Showing posts with label love jihad. Show all posts
Showing posts with label love jihad. Show all posts

Sunday, May 29, 2022

...પણ એ છોકરીઓની વાત કોણ અને ક્યારે સાંભળશે?

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ છોકરીઓને ફસાવીને દુષ્કૃત્ય કર્યાના સમાચાર ગુજરાતના અને દેશભરનાં મીડિયામાં રોજેરોજ ચમકતા રહે છે. સમાજ એક અવાજે છોકરીને જ દોષિત ઠેરવી દે છે, પણ...

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 વિધર્મીઓ દ્વારા હિન્દુ છોકરીઓ – યુવતીઓ – સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ કરવાના કિસ્સા મીડિયામાં પ્રકાશિત ન થતા હોય એવો એકપણ દિવસ પસાર થતો નથી. લૉ ઑફ એવરેજીસ (સરેરાશ)ના સિદ્ધાંત અનુસાર અસંખ્ય કિસ્સા બને તેમાંથી માંડ બે-પાંચ ટકા કિસ્સા પ્રકાશિત થતા હોય છે. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે હિન્દુ સમાજ, સામાજિક સંગઠનો, વગદાર તંત્રીઓ અને પત્રકારો, વગદાર લેખકો તેમજ સામાજિક આગેવાનોમાં બે પ્રકારના રિએક્શન જોવા મળે છેઃ (1) છોકરીઓ જ મુર્ખ હોય છે/છોકરીઓ જ બગડેલી હોય છે/છોકરીઓને જ મોજશોખ કરવા હોય છે/છોકરીઓને છૂટ આપનારા માતા-પિતાનો જ વાંક હોય છે...વગેરે વગેરે વગેરે. અથવા- (2) અરેરે બહુ ખોટું થયું, સરકાર અને પોલીસ શું કરે છે?/કાયદો-વ્યવસ્થાનો કોઇને ડર જ નથી રહ્યો/સરકાર-પોલીસ સાવ નબળી છે...વગેરે વગેરે વગેરે. અને પછી બધા મસ્તમજાના રસ-રોટલી ખાઈને પોતપોતાના કામે લાગી જાય. વળી પાછી આવી કોઈ ઘટના ધ્યાનમાં આવે એટલે ઉપર જણાવ્યા એવા જ રિએક્શનનું પુનરાવર્તન-પુનરાવર્તન-પુનરાવર્તન.

વળી દુષ્કર્મના કિસ્સાઓમાં ફેમિનિસ્ટ ...બોલે તો ડાબેરી મહિલાવાદી સંગઠનોના તો કાટલાં જ અલગ અલગ હોય છે. હિન્દુ છોકરીઓ-સ્ત્રીઓ વિધર્મીઓનો ભોગ બની હોય ત્યારે ડાબેરી ફેમિનિસ્ટ મહિલાઓના મોંમા મગ ભરાઈ જાય. એમને આવા કિસ્સાઓની કોઈ અસર નથી થતી, પરંતુ સ્થિતિ ઊંધી હોય (જેની શક્યતા 0.001 ટકા જેટલી હોય છે) અથવા તો પીડિત છોકરી અને આરોપી બંને હિન્દુ હોય અથવા પીડિત છોકરી દલિત હોય અને આરોપી સવર્ણ હિન્દુ હોય તો આ ડાબેરી ફેમિનિસ્ટો બુર્જ ખલીફા ઉપર ચડીને ચીસાચીસ કરી મૂકે!

ખેર, આજનો મારો મુદ્દો સાવ અલગ છે. ઉપર જણાવ્યા એ તમામ પ્રકારના મહાનુભાવો પોતપોતાની જગ્યાએ સાચા હશે / હોઈ શકે છે, પરંતુ કોરોના અને કેન્સર કરતાં પણ વધારે ગંભીર એવી આ સમસ્યા અંગે એક મૂળભૂત મુદ્દો સ્વીકારવા કોઈ તૈયાર નથી. પીડિત છોકરીઓ – મહિલાઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા આ મહાનુભાવો એ પીડિતાની પાસે બેસીને સાચી વાત સાંભળવા તૈયાર નથી. એ છોકરી કે એ સ્ત્રી કેવી રીતે વિધર્મીના કાવતરાંમાં ફસાઈ?, ફસાયા પછી શા માટે એણે એ સ્થિતિ સહન કરવાની ચાલુ રાખી? ક્યારે-કેવી રીતે અને કયા સંજોગોમાં તે વિધર્મીના છટકામાં સપડાઈ હતી?, શું એ સ્થિતિમાં સપડાવા બદલ તેની જ કોઈ વિધર્મી બહેનપણી જવાબદાર હતી?, કે પછી વિધર્મીએ નામ બદલીને સપડાવી હતી?, કે પછી કોઈ સેક્યુલર મિત્રની દોરવણીથી એ તરફ ગઈ હતી?, કે પછી પૈસા અને મોજશોખની લાલચ હતી?

ચોક્કસ કયું કારણ હતું કે આવી સ્થિતિ આવીને ઊભી રહી—એ જાણવા કે સમજવામાં હિન્દુ સમાજના વિદ્વાનો તથા મહાનુભાવોને કોઈ રસ નથી. હિન્દુ સમાજની સૌથી મોટી ફૉલ્ટલાઈન જ એ છે કે, વિકરાળ સમસ્યાના મૂળમાં જઇને તેનાં કારણો તથા ઉપાય શોધવા માગતો જ નથી. પાયાનું સંશોધન કરવા કોઈ તૈયાર જ નથી. એને બસ માત્ર છૂટાછવાયા કિસ્સાઓની જ ચર્ચા કરવી છે, અને એ ચર્ચા કરતાં કરતાં સરકાર અને પોલીસ ઉપર બધું ઢોળી દેવું છે. પોતાના કિલ્લાની દીવાલમાં ગાબડાં પાડવામાં અને એ દ્વારા પોતાનું પતન નોંતરવામાં હિન્દુ સમાજનો જોટો જડે એમ નથી.

વિધર્મીઓ એ વાત સારી રીતે જાણતા હોય છે કે, હિન્દુ સમાજમાં છેક પાયાથી લઇને છેક શિખર સુધી મહિલાનું સ્થાન પ્રમુખ હોય છે. સંપૂર્ણ હિન્દુ સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં મહિલા છે એ વાત સર્વવિદિત છે, અને તેથી જ મિશનરી અને જેહાદી આક્રમણકારીઓએ હંમેશાં હિન્દુ સ્ત્રીઓને જ સૌથી પહેલી નિશાન બનાવી છે. આ ક્રમમાં બાકી હતું એ કામ હિંસાખોર માર્ક્સવાદીઓ અને ડાબેરી મહિલા ફેમિનિસ્ટોએ પૂરું કર્યું. આ બદમાશ લોકોએ હિન્દુ સમાજમાં જે સામાન્ય પરંપરાઓ હતી તેને કુરિવાજો ગણાવીને હિન્દુ સમાજને અસાધારણ માત્રામાં અપમાનિત અને બદનામ કર્યો, પરિણામે હિન્દુઓ તેમની શ્રેષ્ઠ સામાજિક પરંપરાઓ છોડતા ગયા. આ ક્રમમાં બે-પાંચ ટકા છોકરીઓ અને મહિલાઓ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ બનવા લાગી. અપમાનિત થયેલો હિન્દુ સમાજ ત્યારે પણ સ્થિતિની ગંભીરતા સમજી ન શક્યો અને કમનસીબે આજે પણ નથી સમજી શકતો. આજે પણ પીડિતાની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવાને બદલે તેને જ આરોપીના પિંજરામાં બેસાડી દેવામાં આવે છે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોયા પછી પણ હિન્દુ સમાજ સમજ્યો નથી કે, પીડિતો વિશે તમને બીજાઓ દ્વારા જે કહેવામાં આવે છે તે સાચું નથી હોતું...સાચું જાણવા માગતા હોવ તો પીડિતોની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળો. આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થાય...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!