Thursday, July 12, 2018

પ્રજા તરીકે આપણે કેટલા લાયક છીએ?


--- દેશના નાગરિકો તેમજ મીડિયાની સૌથી ગંભીર ભૂલ એ છે કે દરેક બાબત માટે, દરેક સમસ્યા માટે આપણે માત્ર સરકારને જ જવાબદાર ઠેરવવા પ્રયાસ કરીએ છીએ. શું દેશની પ્રગતિ માટે નાગરિકોની કોઈ ફરજ નથી હોતી..?
 --- અલકેશ પટેલ


10 જુલાઈ, 2018ને મંગળવારે મેં આ સ્થળે લખ્યું હતું કે દરેક સમસ્યા માટે આપણને માત્ર ને માત્ર સરકારને જવાબદાર ઠેરવવાની આદત પડી ગઈ છે. મેં ત્યારે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારની અને રાજકારણીઓની તો આવન-જાવન થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર અને અધિકારીઓ ત્યાં જ હોય છે અને વાસ્તવમાં નિયમો-કાયદાનું પાલન કરાવવાની, સરકાર જે કંઈ નક્કી કરે તેનો અમલ કરાવવાની જવાબદારી આ અધિકારીઓ અને વહીવટીતંત્રની જ હોય છે.

પણ આજે હવે એ વાત કરવી છે કે અધિકારીઓ અને વહીવટીતંત્ર પણ બીજા ક્રમે આવે છે. aઅર્થાત તેમની જવાબદારીનો ક્રમ પણ બીજો છે, પહેલોL ક્રમ તો પ્રજાનો પોતાનો આવે. દેશની પ્રગતિના ખરા ચાલક તો નાગરિકો પોતે છે.
સરકાર અને વહીવટીતંત્રનું kકામ તો માત્ર સાનુકૂળ સંજોગો ઊભા કરી આપવાનું હોય છે જેમાં નાગરિકો સુખેથી રહી શકે.
શા માટે પ્રજાની જવાબદારી..?
તેનો જવાબ છે... શું તમે તમારા ઘરમાં ગમે તે રૂમમાં છી-છી, પી-પી કરી દો છો..? શું તમે તમારા ઘરમાં એવી રીતે ચાલો છો કે હરોફરો છો જેનાથી પરિવારના અન્ય સભ્યો સાથે અથડાઈe જવાય..? શું તમે તમારા રસોડામાં જમ્યા પછી થાળી ગમેત્યાં છુટ્ટી ફેંકી દો છો..? ચા પીધા પછી કપ અથવા પાણી પીધા પછી ગ્લાસ ગમેત્યાં નાખી દો છો..?
જો આ બધાનો જવાબ હા હોય તો મારે કશું કહેવાનું રહેતું નથી...
... પણ મને ખબર છે કે ઉપરના કોઈ sસવાલનો જવાબ હા માં નથી. ઘરની અંદર આપણે સામાજિક પ્રાણીની જેમ જ રહીએ છીએ, બધું જ વ્યવસ્થિત. પરંતુ જેવા ઘરની બહાર નીકળીએ એટલે પ્રાણી-પશુ જેવા બની જઈએ છીએ. કચરો ગમેત્યાં નાખી દેતાં જરાય અચકાતા નથી. ચા જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં પીધી હોય તો એ કપ જ્યાં-ત્યાં જ નાખી દઇએ છીએ. લારી ઉપર નાશ્તો કર્યા પછી ડિશ નાખવા માટે ડસ્ટબીન શોધવાની તકલીફ ઉઠાવતા નથી, પણ સીધી ગમેત્યાં નાખી દઇએ છીએ. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન કરવાનું આપણને ગમતું નથી. બેફામ હોર્ન વગાડ્યા કરવાનો, રોંગ સાઇડમાં ઘૂસી જવાનું, ચાર રસ્તા ઉપર પોલીસ ન દેખાય તો ટ્રાફિક સિગ્નલની લાઇટનું સન્માન નહીં કરવાનું આપણામાંથી 95 ટકાને ગમે છે. આ જ પશુ વૃત્તિ કહેવાયh.
પણ...બે ઘડી વિચાર કરો કે આપણે જ ગંદગી નહીં કરીએ તો સ્વચ્છતા માટે કોઈએ બૂમો પાડવી નહીં પડે. આપણે ગમેત્યાં ફેંકેલો એ કચરો રસ્તા પર બનાવેલા વરસાદી નાળામાં નહીં પડે તો ચોમાસામાં વરસાદના પાણીનો ભરાવો નહીં થાય.
આપણે જ જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું તો કોઈ પોલીસવાળાએ મેમો ફાડવો નહીં પડે અથવા ઇ-મેમો ઘરે નહીં આવે. આપણે જો રોંગ સાઇડ નહીં જઇએ તો ટ્રાફિક જામ નહીં થાય અને બધા ભીડભાડ વિના સરળતાથી વાહનો ચલાવી શકશે.
આપણે જ જો ફૂટપાથ ઉપર દબાણ નહીં કરીએ તો ત્યાં ચાલનારા લોકો માટે જગ્યા રહેશે અને તેમણે રસ્તા ઉપર ચાલવું નહીં પડે..એ રીતે ટ્રાફિકમાં સરળતા રહેશે અને અકસ્માતો ઘટી જશે.
પણ કમનસીબે થાય છે આ બધાથી ઊંધું. અને તેથી દરેક વ્યવસ્થા કથળે છે પછી આપણે સરકારને જવાબદાર ઠેરવીએ છીએ કે સરકાર કશું કરતી નથી. જો બધું બગાડનાર આપણે પોતે હોઈએ તો બધું સુધારવા માટેની જવાબદારી સરકાર ઉપર કેવી રીતે ઢોળી શકાય..?

Wednesday, July 11, 2018

બધી વાતમાં સરકારને જવાબદાર ઠેરવવાનું ગાંડપણ


--- જો બધી વાતમાં સરકારોને જ જવાબદાર ઠેરવીશું તો દેશના નાગરિકો, અધિકારીઓ અને વહીવટીતંત્રને ક્યારે જવાબદાર ઠેરવીશું, વારુ?

--- અલકેશ પટેલ


ફરી એક વખત ભારે વરસાદને કારણે મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે. ફરી એક વખત મુંબઈના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ફરી એક વખત માત્ર વરસાદની આફતને કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા... અને આ બધા સાથે ફરી એક વખત 24X7 ચપ-ચપ કર્યા કરતાં ચૅનલના કથિત પત્રકારો (કથિત પત્રકારો એટલા માટે કે તેઓ માત્ર એક જ દિશામાં જૂએ છે, બીજી બાજુ તેમને દેખાતી નથી) એકમાત્ર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પાછળ એવી રીતે પડી ગયા છે જાણે મુંબઈની આવી હાલત માટે બીજું કોઈ જવાબદાર જ ન હોય..!
માન્યું કે નાગરિકોની સુખાકારીની જવાબદારી સરકારની હોય છે. પરંતુ મુંબઈની આવી સ્થિતિ માટે એકલા ફડનવીસ જવાબદાર કેવી રીતે હોઈ શકે..!? શું ફડનવીસ માત્ર મુંબઈના મુખ્યપ્રધાન છે..!? મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષમાં તેમણે ઘણાં નોંધપાત્ર કામ કર્યાં છે, એ વખતે શું આ બધા ચૅનલવાળા આટલા ઉછળી ઉછળીને સરકારના વખાણ કર્યાં હતાં..!?
ખેર, અહીં કોઈનો બચાવ કરવાનો સવાલ જ નથી. કોઈનો બચાવ કરવાનો મુદ્દો પણ નથી. પણ ચર્ચા એ કરવી છે કે આપણે હંમેશાં માત્ર ચૂંટાયેલી સરકારને ક્યાં સુધી જવાબદાર ઠેરવ્યા કરીશું..!? શું દેશના નાગરિકોની કોઈ ફરજ છે જ નહીં..!? શું અધિકારીઓ અને વહીવટીતંત્રની કોઈ જ ફરજ નથી..!?
આ સવાલો ઉપર કોઈ એવી દલીલ મહેરબાની કરીને ન કરતા કે, અધિકારીઓ-વહીવટીતંત્ર પાસે કામ કરાવવાની જવાબદારી પણ સરકારની જ છે..!
સાચી વાત એ છે કે સરકાર તો નિર્ણય કરે. સરકાર આયોજન કરે. પણ એ દરેકનો અમલ કરવાની જવાબદારી અધિકારીઓની – વહીવટીતંત્રની હોય છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે, દરેક વખતે આપણે ચૂંટાયેલી સરકારને જવાબદાર ઠેરવીને નફ્ફટ અને અપ્રામાણિક અધિકારીઓ – વહીવટીતંત્રને છટકી જવાની તક આપીએ છીએ. નફ્ફટ અને અપ્રામાણિક તંત્રને ખબર પડી ગઈ છે કે મીડિયા અને સામાન્ય પ્રજા તો સરકારને જ જવાબદાર ઠેરવવાની છે, પણ આપણે શું ચિંતા..!? પરિણામે અધિકારીઓ અને તેમની નીચેનું વહીવટીતંત્ર નઠારું, નઘરોળ બનીને મહાલે છે, ભ્રષ્ટાચાર કરે છે અને માત્ર ને માત્ર રાજકારણીઓ વગોવાય છે.
હકીકત એ છે કે અધિકારીઓ જો ખરેખર પ્રામાણિક હોત, અધિકારીઓ જો ખરેખર દેશ માટે અને પ્રજા માટે વિચારતા હોત તો આટલા દાયકામાં આ દેશ આખી દુનિયાનો સૌથી વિકસિત દેશ બની ગયો હોત.
અધિકારીઓ અને વહીવટીતંત્ર ઉપર હું એટલા માટે આટલો ભાર મૂકું છું કે, રાજકારણીઓની મુદત પાંચ-દસ-પંદર વર્ષથી વધારે નથી હોતી. એ લોકો તો ચૂંટાય તો સત્તા ઉપર આવે અને હારે તો લોકો ભૂલી જાય. પણ જે કામ કરવાનું હોય છે તે અધિકારીઓ અને તેમની નીચેના વહીવટીતંત્રે કરવાનું હોય છે. કાયદા અને નિયમોની જાણકારી અધિકારીઓ – વહીવટીતંત્રને હોય છે. અને તેથી એ નફ્ફટ અને નઘરોળ તંત્ર રાજકારણીઓને ઊંઠા ભણાવીને, તેમને પણ ભ્રષ્ટાચારમાં સામેલ કરીને પોતે છટકી જાય છે.
આ અધિકારીઓ અને વહીવટીતંત્ર કોણ છે..!?
એ લોકો આપણામાંના જ એક છે. આપણી આસપાસના લોકો જ અધિકારી કે પછી સરકારી કર્મચારી હોય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે આ લોકો પ્રામાણિક નથી. આપણે જાણીએ છીએ કે આ લોકો થોડાં વર્ષ પહેલાં જ્યારે સરકારી નોકરીમાં જોડાયા ત્યારે તૂટેલું ફૂટેલું સ્કૂટર લઈને જતા હતા અને બે-ચાર વર્ષમાં જ ગાડીમાં ફરતા થઈ ગયા. તેમ છતાં આપણે હંમેશાં આપણી મુશ્કેલીઓ માટે સરકાર અને રાજકારણીઓને જ જવાબદાર ઠેરવતા રહ્યા છીએ.
મને લાગે છે કે, એ યોગ્ય નથી. આપણે હવે સરકારી તંત્ર ચલાવતા અધિકારીઓ, કર્મચારીઓને જવાબદાર ઠેરવવાનું શરૂ કરવું પડશે તો જ આ દેશમાં કંઈક સુધારો આવી શકશે.
ચતુર કરો વિચાર...અખબારોમાં અને સમાચાર ચૅનલમાં કે પછી કોઈપણ મીડિયામાં અનેક વાર અનેક ભૂલો થતી હોય છે, અનેક ગરબડ થતી હોય છે, કેટલાય ભ્રષ્ટ પણ હોય છે... તો શું દરેક વખતે માત્ર તંત્રીને જવાબદાર ઠેરવવામાં આવે છે..!? શું દરેક વખતે તંત્રીના રાજીનામાની માગણી થાય છે..!?

Monday, July 9, 2018

જ્યારે સોશિયલ મીડિયાને કારણે આખું ઈંગ્લેન્ડ સળગ્યું હતું



--- ભારતમાં પણ જેનો ડર હતો એ થઈને રહ્યું. સમાજના અનિષ્ટ તત્વોએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને દેશના ભોળા અને અબૂધ લોકોને હિંસક બનાવી દીધા. આ હજુ શરૂઆત છે, ચેતી જજો... નહીં તો કોઈ દુશ્મન દેશ ભારતમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) કરાવી દેશે


-- અલકેશ પટેલ

તમારામાંથી કેટલાકને 2011ના ઈંગ્લેન્ડના તોફાનો યાદ હશે, પણ ઘણાને યાદ નહીં હોય અથવા ખબર પણ નહીં હોય. દુનિયામાં ખૂબ મોટાપાયે હિંસા, આગ, તોડફોડ અને લૂંટફાટ થવાનો એ પ્રથમ કિસ્સો હતો જેના માટે સ્પષ્ટપણે સોશિયલ મીડિયા જવાબદાર હતું. સળંગ ચાર દિવસ સુધી ચાલેલી એ હિંસા અને લૂંટફાટ પછી સોશિયલ મીડિયાનાં જોખમોની બાબતમાં પશ્ચિમના દેશો તો સજાગ થઈ ગયા... પરંતુ કમનસીબે ભારત જેવા દેશો કશું શીખતા નથી.
2011નો એ ઑગસ્ટ મહિનો હતો. 6ઠ્ઠી ઑગસ્ટે માર્ક દુગ્ગન નામના એક aઅશ્વેત અપરાધીને પકડવા ગયેલી પોલીસ ઉપર દુગ્ગને ગોળીબાર કર્યો. ઈંગ્લેન્ડની પોલીસ પાસે કોઈ ઉપાય ન રહેતાં સામો ગોળીબાર કર્યો અને એ એન્કાઉન્ટરમાં દુગ્ગન માર્યો ગયો. ત્યારપછી બે દિવસ સુધી બધું શાંત રહ્યું, પરંતુ આઠ ઑગસ્ટે દુગ્ગનના પરિવારજનો, તેના કેટલાક મિત્રો અને અન્ય લોકો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ન્યાય ની માગણી કરવા લાગ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એ ટોળા સાથે વાતચીત કરી અને તેમને શાંતિ જાળવવા અને ઘરે જવા અપીLલ કરી. પરંતુ ટોળું માન્યું નહીં, અને કલાકો સુધી પોલીસ સ્ટેશનને ઘેરીને બેસી રહ્યું. થોડા કલાક પછી એકાએક એવી અફવા ફેલાઈ કે 16 વર્ષની એક છોકરીએ પોલીસ તરફ શૅમ્પેઇનની બૉટલ ફેંકી જેના જવાબમાં પોલીસે તેને માર માર્યો અને એ છોકરી ગંભીર રીતે ઘવાઈ ગઈ છે. આ અફવા ફેલાતાં જ ત્યાં હિંસા શરૂ થઈ ગઈ, સાથે આસપાસના અન્ય વિસ્તારો ઉપરાંત આખા ઈંગ્લેન્ડમાં ઠેરઠેર હિંસા અને તોડફોડ શરૂ થઈ ગઈ. ટીવીમાં સમાચારો આવે એ પહેલાં ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં હિંસા શરૂ થઈ ગઈ હતી એ બાબત જ પુરવાર કરતી હતી કે એ સમયે ત્યાં સોશિયલ મીડિયાએ ભૂંડી ભૂમિકાk ભજવી હતી.
આખી વાતમાં કોઈએ એ તપાસ કરવાની તસ્દી જ ન લીધી કે એ છોકરી કોણ છે અને પોલીસે ખરેખર તેને મારી છે કે કેમ? પરંતુ તે સમયે ઈંગ્લેન્ડમાં ટ્વિટર અને ફેસબૂક સહિત સોશિયલ મીડિયા પ્રચલિત થઈ ચૂકેલા હતા અને તેથી પોલીસે કથિત રીતે છોકરીને માર માર્યાની અફવા આખા ઈંગ્લેન્ડમાં ફેલાઈ ગઈ. અપરાધીઓ તેમજ બેરોજગારોને તો જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો. ઠેરઠેર દુકાનો લૂંટાવા લાગી, સ્થાનિક બસો સહિત સરકારી મિલકતોને આગ લગાડવામાં આવી. 8 ઑગસ્ટથી 11 ઑગસ્ટ એમ ચાર દિવસ સુધી આખું ઈંગ્લેન્ડ સોશિયલ મીડિયાની અફવાઓને કારણે સળગતું રહ્યું, લૂંટાતું રહ્યું, ઘવાતું રહ્યું. બધું શાંત થયા પછી આકલન કરવામાં આવ્યું તો એ ચાર દિવસની હિંસામાં ઈંગ્લેન્ડને 200 મિલિયન પાઉન્ડ (અંદાજે 190 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું હતું.
આ હિંસા, આગ અને લૂંટફાટ સ્પષ્ટ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહેલી અફવાઓને કારણે હતી એ વાતની સાબિતી એ જ હતી કે જ્યાં કશું જ ન થયું હોય એવી વાતો ટ્વિટર અને ફેસબૂક ઉપર વહેતી કરીe દેવામાં આવતી અને થોડી મિનિટમાં ઈંગ્લેન્ડના અન્ય શહેરો અને પરા વિસ્તારોમાં હિંસા શરૂ થઈ જતી.
આજે આ આખી ઘટના ભારતના સંદર્ભમાં યાદ કરવી જરૂરી છે. ભારતમાં છેલ્લા બે મહિનામાં સોશિયલ મીડિયા, ખાસ કરીને વૉટ્સએપ ઉપર અફવાઓ ફેલાવાને કારણે ઓછામાં ઓછા 25 જણની હત્યા થઈ ગઈ છે. ભારતમાં હજુ ફેસબૂક અને ટ્વિટરનો ઉપયોગ મોટાભાગના લોકો નથી કરતા, પરંતુ વૉટ્સએપ સાવ હાથવગું છે. નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ વૉટ્સએપનો બેફામ ઉપયોગ કરે છે. તેના પર તમામ પ્રકારના મેસેજ ચોવીસેs કલાક લોકો ફોરવર્ડ કર્યા જ કરે છે.
ભારતના ભલાભોળા અને અબૂધ લોકોની આ માનસિકતાને સમજી ગયેલા બદમાશો વૉટ્સએપનો દુરુપયોગ કરીને ગમેતેવી અફવા ફેલાવી દે છે અને લોકો પણ કશું જોયા-જાણ્યા-સમજ્યા વિના ફોરવર્ડ કર્યા કરે છે.
આવી ઘટનાઓમાં લોકોનો વાંક છે કે નહીં, તેની hચર્ચા કરવાનો કોઈ અર્થ નથી કેમકે જેમ વાંદરાને નીસરણી (સીડી) મળી જાય એમ દરેક સમજુ-અણસમજુ પ્રજાને સોશિયલ મીડિયા હાથમાં આવી ગયું છે અને લોકો તેના ઉપર ચડ-ઉતર કર્યા કરે છે.
પરંતુ સજાગ થવાનું છે શિક્ષિત લોકોએ, સજાગ થવાનું છે ટીવી અને અખબાર જેવા મીડિયાએ, સજાગ થવાનું છે પોલીસે અને સજાગ થવાનું છે સરકારે. આ સૌએ એકબીજા સામે આંગળીઓ ચીંધવાને બદલે એ વાત ભારપૂર્વક ફેલાવવી પડશે કે સોશિયલ મીડિયા જોખમી છે અને તેના ઉપયોગમાં સૌએ સાવધાની રાખવી જોઈએ.
વળી ભારત જેવા અર્ધશિક્ષિત દેશની પ્રજાના હાથમાં આવું જોખમી સાધન આવી ગયું છે જેને કારણે પણ ખતરો અનેકગણો વધી જાય છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ દરેક બાબતે સરકારનો વાંક કાઢ્યા કરવાને બદલે જવાબદારીથી વર્તવું પડશે. જો આ બાબતમાં સાવધાની રાખવામાં નહીં આવે તો પાકિસ્તાન જેવો દુશ્મન દેશ કે પછી ચીન જેવો બદમાશ દેશ ક્યારેક ભારતમાં કોઈક મુદ્દે એવી ગંભીર અફવાઓ ફેલાવશે કે આખા દેશમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) ફાટી નીકળશે. આવી જોખમી સંભાવનાની મારી ચેતવણીની ઉપેક્ષા કરવા જેવી નથી.

Tuesday, July 3, 2018

સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો


સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો

--- અલકેશ પટેલ

આપણા પારિવારીક અને સામાજિક જીવનમાં જે ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક તો છે જ, પણ તેથી વધારે ચિંતાજનક એ છે કે કોઈને એ સમજાતું નથી કે આવું શા માટે થઈ રહ્યું છે?

મહદ્અંશે આનું કારણ સોશિયલ મીડિયા છે. (હું જાણું છું કે આટલું વાંચીને થોડા વધારે પડતા હોંશિયાર અને કહેવાતા બુદ્ધિજીવીઓ મારો આખો લેખ વાંચ્યા વિના અને તેની પાછળનો તર્ક સમજ્યા વિના હસી કાઢશે, પણ વાંધો નહીં. મારે જે કહેવું છે એ કહેવું તો પડશે જ.)


હા, તો એવું નથી કે મહિલાઓ ઉપર અત્યાચાર અને દુષ્કર્મ પહેલાં નહોતાં થતાં. પણ એ અત્યાચાર અને દુષ્કર્મનું પ્રમાણ ઓછું હતું એટલું તો સૌએ સ્વીકારવું પડશે. જો આટલું સ્વીકારીએ તો એ બાબતે વિચારણા કરવી પડે કે,
હવે આવું શા માટે વધારે થાય છે?
શા માટે પ્રમાણ વધી ગયું છે?
કોણ તેનો સૌથી વધુ ભોગ બને છે?
તમામ ઘટનાઓ તેમજ તમામ આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ આવા અત્યાચાર અને દુષ્કર્મનો સૌથી વધુ ભોગ બને છે.
શા માટે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ વધુ ભોગ બને છે?
તેનું કારણ છે હિન્દુત્વની અતિશય ઉદારતા. સાવ જૂજ (હા, સાવ જૂજ) સમાજને બાદ કરતાં મોટાભાગના હિન્દુ સમુદાયોમાં દીકરીઓ અને મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. અને તેમાં પણ સમાજ જેમ જેમ આધુનિક થઈ રહ્યો છે તેમ આ સ્વતંત્રતાનો વ્યાપ પણ વધી રહ્યો છે.
અને આ સ્વતંત્રતામાં હવે સોશિયલ મીડિયા ભળ્યું હોવાથી જોખમ વધ્યું છે. સોશિયલ મીડિયામાં કોઈ સરહદ કે કોઈ મર્યાદાઓ નથી, તેને પરિણામે તમામ પ્રકારના લોકો એક-બીજાના સંપર્કમાં આવે છે. અને પછી કોઇની વચ્ચે કોઇ મર્યાદા રહેતી નથી. આ જ સૌથી મોટું જોખમ છે.
દુષ્કર્મના તમામ કેસના અભ્યાસ પરથી વારંવાર એવું તારણ નીકળતું રહે છે કે મોટેભાગે (હા, મોટેભાગે – પણ બધા કિસ્સામાં નહીં) પરિવારનો જ  અથવા પાડોશનો જ કોઈ પુરુષ કે પછી પરિચિત વ્યક્તિ જ દોષિત નીકળે છે. ઉદાર હિન્દુ સમાજની આ જ સૌથી મોટી ભૂલ છે કે સાવ નાની દીકરીઓથી માંડીને કિશોરીઓ તેમજ યુવતીઓને પરિવાર અથવા પાડોશીઓના ભરોસે મૂકી દે છે. અને પછી એ બાળકી કે એ કિશોરી સાથે શું થાય છે એ ભાગ્યે જ કોઈને જાણ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં કોઈ કશું બોલતું નથી. ક્યારેક કંઇક અતિશય થઈ જાય ત્યારે જ કિસ્સો પ્રકાશમાં આવે છે.
અહીં પશ્ચિમના દેશોમાં થોડા સમયથી ચાલી રહેલી એક ચળવળની યાદ અપાઉં. મી ટુ – નામની આ ચળવળમાં હોલિવૂડની અભિનેત્રીઓ સહિત પશ્ચિમની કેટલીક સેલિબ્રિટી મહિલાઓએ પોતે જીવનમાં કોઈને કોઈ તબક્કે કાં તો પરિવારના જ પરિચિત પુરુષો અથવા પાડોશી કે પછી પોતાના ક્ષેત્રના જાણીતા પુરુષોને કારણે જાતીય શોષણ સહન કરવું પડ્યું હતું એવી વાતો જાહેર કરી હતી.
અર્થાત કહેવાનો આશય એ છે કે બાળકીઓ તેમજ કિશોરીઓ સાથે આવું કંઈપણ થવાનું સૌથી પહેલું જોખમ પરિવાર-પરિચિત-પાડોશી પુરુષો તરફથી જ રહેલું હોય છે.
તો હવે કોઈ એવો પ્રશ્ન કરે કે તો પછી સોશિયલ મીડિયાનો શો વાંક?
જવાબ છે, સોશિયલ મીડિયાએ આ જોખમ અનેકગણું વધારી દીધું છે. સ્માર્ટફોનમાં દુનિયાભરની ગંદકીનું સર્જન પણ થાય છે અને ફોરવર્ડ પણ થાય છે. સ્માર્ટ ફોનમાં ફોટા પાડી શકાય છે અને વીડિયો ઉતારી શકાય છે.
આ તમામ બાબતોનો દુરુપયોગ પરિવારના જ કે પછી કોઈ પરિચિત કે પછી પાડોશમાં રહેતા લંપટ કિશોરો-યુવાનો-પુરુષો કરી શકે છે, કરતા જ હોય છે. તેમાં બ્લેકમેલિંગ પણ થતું હોય છે.
આ જ કારણે કહું છું કે હિન્દુ વાલીઓએ વધારે પડતા ઉદાર રહેવાની જરૂર નથી.
અહીં હવે સેક્યુલર-કોમવાદીઓ કે કહેવાતા પ્રગતિશીલ લોકો કે પછી કહેવાતા મહિલા અધિકારવાદીઓ સ્ત્રી સ્વતંત્રતાનો ઝંડો ઉપાડી લેશે... પરંતુ એક મિનિટ તમે આવા ઝંડા ઇસ્લામ વિરુદ્ધ ઉપાડી શકો છો? આ બધી સ્વતંત્રતાની વાતો શું માત્ર હિન્દુઓ માટે જ છે?
અન્ય સમાજમાં પણ આ બધું જ બનતું હશે, પરંતુ એ બહાર નથી આવતું. કહેવાતા મહિલા અધિકારવાદીઓને અને કહેવાતા માનવ અધિકારવાદીઓની અન્ય ધાર્મિક સમુદાયો વિરુદ્ધ એક હરફ ઉચ્ચારવાની હિંમત નથી. એ સમાજોમાં જે બંધનો છે તેને આ બધા કહેવાતા મહિલા અધિકારવાદીઓ અને કહેવાતા માનવ અધિકારવાદીઓ ધાર્મિક પરંપરા ગણાવીને છટકી જાય છે, પરંતુ હિન્દુની વાત આવે એ સાથે જ આ બધા દંભીઓને સ્વતંત્રતા યાદ આવી જાય છે.
સ્વતંત્રતા ન હોવી જોઈએ એવું કહેવાનો કોઈ આશય જ નથી. હિન્દુ સમુદાય સ્વતંત્ર હતો જ અને રહેશે, પરંતુ બદલાયેલા સંજોગોમાં, સોશિયલ મીડિયાનાં જોખમો ઓળખવામાં આવે અને વાલીઓ એ બાબતે ધ્યાન આપે એ માત્ર જરૂરી નહીં, ફરજિયાત છે.

છેલ્લા થોડા સમયથી ખાસ કરીને જે કિસ્સા બની રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે તો મારી વાત સમજવાનું સરળ રહેશે. એ દરેક કિસ્સામાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ વિલન જેવી ભૂમિકા ભજવી છે એ સ્પષ્ટ છે. બાળકીઓ, કિશોરીઓ તેમજ યુવતીઓ અને મહિલાઓને બચાવવી હશે તો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના દુરુપયોગની દિશામાં વિચારવું પડશે, આ બાબતમાં બધાએ સાથે મળીને ચર્ચા કરવી પડશે અન્યથા સ્થિતિ વધારે કથળતી જશે એ નિશ્ચિત છે. એટલે જ કહું છું, સોશિયલ મીડિયામાંથી પાછા વળો...