Saturday, August 11, 2018

ભારત સાથે શાંતિ-કરાર છતાં પાકિસ્તાન બેકરાર છે


--- 1947માં ધર્મના નામે અલગ દેશની રચના કર્યા પછી પણ પાકિસ્તાનને કદી ઝંપ નથી વળ્યો. એ જ વર્ષે એટલે કે ઑક્ટોબર 1947થી જ ભારતમાં સતત ઘૂસણખોરી અને હુમલા કરનાર પાકિસ્તાને કદી શાંતિ કરારોનું માન નથી જાળવ્યું

n  70 વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર, સરહદ વિવાદ, વેપાર, નદીના જળની વહેંચણી, યુદ્ધ વિરામ જેવા કેટલાય વિષયો ઉપર ઓછામાં ઓછા 50 સમજૂતી કરાર થયા છે.

n  જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે જોડાણ કર્યું હતું એ આખી દુનિયા જાણતી હોવા છતાં પાકિસ્તાનીઓની બદમાશીને કારણે ભારતને તાશ્કંત કરાર તેમજ શિમલા કરાર કરવા મજબુર થવું પડ્યું હતું.

n  સાત દાયકામાં ભારતમાં અનેક સરકાર બદલાઈ છતાં દેશ પ્રગતિની દિશામાં આગળ વધતો રહ્યો. તેની સામે પાકિસ્તાનમાં હજુ આજે પણ નિશ્ચિત નથી કે ખરી સત્તા સરકાર પાસે છે કે લશ્કર/આઈએસઆઈ પાસે?



-- અલકેશ પટેલ
થોડાં વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં એક જોક ખૂબ વાઇરલ થઈ હતી કેઃ ભારત-પાકિસ્તાનના વિભાજનને 70 વર્ષ થયાં અને આ સાત દાયકા દરમિયાન ભારતે મંગલયાન બનાવી લીધું અને અવકાશ ક્ષેત્રમાં હાલ તેનો ડંકો વાગે છે, ત્યારે સામે પાકિસ્તાનીઓ હજુ પણ ભારતની સરહદમાં ઘૂસવા માટેનાં છીંડા જ શોધે છે. હકીકતે આ માત્ર જોક નથી, વાસ્તવિકતા પણ છે. 15 ઑગસ્ટ, 1947 પછી તેની મૂળભૂત સમસ્યાઓના ઉકેલની દિશામાં વિચારણા અને થોડીઘણી કામગીરી શરૂ કરી દીધી હતી, જ્યારે પાકિસ્તાનનો ડોળો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તેમજ ગુજરાતના સરહદી વિસ્તારો ઉપર હતો. પાકિસ્તાનીઓને ગમેતેમ કરીને ભારતના વધુને વધુ વિસ્તારો ઉપર કબજો કરવો હતો. તેની સૌથી પહેલી દાનત તો જમ્મુ-કાશ્મીર ઉપર જ હતી કેમ કે એ રાજ્યમાં, ખાસ કરીને કાશ્મીર ખીણ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધારે હતી અને તેથી પાકિસ્તાનને એ બધું હડપ કરી લેવું હતું. આ જ કારણે વિભાજનના વર્ષથી જ એટલે કે ઑક્ટોબર 1947થી જ બદમાશ પાકિસ્તાનીઓએ ક્યારેક તેના લશ્કર મારફત તો ક્યારેક આતંકવાદીઓ મારફત જમ્મુ-કાશ્મીરને સતત અશાંત રાખ્યું છે.
પાકિસ્તાનીઓની આવી અવળચંડાઈને કારણે અશાંતિ તથા હિંસાનો માહોલ ન રહે અને જમ્મુ-કાશ્મીરસ્થિત પોતાની પ્રજાને બચાવીને સુખ-શાંતિ આપી શકાય તે માટે ભારતે વારંવાર નમતું જોખીને પાકિસ્તાનીઓ સાથે શાંતિ-કરાર કર્યા છે, છતાં બદમાશ પાકિસ્તાનીઓ હજુ બેકરાર છે. જમ્મુ-કાશ્મીરમાં રોજ એકાદ હિંસક ઘટના ન બને ત્યાં સુધી ના-પાકિસ્તાનીઓને ખાધેલું પચતું નથી.
યુદ્ધવિરામ સંદર્ભે આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે બે સીધા કરાર થયા છે – એક તાશ્કંત કરાર અને બીજો શિમલા કરાર.
તાશ્કંત કરારઃ 1966ની 10 જાન્યુઆરીએ રશિયાના શહેર તાશ્કંતમાં તે સમયના ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ મહંમદ અયુબ ખાન વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી થઈ હતી. એ પહેલાં બંને દેશ વચ્ચે 1965ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં યુદ્ધ થયું હતું જે 17 દિવસ ચાલ્યું હતું. ત્યારપછી ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય તે માટે રશિયાએ પહેલ કરી હતી અને તત્કાલીન રશિયન પ્રમુખ એલેક્સી કોસજીને બંને દેશના વડાને સમજૂતી માટે ત્યાં બોલાવ્યા હતા. શાસ્ત્રી અને ખાન ત્યાં પહોંચે તે પહેલાં બંને દેશના લશ્કરી તેમજ વહીવટી અધિકારીઓ વચ્ચે 4 થી 10 જાન્યુઆરી દરમિયાન વાટાઘાટ થઈ હતી અને સમજૂતીના મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. સાધના ના મોટાભાગના વાચકોને ખ્યાલ જ હશે કે 1966ની 10 જાન્યુઆરીએ આ શાંતિ કરાર થયા અને બીજા જ દિવસે 11 જાન્યુઆરીએ વહેલી પરોઢે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું ત્યાં જ તાશ્કંતમાં જ નિધન થયું હતું. ભારત સહિત દુનિયા માટે લાલબહાદુર શાસ્ત્રીના નિધનની એ ઘટના આજે પણ રહસ્યમય છે. બસ, ઇતિહાસમાં નોંધાયેલી વિગતો તો એટલું જ કહે છે કે, સમજૂતી થઈ એ દિવસે સાંજે રશિયન પ્રમુખે ભારત-પાકિસ્તાનના વડાઓના માનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં ભોજન લઈને પોતાની હોટેલ રૂમમાં જઈને શાસ્ત્રીજી સૂઈ ગયા પછી ઊઠી ન શક્યા. સત્તાવાર રીતે તો હૃદય રોગનો હુમલો જાહેર કરી દેવામાં આવ્યો, પરંતુ એ વિશે શાસ્ત્રીજીના પરિવાર સહિત આખા ભારતને આજે પણ આશંકા છે.
શિમલા કરારઃ તાશ્કંત કરારને હજુ માંડ ચાર વર્ષ થયાં હતાં ત્યાં જ ભારતની પૂર્વમાં આવેલા પાકિસ્તાનના બીજા ટુકડા અર્થાત પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ શરૂ થઈ ગઈ. તેનું દેખીતું કારણ એ હતું કે પૂર્વ પાકિસ્તાનના નાગરિકો મૂળ તો ભારતના બંગાળ પ્રદેશના હતા અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. પશ્ચિમ પાકિસ્તાનીઓની સરખામણીમાં પૂર્વ પાકિસ્તાનની સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ, પરંપરાઓ બધું જ અલગ હતું. પણ પશ્ચિમ પાકિસ્તાનમાં બેઠેલા ના-પાક શાસકો બાંગ્લાભાષી પૂર્વ પાકિસ્તાનીઓ ઉપર પણ ઉર્દુ ભાષા લાદવા માગતા હતા. તેની સામે પૂર્વ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન શરૂ થયાં, જેને ડામી દેવા પશ્ચિમ પાકિસ્તાનીઓએ લશ્કરી દમન શરૂ કર્યું. પરિણામે પૂર્વ પાકિસ્તાનના નાગરિકો વધારે ઉશ્કેરાયા અને તેમણે બાંગ્લાદેશ નામે અલગ દેશની જ માગણી કરી દીધી. પાકિસ્તાનને એમ લાગ્યું કે આ બધું ભારત કરાવે છે તેથી તેણે 1971માં ફરી ભારત ઉપર હુમલો કર્યો, જેને પગલે યુદ્ધ થયું. ત્રીજી વખત પણ (1947, 1965 અને 1971) ભારતની જીત થઈ. પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવી પડી અને ત્યારબાદ ભારતનાં તે સમયનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટે વચ્ચે ભારતના શિમલામાં 1972ની બીજી જુલાઈએ શાંતિ કરાર થયા.
આ બંને અગત્યના યુદ્ધવિરામ કરાર ઉપરાંત બંને દેશ વચ્ચે કરાચી સમજૂતી (27 જુલાઈ, 1949), નહેરુ-લિયાકત સમજૂતી (8 એપ્રિલ, 1950), સિંધુ જળ સમજૂતી (19 સપ્ટેમ્બર, 1960), દિલ્હી સમજૂતી (28 ઑગસ્ટ, 1973), લાહોર ઘોષણા (21 ફેબ્રુઆરી, 1999) જેવા બીજા 50 નાના-મોટા કરાર અને સમજૂતી થઈ છે. પરંતુ પીડાદાયક સ્થિતિ એ છે કે પાકિસ્તાને કદી કોઈ સમજૂતી કે કરારનું સન્માન કર્યું જ નથી.
હકીકત તો એ છે કે પાકિસ્તાને જો 1948ના યુએન ઠરાવનું સન્માન કર્યું હોત તો બંને દેશ વચ્ચે ઘણાં વર્ષ પહેલાં શાંતિની સ્થાપના થઈ ગઈ હોત અને ભારતની જેમ પાકિસ્તાન પણ પ્રગતિ કરી રહ્યું હોત. પરંતુ કમનસીબે પાકિસ્તાનની દાનત માત્ર ને માત્ર ભારતને નુકસાન કરવાનાં કાવતરાં પૂરતી સીમિત રહી. ભારત – પાકિસ્તાનના વિભાજનની જે શરતો હતી તેનું પાલન કરીને જ જમ્મુ-કાશ્મીર ભારતમાં જોડાયું હતું તેમ છતાં પાકિસ્તાને કદી તેનો સ્વીકાર ન કર્યો અને આજ સુધી ભારતને શાંતિથી ઝંપવા નથી દીધું. એ ઠરાવ અનુસાર પાકિસ્તાને સૌથી પહેલાં તો તેણે પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રોમાંથી પાછા હઠવું ફરજિયાત છે. તેનું સૈન્ય, પોલીસ તેમજ તેના નાગરિકો કથિત આઝાદ કાશ્મીર માંથી પરત જાય પછી જ જમ્મુ-કાશ્મીરનો વિવાદ જે નહેરુને કારણે ઊભો થયેલો છે તેના ઉકેલની દિશામાં આગળ વધી શકાય. પણ પાકિસ્તાન યુએનના ઠરાવની પહેલી શરતનું જ પાલન કરવા તૈયારી નથી, તો પછી ભારતનો કોઈ વાંક રહેતો જ નથી. યુએનના ઠરાવ અનુસાર સ્પષ્ટ રીતે કથિત આઝાદ કાશ્મીર ભારતનો જ ભાગ છે, તેથી પાકિસ્તાને ત્યાંથી પહેલાં હઠવું પડે. (આ ઠરાવની વિગતો અહીં વાંચી શકાશે - http://www.un.org/en/ga/search/view_doc.asp?symbol=S/RES/51(1948) તથા http://www.jammu-kashmir.com/documents/jkunresolution.html )
આવતા અઠવાડિયે એટલે કે 25 જુલાઈએ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. આમ તો દુનિયા જાણે છે કે પાકિસ્તાનનું લશ્કર જેને ઇચ્છે તેને જ ચૂંટણી જીતાડે છે જીતનાર પક્ષના વડાપ્રધાને પાકિસ્તાની લશ્કરના ઇશારે જ નાચવાનું હોય છે. આનું પરિણામ એ આવ્યું છે કે પાકિસ્તાન આટલા દાયકામાં આર્થિક-સામાજિક રીતે ખોખલું થઈ જવા ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એકલું પડી રહ્યું છે. પાકિસ્તાનનું વિદેશી હુંડિયામણ સાવ તળિયે બેસી ગયું છે. પાકિસ્તાની ચલણની કિંમત ડૉલર સામે 100 રૂપિયાથી ઉપર ચાલી ગઈ છે. તેથી દુનિયાને પણ એવી અપેક્ષા છે કે પાકિસ્તાનમાં કોઈ પ્રગતિશીલ પક્ષ અને પ્રગતિશીલ નેતા સત્તા ઉપર આવે. આ ચૂંટણીમાં થોડીઘણી આશા જાગી હતી, પરંતુ હવે એ પણ શક્ય લાગતું નથી કેમકે હાફીઝ સઈદ નામનો ત્રાસવાદી કટ્ટરવાદી પક્ષો મારફત સત્તા ઉપર આવવા પ્રયાસ કરી રહ્યો છે. આ તો પાકિસ્તાન છે – કંઈપણ થઈ શકે. પાકિસ્તાન પોતે અસ્થિર અને અશાંત છે અને તેથી શાંતિપ્રિય ભારતને અશાંત અને અસ્થિર રાખવા સિવાય તેનું બીજું કોઈ ધ્યેય હોય એવું લાગતું નથી, અને એટલે જ આજ સુધી પાકિસ્તાને કદી ભારતના સાથેનો કોઈ કરાર – કોઈ સમજૂતીનું માન પણ જાળવ્યું નથી, પાલન તો કર્યું જ નથી.

No comments:

Post a Comment