Sunday, December 4, 2022

આવું કામ તો માત્ર મોદી સરકાર જ કરી શકે

 


આંદામાન-નિકોબારના એ 21 નિર્જન ટાપુઓ અત્યાર સુધી માત્ર નંબરથી ઓળખાતા હતા, પણ હવે મોદી સરકારે તેને નામ આપ્યા, અને નામ પણ કોઈ એક પરિવાર કે રાજકારણીઓના નહીં હોં... 

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના વિવિધ વિકાસલક્ષી તેમજ અન્ય સાહસિક કામોની યાદી આપતી વખતે મતદારોને સંબોધીને એક વાક્ય અચૂક બોલતા હતા કે, આ તમે આપેલા એક મતને કારણે શક્ય બન્યું છે. અને હવે એ જ મોદી સરકારે એક એવું કામ કર્યું છે જેનાથી માત્ર ભારતીય સૈન્ય જ નહીં પરંતુ તમામ રાષ્ટ્રવાદી નાગરિકોની છાતી ગૌરવથી પહોળી થઈ જાય.

એ કામ એટલે આંદામાન-નિકોબારના 21 નિર્જન ટાપુઓને ભારતીય સૈન્યના વીરગતિ પામેલા પરાક્રમી અધિકારીઓ અને જવાનોનું નામ આપવાનું. અત્યાર સુધી આ નિર્જન ટાપુઓ ‘INAN370’, ‘INAN308’ જેવા નંબરોથી ઓળખાતા હતા તે હવે 1947થી લઇને કારગિલ સુધીના વિવિધ યુદ્ધમાં વીરગતિ પામેલા અને પરમવીર ચક્રથી સન્માનિત પરાક્રમી સૈન્ય યોદ્ધાઓના નામથી ઓળખાશે.

ઑગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયો તેના ત્રણ મહિનામાં જેહાદી પાકિસ્તાને કાશ્મીર આંચકી લેવા માટે આક્રમણ શરૂ કર્યું હતું અને ત્યારે ભારતીય સૈન્યે પાકિસ્તાની ઘૂસણખોરોને મારી હટાવવા સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન શ્રીનગર વિમાન મથક નજીક ફરજ બજાવી રહેલા મેજર સોમનાથ શર્મા જેહાદીઓ સામે લડતાં લડતાં વીરગતિ પામ્યા હતા. સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ પરમવીર ચક્ર જેવો સર્વોચ્ચ મરણોત્તર પુરસ્કાર તેમને એનાયત થયો હતો. અને હવે ભારત સરકારે આંદામાન-નિકોબારના ‘INAN370 નંબરના ટાપુ સાથે મેજર સોમનાથનું નામ જોડ્યું છે. હવેથી એ ટાપુ સોમનાથ દ્વીપ તરીકે ઓળખાશે. એવી જ રીતે બીજા વીસ (20) ટાપુઓને મેજર રામ રઘોબા રાણે, નાયક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પિરુ સિંહ શેખાવત, કેપ્ટન ગુરબચન સિંહ સલરિઆ, લેફ. કર્નલ ધન સિંહ થાપા, સુબેદાર જોગિન્દર સિંહ સહનાન, મેજર સૈતાનસિંહ ભાટી, લેફ. કર્નલ અર્દેશર બરજોરજી તારાપોર, મેજર રામસ્વામી પરમેશ્વરન, કેપ્ટન વિક્રમ બત્રા, કેપ્ટન મનોજકુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર વગેરે પરાક્રમી ભારતીય સૈન્ય અધિકારીઓ-જવાનોના નામ વિવિધ ટાપુ સાથે જોડવામાં આવ્યા છે. આ તમામ વીર યોદ્ધા પરમવીર ચક્રથી સન્માનિત છે અને તેઓના નામ સાથે આંદામાન-નિકોબારના 21 ટાપુ દ્વિપ તરીકે ઓળખાશે.

ભારતના વીર જવાનોનું નામ ટાપુઓ સાથે જોડવાની મોદી સરકારની જાહેરાત રાષ્ટ્રવાદી ભારતીય નાગરિકોને ગદગદ કરી દેનારી છે. દેશના સાચા હીરો આ વીર સપૂતો જ છે પરંતુ અગાઉની કોઈ સરકારોએ સૈન્ય જવાનોને આવું સર્વોચ્ચ માન આપ્યું નહોતું. યાદ રહે મોદી સરકારે જ દિલ્હીમાં સૈન્ય સ્મારક સ્થાપીને દેશમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી તમામ સાચા હીરો માટે સન્માન આપવાનું કામ કર્યું હતું. અને હવે ટાપુઓને સૈન્ય જવાનોના નામ આપીને એ સન્માનમાં વધારો કર્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારત સરકારે શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી પરંતુ જૂજ રાષ્ટ્રવાદી મીડિયાને બાદ કરતાં બાકીના લગભગ તમામ મીડિયાએ આવા ઐતિહાસિક નિર્ણયના સમાચાર કાંતો લીધા જ નથી અથવા લીધા હોય તો પણ ક્યાંક ખૂણામાં સાવ ટૂંકમાં નોંધ લીધી છે. વીર સન્ય જવાનોને બદલે જો કોઈ ફિલ્મી નટ-નટીનું નામ ક્યાંક જોડ્યું હોત તો આ જ બધા બદમાશ મીડિયા ચાર-ચાર પગે કૂદીને એને સમાચારોમાં સ્થાન આપત, પરંતુ પહેલેથી વીર જવાનોના બલિદાનની ઉપેક્ષા કરતા રહેલા મીડિયા વધુ એક વખત વામણા સાબિત થયા છે.

ખેર, મુદ્દો એ છે કે, સ્વતંત્રતાના સાત દાયકા પછી આવેલી એક સાચી રાષ્ટ્રવાદી સરકારે લીધેલું આ પગલું તમારા સાચી દિશાના એક મતનું પરિણામ છે એ સ્વીકારવું રહ્યું. આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનમાં તમારે શું કરવું જોઇએ એ વિચારો ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment:

  1. ફક્ત મોદી જી જ આવું વિચારી શકે

    ReplyDelete