન્ય રીતે ડૉલર સામે રૂપિયો 3-4 ટકાની વધઘટમાં જોવાયો હતો પણ આ વર્ષે ક્રૂડના વધતા ભાવ, ટ્રેડ વૉરની સાથે સાથે કરન્સી વૉરની સ્થિતિ અને ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) છેલ્લા ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી 2.5 ટકાના સ્તરે પહોંચવાના અંદાજે રૂપિયો ધરાશાયી થઈ ગયો છે. 2017માં ડૉલર સામે રૂપિયામાં એક વર્ષમાં 6.8 ટકાની જોવાયેલી રિકવરીથી બમણો 2018માં ક્રેશ થયો છે.
 સોમવારે રૂપિયો એક તબક્કે અમેરિકન ડૉલર સામે 72.68ની સૌથી નીચલા સ્તરે ગબડ્યો ત્યારે કેલેન્ડર વર્ષમાં 14 ટકાનો ઘટાડો સૂચવતો હતો. રૂપિયો આગામી દિવસમાં જો 73.50ના સ્તર સુધી ગબડશે તો 2011માં એક જ વર્ષમાં જોવાયેલા 15.4 ટકાના ધોવાણનો રેકોર્ડ તૂટી શકે છે. બીજી તરફ અમેરિકાએ ચીન પર વધુ 200 અબજ ડૉલરની ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનો જવાબમાં ચીને પણ વળતા પગલાં લેવાની ચિમકી આપતાં કરન્સી પણ દબાણ વધ્યું છે જેની અસર ભારતીય રૂપિયા પર આવી છે.
સાચી વાત એ છે કે, આર્જેન્ટીના, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા ઇમર્જિંગ માર્કેટની કરન્સીના મૂલ્યમાં ઘટાડો થતાં તેની અવળી અસર થઈ છે. ડૉલરના સપ્લાય ચેઇનમાં પુરવઠો ખૂટી જેવા સ્થિતિ જોવા મળે છે. ડૉલર સામે રૂપિયો 69ની નીચે ગબડ્યો ત્યારે નિકાસકારોએ તેમની પોઝિશન હેજ કરી હતી અને આયાતકારો એમ કરવાથી દૂર હતા. હવે આયાતકારો તરફથી ડિમાન્ડ નીકળી છે અને નિકાસકારો હેજિંગ પોઝિશન સુલટાવતા હોવાની સ્થિતિ છે. આમ ડૉલરની માગમાં થયેલી વૃધ્ધિ રૂપિયાના ઘટાડા પાછળનું કારણ રહ્યું છે. વિશ્વના માર્કેટમાં કરન્સી મૂલ્યમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. ફ્રી ફ્લોટિંગ કરન્સી પૉલિસી અપનાવ્યા પછી પણ તેમના આવતાં ફેરફારની નેગેટિવ અસર જોવાઈ રહી છે. નવા ઘટાડામાં કઝાકિસ્તાનના ટેંજમાં 20 ટકાથી વધુનું ગાબડું પડયું છે.
એ જ રીતે વિયતનામે તેની કરન્સીનું અવમૂલ્યન કર્યું હતું. રશિયાના રૂબલની કિંમત 2013 પછીના સમયગાળાના પ્રમાણમાં અડધી થઈ ગઈ છે. એવું લાગે છે કે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની હોડમાં દરેક દેશ તેની કરન્સીનું ડીવેલ્યુએશન કરી રહ્યા છે. કરન્સીના ડીવેલ્યુ કરવાની શરૂઆત ચીને કરી હતી.
આ સંજોગોમાં સવાલ એ થાય કે એક તરફ સરકાર મજબૂત લાગતી હોવા છતાં ભારતીય ચલણનું આ રીતે પતન યોગ્ય ગણાય ખરું? આ સ્થિતિના નિયમન અને નિયંત્રણ માટે તો ભારતીય રિઝર્વ બેંક છે. ભારતીય રૂપિયાના મૂલ્યનું નિર્ધારણ સરકારની નીતિ ઉપર આધારિત છે. એ માટે આયાતની સામે નિકાસમાં વધારો કરવો પડે અને જો એ ન થાય તો આયાત અને નિકાસ વચ્ચેનો જે ગૅપ રહી જાય તે પુરવા માટે કૅપિટલ ઇનફ્લો માટે નક્કર પગલાં લેવા પડે. હકીકત એ છે કે છેક 1970ના દાયકાથી ચીને તેની નીતિમાં પરિવર્તન કરીને નિકાસને પ્રચંડ પ્રોત્સાહન આપ્યું પરંતુ તેની સામે તે સમયની ભારત સરકારોએ એ દિશામાં ખાસ ધ્યાન આપ્યું નહીં. આ સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય ઉત્પાદકો પણ નબળા જ રહ્યા કે તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષામાં ટકી શકે તેવાં ગુણવત્તાસભર ઉત્પાદન બનાવ્યા જ નહીં, જેને પરિણામે પણ આપણે નિકાસની ખોટ સહન કરવાનો વારો આવ્યો અને એ સ્થિતિમાંથી આપણે હજુ પણ બહાર નીકળી શક્યા નથી.
અહીં એક રસપ્રદ વાત જાણી લઈએ. હજુ થોડા સમય પહેલાં જ એક અખબારે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું હોવાને કારણે એક સરવે કર્યો હતો. રોકાણકારો અને અર્થશાસ્ત્રીઓને આવરી લેતા આ સર્વેક્ષણમાં આશ્ચર્યજનક રીતે રૂપિયો ચાલુ વર્ષે 70 રૂપિયાની સાયકોલોજિકલ બેરિયર તોડીને 72 સુધી ગબડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ તો જો કે આખા વર્ષ માટે ચલણની સરેરાશ 69.72 રહેવાનો અંદાજ છે, જે ઓગસ્ટ 2013ની સૌથી નીચી સપાટી 68.85 કરતાં નીચે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના ફોરેક્સ હેડ એમ.એસ. ગોપીક્રિષ્ણે આ બાબતે એવુ્ં કહ્યું હતું કે ચાલુ વર્ષની શરૂઆતથી જ ક્રૂડ અને કોમોડિટીના નીચા ભાવને કારણે ઓછું જોખમ લેવાનું વલણ જોવા મળ્યું હતું, તેના પરિણામે આ અસર થઈ શકે છે. એ સર્વેક્ષણમાં તેમણે કહ્યું હતું કે સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાવલી શરૂ કરાવાને પગલે ઊભરતાં બજારોના ઇક્વિટી અને ડેટ ફંડ્સમાંથી ભંડોળ પાછું ખેંચવામાં આવી રહ્યું છે. આ સરવેમાં ભાગ લેનારા 15માંથી 50 ટકા કરતાં વધુએ રૂપિયો 70 કે એથી વધુ ખરાબ સ્થિતિએ પહોંચવાની આગાહી કરી હતી જે હાલ સાચી પડી રહી છે. ગયા વર્ષે ચીન દ્વારા તેના ચલણ યુઆનના અચાનક અવમૂલ્યનને કારણે ઊભરતાં બજારોના ચલણ તૂટ્યા તે સમયે રૂપિયો સૌથી મજબૂત રહ્યો હતો. હાલના સમયે પણ ઊભરતાં બજારોમાં ભારત વિદેશી રોકાણકારોનું પસંદગીનું સ્થળ છે પરંતુ સીએલએસએ અને મોર્ગન સ્ટેન્લી જેવા બ્રોકિંગ હાઉસને અમેરિકા ફરી મંદીની પકડમાં આવે તેવી આશંકા છે તેથી તેમના દ્વારા વિદેશી રોકાણ પાછું ખેંચવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. વિદેશી ફંડ્સ દ્વારા 2016ના વર્ષે 17મી ફેબ્રુઆરી સુધી ભારતીય શેરબજારમાં 1.96 અબજ ડૉલરની ચોખ્ખી વેચાવલી કરી છે, ગયા વર્ષે મતલબ કે 2015માં આ ગાળામાં તેમના દ્વારા 7.21 અબજ ડૉલરની ખરીદી કરવામાં આવી હતી. ગોપીક્રિષ્ણને કહ્યું હતું કે ચાલુ વર્ષે વેપાર-ખાધ ઓછી રહેવાનો અંદાજ હોવા છતાં વિદેશી રોકાણપ્રવાહ નેગેટિવ રહે તેવી ધારણા છે અને આ બાબત સીધી રીતે રૂપિયાને પ્રતિકૂળ અસર કરશે.
હાલની જે સ્થિતિ છે તેમાં સરકાર સામે અન્ય એક ઉકેલ કે ઉપાત આયાતો ઘટાડવાનો છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ ઉપાય આવકારદાયક નથી – સલાહભર્યો પણ નથી. આવો ઉપાય વિચારવાનો અર્થ એ થાય કે નબળા અને તંદુરસ્ત બાળક વચ્ચેનો તફાવત ઓછો કરવા તંદુરસ્ત બાળકને નબળો બનાવવા મથામણ કરવી! તેથી આવો કોઈ ઉપાય શક્ય પણ નથી અને વ્યવહારુ પણ નથી. કદાચ એટલે જ ગત શનિવારે જે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે આગળ જતાં ભારતીય રૂપિયાને થોડોઘણો સ્થિર કરી શકશે.
કદાચ આ જ વાતનો પડઘો પાડતાં આર્થિક નિષ્ણાત પ્રો. ચરણસિંહે 17 સપ્ટેમ્બરને સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, આયાત અને નિકાસ વચ્ચેનો જે તફાવત છે તેમાં સંતુલન માટે રૂપિયાનું આવા ડેપ્રિશિયેશનથી ફાયદો થશે. જોકે તેમણે એવો ભય વ્યક્ત કર્યો કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે તે ઇન્વેસ્ટમૅન્ટ વૉરમાં બદલાઈ જાય તો ઘણું મોટું નુકસાન થઈ શકે. આપણી આયાતોમાં સૌથી મોટો હિસ્સો કાચા તેલનો હોવાથી હાલની સ્થિતિમાં કોઈ નાટ્યાત્મક સુધારાની સંભાવના નથી તેમ જણાવી તેમણે આશા વ્યક્ત કરી હતી કે જાહેર પરિવહનનો વ્યાપ વધે તો ઑઇલની આયાત ઓછી થાય અને એ દ્વારા આપણું આયાત બિલ ઘટી શકે. પ્રોફેસર ચરણસિંહની વાત તો સાચી છે અને સરકાર તેમજ આર્થિક નિષ્ણાતો પણ આ વાત જાણે છે પરંતુ આ ઘણો લાંબાગાળાનો ઉપાય છે એ પણ વાસ્તવિકતા છે.
આ સાથે પ્રારંભમાં કહ્યું તેમ બિનજરૂરી હોય એવી ચીજો જેમ કે, સોનું, ડ્રાયફ્રુટ, વિદેશી શરાબ સહિત કેટલીક ચીજો જે હાલ મોટા પ્રમાણમાં આયાત થાય છે તેમાં ઘટાડો કરીને પણ આપણા આયાત બિલને નીચું લાવી શકાય અને તો જ છેવટે એક પ્રકારનું સંતુલન ઊભું થાય અને રૂપિયો ગબડતો બચે. પણ જો હકીકતને ધ્યાનમાં લઈએ તો આપણે કે પછી કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સ્થિતિ ઉપર નિયંત્રણ કરી શકતા નથી. જે કોઈ ઉપાય હોય તે જે તે દેશે પોતાના હિતમાં લેવો પડે. જેમ કે FIIO ના ડીજી અજય સહાય કહે છે તેમ સરકાર જો એનઆરઆઈ ડિપોઝિટ ઉપર ધ્યાન આપે તો રોકાણો વધે અને એ રીતે દેશમાં ડૉલર આવે. આ તમામ નિષ્ણાતોનો અંદાજ છે કે આ પગલાં લેવાથી ઓછામાં ઓછા 10 થી 15 અબજ ડૉલર દેશમાં આવે તો રૂપિયા ઉપરનું દબાણ હળવું થાય અને પતન ઉપર બ્રેક લાગે. બૉલ સરકારની કોર્ટમાં છે. બૉલ આરબીઆઈની કોર્ટમાં છે. સરકાર આયાત-નિકાસમાં સંતુલનનાં પગલાં લઈને અને આરબીઆઈ વ્યાજદરમાં ફેરફાર કરીને રૂપિયાના પતનનો રિવર્સ ગિયર પાછો લાવશે તેવી આશા.

No comments:

Post a Comment