Saturday, June 2, 2018

ખેજરલી (બિશ્નોઈ)થી તુથુકુડી (તમિલનાડુ): પર્યાવરણ બચાવવા માટે સંઘર્ષ ચાલુ જ છે


ખેજરલી (બિશ્નોઈ)થી તુથુકુડી (તમિલનાડુ): પર્યાવરણ બચાવવા માટે સંઘર્ષ ચાલુ જ છે

--- તમિલનાડુમાં વેદાંત જૂથના પ્લાન્ટના મુદ્દે થયેલી હિંસાએ ઔદ્યોગિકીકરણ, સરકાર, વહીવટીતંત્ર તેમજ પ્રજા – બધા સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે



n  300 કરતાં વધુ વર્ષ પહેલાં અર્થાત 1700ની સાલમાં રાજસ્થાનના બિશ્નોઈ સમાજે વનરાજી અને વન્ય જીવોને બચાવવા શહીદી વહોરી હતી. જોકે તમિલનાડુમાં થયેલી હિંસા માટે પ્રજા પણ ઓછી જવાબદાર નહોતી.

n  પર્યાવરણ તેમજ વન્ય જીવોને બચાવવા માટેનાં આંદોલન ગુજરાતમાં પણ થતાં રહ્યાં છે. મોટાભાગે આવાં પ્રજા આંદોલનને સફળતા મળી છે, તો ક્યારેક નિષ્ફળતા પણ મળી છે, છતાં તેને કારણે સમસ્યા સૌના ધ્યાનમાં તો આવી છે.

n  હકીકત તો એ છે કે પર્યાવરણ જાળવણીની જવાબદારી ટ્રસ્ટીશિપના સિદ્ધાંત અનુસાર સરકારની હોવી જોઈએ, પણ સરકાર જવાબદારી ચૂકે ત્યારે પ્રજાએ આગળ આવીને પોતાની ફરજ બજાવવી પડે છે.

-- અલકેશ પટેલ

કુદરત માણસને આધિન છે કે માણસ કુદરતને !? કુદરતનું જતન કરવાની જવાબદારી માણસની છે કે માણસનું જતન કરવાની જવાબદારી કુદરતની !? – આવા સવાલ માત્ર એ લોકો જ કરી શકે જેમને મન કુદરતનું કોઈ મહત્ત્વ નથી અથવા પર્યાવરણનું મહત્ત્વ સમજતા નથી. આવા લોકોમાં ત્રીજો એક પ્રકાર છે – ઉદ્યોગપતિઓનો. અને તેમાંય ભારત જેવા ઓછા વિકસિત દેશોના ઉદ્યોગકારો માટે તો નફાખોરી જ સર્વસ્વ હોય છે. એ નફાખોરી માટે બાકીની તમામ વ્યવસ્થાનું જે થવું હોય એ થાય તેની તેમને ચિંતા નથી હોતી. કુદરત અને પર્યાવરણ સાથે પણ તેઓ જોખમી ખેલ ખેલતા હોય છે અને એવું માનતા હોય છે કે પૈસાથી બધું ખરીદી લઈ શકાય છે. સામાન્ય જીવન જીવતા લાખો લોકો સાથે મળીને પણ કુદરતને કે પર્યાવરણને જે નુકસાન નથી કરી શકતા એ નુકસાન એક ઉદ્યોગકાર તેની બેદરકારી અને અહંકારને કારણે કરતો હોય છે. ગંગા અને યમુના સહિત દેશની નદીઓનું પ્રદૂષણ આ બાબતનો સ્પષ્ટ પુરાવો છે. હજારો વર્ષથી નાગરિકો જે નદીઓને પવિત્ર માનીને પૂજતા રહ્યા એ નદીઓને છેલ્લાં 70 વર્ષમાં ઉદ્યોગકારોએ એ હદે પ્રદૂષિત કરી દીધી છે કે હવે સરકારને તેની શુદ્ધિ માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવો પડે છે.
ખેર, એ વિશે ફરી ક્યારેક વિગતે વાત કરીશું, પણ હાલ આ મુદ્દે ચર્ચાનું કારણ તમિલનાડુના તુથુકુડીસ્થિત વેદાંત જૂથના પ્લાન્ટના વિરોધમાં ગયા અઠવાડિયે થયેલા દેખાવો અને હિંસા છે. તુથુકુડીની હિંસાએ આ દેશને વધુ એક વખત તેની કેટલીક નબળાઈઓ જેવી કે, ઉદ્યોગ અને રાજકારણની સાંઠગાંઠ, રાજકારણ અને વહીવટીતંત્રના ભ્રષ્ટાચાર, આ ત્રણની સાંઠગાંઠ અને ભ્રષ્ટાચારને કારણે પર્યાવરણને થતું પારાવાર નુકસાન વગેરે તરફ ધ્યાન દોર્યું છે. ભારતની આ એવી નબળાઈઓ છે જે તેને જાપાન, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર સહિતના વિકસિત દેશોની હરોળમાં આવતા રોકે છે.
પર્યાવરણ પ્રત્યે બેદરકાર રહેવું અથવા કુદરતની વ્યવસ્થા ખોરવાઈ જાય તેની ચિંતા ન કરવી એ ખરેખર તો અપરાધ ગણાવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં અને વિદેશમાં વારંવાર એક બાબત ગૌરવપૂર્વક કહે છે કે, ભારતની પરંપરાગત મૂળભૂત જીવનશૈલી કુદરતની સાથે સંકલન કરીને ચાલવાની છે. પર્યાવરણ પ્રત્યેની દરકાર ભારતીયોની જીવનશૈલી સાથે જ વણાયેલી છે તેવું વડાપ્રધાન મોદી વારંવાર કહેતા હોવા છતાં હજુ ક્યાંક ક્યાંક તેનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળે છે.
તુથુકુડીનું તેનું સૌથી જ્વલંત ઉદાહરણ છે. આ પ્લાન્ટ છેક 90ના દાયકામાં ત્યાં સ્થાપાયો હતો અને ત્યારેપણ જાગૃત નાગરિકોએ તેનો વિરોધ કર્યો હતો. આ અંગે જે અહેવાલો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે વેદાંતના આ કૉપર પ્લાન્ટને – ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્ય સરકાર ફગાવી દઈ ચૂકી હતી તેમછતાં તે સમયની તમિલનાડુ સરકારે મંજૂરી આપી હતી. સાંઠગાંઠ અને ભ્રષ્ટાચાર વિના આવું શક્ય જ નથી. પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી ત્યારથી તેની સામે વિરોધ થઈ રહ્યો છે. પરંતુ કોઈએ વાત સાંભળી નહીં. આ વખતે પણ સ્થાનિક નાગરિકો છેલ્લ એક મહિનાથી પ્લાન્ટના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને તે બંધ કરવાની માગણી કરી રહ્યા હતા પરંતુ સરકાર કે તંત્ર કોઈએ વાત સાંભળી નહીં.
ભારતમાં જનઆંદોલનની એક તાસીર રહી છે, કે થોડા દિવસ આવું આંદોલન ચાલે પછી તેમાં અસામાજિક તત્વો ભળી જતાં હોય છે અને એવા લોકોની ચઢવણીને કારણે આંદોલન કરી રહેલા લોકો ઉશ્કેરાઈને હિંસક બની જતા હોય છે. તુથુકુડીમાં એ જ થયું. આંદોલન અને વાટાઘાટ ચાલુ હતી એ દરમિયાન કેટલાક તત્વોએ ચઢવણી કરી જેને કારણે ઉશ્કેરાયેલા લોકોએ વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસ ઉપર હુમલો કરી દીધો. અને તેના જવાબમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો જેમાં 11 કરતાં વધુ નાગરિકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય ઘવાયા.
ભારતમાં આ રીતે પર્યાવરણની જાળવણી માટે અથવા કહો કે પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે જનઆંદોલન થયાં હોય તેનો ઘણો લાંબો ઈતિહાસ છે, પરંતુ આજે અહીં કેટલાક નોંધપાત્ર આંદોલનની માહિતી મેળવીએ.
રાજસ્થાનના બિશ્નોઈ સમુદાયથી આપણે સૌ પરિચિત છીએ. સલમાન ખાન જે કેસનો આરોપી છે તે હરણ શિકાર કેસના ગયા મહિને આવેલા ચુકાદા વખતે બિશ્નોઈ સમુદાય વધુ એક વખત મીડિયામાં ચમક્યો હતો. વધુ એક વખત એટલા માટે કે સલમાને બે દાયકા પહેલાં ફિલ્મના શૂટિંગ દરમિયાન હરણની હત્યા કરી ત્યારે આ સમુદાયે તેની સામે આક્રમક વલણ લીધું હતું અને છેક ચુકાદો આવ્યો ત્યાં સુધી એ મક્કમ વલણ જાળવી રાખ્યું આ બિશ્નોઈ સમુદાયની સૌથી મોટી ખાસિયત જ એ છે કે તેઓ વન તથા વન્ય જીવનને જ ઈશ્વરનું સ્વરૂપ માને છે અને એ રીતે તેની રખેવાળી કરે છે. આ જ કારણસર ઈ.સ. 1700માં તે સમયના રાજાએ પોતાનો મહેલ બાંધવા જંગલનાં વૃક્ષો કાપવાની શરૂઆત કરી ત્યારે અમૃતાદેવીના નેતૃત્વ હેઠળ આ સમુદાયની સ્ત્રીઓ તેમજ અન્ય નાગરિકો વૃક્ષોને વળગી પડ્યાં. રાજાના માણસો ઘાતકી હતા અને ઝનૂને ચઢેલા હતા તેથી એ સંઘર્ષમાં 363 જેટલા બિશ્નોઈ ગ્રામવાસીઓએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. જોકે, છેવટે તેમની પર્યાવરણ પ્રત્યેની આ લાગણી જોઈને રાજાએ પોતાની યોજના પડતી મૂકી હતી.
ત્યારપછી લગભગ 300 વર્ષ પછી 1973માં આવું જ એક આંદોલન ઉત્તરાખંડના તેહરી-ગઢવાલ (તે સમયના ઉત્તરપ્રદેશ)માં થયું હતું. સુપ્રસિદ્ધ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા તથા ગૌરાદેવી અને સુદેશાદેવીના નેતૃત્વ હેઠળ સૂચિત ડૅમના વિરોધમાં વૃક્ષોને વળગી પડીને આંદોલન શરૂ કર્યું જે આખા ભારતમાં ચીપકો આંદોલન તરીકે જાણીતું બન્યું હતું.
કેરળના પલક્કડમાં જંગલને બચાવવા માટે 1978માં એક અસાધારણ આંદોલન જોવા મળ્યું હતું. અસાધારણ એટલા માટે કે એ આંદોલનનું નેતૃત્વ કેરળ સાહિત્ય પરિષદ અને અગ્રણી કવિયત્રી સુગંધાકુમારીએ કર્યું હતું. ત્યાં સાયલન્ટ વેલી નામે પ્રખ્યાત પ્રદેશમાં હાઈડ્રોઈલેક્ટ્રીક યોજનાની કામગીરી શરૂ થઈ હતી તેનો તેઓએ સખત વિરોધ કર્યો હતો. તેમના એ આંદોલનને કારણે કેન્દ્ર સરકારે છેવટે યોજના પડતી મૂકવી પડી હતી અને પ્રજાની લાગણીનો વિજય થયો હતો.
1982માં બિહારના સિંગભૂમ જિલ્લામાં જંગલ બચાવો આંદોલન પણ આવું જ એક નોંધપાત્ર આંદોલન છે. એ આંદોલન સિંગભૂમના આદિવાસીઓએ જ કર્યું હતું કેમકે તે સમયની સરકારે ત્યાંના કુદરતી વૃક્ષોને દૂર કરીને તેને સ્થાને સાગના વૃક્ષો ઉગાડવાનો નિર્ણય લીધો હતો. સાગના વૃક્ષોના લાકડામાંથી ઘણી ઊંચી આવક થાય એ સાચું પરંતુ તેને કારણે જે કુદરતી જંગલ હતું જે ત્યાંના આદિવાસીઓ માટે આવશ્યક હતું એ દૂર કરવાની હિલચાલ અયોગ્ય હતી જેની સામે આંદોલન શરૂ થયું હતું. જેને પગલે ત્યાં પણ સરકારે પીછેહઠ કરવી પડી હતી.
ટૂંકમાં, મૂળ મુદ્દો એ છે કે સરકાર, વહીવટીતંત્ર અને ઉદ્યોગકારો વનરાજી અને વન્ય જીવન નફો કમાવાની ચીજ ગણતા હોય છે, પરંતુ તેને કારણે લાંબાગાળે પ્રદૂષણથી આ ધરતીને કેટલું નુકસાન થઈ શકે છે અને માનવજાત માટે કેટલું જોખમી નીવડી શકે છે તેની ચિંતા કરતા નથી. એવા સમયે સ્વાભાવિક રીતે જ કાંતો પ્રજાના પ્રતિનિધિઓએ અથવા અસરગ્રસ્ત પ્રજાએ પોતે મેદાનમાં ઊતરવું પડે છે. દેશના સ્વાસ્થ્ય માટે આ સ્થિતિ સારી નથી. વર્તમાન સમયના રાજકારણીઓ તેમજ ભાવિ પેઢીના રાજકારણીઓએ આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારવું પડશે.
LINK ---- http://www.sadhanaweekly.com/Encyc/2018/5/29/envirnment-vedanta-khejarli-tuthukudi.html 

No comments:

Post a Comment