Showing posts with label Politicians. Show all posts
Showing posts with label Politicians. Show all posts

Thursday, July 12, 2018

પ્રજા તરીકે આપણે કેટલા લાયક છીએ?


--- દેશના નાગરિકો તેમજ મીડિયાની સૌથી ગંભીર ભૂલ એ છે કે દરેક બાબત માટે, દરેક સમસ્યા માટે આપણે માત્ર સરકારને જ જવાબદાર ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. શું દેશની પ્રગતિ માટે નાગરિકોની કોઈ ફરજ નથી હોતી..?
 --- અલકેશ પટેલ


10 જુલાઈ, 2018ને મંગળવારે મેં આ સ્થળે લખ્યું હતું કે દરેક સમસ્યા માટે આપણને માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવવાની આદત પડી ગઈ છે. મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારની અને રાજકારણીઓની તો આવન-જાવન થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર અને અધિકારીઓ ત્યાં જ હોય છે અને વાસ્તવમાં નિયમો-કાયદાનું પાલન કરાવવાની, સરકાર જે કંઈ નક્કી કરે તેનો અમલ કરાવવાની જવાબદારી આ અધિકારીઓ અને વહીવટીતંત્રની જ હોય છે.

પણ આજે હવે એ વાત કરવી છે કે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ બીજા ક્રમે આવે છે. aઅર્થાત તેમની જવાબદારીનો ક્રમ પણ બીજો છે, પહેલોL ક્રમ તો પ્રજાનો પોતાનો આવે. દેશની પ્રગતિના ખરા ચાલક તો નાગરિકો પોતે છે.
સરકાર અને વહીવટીતંત્રનું kકામ તો માત્ર સાનુકૂળ સંજોગો ઊભા કરી આપવાનું હોય છે જેમાં નાગરિકો સુખેથી રહી શકે.
શા માટે પ્રજાની જવાબદારી..?
તેનો જવાબ છે... શું તમે તમારા ઘરમાં ગમે તે રૂમમાં છી-છી, પી-પી કરી દો છો..? શું તમે તમારા ઘરમાં એવી રીતે ચાલો છો કે હરોફરો છો જેનાથી પરિવારના અન્ય સભ્યો સાથે અથડાઈe જવાય..? શું તમે તમારા રસોડામાં જમ્યા પછી થાળી ગમેત્યાં છુટ્ટી ફેંકી દો છો..? ચા પીધા પછી કપ અથવા પાણી પીધા પછી ગ્લાસ ગમેત્યાં નાખી દો છો..?
જો આ બધાનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી...
... પણ મને ખબર છે કે ઉપરના કોઈ sસવાલનો જવાબ હા માં નથી. ઘરની અંદર આપણે સામાજિક પ્રાણીની જેમ જ રહીએ છીએ, બધું જ વ્યવસ્થિત. પરંતુ જેવા ઘરની બહાર નીકળીએ એટલે પ્રાણી-પશુ જેવા બની જઈએ છીએ. કચરો ગમેત્યાં નાખી દેતાં જરાય અચકાતા નથી. ચા જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીધી હોય તો એ કપ જ્યાં-ત્યાં જ નાખી દઇએ છીએ. લારી ઉપર નાશ્તો કર્યા પછી ડિશ નાખવા માટે ડસ્ટબીન શોધવાની તકલીફ ઉઠાવતા નથી, પણ સીધી ગમેત્યાં નાખી દઇએ છીએ. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન કરવાનું આપણને ગમતું નથી. બેફામ હોર્ન વગાડ્યા કરવાનો, રોંગ સાઇડમાં ઘૂસી જવાનું, ચાર રસ્તા ઉપર પોલીસ ન દેખાય તો ટ્રાફિક સિગ્નલની લાઇટનું સન્માન નહીં કરવાનું આપણામાંથી 95 ટકાને ગમે છે. આ જ પશુ વૃત્તિ કહેવાયh.
પણ...બે ઘડી વિચાર કરો કે આપણે જ ગંદગી નહીં કરીએ તો સ્વચ્છતા માટે કોઈએ બૂમો પાડવી નહીં પડે. આપણે ગમેત્યાં ફેંકેલો એ કચરો રસ્તા પર બનાવેલા વરસાદી નાળામાં નહીં પડે તો ચોમાસામાં વરસાદના પાણીનો ભરાવો નહીં થાય.
આપણે જ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો કોઈ પોલીસવાળાએ મેમો ફાડવો નહીં પડે અથવા ઇ-મેમો ઘરે નહીં આવે. આપણે જો રોંગ સાઇડ નહીં જઇએ તો ટ્રાફિક જામ નહીં થાય અને બધા ભીડભાડ વિના સરળતાથી વાહનો ચલાવી શકશે.
આપણે જ જો ફૂટપાથ ઉપર દબાણ નહીં કરીએ તો ત્યાં ચાલનારા લોકો માટે જગ્યા રહેશે અને તેમણે રસ્તા ઉપર ચાલવું નહીં પડે..એ રીતે ટ્રાફિકમાં સરળતા રહેશે અને અકસ્માતો ઘટી જશે.
પણ કમનસીબે થાય છે આ બધાથી ઊંધું. અને તેથી દરેક વ્યવસ્થા કથળે છે પછી આપણે સરકારને જવાબદાર ઠેરવીએ છીએ કે સરકાર કશું કરતી નથી. જો બધું બગાડનાર આપણે પોતે હોઈએ તો બધું સુધારવા માટેની જવાબદારી સરકાર ઉપર કેવી રીતે ઢોળી શકાય..?

Monday, July 2, 2018

GST @1: એક વખત દેશહિતમાં વિચારી જોઈએ

 
--- સ્વતંત્રતા પછીના સૌથી મોટા કરવેરા સુધારાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી વેપારીઓ, રાજકારણીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત બધા પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે, અને તેમાં સરેરાશ દેશહિતની વાતની અછત હોય એવું લાગ્યું

-- અલકેશ પટેલ

ગઇકાલે આપણે આ સ્થળે જીએસટી વિશે એક વિહંગાવલોકન જોયું. આખો દેશ છેલ્લા બે દિવસથી એક જ મુદ્દાની ચર્ચા કરી રહ્યો છે અને એ છે – જીએસટી. આ ચર્ચામાં સરકાર અને વિરોધપક્ષના રાજકારણીઓ, આર્થિક નિષ્ણાતો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ પોતપોતાની રીતે અભિપ્રાય આપી રહ્યા છે. આ તમામ ચર્ચા જોયા – સાંભળ્યા અને વાંચ્યા પછી કમ-સે-કમ મારા મનમાં તો એવી છાપ ઉપસ્થિત થઈ રહી છે કે આમાંના મોટાભાગના લોકો (બધા નહીં પણ મોટાભાગના લોકો) મારું શું થયું અને મને શું મળ્યું અને મને શું ન મળ્યું અને મને શું નુકસાન થયું ... બસ આ જ મુદ્દાઓ ઉપર વળગી પડ્યા છે. આમાંથી સાવ જૂજ લોકોને દેશહિતની વાત કરતા જોયા-સાંભળ્યા. આ જ તો આપણા દેશની કમનસીબી છે, આ જ તો આપણા દેશની સૌથી મોટી નબળાઈ છે.
સરકારનું કામ પ્રજા-કલ્યાણનું હોવું જોઈએ એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. બલ્કે સરકારની પ્રાથમિક ફરજ જ પ્રજા-કલ્યાણની હોય છે, પ્રજાની સુખાકારીની હોય છે. પરંતુ સાધારણ તર્કનો ઉપયોગ કરીએ તો એ સમજવું અઘરું નથી કે દરેક સરકાર એ રીતે તેની પ્રાથમિક ફરજ બજાવતી જ હોય છે. હા, તેના પ્રમાણ અને વાસ્તવિક અસરો વિશે મતભેદ હોઈ શકે.
આજે હું એ મુદ્દા ઉપર ભાર મૂકવા માગું છું કે આપણા બધા માટે આપણો વ્યક્તિગત સ્વાર્થ અગત્યનો છે કે પછી રાષ્ટ્રની ઉન્નતિ? એ વાતમાં કોઈ બેમત નથી કે વ્યક્તિઓનો, સમાજનો વિકાસ થશે તો એ દ્વારા રાષ્ટ્રની જ ઉન્નતિ થવાની છે. એટલે એવી દલીલનો અર્થ નથી. પણ ભારતના સંદર્ભમાં મુશ્કેલી એ છે કે સાડા છ દાયકા સુધી આપણે જે બાબતોની ચિંતા નહોતા કરતા, સાડા છ દાયકા સુધી આપણે જે બાબતે ઘેરી ઊંઘમાં હતા એ બધી બાબતોએ આજે એકાએક ઊઠીને સવાલ કરવા લાગ્યા છીએ.
જીએસટીની જ વાત કરીએ તો આ વ્યવસ્થા ખરેખર તો ઓછામાં ઓછા 25 વર્ષ પહેલાં અમલમાં આવી જવી જોઇતી હતી. જો ત્યારે જીએસટી આવી ગયું હોત તો આજે દેશ ચીન કરતાં આગળ હોત અને અમેરિકા જેવા દેશો સાથે આપણે સ્પર્ધા કરતાં હોત. પરંતુ આટલા લાંબા ગાળા સુધી અવ્યવસ્થા ચાલુ રહી જેને કારણે વેપારીઓ – અધિકારીઓ – રાજકારણીઓ બધાને મનફાવે એવાં ગફલાં કરવાની સ્વતંત્રતા મળતી રહી તેને કારણે હવે આ બધા એવી કોઈ નવી વ્યવસ્થા સ્વીકારી શકતા નથી જે કોઈ ચોક્કસ વર્ગ કે સમુદાયને બદલે સમગ્ર રાષ્ટ્રના હિતમાં હોય..! આજે સવારે જ (રવિવારે સવારે) એક ટીવી ચૅનલ ઉપર ચર્ચા સાંભળતો હતો તેમાં એક સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) એવી દલીલ કરી રહ્યા હતા કે કરવેરાનો દર ઊંચો હોવાને કારણે વેપારીઓ કરચોરી કરીને ગેરરીતિ આચરે છે..
હવે સવાલ એ થાય છે કે આ સી.એ. કઈ હદે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે? શું એ કહેવાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ખબર નથી કે 90 ટકા જીવનજરૂરી ચીજવસ્તુઓને માત્ર 12 ટકા સુધીના (5 ટકાથી 12 ટકાની વચ્ચે) સ્લેબમાં રાખવામાં આવી છે? શું 12 ટકા ટૅક્સ એ અસાધારણ અને વધારેપડતો કહેવાય ખરો? શું એ કહેવાતા સી.એ. ને ખબર નથી કે જીએસટી અમલમાં નહોતો આવ્યો ત્યારે એક ચીજ ઉપર કેન્દ્રીય કરવેરાથી માંડીને છેક સ્થાનિક કરવેરા લાગતા હતા? અને એ બધા કરવેરા ભેગા મળીને દરેક ચીજ ઉપર 30 ટકા કરતાં વધુ ટૅક્ષ થઈ જતો હતો એ વાત શું સી.એ.ને ખબર નથી? તેની સામે હવે મહત્તમ 12 કે ક્યાંક 18 ટકા સુધી ટૅક્સ લાગે છે. અને જે વસ્તુઓ ઉપર હાલ 28 ટકા ટૅક્સ છે એ તો લક્ઝરી અર્થાત વૈભવી ચીજો ઉપર છે. સામાન્ય માણસોને અસર કરતી 90 ટકા ચીજો ઉપર તો 12 કે વધી વધીને 18 ટકા ટૅક્સ છે તો એને વેપારી વિરોધી કેવી રીતે કહી શકાય?
સાચી વાત એ છે કે કોંગ્રેસી શાસનની કહેવાતી સમાજવાદી નીતિને કારણે પ્રજાને મફતનું મેળવવાની (કુ)ટેવ પડી ગઈ છે એટલે હવે વર્તમાન સરકાર વ્યવસ્થામાં થોડોઘણો ફેરફાર કરે છે તો પણ એ જ કોંગ્રેસી અને ડાબેરી રાજકારણીઓ અપપ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આ કમનસીબ સ્થિતિ છે. પ્રજાએ જાતે વિચારવું પડશે કે લાંબાગાળે આપણી ભાવિ પેઢી માટે સુંદર ભવિષ્યનું નિર્માણ કરવું છે કે પછી હાલ માત્ર આપણો અંગત સ્વાર્થ વિચારીને બધી જાતની છૂટ અને બધી જાતના કન્સેશન લઈ લેવા છે? જો આવું જ વિચારશો તો એટલું નક્કી છે કે 70 વર્ષે પણ જો ભારત અલ્પવિકસિત દેશ હોય તો તમારી આવી વિચારસરણીથી બીજા 100 વર્ષ સુધી ભારત વિકસિત દેશ નહીં જ બની શકે. એક વખત દેશહિતમાં વિચારી જોઈએ..!