Wednesday, July 18, 2018

ડર ફેલાવવાનું રાજકારણ દેશ માટે ઘાતક સાબિત થશે

21મી સદીને 17 વર્ષ વીતી ગયાં અને દેશની સ્વતંત્રતાનાં 70 વર્ષ વીતી ગયાં છતાં કોંગ્રેસ પક્ષ હજુ પણ જ્ઞાતિ-ધર્મના રાજકારણથી ઉપર નથી ઊઠ્યો. રાહુલ ગાંધીનું છેલ્લું પગલું અને શશી થરૂરનું છેલ્લું નિવેદન આ બાબતનું પ્રમાણ છે.



--- અલકેશ પટેલ

ડર ફેલાવીને સત્તા કબજે કરવી એ કોંગ્રેસ પક્ષની મૂળભૂત નીતિ-રીતિ છે. કોંગ્રેસ સત્તા ઉપર આવે તેમાં કોઈને કશો વાંધો ન હોવો જોઈએ અને નથી, પરંતુ હકીકત એ છે કે એ પક્ષને દેશની પ્રગતિમાં ખરેખર કોઈ રસ જ નથી. કોંગ્રેસનું આખું ચરિત્ર અને તેનું રાજકારણ માત્ર એક પરિવારના પગમાં આળોટવામાં પૂરું થઈ જાય છે. અને આ પરિવાર પણ એવો છે જેને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, ભારતીય પરંપરા પ્રત્યે કોઈ પ્રકારનું માન-સન્માન કે શ્રદ્ધા નથી. પરિણામે આ પક્ષ અને તેના રાજકારણીઓ એવાં કૃત્યો કરે છે અને એવાં નિવેદનો આપ્યાં કરે છે જેને કારણે સમાજમાં એક પ્રકારનો તનાવ પેદા થાય છે. અત્યંત કમનસીબ અને દુઃખદ વાત એ છે કે તણાવ મૂળભૂત રીતે કોંગ્રેસને કારણે પેદા થાય છે, પરંતુ કોંગ્રેસીઓ તેની જવાબદારી ભારતીય જનતા પક્ષ અને સંઘ પરિવાર ઉપર ઢોળી દે છે. વળી આ દેશનું મીડિયા પણ એ હદે હજુ પણ કોંગ્રેસની ગુલામી અવસ્થામાં છે કે કોંગ્રેસીઓ દેશને નુકસાન કરી રહ્યા છે એ એમને દેખાતું નથી. ઉલટાનું કોંગ્રેસીઓની વાતો સાંભળીને આ મીડિયા પણ ભાજપ અને સંઘ પરિવારને દોષિત ઠેરવી દે છે. આ દેશના મીડિયા પાસે પણ પોતાના સ્વતંત્ર વિચારો અને સમીક્ષા કરવાની સ્વતંત્ર ક્ષમતા નથી એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે..!
કોંગ્રેસી નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર આ હદે ભાગલાવાદી માનસિકતા ધરાવતા હશે એ જાણીને ભારતના નાગરિકોને ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને ભારે આઘાત લાગ્યો છે. થરૂરે એવું નિવેદન કર્યું છે કે, 2019માં જો ભાજપની સરકાર ચૂંટાશે તો ભારત દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. આ નિવેદન સ્પષ્ટ રીતે ભારતના લઘુમતી સમાજમાં ભય ફેલાવવા માટેનું છે. થરૂર જેવા લોકો ન જાણતા હોય કે હિન્દુ સમાજ ક્યારેય હિંસક બન્યો નથી અને બની શકે એમ નથી એવું કેવી રીતે માની શકાય..!? અને તેથી જ એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી કે કોંગ્રેસીઓ પ્રજાને અને ખાસ કરીને લઘુમતીઓને ભયભીત કરવા માગે છે.
રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને પૂરો અધિકાર છે કે ભાજપ સહિત તેના તમામ વિરોધી પક્ષો સામે આક્રમક બને. પોતાના વિરોધી પક્ષોની આકરી ટીકા કરવાનો કોંગ્રેસને પૂરો અધિકાર છે જ, પરંતુ છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસ જે કરે છે એ બધું આ દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જશે એવું લાગ્યા વિના રહેતું નથી. કોંગ્રેસ હિન્દુઓ સામે મુસ્લિમોને ઉશ્કેરે છે, કોંગ્રેસ સવર્ણો સામે દલિતોને ઉશ્કેરે છે, કોંગ્રેસ દલિતો સામે ઓબીસી વર્ગોને ઉશ્કેરે છે, કોંગ્રેસ લિંગાયતો સામે લિંગાયતોને લડાવી મારે છે, કોંગ્રેસ પાટીદારો સામે પાટીદારોને લડાવી મારે છે. કોંગ્રેસનાં આ કૃત્યોનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારતમાં દરેક સમાજ એક-બીજા સામે ગુસ્સામાં રહે છે અને નાની નાની વાતમાં હિંસક બની જાય છે.
આ જ અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે ગુપ્ત મુલાકાત કરી. ગુપ્ત મુલાકાત એટલા માટે કે એ બેઠક ક્યાં કરી, કોના કહેવાથી કરી, કયા હેતુથી કરી એ કોઈ જાણતું નથી. બસ, દેશને માત્ર એટલી ખબર છે કે રાહુલે આવી ગુપ્ત બેઠક કરી અને તેમાં કથિત મુસ્લિમ બુદ્ધિજીવીઓએ પોતાની વાત રજૂ કરી. સવાલે એ છે કે, શું ભારતમાં માત્ર મુસલમાનો રહે છે..!? શું કોંગ્રેસે માત્ર મુસ્લિમોને ખુશ કરવા સત્તા ઉપર આવવાનું છે..!? કોઈએ ક્યારેય પણ સાંભળ્યું છે કે ભાજપના કોઈ નેતાઓએ હિન્દુઓ સાથે આવી ગુપ્ત બેઠકો કરી હોય..!? અને એ જ કારણે રાહુલ ગાંધીનું આ કૃત્ય દેશના ભવિષ્ય માટે અત્યંત ખતરનાક છે એ સમજવું પડશે.
આ દેશે એ વાત કદી ભૂલવી ન જોઈએ કે અનેક દાયકા સુધી કોંગ્રેસે ઉઘાડે છોગ લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ રમવાનો દ્રોહ કર્યો છે અને એ કારણે ભાજપે પણ સત્તા મેળવવા હિન્દુ રાજકારણ રમવાનું શરૂ કરવું પડ્યું છે. કોંગ્રેસે સાચા અર્થમાં મુસ્લિમોનું કદી ભલું કર્યું નથી, માત્ર તેનો મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે. અને તેનું પરિણામ આપણે સચર સમિતિના અહેવાલ દ્વારા જોઈ ચૂક્યા છીએ. એ સમિતિની નિમણૂક પણ કોંગ્રેસે કરી હતી અને તેનો અહેવાલ પણ કોંગ્રેસના શાસન વખતે આવ્યો હતો. તેમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મુસ્લિમોની સ્થિતિ સારી નથી. તેનાથી તદ્દન વિરુદ્ધ છેલ્લા ચાર વર્ષમાં દેશના તમામ જાતિ-ધર્મ-સમુદાયના લોકોની સ્થિતિમાં એક સાથે સુધારો આવ્યો છે.
સાચી વાત તો એ છે કે દેશનું અર્થતંત્ર અને તેની સાથે નાગરિકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે એ જોઈને કોંગ્રેસને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કોંગ્રેસ પક્ષ સમજી ગયો છે કે નરેન્દ્ર મોદી સરકાર જો આ જ રીતે કામ કરશે તો 15 વર્ષ સુધી તેને સત્તા પરથી દૂર નહીં કરી શકાય. અને એ જ કારણે કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને સંઘ વિરુદ્ધ ભય ફેલાવે છે. ત્રિપલ તલાક અને હલાલા જેવા મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધના દમનકારી પર્સનલ લૉ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ બને છે અને તેથી તેમાંથી છૂટવા માગે છે. નરેન્દ્ર મોદી સરકારે મુસ્લિમ મહિલાઓનો પક્ષ લીધો છે અને એ વાત કોંગ્રેસીઓ ઉપરાંત મુલ્લાઓને પસંદ નથી પડતી. આ જ કારણે હવે કટ્ટરવાદી મુસ્લિમોએ શરિયા કોર્ટનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. અને આ દેશના કમનસીબે કોંગ્રેસ જેવા ભાગલાવાદી પક્ષે તેનું સમર્થન પણ કર્યું છે. શક્યતા તો એવી પણ છે કે આ શરિયા કોર્ટનો મુદ્દો કોંગ્રેસ અને ડાબેરીઓએ જ પડદા પાછળ રહી ઉપસ્થિત કરાવ્યો હોય..! એક સમયના દેશના ઉપરાષ્ટ્રપતિ જેવા ટોચના હોદ્દા ઉપર રહી ચૂકેલા પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હમીદ અનસારીએ પણ શરિયા કોર્ટનું સમર્થન કર્યું છે. શરિયા કોર્ટ એ સ્પષ્ટ રીતે દેશને ઇસ્લામી શાસન તરફ લઈ જવાના વ્યાપક કાવતરાનો પ્રારંભ છે એ દરેક જણે સમજવું પડશે. જેમને ના સમજાતું હોય એમણે ઇસ્લામના ઇતિહાસ અને શરિયા કાયદા વિશે જાણી લેવું જોઈએ. ભારત જો આ દિશામાં આગળ વધશે તો થોડાં વર્ષ પછી પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, કેરળ જેવાં રાજ્યોમાં અલગ મુસ્લિમ દેશની માગણી ઊભી થશે એ વાતમાં શંકા નથી કેમકે આ રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી બહુમતીમાં આવી ગઈ છે.
આ સ્થિતિની કોંગ્રેસીઓને કાંતો સમજ નથી પડતી અથવા જાણી જોઈને મતબેંક ખાતર આ પક્ષ ભારતને એક ભયંકર જોખમ તરફ ધકેલી રહ્યો છે. આ દેશનો કોઈ નાગરિક મુસ્લિમોનો વિરોધી નથી. એ યાદ રાખવું જોઈએ કે બહારથી આવેલા ઇસ્લામી હુમલાખોરોએ અહીં શાસન સ્થાપ્યા પછી ઇસ્લામ ફેલાયો છે અને ત્યારે જગ્યા કરી આપનારા અને અનુકૂળતા કરી આપનાર આ દેશના લોકો જ હતા. તેઓ હજુ પણ ઇસ્લામ વિરોધી નથી, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે કોંગ્રેસ અને ડાબેરીઓની મિલીભગતથી થઈ રહેલું તુષ્ટિકરણ જોખમી તો છે જ.

No comments:

Post a Comment