Tuesday, July 17, 2018

કોંગ્રેસ માટે કયો શબ્દ યોગ્ય- “Bail-ગાડી” કે “જામીન”દાર?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષને Bail-ગાડી તરીકે ઓળખાવ્યો છે, કેમકે કોંગ્રેસના અધ્યક્ષથી શરૂ કરીને ઘણા નેતા કાંતો ભ્રષ્ટાચારના કેસમાં અથવા ફોજદારી કેસમાં જામીન ઉપર છે
 


--- અલકેશ પટેલ

2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચારની દિશા કઈ હશે તેના સંકેત મળવા લાગ્યા છે. એ સાચું કે ભાજપના કેટલાક નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા છે, પરંતુ એ સંખ્યા સાવ જૂજ છે એ સૌએ સ્વીકારવું પડશે. સાથે એ પણ એટલું જ સાચું છે કે ભાજપના ટોચના કહી શકાય એવા એકપણ નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ આટલાં વર્ષોમાં કદી થયા નથી. તેથી વિરુદ્ધ કોંગ્રેસમાં તેમના અધ્યક્ષ અને વડાપ્રધાન સ્તરના નેતાઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું વારંવાર પુરવાર થતું રહ્યું છે, આજે પણ એ જ સ્થિતિ છે. હા, એ વાત અલગ છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને વડાપ્રધાન હંમેશાં એક જ પરિવારના રહ્યા છે.
આજે આ વાત કરવી એટલા માટે જરૂરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત જુલાઈને શનિવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું કે કોંગ્રેસ પક્ષ હવે બેલ-ગાડી થઈ ગયો છે. સાંભળનાર તમામને પહેલા તો એવું લાગ્યું કે વડાપ્રધાન કોંગ્રેસને બળદગાડા સાથે સરખાવે છે, પરંતુ તરત જ તેમણે આ અંગે વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે બેલ નહીં પણ બેઇલ અર્થાત જામીન. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના ટોચના અનેક નેતાઓ બેઇલ એટલે જામીન ઉપર છે. દેખીતી રીતે તેમનો ઇશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલના યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ ગૃહ અને નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ તેમજ કોંગ્રેસના નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર તરફ હતો. આ ઉપરાંત મોતીલાલ વોરા, સામ પિત્રોડા, ઓસ્કર ફર્નાન્ડિસ તેમજ દિગ્વિજયસિંહ જેવા નેતાઓ પણ જામીન ઉપર છે. આ આખી યાદીમાં એકમાત્ર શશી થરૂરને બાદ કરતાં બાકીના બધા ભ્રષ્ટાચારના વિવિધ કેસમાં જામીન ઉપર છે જ્યારે થરૂર તેમના પત્ની સુનંદા પુષ્કરના શંકાસ્પદ મૃત્યુના કેસમાં હાલ પૂરતા જેલની સજાથી બચીને બહાર છે.
કોંગ્રેસની મુશ્કેલી એ છે કે એ પક્ષ હંમેશાં માત્ર એક પરિવારને આધિન રહ્યો છે. અને આ દેશની કમનસીબી એ છે કે છેક જવાહરલાલ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી દરેક ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. દેશ 1947માં સ્વતંત્ર થયો અને બીજા જ વર્ષે 1948માં જવાહરલાલ નહેરુના નાક નીચે તે સમયના બ્રિટન ખાતેના ભારતીય રાજદૂત વી કે કૃષ્ણમેનને જાતે જ ભારતીય લશ્કર માટે જીપ ખરીદવા વિદેશી કંપની સાથે કોન્ટ્રેક્ટ કરી દીધો હતો. કોન્ટ્રેક્ટ 200 જીપ માટેનો હતો અને તે માટે જવાહલાલ નહેરુની સરકારે નાણાં પણ ચૂકવી દીધા અને ત્યારબાદ ઘણા મહિના પછી ભારતને 155 જીપ આપવામાં આવી. 45 જીપના નાણાં કોની પાસે ગયા એ કોઈ જાણતું નથી, પરંતુ ભારત સહિત આખી દુનિયાને એટલી ખબર છે કે એ જ કૃષ્ણ મેનનને ત્યારબાદ નહેરુએ અંગત સચિવ અને પછી સંરક્ષણપ્રધાન બનાવ્યા હતા. જે નહેરુ પોતે ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો કૃષ્ણ મેનનને આટલું મહત્ત્વ કેવી રીતે મળે તેનો જવાબ આજ સુધી કોઈની પાસે નથી.
રાજીવ ગાંધી ઉપર લાગેલા બોફર્સ તોપ ભ્રષ્ટાચારના ડાઘ આજ સુધી ધોવાયા નથી. તો તેમનાં પત્ની સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી નેશનલ હેરલ્ડ અખબાર જૂથમાં 5000 કરોડના ગોટાળાના કેસમાં હાલ જામીન ઉપર છે. આ જ કેસમાં ટૅકનોક્રેટ અને ભારતમાં ટેલિફોન ક્રાંતિના જનક તરીકે ઓળખાવાતા સામ પિત્રોડા, પીઢ નેતા મોતીલાલ વોરા તેમજ ઓસ્કર ફર્નાન્ડિસે પણ જામીન મેળવવા પડ્યા છે. સામ પિત્રોડા પોતે અંગત રીતે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું માનવાને કારણ નથી, પરંતુ તેમણે માતા અને પુત્રના ભ્રષ્ટાચારને મૂક રહી ચલાવી લીધો છે એ સ્વીકાર્ય નથી. તો મનમોહનસિંહ સરકારમાં ગૃહપ્રધાન અને નાણાંપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમ્ તેમના આખા પરિવાર સાથે જામીન મેળવીને હાલ અદાલતોના ચક્કર લગાવ્યા કરે છે.
રંગીન મિજાજના કોંગ્રેસી નેતા શશી થરૂર છેલ્લા આઠ-દસ દિવસથી આગોતરા જામીન ઉપર મુક્ત છે અને અદાલતમાં હાજરી પુરાવવી પડે છે. તેમનાં પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014માં દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે સમયે પ્રાથમિક રીતે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમણે આપઘાત કર્યો છે, પરંતુ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરીને સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ કરવાની માગણી કર્યા બાદ એવું તારણ નીકળ્યું કે પુષ્કરની હત્યા થઈ છે. આ કેસમાં હવે શંકાની સોય શશી થરૂર સામે છે.
કોંગ્રેસના વધારે પડતા બોલકા અને કટ્ટર હિન્દુવિરોધી નિવેદનો માટે કુખ્યાત દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સામે ભ્રષ્ટાચારના કેસ થયા હતા. ટૂંકમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી કદી મુક્ત રહી શકી નથી અને તેથી જ કદાચ કેટલાક લોકો તેના માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બદલે ઇન્ડિયન નેશનલ કરપ્શન પણ કહે છે.
હવે અહીં મજાની વાત એ છે કે આખા દેશમાં હારી રહેલો કોંગ્રેસ પક્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે વિવિધ પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા તૈયાર છે. કોંગ્રેસ જે પક્ષો સાથે ચૂંટણી જોડાણ કરવા માગે છે એ કયા પક્ષો છે? એ પક્ષો છે - રાષ્ટ્રીય જનતા દળ, જેના સર્વોચ્ચ નેતા લાલુપ્રસાદ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે. બીજો પક્ષ છે – બહુજન સમાજ પાર્ટી, જેનાં સર્વોચ્ચ નેતા માયાવતી સામે એક સાથે અનેક કેસમાં તપાસ ચાલે છે. ત્રીજો પક્ષ છે – સમાજવાદી પાર્ટી, જેના સર્વોચ્ચ નેતા અખિલેશ યાદવ સામે લખનૌના ગોમતીઘાટ કેસમાં ભ્રષ્ટાચારની આશંકા છે તો તાજેતરમાં સરકારી બંગલો ખાલી કરતી વખતે તેઓ એ બંગલામાંથી નાની નાની ચીજો પણ લઈ ગયા હોવાનું કહેવાય છે. ચોથો પક્ષ છે – તૃણમૂલ કોંગ્રેસ, જેનાં સર્વોચ્ચ નેતા મમતા બેનરજી કટ્ટર લઘુમતીવાદી છાપ ધરાવે છે, એટલું જ નહીં પરંતુ તેમના પક્ષના સૌથી નજીકના સાથીદારો બંગાળના કુખ્યાત ચીટફંડ કાંડમાં ફસાયેલા છે.
ટૂંકમાં એટલું નિશ્ચિત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વાતો કરશે, પોતાની કામગીરીની વાતો કરશે પણ સાથે ભ્રષ્ટાચારને પણ મુદ્દો બનાવશે. ઘણાને એવું લાગતું હશે કે તો પછી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ચિદમ્બરમ્ વગેરેની ધરપકડ કરી જેલમાં શા માટે નથી પૂરાતાં. તો તેના બે જવાબ છે – એક તો કેસ થયા પછી સમગ્ર મામલો અદાલતને આધિન હોય છે અને ત્યાં કેટલી ઝડપથી કે કેવી ગતિએ કેસ ચાલે છે તેના ઉપર આધાર હોય છે. અને બીજું, સરકાર ઉતાવળ કરીને જો સોનિયા અને રાહુલ ગાંધીની ધરપકડ કરે તો શક્ય છે કે ભારતની ભોળી (અથવા મુર્ખ) પ્રજાને એ ગાંધી પરિવાર માટે સહાનુભૂતિ પેદા થાય અને 2019માં કોંગ્રેસને સત્તા આપી દે તો! 1977માં ઈન્દિરા ગાંધી આવી જ સહાનુભૂતિના આધારે અને 1985માં રાજીવ ગાંધી પણ સહાનુભૂતિના આધારે સત્તા પર આવેલા છે. ભારતની ભોળી પ્રજાને રાષ્ટ્રપ્રેમને બદલે નહેરુ-ગાંધી પરિવારની સહાનુભૂતિ વધારે પસંદ છે!

No comments:

Post a Comment