Saturday, June 11, 2022

શું આ દિશામાં વિચારી શકાય? ❓❗️



પ્રશ્ન છે - શું સમાચાર ચૅનલો પરની ડિબેટ બંધ થવી જોઇએ?

------------------------------
#નૂપુર_શર્મા વિવાદમાં એ આરોપી આબાદ છટકી ગયા અને એક નિર્દોષ વિદ્વાન મહિલાને વિવાદનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યા.

કયા બે આરોપી છૂટી ગયા?
1. મીડિયા (આ કિસ્સામાં નાવિકા કુમાર)
અને
2. તસલીમ રહેમાની ("કહેવાતો" સ્કૉલર)

હવે મૂળ વાત.
ત્રણેક દાયકા પહેલાં ઉત્તર ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર સાથેની વાતચીત દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, એ વિસ્તારમાં પરમ શાંતિ હતી, બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા (હા, એ સમયે એ અંતરિયાળ વિસ્તારમાં માત્ર હિન્દુઓ જ હતા હોં) પરંતુ જે દિવસથી ગામમાં છાપું આવવાનું શરૂ થયું એ દિવસથી ગામમાં અશાંતિ છે. બધાનાં મન ઉચાટમાં રહે છે. અલગ વિચારસરણી ધરાવતા લોકો વારંવાર ઝઘડી પડે છે.

આ વાત મેં મારા પુસ્તક #પત્રકારત્વ_વિશ્વસનીયતાનો_પડકાર માં પણ ટાંકી છે.

પત્રકારત્વ અશાંતિનું મૂળ છે. તેનું કારણ મીડિયાની #પત્રકારત્વ કરવાને બદલે અભિપ્રાય આપવાની બદમાશી છે. હેડિંગ સાથે ગંદી રમત કરીને, લખાણમાં ચોક્કસ વિચારધારાની ભેળસેળ કરીને મીડિયાએ માત્ર એ ગામડાંનું નહીં, માત્ર ભારતનું નહીં પણ સમગ્ર દુનિયાનું વાતાવરણ ડહોળી નાખ્યું છે.
પત્રકારત્વનું કામ માત્ર સમાચાર જેમ છે તેમ આપવાનું હતું, પણ ગુમાનમાં આવી ગયેલા પત્રકારોએ, તંત્રીઓએ પોતાની વિચારધારાની ભેળસેળ કરીને સ્થિતિ બગાડી છે.
આજની સ્થિતિમાં આ કામ સમાચાર ચૅનલો ઉપર થતા ડિબેટના કાર્યક્રમો કરી રહ્યા છે. ડિબેટ એ ચૅનલો માટે #ટીઆરપી ઉઘરાવવાથી વિશેષ કશું નથી. ટીઆરપી વધે એટલે જાહેરખબર મળે. આમ ધંધાદારી ચક્કર ચાલ્યા કરે.
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ - પ્રવક્તાઓ અને વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય સમીક્ષકો ઑનસ્ક્રિન ઝઘડા કરે અને એને કારણે તમાશો ઊભો થાય... અને તમાશાને તેડું મળે, લોકો જૂએ, ટીઆરપી વધે, જાહેરખબર વધે અને જોનારા દર્શકોમાં પણ વૈચારિક ભાગલા પડી જાય - સોશિયલ મીડિયાની સીડી ઉપર કૂદકા મારીને એકબીજા સામે જીભડા કાઢે, સમાજમાં તંગદિલી ફેલાય.
તો આ તંગદિલીનું મૂળ કયું?
દેખીતી રીતે સમાચાર ચૅનલો પરની ડિબેટ.
સમાચાર ચૅનલો તટસ્થતાના વાઘાં પહેરીને ક્રુર હિંસાવાદી માનસિકતા ધરાવતા (તસલીમ રહેમાની જેવા) લોકોને પણ બોલાવે. એ તત્વો ઉશ્કેરણી કરે અને બહેન નૂપુર જેવા લોકો સપડાઈ જાય.
ડિબેટમાં એન્કર તરીકે બેસતા બે પૈસાની કિમતના પાર્ટટાઇમ લોકો પણ હોય છે અને ક્યારેક તંત્રીઓ પોતે બેસતા હોય છે. પણ એ બધાની દાનત ધંધાદારી અર્થાત ટીઆરપી વધારવાની જ હોય છે. સત્ય રજૂ કરવાની એમાંથી એકેયની આવડત કે દાનત હોતી નથી. તેનું કારણ એ છે કે, આપણા દેશના એન્કરો અને તંત્રીઓ હજુ પુખ્ત થયા નથી. પશ્ચિમના દેશોના એન્કર-પત્રકારો-તંત્રીઓને તેમના દેશનું ગૌરવ હોય છે, તેમના ધર્મનું ગૌરવ હોય છે અને એ રીતે ડિબેટમાં પણ એ વલણ પકડી રાખે છે, પરંતુ આપણા દેશના એન્કર-પત્રકારો-તંત્રીઓને રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ નથી. વ્યક્તિગત રીતે એ બધા ધાર્મિક હોઈ શકે, તથા વ્યક્તિગત રીતે એ બધા રાષ્ટ્રપ્રેમી હોઈ શકે...પરંતુ ડિબેટમાં બેસે ત્યારે એમને તટસ્થતા નામનો અસાધ્ય રોગ લાગુ પડી જાય છે. અને એમાં ય વળી #ફેકરીવાલ જેવા જાહેરાતો આપવા માંડે એટલે એનો મફતિયો એજન્ડા પણ ધરાર ચલાવવા લાગે છે. ખેર...
હું દાવા સાથે કહું છું કે સમાજને સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવો હોય તો ચૅનલો પર ડિબેટ બંધ થવી જોઇએ.
....... શું કહો છો તમે બધા?
..... હા ? કે,
..... ના ? 🤔

Monday, June 6, 2022

આઠ વર્ષની મોદી સરકારઃ વિકાસનો ગ્રાફ ક્યાં પહોંચ્યો?

 

ભવિષ્યમાં ભારતીય રાજકારણના ઈતિહાસને બે ભાગમાં વહેંચીને ચર્ચા કરવી પડશે. મે, 2014 પહેલાંનું રાજકારણ અને મે, 2014 પછીનું ભારત

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આઠ વર્ષની થઈ. પ્રજા વતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અર્થાત સરકાર દેશનું સંચાલન કરતી હોય છે. સરકાર કામ ન કરે, પ્રજાની સલામતી, સુખાકારીનું ધ્યાન ન રાખે અને તેમાં નિષ્ફળ જાય તો ચૂંટણીમાં પ્રજા એ સરકારને બદલી નાખે. પણ વર્તમાન નરેન્દ્ર મોદી સરકારને દેશની પ્રજાએ 2014માં જે બહુમતીથી ચૂંટી હતી તેના કરતાં વધારે બહુમતી 2019ની ચૂંટણીમાં આપી. તેનું શું કારણ? 

કારણ બહુ સીધું અને સ્વાભાવિક છે. મોદી સરકારે કામગીરી કરી છે. મારી દૃષ્ટિએ હકીકતે તો આ સરકારે પ્રચંડ કામગીરી કરી છે. તેને સાચા અર્થમાં ભગીરથ કાર્ય કહી શકાય એમ છે. દેશને અગાઉની આર્થિક બેહાલીની સ્થિતિમાંથી ઉગાર્યો છે એટલું જ નહીં પરંતુ દેશને એક નોંધપાત્ર મહાસત્તા તરફ વિશ્વાસપૂર્વક આ સરકાર આગળ વધારી રહી છે. મારા મતે આ સરકારની સૌથી મોટી સફળતા સ્થિરતાની છે. ઘણા દાયકા સુધી ગઠબંધન સરકારોને કારણે સ્થિરતાનો અભાવ હતો. એ સંજોગોમાં દેશ ચાલ્યા તો કરેવેપાર-રોજગાર પણ યથાવત્ ચાલ્યા કરે પરંતુ તેમાં પ્રગતિ ન થાય. મોટાપાયે મૂડીરોકાણની સંભાવના સાવ ઓછી રહે. પરિણામે રોજગારીનો પ્રશ્ન વિકરાળ બને. રોજગારીની પાછળ બાકીના તમામ પેરામીટર સતત નીચા જ રહે. આ સ્થિતિ હવે રિવર્સ થઈ છે એટલે જ વડાપ્રધાન પાંચ ટ્રિલિયન ઈકોનોમીની વાત કરે છે.

વર્તમાન સરકારના સૌથી મહત્ત્વનાં પગલાં મારી દૃષ્ટિએ ડીમોનેટાઇઝેશન અને કલમ 370ની નાબૂદી છે. ડીમોનેટાઇઝેશનને કારણે 2016 સુધી જે સમાંતર અર્થતંત્ર ચાલતું હતું તેના ઉપર બ્રેક વાગી છે તેનો કોઈ ઇનકાર થઈ શકે એમ જ નથી. ત્યારબાદ જે રીતે ડિજિટલ ઇકોનોમીનેઑનલાઇન નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેનાથી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે એ જોઈ – અનુભવી શકાય છે.

આઠ વર્ષમાં અનેક સેવાઓ ડિજિટલ થવાથી નાગરિકોનું જીવન સરળ બન્યું છે એ દરેકનો અનુભવ છે. આજે નાના-મોટા અનેક કામો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી અને એ વાત સામાન્ય નાગરિક જાણે છે, અનુભવે છે. વડાપ્રધાન પોતે એક રાષ્ટ્રનેતા હોવાની સાથે અનેક લોકો માટે મોટિવેટર છેપ્રેરણાદાયી છે. મન કી બાત દ્વારા દર મહિને તેઓ દેશ અને દુનિયાની પૉઝિટિવ વાતો કરે છે અને એ દ્વારા સકારાત્મક કામ કરનારાઓને પ્રોત્સાહન તો આપે જ છેપરંતુ સાથે દેશના નાગરિકોને એવી સકારાત્મકતા માટે દિશાસૂચન પણ કરે છે.

આ સંદર્ભમાં આપણા પદ્મ પુરસ્કારો વિશે પણ વાત કરવી જોઇએ. આ ઘણું મોટું પરિવર્તન છે. પદ્મ સન્માન સમાજ જીવનમાં પાયાનું કામ કરનાર માટે જ હતાપરંતુ 2014 સુધી એ પુરસ્કારો કોને મળતા હતા એ આપણે જાણીએ છીએ, અને છેલ્લા આઠ વર્ષમાં સાચા હકદારોને પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવા પ્રયત્નશીલ રહેતા લોકોજે સામાન્ય રીતે ગુમનામ હોય છેમીડિયા જેમની નોંધ લેતું નથી તેમને શોધી શોધીને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે.

એ જ રીતે રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનું પરિણામ ઓલિમ્પિક તેમજ રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ)ની રમતો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં હવે ભારતીય ખેલાડીઓ મોટી સંખ્યામાં ગોલ્ડ મેડલ જીતવા લાગ્યા છે એમાં દેખાય છે. વાચકોને યાદ હશે કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો.

ભારતને હાલ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગૌરવપૂર્વકનું સ્થાન મળ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અમેરિકા અને યુરોપના દેશોના દબાણ છતાં ભારત ઝુક્યું નહીં અને રશિયા વિરૂદ્ધ યુએનમાં મતદાન કર્યું નહીં. એ જ રીતે થોડા સમય પહેલાં અમેરિકી વિદેશપ્રધાને ભારતમાં માનવ અધિકારના કહેવાતા ઉલ્લંઘન વિશે ટિપ્પણી કરી ત્યારે ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સભ્ય ભાષામાં જવાબ આપતા કહી દીધું હતું કે, ભારતને પણ અમેરિકામાં થતા માનવ અધિકારોના વ્યાપક ઉલ્લંઘનની ચિંતા છે. 2014 પહેલાં ભારત સરકાર અમેરિકા જેવી મહાસત્તા સામે જાહેરમાં આવું બોલવાની હિંમત કરતી નહોતી.

મોદી સરકારની આઠ વર્ષની કામગીરી જ છે જેને કારણે તેની લોકપ્રિયતા ક્યારેય ઓછી થતી નથી. કોરોનાકાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા હાલ તેના સર્વોચ્ચ સ્તરે છે. સાવ જૂજ પેરામીટરમાં લોકોની નારાજગી વચ્ચે પણ દેશના 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. સમાચાર વેબસાઇટ બ્લુમબર્ગમાં પ્રકાશિત અહેવાલમાં લોકલસર્કલ્સ (LocalCircles) દ્વારા કરવામાં આવેલું સર્વેક્ષણ દર્શાવે છે કેવર્ષ 2020માં નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતા 62 ટકા હતીઅને ગયા વર્ષે આ આંકડો 51 ટકા હતો જેમાં જંગી વધારો થઇને હાલ (2022માં) 67 ટકા કરતાં વધુ લોકોએ મોદી સરકારને થમ્સ-અપ આપ્યું છે. દેશમાં 64,000 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતને આધારે સ્પષ્ટ થાય છે કેભાવ વધારો તથા બેરોજગારી જેવા જૂજ મુદ્દાને બાદ કરતાં બાકીની તમામ બાબતોમાં મોદી સરકારે દેશનો વિશ્વાસ મેળવ્યો છે.

જોકે, 2021માં 27 ટકા લોકો એમ માનતા હતા કે સરકારે રોજગારીના મુદ્દે સારી કામગીરી કરી છે જ્યારે આ વર્ષે તેમાં દસ ટકા વધારો થયો છે અને હવે 37 ટકા ભારતીયો સ્વીકારે છે કે રોજગારીની બાબતમાં સરકારની કામગીરી સંતોષજનક છે. મોંઘવારીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતા લોકો સાથે સાથે એ વાતનો પણ સ્વીકાર કરે છે કેલૉકડાઉન તથા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જે આંતરરાષ્ટ્રીય સ્થિતિ પેદા થઈ છે તેની આ અસર હોઈ શકે. સર્વેક્ષણમાં 73 ટકા લોકોએ જણાવ્યું કેછેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમની મુખ્ય ચિંતાનો વિષય મોંઘવારી રહ્યો છે. દેશમાં કોમી સંવાદિતાના વાતાવરણ અંગે 60 ટકા કરતાં વધુ લોકોએ જણાવ્યું કેઆ દિશામાં સરકારે લીધેલા પગલાંથી તેમને પૂરો સંતોષ છે. તમે મોદી સરકારને 100માંથી કેટલા માર્ક આપશો? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, May 29, 2022

...પણ એ છોકરીઓની વાત કોણ અને ક્યારે સાંભળશે?

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ છોકરીઓને ફસાવીને દુષ્કૃત્ય કર્યાના સમાચાર ગુજરાતના અને દેશભરનાં મીડિયામાં રોજેરોજ ચમકતા રહે છે. સમાજ એક અવાજે છોકરીને જ દોષિત ઠેરવી દે છે, પણ...

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 વિધર્મીઓ દ્વારા હિન્દુ છોકરીઓ – યુવતીઓ – સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ કરવાના કિસ્સા મીડિયામાં પ્રકાશિત ન થતા હોય એવો એકપણ દિવસ પસાર થતો નથી. લૉ ઑફ એવરેજીસ (સરેરાશ)ના સિદ્ધાંત અનુસાર અસંખ્ય કિસ્સા બને તેમાંથી માંડ બે-પાંચ ટકા કિસ્સા પ્રકાશિત થતા હોય છે. આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે હિન્દુ સમાજ, સામાજિક સંગઠનો, વગદાર તંત્રીઓ અને પત્રકારો, વગદાર લેખકો તેમજ સામાજિક આગેવાનોમાં બે પ્રકારના રિએક્શન જોવા મળે છેઃ (1) છોકરીઓ જ મુર્ખ હોય છે/છોકરીઓ જ બગડેલી હોય છે/છોકરીઓને જ મોજશોખ કરવા હોય છે/છોકરીઓને છૂટ આપનારા માતા-પિતાનો જ વાંક હોય છે...વગેરે વગેરે વગેરે. અથવા- (2) અરેરે બહુ ખોટું થયું, સરકાર અને પોલીસ શું કરે છે?/કાયદો-વ્યવસ્થાનો કોઇને ડર જ નથી રહ્યો/સરકાર-પોલીસ સાવ નબળી છે...વગેરે વગેરે વગેરે. અને પછી બધા મસ્તમજાના રસ-રોટલી ખાઈને પોતપોતાના કામે લાગી જાય. વળી પાછી આવી કોઈ ઘટના ધ્યાનમાં આવે એટલે ઉપર જણાવ્યા એવા જ રિએક્શનનું પુનરાવર્તન-પુનરાવર્તન-પુનરાવર્તન.

વળી દુષ્કર્મના કિસ્સાઓમાં ફેમિનિસ્ટ ...બોલે તો ડાબેરી મહિલાવાદી સંગઠનોના તો કાટલાં જ અલગ અલગ હોય છે. હિન્દુ છોકરીઓ-સ્ત્રીઓ વિધર્મીઓનો ભોગ બની હોય ત્યારે ડાબેરી ફેમિનિસ્ટ મહિલાઓના મોંમા મગ ભરાઈ જાય. એમને આવા કિસ્સાઓની કોઈ અસર નથી થતી, પરંતુ સ્થિતિ ઊંધી હોય (જેની શક્યતા 0.001 ટકા જેટલી હોય છે) અથવા તો પીડિત છોકરી અને આરોપી બંને હિન્દુ હોય અથવા પીડિત છોકરી દલિત હોય અને આરોપી સવર્ણ હિન્દુ હોય તો આ ડાબેરી ફેમિનિસ્ટો બુર્જ ખલીફા ઉપર ચડીને ચીસાચીસ કરી મૂકે!

ખેર, આજનો મારો મુદ્દો સાવ અલગ છે. ઉપર જણાવ્યા એ તમામ પ્રકારના મહાનુભાવો પોતપોતાની જગ્યાએ સાચા હશે / હોઈ શકે છે, પરંતુ કોરોના અને કેન્સર કરતાં પણ વધારે ગંભીર એવી આ સમસ્યા અંગે એક મૂળભૂત મુદ્દો સ્વીકારવા કોઈ તૈયાર નથી. પીડિત છોકરીઓ – મહિલાઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા આ મહાનુભાવો એ પીડિતાની પાસે બેસીને સાચી વાત સાંભળવા તૈયાર નથી. એ છોકરી કે એ સ્ત્રી કેવી રીતે વિધર્મીના કાવતરાંમાં ફસાઈ?, ફસાયા પછી શા માટે એણે એ સ્થિતિ સહન કરવાની ચાલુ રાખી? ક્યારે-કેવી રીતે અને કયા સંજોગોમાં તે વિધર્મીના છટકામાં સપડાઈ હતી?, શું એ સ્થિતિમાં સપડાવા બદલ તેની જ કોઈ વિધર્મી બહેનપણી જવાબદાર હતી?, કે પછી વિધર્મીએ નામ બદલીને સપડાવી હતી?, કે પછી કોઈ સેક્યુલર મિત્રની દોરવણીથી એ તરફ ગઈ હતી?, કે પછી પૈસા અને મોજશોખની લાલચ હતી?

ચોક્કસ કયું કારણ હતું કે આવી સ્થિતિ આવીને ઊભી રહી—એ જાણવા કે સમજવામાં હિન્દુ સમાજના વિદ્વાનો તથા મહાનુભાવોને કોઈ રસ નથી. હિન્દુ સમાજની સૌથી મોટી ફૉલ્ટલાઈન જ એ છે કે, વિકરાળ સમસ્યાના મૂળમાં જઇને તેનાં કારણો તથા ઉપાય શોધવા માગતો જ નથી. પાયાનું સંશોધન કરવા કોઈ તૈયાર જ નથી. એને બસ માત્ર છૂટાછવાયા કિસ્સાઓની જ ચર્ચા કરવી છે, અને એ ચર્ચા કરતાં કરતાં સરકાર અને પોલીસ ઉપર બધું ઢોળી દેવું છે. પોતાના કિલ્લાની દીવાલમાં ગાબડાં પાડવામાં અને એ દ્વારા પોતાનું પતન નોંતરવામાં હિન્દુ સમાજનો જોટો જડે એમ નથી.

વિધર્મીઓ એ વાત સારી રીતે જાણતા હોય છે કે, હિન્દુ સમાજમાં છેક પાયાથી લઇને છેક શિખર સુધી મહિલાનું સ્થાન પ્રમુખ હોય છે. સંપૂર્ણ હિન્દુ સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં મહિલા છે એ વાત સર્વવિદિત છે, અને તેથી જ મિશનરી અને જેહાદી આક્રમણકારીઓએ હંમેશાં હિન્દુ સ્ત્રીઓને જ સૌથી પહેલી નિશાન બનાવી છે. આ ક્રમમાં બાકી હતું એ કામ હિંસાખોર માર્ક્સવાદીઓ અને ડાબેરી મહિલા ફેમિનિસ્ટોએ પૂરું કર્યું. આ બદમાશ લોકોએ હિન્દુ સમાજમાં જે સામાન્ય પરંપરાઓ હતી તેને કુરિવાજો ગણાવીને હિન્દુ સમાજને અસાધારણ માત્રામાં અપમાનિત અને બદનામ કર્યો, પરિણામે હિન્દુઓ તેમની શ્રેષ્ઠ સામાજિક પરંપરાઓ છોડતા ગયા. આ ક્રમમાં બે-પાંચ ટકા છોકરીઓ અને મહિલાઓ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ બનવા લાગી. અપમાનિત થયેલો હિન્દુ સમાજ ત્યારે પણ સ્થિતિની ગંભીરતા સમજી ન શક્યો અને કમનસીબે આજે પણ નથી સમજી શકતો. આજે પણ પીડિતાની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળવાને બદલે તેને જ આરોપીના પિંજરામાં બેસાડી દેવામાં આવે છે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોયા પછી પણ હિન્દુ સમાજ સમજ્યો નથી કે, પીડિતો વિશે તમને બીજાઓ દ્વારા જે કહેવામાં આવે છે તે સાચું નથી હોતું...સાચું જાણવા માગતા હોવ તો પીડિતોની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળો. આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થાય...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, May 15, 2022

મથુરા, તેજોમહાલય, જ્ઞાનવાપી અને બીજાં 30,000 મંદિર

(તસવીરઃસ્ક્રોલ.ઈન)

800 પાકિસ્તાની હિન્દુઓ વિશેના (ફેક)-સમાચારનું સત્ય શું છે? ગુરુવારે વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા- યાદ રાખો કે આતંકવાદીઓ કરતાં તેમના સ્લીપર સેલ વધારે જોખમી

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 આ સ્થળે ગયા અઠવાડિયાના લેખમાં એક પુસ્તકનો ફોટો આપ્યો હતો.

આશા છે તમે બધાએ એની નોંધ લીધી હશે અને કેટલાકે વાંચવા માટે મગાવી લીધું હશે! એ પુસ્તકમાં 10મીથી 17મી સદી સુધીમાં અખંડ ભારતમાં તોડી નાખવામાં આવેલાં હજારો મંદિરોની યાદી આપવામાં આવી છે. અને એ યાદી કોઈ હિન્દુ લેખકે નથી આપી, કોઈ હિન્દુ ઈતિહાસકારે નથી આપી...એ યાદી ઇસ્લામિક આક્રમણકારીઓની સાથે ભારતમાં આવેલા મુસ્લિમ ઈતિહાસકારોએ આપેલી વિગતો પરથી તૈયાર કરવામાં આવી છે. બે ભાગમાં પ્રકાશિત એ પુસ્તક વાંચ્યા પછી મને સતત એવું લાગ્યા કરે છે કે, સંબંધિત ન્યાયમૂર્તિઓ તેમજ તમામ સિનિયર મીડિયાકર્મીઓને આ પુસ્તક ભેટ આપવું જોઇએ તથા એ લોકો વાંચી ન લે ત્યાં સુધી મંદિરોના વિવાદને લગતા કેસોની સુનાવણી મોકૂફ રાખવી જોઇએ.

એક ફેક ન્યૂઝને કારણે દેશમાં હાલ સાચા રાષ્ટ્રવાદીઓ અને સાચા મોદી-ભક્તો નહીં પરંતુ કહેવાતા નકલી રાષ્ટ્રવાદીઓ અને કહેવાતા મોદી-ભક્તો પોતપોતાના ઘરના ધાબે ચડીને છાતી કૂટી રહ્યા છે. એ ફેક ન્યૂઝ છે- 800 પાકિસ્તાની હિન્દુઓ વિશેના. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં શરણાર્થી તરીકે ગયેલા પાકિસ્તાની હિન્દુઓને ભારત સરકાર તરફથી (વાંચો મોદી તરફથી) નાગરિકત્વ આપવામાં વિલંબ થવાને કારણે એ હિન્દુઓ હતાશ થઇને પાકિસ્તાન પરત આવી ગયા.

 – હવે આ ફેકની ફેક્ટરીની હકીકત એ છે કે, (જૂઓ આ સાથેનો ફોટો) જે 800 હિન્દુઓની વાત છે એમણે કદી ભારતીય નાગરિકત્વ માટે અરજી જ કરી નહોતી! એ પાકિસ્તાની હિન્દુઓ તો કોરોનાકાળમાં અહીં આવ્યા હતા અને કોરોનાના વિવિધ પ્રતિબંધને કારણે જઈ નહોતા શક્યા. ઉપરાંત તેમના મોટાભાગના પરિવારજનો હજુ પાકિસ્તાનમાં જ રહે છે, તેથી તેમણે અહીં રહેવાનો કે ભારતનું નાગરિકત્વ માગવાનો કોઈ પ્રશ્ન નહોતો. સાચી વાત એ છે કે, આ ફેક ન્યૂઝ એક પાકિસ્તાની સ્વૈચ્છિક સંસ્થાએ (NGO) ઘડી કાઢ્યા અને એક પાકિસ્તાની અખબારે પણ કશી ખાતરી કે ચોકસાઈ કર્યા વિના એ છાપી માર્યું. વા વાયો ને નળિયું ખસ્યું... પછી જે ખેલ થયો એવો ખેલ આમાં થયો. મીડિયા ભારતના હોય કે પાકિસ્તાનના- એમની દાનત લોકોની લાગણીઓ ભડકાવવાની જ હોય છે એ આ કિસ્સામાં વધુ એક વખત સાબિત થયું.

ગયા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની જેહાદી આતંકીઓએ હત્યા કરી દીધી. જેહાદી આતંકીઓએ રાહુલ ભટ નામના યુવાનની તેની ઑફિસની અંદર પહોંચીને હત્યા કરી દીધી. રાહુલ ભટ બડગામ જિલ્લાની ચદૂરા સ્થિત તાલુકા રેવન્યુ ઑફિસમાં સરકારી કર્મચારી હતો. આવા તાલુકા મથકે રેવન્યુ ઑફિસમાં એક કાશ્મીરી હિન્દુ કામ કરે છે, એ ઑફિસના કયા રૂમમાં હોય છે, એ ક્યાં બેસે છે- આ બધા માહિતી શું જેહાદી ત્રાસવાદીઓએ રિમોટ સેન્સિંગથી મેળવી હશે? ના, જેહાદીઓને આ માહિતી પહોંચાડનાર સ્લીપર સેલ હોય છે. સ્લીપર સેલ આપણી આસપાસ જ હોય છે. એ કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે. જે રીતે દુનિયામાંથી માર્ક્સવાદી-માઓવાદી વિચારધારા ધરાવતા લોકોને હાંસિયામાં ધકેલી દેવામાં નહીં આવે ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં સ્થાપાય, એવી જ રીતે જ્યાં સુધી સ્વીપર સેલોને ઓળખીને તેમને નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી જેહાદી આતંકનો અંત નહીં આવે. સ્લીપર સેલ વિના જેહાદી આતંક ટકી શકે એમ નથી. રાહુલ ભટ વિશે પણ આવા જ કોઈ સ્લીપર સેલે આતંકીઓને સચોટ માહિતી આપી હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ હશે તેમને આ વાત યાદ હશે કે હિન્દુઓનાં ઘર કયાં છે અથવા એ ક્યાં સંતાયા છે તેની માહિતી સ્લીપર સેલ જ આપતા હતા. આ જ વાત અમારું રક્તરંજિત વતન પુસ્તકમાં પણ અનેક જગ્યાએ કરવામાં આવી છે કે, આડાશી-પાડોશીઓ કે મિત્રો અથવા અન્ય પ્રકારના સ્લીપર સેલો દ્વારા માહિતી મેળવીને જ 1990ના અરસામાં કાશ્મીર ખીણને હિન્દુ-મુક્ત કરવાની કામગીરી ચાલતી હતી. રાહુલ ભટની હત્યાએ વધુ એક વખત એ વાત સાબિત કરી છે. આવા સ્લીપર સેલને ઓળખો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, May 8, 2022

સાવધાન ગુજરાતઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળની ઘટનાઓને સમજો

રામનવમી પછી આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે એના સંકેતો જો ગુજરાતીઓ નહીં સમજી શકે તો તમારી ભાવિ પેઢી રામનવમીની શોભાયાત્રા તો શું, પણ શ્રીરામની મૂર્તિ પણ ઘરમાં નહીં રાખી શકે

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 છેલ્લા ત્રણેક અઠવાડિયાથી દેશનો સંવેદનશીલ નાગરિક મુંઝવણમાં છે. તેને એ નથી સમજાતું કે પ્રભુ શ્રીરામની તથા મહાવીર હનુમાનજીની શોભાયાત્રા કાઢીને એમણે શું ભૂલ કરી છે! એમને એ પણ નથી સમજાતું કે મહારાષ્ટ્રમાં કોઈ સંસદસભ્ય કે વિધાનસભ્ય હનુમાન ચાલીસાનો પાઠ કરે એ રાષ્ટ્રદ્રોહનો ગુનો કેવી રીતે ગણાય! આ ભોળા સંવેદનશીલ નાગરિકો હજુ એ સમજવા મથામણ કરી રહ્યા છે કે, શોભાયાત્રાના માર્ગમાં અમુક ચોક્કસ વિસ્તારોમાં ધાબા પરથી ઈંટો અને પથ્થરોનો વરસાદ કેવી રીતે થાય છે અને એ વિસ્તારના લોકો તલવારો લઇને કેમ નીકળી પડે છે!

જો તમને આવું આશ્ચર્ય થતું હોય અથવા આ બધાં કૃત્યો પાછળના ઇરાદા સમજાતા ન હોય તો એનો અર્થ એ છે કે, તમને પ્રાચીન અરબસ્તાનના ઈતિહાસની ખબર નથી; તમને પ્રાચીન રોમના ઈતિહાસની ખબર નથી; તમને પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ વિશે જાણકારી નથી; તમને પ્રાચીન ભારત વિશે પણ પૂરતી જાણકારી નથી. આ બધી તમને ખબર ન હોય અથવા તમને જાણકારી ન હોય તેમાં તમારો કોઈ જ વાંક નથી. હકીકતે તમારા સુધી સાચો ઈતિહાસ પહોંચવા દેવામાં જ નથી આવ્યો. તમને તો એવું જ કહેવામાં આવ્યું છે કે, તમારા દેશ ઉપર, તમારી સંસ્કૃતિ ઉપર, તમારા ધર્મ ઉપર આક્રમણ કરનારા અને તલવારના જોરે તમારું ધર્માંતર કરાવનારા મહાન હતા. તમને એવું શીખવવામાં આવ્યું છે કે, તમે તો સાવ અસંસ્કારી હતા અને જંગલી અવસ્થામાં રહેતા હતા, પણ બહારથી આવેલા આક્રમણકારીઓએ તમને સંસ્કારી બનાવ્યા, ખરુંને?

અને તમને આવું બધું કહેનાર કોણ હતા? એ જ અર્બન નક્સલીઓ જે અત્યારે પણ તમારી આસપાસ બેઠા છે. એટલું સમજી લો કે વિદેશી આક્રમણકારીઓનો બચાવ કરનાર દરેકે દરેક વ્યક્તિ એક યા બીજા પ્રકારે અર્બન નક્સલી છે અથવા અર્બન નક્સલીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સહાય ઉપર એ જીવે છે.

વાત આપણે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળ વિશે કરી રહ્યા છીએ. આ ત્રણે રાજ્યો ઉપરાંત તમિળનાડુ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, પંજાબમાં જે લોકો સત્તાસ્થાને બેઠા છે એમને મૂળ ભારતીય સંસ્કૃતિ અને મૂળ ભારતીય સંસ્કારો પ્રત્યે નફરત છે. તમે તમારો ધર્મ, સંસ્કૃતિ તથા પરંપરાઓ છોડી દો એ માટે આ બધાં રાજ્યોમાં સત્તાસ્થાને બેઠેલા લોકો જ કાવાદાવા અને કાવતરાં કરે છે. શાસકોનું કામ સમાનતાના ધોરણે સૌની સુરક્ષા કરવાનું અને દરેકને સમાન સુવિધા પૂરી પાડવાનું હોય છે, પરંતુ અહીં ઉપર જણાવ્યા એ રાજ્યોમાં એવું નથી. ત્યાં માત્ર અમુક જ સંપ્રદાય-ધર્મોને બધી છૂટ છે, પણ સનાતનીઓને કોઈ છૂટ નથી. આ બધાં રાજ્યોના મતદારોએ કરેલી ભૂલનો ભોગ હવે સનાતનીઓ બની રહ્યા છે. એમાં વાક સનાતનીઓનો પણ એટલો જ છે કેમ કે તેઓ સોએ સો ટકા મતદાન કરતા નથી. સમજદાર ગુજરાતીઓની હવે એ ફરજ બને છે કે પોતે તો આ તમામ બાબતે આંખ-કાન-નાક ઉઘાડાં રાખે અને પોતાની આસપાસના લોકોને પણ સાવધાન કરે. ખાસ સાવધાની મતદાનમાં રાખવાની છે. મફતના ચક્કરમાં પડશો, લોનમાફીના ચક્કરમાં પડશો તો ટૂંકાગાળા માટે લાભ થતો હોવાનું લાગશે, પરંતુ ત્યારપછી એટલું પણ નિશ્ચિત છે કે તમારી આગામી પેઢીઓ જાહેરમાં તો ઠીક, ઘરમાં પણ સનાતન સંસ્કારો પ્રમાણે જીવી નહીં શકે.

ગુજરાતના એજન્ડાધારી મીડિયાવાળા તમને બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તમિળનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને દિલ્હીના સાચા સમાચારો આપતા ન હોય તો જાણકારો પાસેથી સાચા સમાચાર મેળવો, જાણકારી મેળવો કે ત્યાં સનાતનીઓ સાથે શું થઈ રહ્યું છે? શા માટે થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે? એ તત્વોને કોનો ટેકો છે અને કોણ સનાતનીઓ પરના હુમલાનો બચાવ કરે છે? આ બધું સારી રીતે જાણી લો અને સાવધાન થાવ. અને જો બીજી કોઈ વાત ઉપર વિશ્વાસ ન કરવો હોય તો અહીં જે પુસ્તકનો ફોટો આપ્યો છે તમે મગાવીને વાંચો અને જાગ્રત થાવ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

કોંગ્રેસને કદી મીડિયાની સ્વતંત્રતા પસંદ નથી હોતી


 અમન ચોપરા વિરૂદ્ધ રાજસ્થાન સરકારઃ

કોંગ્રેસને કદી મીડિયાની સ્વતંત્રતા પસંદ નથી હોતી

-----------------

દાયકાઓથી સંઘ અને ભાજપ વિરુદ્ધ નામજોગ અભિયાન ચલાવનાર મીડિયાને ભય લાગ્યો નથી, પણ છેલ્લા થોડાં વર્ષમાં કોંગ્રેસ અને કોંગ્રેસ-કૂળના અન્ય રાજકીય પક્ષો વિરુદ્ધ બોલનાર મીડિયાકર્મીઓએ જેલમાં પણ જવું પડી શકે!

---------------------------------------------------------------

-- અલકેશ પટેલ

-----------------

 અર્ણવ ગોસ્વામી કેસ સૌને યાદ હશે. મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ હિન્દુ સાધુઓની પોલીસની હાજરીમાં થયેલી હત્યા કેસની ટીવી શોમાં ચર્ચા દરમિયાન માત્ર એક શબ્દના ઉચ્ચારણને કારણે તેણે જેલની યાતના ભોગવવી પડી હતી. અને હવે છેલ્લા થોડા દિવસથી ન્યૂઝ ઈન્ડિયા-18નો સિનિયર એન્કર અમન ચોપરાની પાછળ રાજસ્થાન પોલીસ પડી છે. આ બંને રાજ્યમાં કૉમન ફૅક્ટર એ છે કે ત્યાં કોંગ્રેસની તથા કોંગ્રેસ-સમર્થિત સરકારો છે, જ્યારે ગોસ્વામી અને ચોપરામાં કૉમન ફૅક્ટર એ છે કે, પીડિત હિન્દુઓનો પક્ષ લઇને તેમના વિરુદ્ધ થયેલી હિંસા સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા.

અમન ચોપરાએ તેના શોમાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે થયેલી કાર્યવાહીને રાજસ્થાનની ઘટના સાથે જોડીને અલવરમાં 300 વર્ષ જૂના શિવમંદિરને તોડી પાડવાના રાજસ્થાન સરકારના પગલાને બદલાની કાર્યવાહી ગણાવી હતી અથવા કહો કે એ અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. અમન ચોપરાનું આવું વલણ પત્રકારત્વનાં મૂલ્યોની દૃષ્ટિએ ચર્ચાસ્પદ હોઈ શકે. રાજસ્થાનની કોંગ્રેસી સરકારને તેની સામે વાંધો હોય તો સત્તાવાર રીતે વાંધો ચૅનલના વડાને તેમજ અમન ચોપરાને મોકલાવી શકે, એડિટર્સ ગિલ્ડ અને બ્રોડકાસ્ટર એસોશિયેશનમાં રજૂઆત કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે...અને છતાં એવા કોઈ વિકલ્પ પસંદ કરવાને બદલે ચોપરા વિરુદ્ધ રાજસ્થાનમાં ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ થઈ અને તેને આધારે શનિવારે રાજસ્થાન પોલીસ ચોપરાની ધરપકડ કરવા નોઈડા પહોંચી પણ ગઈ.

આ ઘટનાક્રમમાં વળી પાછી આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, રાજસ્થાન હાઇકોર્ટે અમન ચોપરાની ધરપકડ કરવા સામે બે અઠવાડિયાનો સ્ટે મૂકી દીધો છે અને આ કેસમાં રાજસ્થાન સરકાર પાસે જવાબ માગ્યો છે અને છતાં રાજસ્થાન પોલીસ અમર ચોપરાના ઘરે પહોંચી ગઈ! પ્રશ્ન એ છે કે શું રાજસ્થાન પોલીસનું આ કૃત્ય અદાલતની અવમાનના ગણાશે? પોલીસ કાર્યવાહીનો સામાન્ય શિરસ્તો એવો હોય છે કે એક વિસ્તારની પોલીસ બીજા વિસ્તારમાં અથવા એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં શકમંદની ધરપકડ માટે જાય તો જે તે સ્થાનિક પોલીસને જાણ કરે, પરંતુ છેલ્લા એક અઠવાડિયમાં બે રાજ્ય – પંજાબ અને રાજસ્થાનની પોલીસે દિલ્હીમાં ભાજપના નેતા તેજિન્દરસિંહ બગ્ગાની ધરપકડ કરતા પહેલાં અને અમન ચોપરાની ધરપકડ માટે પહોંચી જતા પહેલાં સ્થાનિક પોલીસને જાણ કરી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શાસિત રાજ્યો અને ત્યાંની પોલીસ જે નવો ટ્રેન્ડ ઊભો કરી રહી છે તે સમગ્ર દેશના પોલીસતંત્ર માટે સારા સંકેત નથી.

અહીં સ્વાભાવિક રીતે ભાજપ અને સંઘ વિરુદ્ધના મીડિયાના રીતસરના કૅમ્પેન ચલાવેલા છે, હજુ પણ ચલાવે છે. અને છતાં ભાજપની કોઈ સરકારે કોઈ મીડિયાકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. જિજ્ઞેશ મેવાણીની જેમ વિરોધી રાજકારણીઓ વિરુદ્ધ આવી કોઈ કાર્યવાહી થઈ હોય એ અલગ મુદ્દો છે, પરંતુ ભાજપ-સંઘે દાયકાઓ સુધી તેમની વિરુદ્ધ અભિયાન ચલાવનાર સામે કિન્નાખોરી દાખવી હોવાના કિસ્સા શોધવા પડે.

મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં તો કલાકારોને તેમની કળાની અભિવ્યક્તિ દ્વારા સરકાર વિરુદ્ધ કાર્ટુન બનાવવાની પણ સ્વતંત્રતા નથી. ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોમાં દિવસ-રાત ચોવીસે કલાક તટસ્થતાના નામે સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયાકર્મીઓને એક વિનંતી છે કે તેમણે પશ્ચિમ બંગાળના તેમના મીડિયાના મિત્રોને પૂછવું જોઇએ કે તેઓ મમતા બેનરજીની કે તેમની સરકારની ટીકા કરી શકે છે ખરા? નથી જ કરી શકતા. આ વાત ખાતરીપૂર્વક એટલા માટે કહી શકું છું કે, હજુ આ અઠવાડિયે જ પશ્ચિમ બંગાળના એક નાગરિકે દિલ્હીના એક પત્રકારને વ્યક્તિગત સંદેશો મોકલીને વિનંતી કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળની હકીકત દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડે કેમ કે બંગાળનું મીડિયા મમતા સરકાર વિરુદ્ધ એક શબ્દ નહીં બોલી શકે.

ખેર, હાલ વાત અમન ચોપરાની છે. તેનું શું થશે એ હાલ ખાતરીપૂર્વક કહી શકાય નહીં. રાજસ્થાન હાઇકોર્ટે ધરપકડ સામે હાલ સ્ટે આપેલો છે, પરંતુ કાયદાની આંટીઘૂંટી પોલીસ પણ જાણતી હોય છે. પરંતુ પહેલાં અર્ણવ ગોસ્વામી અને હવે અમન ચોપરાના કેસથી એટલું નિશ્ચિત બન્યું કે ભાજપ સામે તટસ્થતાના નામે શૂરા બનતા પત્રકારો કટોકટીના ચાહક કોંગ્રેસ પક્ષ સામે નામજોગ બોલતાં 75થી 77 વખત વિચાર કરશે.

Sunday, May 1, 2022

ગુજરાતે પ્રગતિ અને વિકાસના ખરા અર્થ 1995 પછી જાણ્યા


ગુજરાત આજે 62નું થયું. 1960થી 1995 સુધી ગુજરાત સમૃદ્ધ તો હતું, પણ રાજ્ય તરીકે કોઈ પ્રતિષ્ઠા ન હતી. એ જ રાજ્ય આજે દેશભરમાં મોડેલ સ્ટેટ તરીકે ચર્ચાય છે, શા માટે?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સ્વતંત્ર ભારતના ઈતિહાસની જ્યારેપણ ચર્ચા થશે ત્યારે 2014 પહેલાના ભારત અને 2014 પછીના ભારત- એ રીતે તુલનાત્મક ચર્ચા થશે. એવી જ રીતે આજે રવિવાર, પહેલી મે, 2022ના દિવસે અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાના 62મા વર્ષે આપણે રાજ્યનું સાચા અર્થમાં મૂલ્યાંકન કરવું હોય તો 1995 પહેલાંના ગુજરાત અને 1995 પછીના ગુજરાત- એમ મૂલ્યાંકન કરવું પડે. અહીં એવું કહેવાનો કોઈ આશય નથી કે 1960થી 1995 દરમિયાન રાજ્યમાં કોઈ પ્રગતિ થઈ નથી, પરંતુ 1995 પછી જે પ્રગતિ થઈ, જે વિકાસ થયો તેને આધારે ખબર પડે છે કે પ્રગતિ અથવા વિકાસ શું કહેવાય!

રાજ્યની પ્રજા તો એ જ હતી અને આજે પણ એ જ છે. તફાવત રાજકારણીઓ અને સરકારોનો હતો. 25 વર્ષ પહેલાં કોંગ્રેસના રાજકારણીઓ અને કોંગ્રેસની સરકારો કમનસીબે હિંસાખોર ડાબેરીઓના કબજામાં હતા. 1995 પહેલાંની રાજ્ય સરકારોને જૂથવાદ, લઘુમતી ખુશામત તથા પોતાની પ્રગતિમાં રસ હતો અને એ બધામાંથી સમય મળે તો યોજનાઓ અમલમાં મૂકાતી (આ વાતનો નક્કર પુરાવો કોંગ્રેસના જ ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)માં મળી આવે છે).

1960થી 1995 સુધી કોંગ્રેસ અને સમાજવાદીઓની નીતિને કારણે કોમી તોફાનો પણ છાશવારે થતાં. ખુરશી-પરસ્ત નેતાઓની આંતરિક હુંશાતુંશીને કારણે સતત રાજકીય અસ્થિરતા રહેતી. સ્વર્ગસ્થ અરવિંદભાઈએ જ તેમના પુસ્તક ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980) માં આ વિશે લખ્યું છેઃ 1947થી 77ના ત્રીસ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાં 10 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગુજરાત રાજ્યના 1960થી 77 સુધીના સત્તર વર્ષમાં 7 મુખ્યમંત્રીઓ સત્તાસ્થાને આવ્યા.

આજના યુવાવર્ગે ખાસ એ વાત સમજવાની છે કે, આવી રાજકીય અસ્થિરતા અને તેમાં વળી કોમી તોફાનો- એ સ્થિતિમાં રાજ્યની પ્રગતિ કેવી રીતે થઈ શકે? એ સમયગાળામાં નોંધપાત્ર કહી શકાય એવા કોઈ ટોચના ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાતા નહોતા. મૂળ ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ શક્ય હોય ત્યાં સુધી બીજાં રાજ્યોમાં ઉદ્યોગો સ્થાપતા. તમારા વડીલોને પૂછશો તો જાણવા મળશે કે એ સમયગાળામાં ભારતના અન્ય પ્રદેશોમાં ગુજરાતીઓનું ખાસ કોઈ માન નહોતું. કેન્દ્ર સરકારમાં પણ ગુજરાતનું કશું ઉપજતું નહોતું.

છેલ્લા 25 વર્ષમાં બધું સર્વશ્રેષ્ઠ થઈ ગયું છે અને હવે આ રાજ્યમાં કોઈ સમસ્યા નથી એવું કહેવાનો આશય નથી, પરંતુ હકીકત એ છે કે, માળખાકીય વિકાસથી માંડીને ઔદ્યોગિક પ્રગતિ સહિત ઘણાખરા માપદંડમાં ગુજરાત આજે પ્રથમ પંક્તિના રાજ્યોની હરોળમાં છે. છેલ્લા થોડાં વર્ષની સ્થિતિ તો એવી છે કે, જો કોઈ ક્ષેત્રમાં ગુજરાત થોડું પણ પાછળ પડે તો એ રાષ્ટ્રીય સ્તરની ચર્ચાનો વિષય બને, રાષ્ટ્રીય નેતાઓ અને રાષ્ટ્રીય મીડિયા ગુજરાત મોડલ ના ટોણા મારે. આવું થવાનું સીધું કારણ એ જ છે કે 1995 પછી અને તેમાંય ખાસ કરીને 2001 પછી વિકાસ અને પ્રગતિની બાબતમાં રાજ્યે પાછું વાળીને જોયું નથી.

વર્તમાન ગુજરાત સરકારમાં વિજય રુપાણીના સમયગાળા દરમિયાન જે સી.એમ.ડૅશબોર્ડ બનાવવામાં આવ્યું હતું એની ખ્યાતિ દક્ષિણ ભારતના છેક કેરળ સુધી પહોંચી અને હજુ આ અઠવાડિયે જ કેરળની ડાબેરી સરકારે તેમના અધિકારીઓને આ બાબતનો અભ્યાસ કરવા ગાંધીનગર મોકલ્યા હતા (https://www.onmanorama.com/news/kerala/2022/04/27/pinarayi-sends-his-chief-secretary-on-a-two-day-tour-to-study-th.html  (2) https://indianexpress.com/article/cities/thiruvananthapuram/kerala-wants-to-study-gujarat-dashboard-invites-criticism-7890702/ )

આમછતાં, ગુજરાતની ટીકા કરનારા ઓછા નથી. આ ટીકાકારો મુખ્યત્વે કાંતો ડાબેરી છે અથવા ખાદીધારી છે. એમની ટીકાના મુદ્દા તદ્દન છીછરા હોય છે. એક આખું સર્વગ્રાહી ચિત્ર રજૂ કર્યું હોય એમાંથી આ ટીકાકારો સાવ નાના-નાના તુચ્છ મુદ્દા ઉપાડીને ટીકાની જે તલવારબાજી કરે છે તેનું કારણ સ્પષ્ટપણે તેમના સ્થાપિત હિતો છે. કહેવાતા બુદ્ધિજીવી પ્રાધ્યાપકો, તંત્રીઓ, લેખકો, ભૂતપૂર્વ પોલીસ અધિકારી – આ બધાને જો ખરેખર પ્રજાની ચિંતા હોય, ખરેખર જો રાજ્યની પ્રગતિમાં રસ હોય તો એમણે રચનાત્મક સૂચનો સાથે આગળ આવવું જોઇએ. પરંતુ એ લોકો એવું નથી કરતા, અને એટલે જ એમના ઇરાદા શંકાસ્પદ છે. તેમનામાં જો ખરેખર તટસ્થતા હોય તો તેમણે 1995 પહેલાંના અને ત્યારપછીના ગુજરાતનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઇએ.

ઘટનાઓ અને પ્રગતિના સાતત્ય વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. જો મારે તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો હોય તો હું એક વાક્યમાં કહી શકું કે, ગુજરાતના પ્રથમ 35 વર્ષના ઇતિહાસમાં ઘટનાઓની માત્રા વધારે હતી અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય નહિવત્ હતું, જ્યારે છેલ્લાં 25 વર્ષમાં ઘટનાઓની માત્રા નહિવત્ છે અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય છે. બસ, આટલી વાત સમજો અને વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!