Showing posts with label Government Officials. Show all posts
Showing posts with label Government Officials. Show all posts

Thursday, July 12, 2018

પ્રજા તરીકે આપણે કેટલા લાયક છીએ?


--- દેશના નાગરિકો તેમજ મીડિયાની સૌથી ગંભીર ભૂલ એ છે કે દરેક બાબત માટે, દરેક સમસ્યા માટે આપણે માત્ર સરકારને જ જવાબદાર ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. શું દેશની પ્રગતિ માટે નાગરિકોની કોઈ ફરજ નથી હોતી..?
 --- અલકેશ પટેલ


10 જુલાઈ, 2018ને મંગળવારે મેં આ સ્થળે લખ્યું હતું કે દરેક સમસ્યા માટે આપણને માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવવાની આદત પડી ગઈ છે. મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારની અને રાજકારણીઓની તો આવન-જાવન થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર અને અધિકારીઓ ત્યાં જ હોય છે અને વાસ્તવમાં નિયમો-કાયદાનું પાલન કરાવવાની, સરકાર જે કંઈ નક્કી કરે તેનો અમલ કરાવવાની જવાબદારી આ અધિકારીઓ અને વહીવટીતંત્રની જ હોય છે.

પણ આજે હવે એ વાત કરવી છે કે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ બીજા ક્રમે આવે છે. aઅર્થાત તેમની જવાબદારીનો ક્રમ પણ બીજો છે, પહેલોL ક્રમ તો પ્રજાનો પોતાનો આવે. દેશની પ્રગતિના ખરા ચાલક તો નાગરિકો પોતે છે.
સરકાર અને વહીવટીતંત્રનું kકામ તો માત્ર સાનુકૂળ સંજોગો ઊભા કરી આપવાનું હોય છે જેમાં નાગરિકો સુખેથી રહી શકે.
શા માટે પ્રજાની જવાબદારી..?
તેનો જવાબ છે... શું તમે તમારા ઘરમાં ગમે તે રૂમમાં છી-છી, પી-પી કરી દો છો..? શું તમે તમારા ઘરમાં એવી રીતે ચાલો છો કે હરોફરો છો જેનાથી પરિવારના અન્ય સભ્યો સાથે અથડાઈe જવાય..? શું તમે તમારા રસોડામાં જમ્યા પછી થાળી ગમેત્યાં છુટ્ટી ફેંકી દો છો..? ચા પીધા પછી કપ અથવા પાણી પીધા પછી ગ્લાસ ગમેત્યાં નાખી દો છો..?
જો આ બધાનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી...
... પણ મને ખબર છે કે ઉપરના કોઈ sસવાલનો જવાબ હા માં નથી. ઘરની અંદર આપણે સામાજિક પ્રાણીની જેમ જ રહીએ છીએ, બધું જ વ્યવસ્થિત. પરંતુ જેવા ઘરની બહાર નીકળીએ એટલે પ્રાણી-પશુ જેવા બની જઈએ છીએ. કચરો ગમેત્યાં નાખી દેતાં જરાય અચકાતા નથી. ચા જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીધી હોય તો એ કપ જ્યાં-ત્યાં જ નાખી દઇએ છીએ. લારી ઉપર નાશ્તો કર્યા પછી ડિશ નાખવા માટે ડસ્ટબીન શોધવાની તકલીફ ઉઠાવતા નથી, પણ સીધી ગમેત્યાં નાખી દઇએ છીએ. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન કરવાનું આપણને ગમતું નથી. બેફામ હોર્ન વગાડ્યા કરવાનો, રોંગ સાઇડમાં ઘૂસી જવાનું, ચાર રસ્તા ઉપર પોલીસ ન દેખાય તો ટ્રાફિક સિગ્નલની લાઇટનું સન્માન નહીં કરવાનું આપણામાંથી 95 ટકાને ગમે છે. આ જ પશુ વૃત્તિ કહેવાયh.
પણ...બે ઘડી વિચાર કરો કે આપણે જ ગંદગી નહીં કરીએ તો સ્વચ્છતા માટે કોઈએ બૂમો પાડવી નહીં પડે. આપણે ગમેત્યાં ફેંકેલો એ કચરો રસ્તા પર બનાવેલા વરસાદી નાળામાં નહીં પડે તો ચોમાસામાં વરસાદના પાણીનો ભરાવો નહીં થાય.
આપણે જ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો કોઈ પોલીસવાળાએ મેમો ફાડવો નહીં પડે અથવા ઇ-મેમો ઘરે નહીં આવે. આપણે જો રોંગ સાઇડ નહીં જઇએ તો ટ્રાફિક જામ નહીં થાય અને બધા ભીડભાડ વિના સરળતાથી વાહનો ચલાવી શકશે.
આપણે જ જો ફૂટપાથ ઉપર દબાણ નહીં કરીએ તો ત્યાં ચાલનારા લોકો માટે જગ્યા રહેશે અને તેમણે રસ્તા ઉપર ચાલવું નહીં પડે..એ રીતે ટ્રાફિકમાં સરળતા રહેશે અને અકસ્માતો ઘટી જશે.
પણ કમનસીબે થાય છે આ બધાથી ઊંધું. અને તેથી દરેક વ્યવસ્થા કથળે છે પછી આપણે સરકારને જવાબદાર ઠેરવીએ છીએ કે સરકાર કશું કરતી નથી. જો બધું બગાડનાર આપણે પોતે હોઈએ તો બધું સુધારવા માટેની જવાબદારી સરકાર ઉપર કેવી રીતે ઢોળી શકાય..?

Wednesday, July 11, 2018

બધી વાતમાં સરકારને જવાબદાર ઠેરવવાનું ગાંડપણ


--- જો બધી વાતમાં સરકારોને જ જવાબદાર ઠેરવીશું તો દેશના નાગરિકો, અધિકારીઓ અને વહીવટીતંત્રને ક્યારે જવાબદાર ઠેરવીશું, વારુ?

--- અલકેશ પટેલ


ફરી એક વખત ભારે વરસાદને કારણે મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે. ફરી એક વખત મુંબઈના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ફરી એક વખત માત્ર વરસાદની આફતને કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા... અને આ બધા સાથે ફરી એક વખત 24X7 ચપ-ચપ કર્યા કરતાં ચૅનલના કથિત પત્રકારો (કથિત પત્રકારો એટલા માટે કે તેઓ માત્ર એક જ દિશામાં જૂએ છે, બીજી બાજુ તેમને દેખાતી નથી) એકમાત્ર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પાછળ એવી રીતે પડી ગયા છે જાણે મુંબઈની આવી હાલત માટે બીજું કોઈ જવાબદાર જ ન હોય..!
માન્યું કે નાગરિકોની સુખાકારીની જવાબદારી સરકારની હોય છે. પરંતુ મુંબઈની આવી સ્થિતિ માટે એકલા ફડનવીસ જવાબદાર કેવી રીતે હોઈ શકે..!? શું ફડનવીસ માત્ર મુંબઈના મુખ્યપ્રધાન છે..!? મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષમાં તેમણે ઘણાં નોંધપાત્ર કામ કર્યાં છે, એ વખતે શું આ બધા ચૅનલવાળા આટલા ઉછળી ઉછળીને સરકારના વખાણ કર્યાં હતાં..!?
ખેર, અહીં કોઈનો બચાવ કરવાનો સવાલ જ નથી. કોઈનો બચાવ કરવાનો મુદ્દો પણ નથી. પણ ચર્ચા એ કરવી છે કે આપણે હંમેશાં માત્ર ચૂંટાયેલી સરકારને ક્યાં સુધી જવાબદાર ઠેરવ્યા કરીશું..!? શું દેશના નાગરિકોની કોઈ ફરજ છે જ નહીં..!? શું અધિકારીઓ અને વહીવટીતંત્રની કોઈ જ ફરજ નથી..!?
આ સવાલો ઉપર કોઈ એવી દલીલ મહેરબાની કરીને ન કરતા કે, અધિકારીઓ-વહીવટીતંત્ર પાસે કામ કરાવવાની જવાબદારી પણ સરકારની જ છે..!
સાચી વાત એ છે કે સરકાર તો નિર્ણય કરે. સરકાર આયોજન કરે. પણ એ દરેકનો અમલ કરવાની જવાબદારી અધિકારીઓની – વહીવટીતંત્રની હોય છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે, દરેક વખતે આપણે ચૂંટાયેલી સરકારને જવાબદાર ઠેરવીને નફ્ફટ અને અપ્રામાણિક અધિકારીઓ – વહીવટીતંત્રને છટકી જવાની તક આપીએ છીએ. નફ્ફટ અને અપ્રામાણિક તંત્રને ખબર પડી ગઈ છે કે મીડિયા અને સામાન્ય પ્રજા તો સરકારને જ જવાબદાર ઠેરવવાની છે, પણ આપણે શું ચિંતા..!? પરિણામે અધિકારીઓ અને તેમની નીચેનું વહીવટીતંત્ર નઠારું, નઘરોળ બનીને મહાલે છે, ભ્રષ્ટાચાર કરે છે અને માત્ર ને માત્ર રાજકારણીઓ વગોવાય છે.
હકીકત એ છે કે અધિકારીઓ જો ખરેખર પ્રામાણિક હોત, અધિકારીઓ જો ખરેખર દેશ માટે અને પ્રજા માટે વિચારતા હોત તો આટલા દાયકામાં આ દેશ આખી દુનિયાનો સૌથી વિકસિત દેશ બની ગયો હોત.
અધિકારીઓ અને વહીવટીતંત્ર ઉપર હું એટલા માટે આટલો ભાર મૂકું છું કે, રાજકારણીઓની મુદત પાંચ-દસ-પંદર વર્ષથી વધારે નથી હોતી. એ લોકો તો ચૂંટાય તો સત્તા ઉપર આવે અને હારે તો લોકો ભૂલી જાય. પણ જે કામ કરવાનું હોય છે તે અધિકારીઓ અને તેમની નીચેના વહીવટીતંત્રે કરવાનું હોય છે. કાયદા અને નિયમોની જાણકારી અધિકારીઓ – વહીવટીતંત્રને હોય છે. અને તેથી એ નફ્ફટ અને નઘરોળ તંત્ર રાજકારણીઓને ઊંઠા ભણાવીને, તેમને પણ ભ્રષ્ટાચારમાં સામેલ કરીને પોતે છટકી જાય છે.
આ અધિકારીઓ અને વહીવટીતંત્ર કોણ છે..!?
એ લોકો આપણામાંના જ એક છે. આપણી આસપાસના લોકો જ અધિકારી કે પછી સરકારી કર્મચારી હોય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે આ લોકો પ્રામાણિક નથી. આપણે જાણીએ છીએ કે આ લોકો થોડાં વર્ષ પહેલાં જ્યારે સરકારી નોકરીમાં જોડાયા ત્યારે તૂટેલું ફૂટેલું સ્કૂટર લઈને જતા હતા અને બે-ચાર વર્ષમાં જ ગાડીમાં ફરતા થઈ ગયા. તેમ છતાં આપણે હંમેશાં આપણી મુશ્કેલીઓ માટે સરકાર અને રાજકારણીઓને જ જવાબદાર ઠેરવતા રહ્યા છીએ.
મને લાગે છે કે, એ યોગ્ય નથી. આપણે હવે સરકારી તંત્ર ચલાવતા અધિકારીઓ, કર્મચારીઓને જવાબદાર ઠેરવવાનું શરૂ કરવું પડશે તો જ આ દેશમાં કંઈક સુધારો આવી શકશે.
ચતુર કરો વિચાર...અખબારોમાં અને સમાચાર ચૅનલમાં કે પછી કોઈપણ મીડિયામાં અનેક વાર અનેક ભૂલો થતી હોય છે, અનેક ગરબડ થતી હોય છે, કેટલાય ભ્રષ્ટ પણ હોય છે... તો શું દરેક વખતે માત્ર તંત્રીને જવાબદાર ઠેરવવામાં આવે છે..!? શું દરેક વખતે તંત્રીના રાજીનામાની માગણી થાય છે..!?