Sunday, July 1, 2018

પત્રાવળીની શબ્દયાત્રાનો હું પ્રવાસી


--- અલકેશ પટેલ

પત્રાવળીની શબ્દયાત્રામાં અત્યાર સુધી હું પ્રવાસી હતો, હવે યાત્રી બન્યો. પ્રવાસી તરીકે મુગ્ધ બની વાંચતો હતો, હવે યાત્રી તરીકે શબ્દમાં શ્રદ્ધા ભળી. પત્રાવળી યાત્રાના બે મુખ્ય સારથી (રાજુલબેન અને દેવિકાબેન) પૈકી દેવિકાબેને પ્રારંભમાં જ શબ્દને અહમ્-થી સોહમ્-ની યાત્રા ગણાવ્યો છે. કેટલું બધું આવી જાય છે આ બંનેની વચ્ચે?!
--------------------------------------------------------------------------------------------------------
મારો આ લેખ મૂળભૂત રીતે અમેરિકાસ્થિત સાહિત્યસેવી સુશ્રી રાજુલબેન તથા સુશ્રી દેવિકાબેનના બ્લૉગ ઉપર પ્રકાશિત થયો છે... તેની લિંક્સ અહીં મૂકું છું.


---------------------------------------------------------------------------------------- 

 

પણ એક મિનિટ, શબ્દ એટલે શું? શબ્દની પોતાની કોઈ ભાષા ખરી? શું બોલાય, લખાય અને વંચાય એ જ શબ્દ? મને તો લાગે છે શબ્દ એક એવું નિરાકાર તત્વ છે જે દરેક આકાર અને સ્વરૂપમાં આપણી સામે આવે છે. શબ્દ આંખના ઈશારામાં હોય છે. શબ્દ હોઠ અને ચહેરાના હલનચલન દ્વારા વ્યક્ત થાય છે. શબ્દ તો સ્પર્શ દ્વારા પણ વ્યક્ત-અભિવ્યક્ત અને કન્વે (convey) કરી શકાય છે. સાંભળી અને બોલી નહીં શકનાર દિવ્યાંગ માટે જે કંઈ દેખાય છે એ જ શબ્દો છે. તો જોઈ નહીં શકનાર દિવ્યાંગ સાંભળીને અથવા સ્પર્શ કરીને શબ્દને અનુભવે છે.
અરે, નવજાત બાળક માટે માતાના સ્પર્શમાં રહેલી શબ્દની શક્તિને કેવી રીતે મુલવીશું? અને એ નવજાતને સૂવડાવવા માટે હાલરડું ગાતી માતા પોતે તો શબ્દનો સહારો લે છે, પણ ઘોડિયામાં હિંચતાં બાળક માટે એ શબ્દોનું કોઈ મહત્ત્વ છે ખરું? ના, એ તો માતાના અવાજ અને હાલરડાંના લયને સાંભળતાં સાંભળતાં જ સૂઈ જાય છે ને! શબ્દમાં યુદ્ધની ક્ષમતા છે તો શબ્દમાં શાંતિની અસાધારણ તાકાત પણ છે.
કુદરતી વાતાવરણમાં રહેતાં પશુ-પક્ષી-પ્રાણી તમને શબ્દ વિના જ આનંદ અને ડરની લાગણી કરાવે છે ને! આંગણામાં રમતી ખિસકોલી કે પતંગિયાને તમને આનંદ આપવા માટે શબ્દની ક્યાં જરૂર પડે છે! તો એકાએક સામે આવી જતા વંદો, ગરોળી કે પછી સાપ કોઈ શબ્દ દ્વારા આપણને ડરની અનુભૂતિ નથી કરાવતા? વહેતા ઝરણાંના ખળખળમાં કોઈ શબ્દ નથી, પણ તેમાંથી ઊઠતા ધ્વનિમાંથી થતી શબ્દરૂપી અનુભૂતિ આપણી પોતાની છે. દરિયાના ઘૂઘવાટમાં કોઈ શબ્દ નથી, પણ ઘૂઘવાટનો એ અનુભવ આપણામાં શબ્દરૂપ લે છે. ઈશ્વર સાથેના સંવાદમાં ભાષા અને શબ્દનાં બંધન માણસને ક્યાં નડ્યાં જ છે? એક ગુજરાતી ભાવિક ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે તો દક્ષિણ ભારતીય ભાવિકો વેંકટેશ્વરની સ્તુતિ તેલુગુ, કન્નડ કે તમિળ ભાષાઓમાં કરે છે. શ્રીકૃષ્ણના આ બંને સ્વરૂપ કઈ ભાષાના કયા શબ્દ સમજે છે એ કોઈને ખબર છે ખરી? છતાં, આપણને સૌને વિશ્વાસ છે કે આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે, પહોંચશે. અહીં પ્રાર્થનાભાવ છે અને આ ભાવ એ જ શબ્દ છે.
શબ્દોની તાકાત, તેની નબળાઈ અને તેની મજા બધું કહેવતોમાં સૌથી શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય છે. તેના વિશે આખી પત્રાવળી શ્રેણીમાં ઘણા વિદ્વાનોએ લખ્યું છે. કાવ્યોમાં શબ્દોની પસંદગીની વાત પણ આવી. પણ આપણી પાસે એવા એવા શબ્દો હોય છે જેના ઉપયોગ અને તેની અર્થછાયામાં ઊંડા ઉતરવામાં આવે તો એક સાવ નવી જ દુનિયા જોવા મળે. જેમ કે – દિશા. આ શબ્દ વાંચતાં કે સાંભળતાં જે અર્થ આપણા મનમાં આવે તે સિવાય પણ કેટકેટલા અર્થ તેમાં સમાયેલા છે! એવી જ રીતે ઊંડાણ અને ઊંચાઈ! પણ એ બંનેનો અનુભવ કરવા માટે તમારે શબ્દોની જરૂર છે ખરી?
શબ્દ બ્રહ્મ છે એવું આપણે સાંભળ્યું છે. તો પછી અર્થ શું છે? અર્થ સાપેક્ષ છે. હું જે બોલું છું અથવા લખું છું તે બરાબર એ જ અર્થમાં તમે નથી સમજતા તો તેના બે અર્થ છે – એક, હું જે બોલું કે લખું એવું ખરેખર કહેવા માગતો નથી... અથવા બે, તમે તેને તમારી માન્યતા મુજબ સાંભળવા કે સમજવા માગો છો. અને એ સંદર્ભમાં અર્થ સાપેક્ષ છે.
પત્રાવળીની આ શ્રેણીએ શબ્દ વિશે આટલું બધું વિચારવાની તક આપી એ આ પ્રયાસની સૌથી મોટી સફળતા ગણાય. મને તો લાગે છે કે આ શ્રેણીના લેખોનું સંપાદન કરીને પુસ્તક તૈયાર કરવામાં આવશે તો ગુજરાતી ભાષા, સાહિત્ય અને શબ્દ વિશે એક અમૂલ્ય ગ્રંથ તૈયાર થશે. શબ્દને માતાની જેમ લાડ લડાવવામાં આવે, પિતાની જેમ શિસ્તમાં રાખવામાં આવે તો તેમાંથી કેવો ભવ્ય પરિવાર તૈયાર થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પત્રાવળી છે, એવું કહેવામાં અતિશયોક્તિ મને તો નથી લાગતી.

No comments:

Post a Comment