Showing posts with label Bangladeshi. Show all posts
Showing posts with label Bangladeshi. Show all posts

Monday, August 6, 2018

દેશ મમતા બેનરજીનો આભારી રહેશે


--- આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે આટલા મોટા પાયે હોબાળો કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેમને નાગરિકોની નહીં પણ ચોક્કસ પ્રકારના મતદારોની વધારે ચિંતા છે 
-- અલકેશ પટેલ

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કાશ્મીરી પંડિતોના મુદ્દે એક નાનું નિવેદન પણ નહીં કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે જે હદે હોબાળો કર્યો તેને કારણે આ દેશ તેમનો આભારી રહેશે. શા માટે..!? કેમ કે આ હોબાળા દ્વારા તેમણે એ સાબિત કરી દીધું કે તેમને વાસ્તવમાં દેશ અને દેશના નાગરિકોની નહીં પરંતુ ચોક્ક્સ પ્રકારના લોકોની વધારે ચિંતા છે જેઓ સાત દાયકાથી આ દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા છે. આવા ગેરકાયદે ઘૂસણખોરો પ્રત્યેની તેમની આવી ચિંતા અને હોબાળાને કારણે ભાજપને લાભ થશે એ બાબતમાં કોઈએ શંકા રાખવાની હવે જરૂર નથી..!
સાચી વાત એ છે કે, સેક્યુલારિઝમના નામે મમતા બેનરજી સહિત કોંગ્રેસ તથા અન્ય પક્ષો હવે લઘુમતી ખુશામતની હદ વટાવી રહ્યા છે. જે મુસ્લિમો આ દેશમાં હતા તેઓ રહેવાના જ છે અને તેમને કોઈ કશું જ નુકસાન કરવાનું નથી, પરંતુ છેલ્લા સાત દાયકાથી બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને તેને કારણે ભારતમાં બેરોજગારી, સંસાધનોની અછત, બેફામ વસ્તી વધારો, ગંદકી, લાયકાત ધરાવતા લોકોને તકનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમછતાં મમતા બેનરજી તથા અન્ય વિરોધપક્ષોએ આસામની નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશિપ (એનસીઆર) ના નામે છેલ્લા થોડા દિવસમાં જે કંઈ ઊંબાડિયાં કર્યાં છે તેને કારણે આ દેશના સરેરાશ નાગરિકો હતાશ થઈ રહ્યા છે. મમતા, કોંગ્રેસ સહિત અન્ય વિરોધપક્ષો તો એથી આગળ વધીને હજુ રોહિંગ્યાઓને પણ આ દેશમાં ઘૂસાડવા અને તેમને વસાવવાની તરફેણ કરી રહ્યા છે.
શું મમતા બેનરજી, રાહુલ ગાંધી જેવા રાજકારણીઓને રોહિંગ્યા તેમજ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનાં પરિણામોની જરાય ખબર  નથી? શું આ રાજકારણીઓ એ વાત નથી જાણતાં કે ભારતના અન્ય સરેરાશ પરિવારોમાં સભ્યોની સંખ્યા ચાર કે પાંચથી વધારે નથી હોતી? અને તેની સામે બાંગ્લાદેશીઓ તેમજ રોહિંગ્યાઓના પરિવારોમાં સભ્યોની સરેરાશ સંખ્યા 10-12-15થી ઓછી નથી હોતી એ વાત મમતા, રાહુલ નથી જાણતાં? શું મમતા, રાહુલને ખબર નથી પડતી કે ભારતમાં એક કરોડ કરતાં વધુ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા છે જેને કારણે દેશના મૂળ નાગરિકો અનેક પ્રકારની સુવિધા અને તકોથી વંચિત રહે છે?
આસામ જેવા નાના રાજ્યમાં 40 લાખ ગેરકાયદે લોકો વસતા હોય તો વિચાર કરો કે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ, આંધ્રપ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં આવા કેટલા ગેરકાયદે લોકો હશે? આ તમામ લોકોએ આપણા ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે નાગરિકત્વ મેળવી લીધું છે અને સરકારી નોકરીઓ, અન્ય પ્રાઇવેટ નોકરીઓ તેમજ વેપાર-ધંધામાં ઘૂસી ગયા છે. પરિણામે દેશના મૂળ લોકો આ બધાથી વંચિત રહે છે.
હકીકતે મુશ્કેલી આ જ છે. આ કરોડો ગેરકાયદે ઘૂસણખોરો નાગરિક બની ગયા છે અને તેમણે મતાધિકાર મેળવી લીધો છે, જેનો ગેરલાભ રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, અખિલેશ, ચંદ્રબાબુ નાયડુ, ઓવૈસી, લાલુ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા લોકોને લેવો છે. અને આ ટોળકીમાં ડાબેરીઓની પણ સૌથી ભૂંડી ભૂમિકા છે. ડાબેરીઓ પણ આ બધાને છાવરતા રહે છે. આ બધા ભેગા મળીને ગેરકાયદે બાંગ્લાદેશીઓ તેમજ ગેરકાયદે રોહિંગ્યાઓને મતદાર ગણે છે અને તેમના મતના આધારે આ બધા જ રાજકારણીઓ રાષ્ટ્રવાદી પક્ષોને સત્તાથી દૂર રાખવા માગે છે. આ રાજકારણીઓ ચૂંટણીનું રાજકારણ રમે તેમાં કોઈ વાંધો જ નથી, પરંતુ ચૂંટણીના રાજકારણની લ્હાયમાં આ બધા ભેગા મળી દેશ વિરોધી તત્વોનો રમકડાં તરીકે ઉપયોગ કરે છે અને વળતરમાં એ બધાં પોતે દેશ વિરોધી તત્વોનાં રમકડાં બની ગયાં છે.
ઉપર જણાવ્યા એમાંના એકપણ રાજકારણીએ આજ સુધી કાશ્મીરી પંડિતોની તરફેણમાં એક હરફ ઉચ્ચાર્યો હોય એવું યાદ નથી. 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાંથી ત્રાસવાદીઓને કારણે પૂર્વજોનાં ઘર અને જમીન છોડીને દેશના અલગ અલગ રાજ્યોમાં નાસી છૂટવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતો માટે ધરણા કે નિવેદન નહિ કરનાર ઘૃણાસ્પદ રાજકીય તત્વોએ શનિવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે ભેગા થઈને વધુ એક વખત સાબિત કર્યું કે તેમના માટે દેશની પ્રગતિનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ પ્રગતિ માટે મથામણ કરનાર નરેન્દ્ર મોદીને 2019માં કોઈપણ ભોગે અટકાવવા જોઈએ..!?
યોગ્ય અને મજબૂત વિરોધપક્ષ વિના કોઈ લોકશાહી પૂર્ણ ન કહેવાય એ સાચું પરંતુ ભારતમાં હાલ જે વિરોધપક્ષો છે તેમની વિચારવાની ક્ષમતા મુસ્લિમો, દલિતો, ઓબીસી, બાંગ્લાદેશી, રોહિંગ્યા – થી આગળ વધતી જ નથી એ સૌથી જોખમી બાબત છે. રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિત અન્ય તમામ ભારતને એક પૂર્ણ દેશના સ્વરૂપમાં જોતાં નથી એ હકીકત છે.
દેશના રાજકીય ઇતિહાસમાં આ તમામ પક્ષોને કોઈને કોઈ તબક્કે શાસનની તક મળેલી છે. આ પક્ષોએ કાંતો આખા દેશમાં અથવા પોતપોતાના રાજ્યમાં વર્ષો સુધી શાસન કર્યું છે, પરંતુ તેમણે તમામ વર્ગોનો સર્વાંગી વિકાસ કર્યો નથી એ પણ એટલી જ નગ્ન વાસ્તવિકતા છે. કમનસીબી એ છે કે આ પક્ષો ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર હિન્દુત્વનું રાજકારણ રમવાનો આક્ષેપ કરે છે, પરંતુ એ પક્ષો અને તેમના પ્રત્યે કૂણું વલણ દાખવનારા કહેવાતા બુદ્ધિજીવીઓ એક સામાન્ય તર્ક એ નથી સમજતા કે જો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, સપા, ડાબેરીઓ એ બધાએ જ્યારે તેમને શાસનની તક મળી ત્યારે હદ વગરની લઘુમતી ખુશામત કરવાને બદલે તમામ નાગરિકોને સમાન ગણીને શાસન કર્યું હોત તો આજે ભાજપ કે નરેન્દ્ર મોદી સત્તામાં આવી જ ન શક્યા હોત..! સંયુક્ત વિપક્ષોની વિખંડિત વિચારધારાને કારણે જ આજે ભાજપ સત્તા ઉપર છે અને છતાં એ જ સંયુક્ત વિપક્ષો હજુ આજે પણ વિખંડિત નીતિ જ અખત્યાર કરી રહ્યા છે. આજે પણ આ વિપક્ષો મહાગઠબંધન કરીને માત્ર નરેન્દ્ર મોદીને અટકાવવાની જ વાતો કરે છે. આ કહેવાતા મહાગઠબંધન પાસે તેમની પોતાની કોઈ વિકાસલક્ષી વાતો કે નીતિ નથી અને એ વાત દેશના નાગરિકો સારી રીતે જાણી-સમજી ગયા છે. ગેરકાયદે ઘૂસણખોરોની તરફેણ કરીને વિપક્ષો જે ભૂલ કરી રહ્યા છે તેનાં પરિણામો આપણે રાજકીય અને સામાજિક બંને રીતે ભોગવવાં પડશે.