Sunday, December 18, 2022

શું નરેન્દ્ર મોદી એક દિવસ ‘ભગીરથ’ તરીકે ઓળખાશે?

 


વડાપ્રધાન નરેન્દ્રભાઈને ભગીરથ તરીકે ઓળખાવવામાં ઘણાને અતિશયોક્તિ લાગશે, પરંતુ તેમણે માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં મંદિરોના જીર્ણોદ્ધારની જે કામગીરી ઉપાડી છે એ જાણીને બધા અવાક્ થઈ જશો...  

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠેક વર્ષથી લગભગ દર વર્ષે દેશમાં કોઇને કોઈ પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર બાદ તેના પુનઃપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા જોવા મળે છે, અથવા સંપૂર્ણ નવા ભવ્યાતિભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપતા જોવા મળે છે. આ તો થઈ રાષ્ટ્રીય સ્તરની વાત, પરંતુ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન પણ તેમણે રાજ્યમાં ઘણાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે એ વાત ગુજરાતીઓ જાણે જ છે. પણ હવે તો વાત બહુ આગળ વધી ગઈ છે!

ભારતના તેજસ્વી અને વિદ્વાન વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે ગયા અઠવાડિયે જે માહિતી આપી તેને કારણે તો નરેન્દ્રભાઈની કામગીરીના વ્યાપ અંગે અહોભાવ થયા વિના રહેતો નથી. દેવાધિદેવ શિવની નગરી કાશીમાં ચાલી રહેલા કાશી-તમિળ સંગમ કાર્યક્રમમાં 'Contribution of Temples in Society and Nation building' (સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મંદિરોનો ફાળો) વિષય ઉપર બોલતાં એસ. જયશંકરે જણાવ્યું કે કંબોડિયામાં છેક 11મી સદીમાં બનેલા અને ત્યારબાદ ખંડેર થઈ ગયેલા વિશ્વના સૌથી વિશાળ મંદિરનો જીર્ણોદ્ધાર ભારત સરકાર કરાવી રહી છે. કંબોડિયા ભારતથી અગ્નિ દિશામાં આશરે 2000 કિ.મી. કરતાં વધારે દૂર છે અને સામાન્ય રીતે સમજવા માટે એવું કહી શકાય કે તે થાઈલેન્ડની દક્ષિણે આવેલું છે. અંગકોર વાટ અર્થાત મંદિરોના શહેર તરીકે ઓળખાતા કંબોડિયાના એ વિસ્તારમાં આ ભવ્યાતિભવ્ય મંદિર છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર 11મી સદીમાં તત્કાલીન રાજા સૂર્યવર્મન-બીજાએ બંધાવ્યું હતું. પરંતુ તેમના પછી સત્તા પર આવેલા અન્ય રાજાઓએ બૌદ્ધ સંપ્રદાયનો પ્રભાવ વધતા તેને બૌદ્ધ મંદિરમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, વિવિધ કારણસર ત્યારબાદ આ મંદિર ઉપર કાળના પડળો ચડી ગયા હતા અને છેક 1860માં એક ફ્રેન્ચ સંશોધકે તે શોધ્યું ત્યારે દુનિયાને આ વિશાળ મંદિરની ફરી જાણ થઈ. પરંતુ હવે કંબોડિયાની સરકારને વિશ્વાસમાં લઇને ભારત સરકારે આ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરી છે.

જોકે, નરેન્દ્ર મોદી માટે માત્ર આટલા કારણસર અહોભાવ કરવાનો પ્રશ્ન નથી. હકીકત એ છે કે, નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની ભારત સરકાર દુનિયાના અન્ય દેશોમાં પણ પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરીને તેની પુનઃપ્રતિષ્ઠા કરી રહી છે. ડૉ. એસ. જયશંકરે આપેલી માહિતી અનુસાર ભારત સરકારે શ્રીલંકામાં પણ આવા એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એલટીટીઈના આતંકને કારણે મન્નારસ્થિત ભગવાન શિવનું તિરુકેતીશ્વરમ મંદિર 12 વર્ષ સુધી બંધ રહ્યું હતું. ત્યારપછી મંદિર ખૂલ્યું તો હતું પરંતુ લાંબા ગાળા સુધી મેન્ટેનન્સના અભાવે ખંડેર થવા આવેલા આ મંદિરનો મોદી સરકારે જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

2015માં નેપાળમાં પ્રચંડ ધરતીકંપ થયો હતો. તેમાં મોટી સંખ્યામાં મંદિરોને પણ ભારે નુકસાન થયું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે નેપાળમાં એ મંદિરોના પુનઃસ્થાપનની જવાબદારી લીધી છે અને આ માટે 50 મિલિયન ડૉલરની ફાળવણી પણ કરવામાં આવી છે. તેની સાથે સાથે ભારત સરકાર રૂપિયા 200 કરોડના ખર્ચે નેપાળમાં રામાયણ સર્કિટ પણ તૈયાર કરાવી રહી છે. ભારત સરકારના પ્રયાસોને કારણે જ બે મહિના પહેલાં ઑક્ટોબર, 2022માં દુબઈમાં ભવ્ય હિન્દુ મંદિર દર્શન માટે ખુલ્લું મૂકાયું હતું. (https://indianexpress.com/photos/world-news/dubai-hindu-temple-photos-8190972/ ) પોતાના પ્રવચનમાં ડૉ. એસ. જયશંકરે એવી પણ માહિતી આપી કે હાલ યુએઈ-માં મંદિર નિર્માણની પરવાનગી મળી ગઈ છે અને બહરીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણે વિએટનામમાં પણ મંદિરોના જીર્ણોદ્ધારની કામગીરી કરી રહ્યા છીએ તેમ ભારતના વિદેશપ્રધાને કહ્યું હતું.

હવે આટલું જાણ્યા પછી કયા સનાતની ભારતીયને નરેન્દ્ર મોદી વિશે માન – અહોભાવ ન થાય! થાય જ. અને એટલે પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર તથા નવા મંદિરોના નિર્માણની અસાધારણ કામગીરી કરાવનાર વર્તમાન ભારતીય વડાપ્રધાનને ભવિષ્યમાં આધુનિક ભગીરથનું ઉપનામ મળશે એવું મને તો લાગે છે, તમે શું કહો છો? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment